આપણા પૂર્વજોએ ગણેશનાં ચિત્રો, તેમને
લગતી વિધિઓ અને તેમને લગતં કથાનકોમાં પૌરાણિક કોયડા રચ્યા હોય એમ લાગે છે. એ બધાં
દ્વારા દુનિયા વિષેની સમજ જે હદે બદલી ગઈ અને વધારે સમૃધ્ધ, પૂર્ણ
જીવન જીવવાનુ શક્ય બન્યું તે સમજાવવા એ લોકો પ્રયાસ કરે છે.દલીલ તરીકે એમ પણ કહી
શકાય કે એ બધું સીધા અને સરળ ઉપાયો તરીકે પણ કહી શકાયુ હોત, એ
માટે આ કોયડાઓ રચવાની આટલી પળોજણમાં પડવાની શું જરૂર હતી? પ્રાચીન
હિંદુઓ માનતા હતા કે વિવેકવિચારનું જ્ઞાન આપી ન શકાય, એ તો
લેવું પડે. જો એ કોયડાઓ આપણને ઉકેલતાં આવડે તો, એ લોકોએ
ગણેશ રૂપે આપણી સામે બધા ઉપાયો મૂકી દીધા છે. જો કોયડા
ન ઉકેલવા હોય તો ભલે એમ રાખો. ગણેશનાં ચિત્રોનું બૌધ્ધિક વિશ્લેષણ કર્યા સિવાય પણ
તે આપણને સમૃધ્ધ કરતાં રહેશે. જોકે ગણેશ માટે ખાસ રચાયેલાં પુરાણો, ગીતા
કે ઉપનિષદ જેવાં શાસ્ત્રો બૌધ્ધોક લોકો માટે ઉપલ્બધ છે.
મંદિરોમાં
સ્થાપિત દેવી દેવતાઓની ભક્તિ કરવાની રીતોનાં વૃતાંત પુરાણોમાં દસ્તાવેજ કરાયાં છે.
અતિપ્રાચીન વેદ જેવાં શાસ્ત્રોનો પાયો, દેવીદેવતાઓ નહીં પણ,
યજ્ઞ તરીકે જાણીતાં વિધિ
વિધાનો હતાં. એ દૃષ્ટિએ પછીથી રચાયેલાં આ શાસ્ત્રોનાં કથન જૂદાં પડે છે.
ગણેશ
પુરાણ ઉપ-પુરાણ - પછીનાં
પુરાણ - તરીકે ઓળખાય છે. ગણેશ માટેનાં ખાસ બે પુરાણોમાંનું તે એક છે. એટલા માટે
ગણેશ ભક્તો – ગણપત્યો
-માટે તેનું અદકું મહત્ત્વ છે. ઈ.સ. ૧૦મીથી
૧૬મી સદીમાં તે રચાયાનું મનાય છે. તેના બે ભાગ છે. પહેલો ભાગ ગણેશ-ખંડ છે, જેમાં
ગણેશ પ્રત્યેની ભક્તિ કેમ વ્યક્ત કરવી તે આવરી લેવાયેલ છે. તેમાં મંદિરોમાં બહુધા
સંભળવા મળતાં કિર્તનોમાંનાં ગણેશ સહસ્ત્રનામ છે. બીજો ભાગ ક્રિડા-ખંડ છે જેમાં
ગણેશની કહાણીઓ વર્ણવાઈ છે.આ ભાગમાં ચાર યુગમાંના ગણેશના ચાર અવતાર વર્ણવાયા છે.
તેમાં ગણેશ ગીતા પણ સમાવિષ્ટ છે.
ગણેશ પુરાણની જેમ મુગ્દલ પુરાણ પણ ગણેશને
સમર્પિત છે. તે પણ ઈ.સ. ૧૦મીથી ૧૬મી સદીમાં રચાયું છે, જોકે, આ
બેમાંથી વધારે જૂનું કયું છે તે વિષે વિદ્વાનો એકમત નથી. એ પણ ઉપ-પુરાણ કે
ગૌણ-પુરાણ જ છે, જેમાં ગણેશને દેવાધિદેવ તરીકે પ્રસ્થાપિત કરાયા છે. ગણેશ પુરાણ અને મુગ્દલ પુરાણ
વચ્ચે મૂળ તફાવત એ છે કે મુગ્દલ પુરાણમાં સ્વરૂપ અને વસ્તુમાં જ ફરક પડે છે એવા
ગણેશના આઠ અવતાર વર્ણવાયા છે.
ગણેશ ગીતા ગણેશ પુરાણનો જ ભાગ
છે, જે ગણેશજીના ગજાનન અવતારે
રાજા વરેણ્યને આપેલ ઉપદેશ છે. ગણેશ ગીતાના મોટા ભાગના શ્લોક વધારે જાણીતી
ગીતામાંથી જ લેવાયા છે. ફરક એટલો જ છે કે અહીં કૃષ્ણની જગ્યાએ પરમાત્માની
ભૂમિકામાં ગણેશ જોવા મળે છે. ગણેશ અહીં પોતાને વિશ્વના સ્રર્જનહાર, સંરક્ષક
અને સંહારક એમ ત્રણે રૂપમાં રજૂ કરે છે. તે સ્વયંભુ છે. તે કહે છે કે જ્યારે
જ્યારે પૃથ્વી પર ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે તે અવતાર લઈને ધર્મ પ્રસ્થાપિત
કરે છે. તેમના સુધી પહોંચવાના તે ત્રણ માર્ગ બતાવે છે: બૌધ્ધિક આત્મચિંતન (જ્ઞાન
યોગ)નો માર્ગ, ઉત્સાહી સ્વાર્પણ (ભક્તિ યોગ)નો માર્ગ અને અનાસક્ત કર્મ
(કર્મ યોગ)નો માર્ગ.
૧૮મી સદીની શરૂઆતમાં એક બીજાં
ઉપનિષદનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે જેમાં ગંણેશને પરમાત્મા માનવામાં આવેલ છે. એ
ઉપનિષદ ગણેશ અથર્વશિર્ષ ઉપનિષદ તરીકે તરીકે ઓળખાય છે. તેનું મૂળ અથર્વ વેદમાં જોવા
મળે છે. ઉપનિષદો તત્ત્વજ્ઞાનનું ચિંતન છે, જેમાંનું
સૌથી જૂનું ઉપનિષદ ઈ.સ. પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાં રચાયું હોવાનું માનવામાં આવે છે.
તે પછીથી સમયાંતરે તે જૂદા જૂદા લેખકોએ પૂનઃલેખન કરેલ છે.૧૭૫૧માં લખાયેલ એક
ગ્રંથમાં ૧૦૮ ઉપનિષદો ગણાવાયાં છે,
જેમાંનું એક ગણેશ ઉપનિષદ છે.ઉપનિષદમાં
પરમાત્માના સિધ્ધાંતને રજૂ કરાયો છે. પરમાત્મા એવી શક્તિ છે જે વિશ્વમાં બ્રહ્મન
સ્વરૂપે જીવન અને બુધ્ધિ પ્રદાન કરે છે. આ અમૂર્ત દૈવી શક્તિને ગણેશ ઉપનિષદમાં
ગણેશનાં સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. બધા દેવોનો જેમાં વાસ છે તેવા પરમાત્મા સિધ્ધાંત
તરીકે તેમને કલ્પવામાં આવેલ છે. તેમને બ્રહ્મા, વિષ્ણુ
અને શિવ ઉપરાંત સૂર્ય, ચંદ્ર,
વાયુ, અગ્નિ અને
વર્ષા જેવા દેવોનાં સમાવિષ્ટ સ્વરૂપ તરીકે માનવામા આવેલ છે. તેમને
કરોડના છેડે આવેલ, તાંત્રિકોનાં મૂળભૂત ચક્ર, મૂલધર
ચક્ર સાથે પણ સાંકળવામાં આવેલ છે. તેમને સર્વોચ્ચ મંત્ર, ૐ સાથે પણ
સાંકળી લેવાયેલ છે.
૧૭મી સદીનાં મહારાષ્ટ્ર ગણપત્ય પંથના અનુયયીઓ- જે મોટા ભાગે પુણેના ચિત્તપાવન બ્રાહ્મણો હતા-ની આ ઉપનિષદ નિપજ છે અને એ લોકોમાં તે બહુ જ પ્રચલિત પણ હતું. લગભગ એ જ સમયમાં એ જ પ્રકારનાં વિષય-વસ્તુથી રચાયેલાં બીજાં ઉપનિષદો ગણેશપૂર્વવતાપિણી ઉપનિષદ અને ગણેશોત્તરતાપિણી ઉપનિષદ તરીકે જાણીતાં છે.- ધ સ્પિકીંગ ટ્રીમાં ૨૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Reading Ganesha નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો