બુધવાર, 15 ઑગસ્ટ, 2018

“મને શા માટે યાદ કરવામાં આવે?”


પોતાના પછી તેને શા માટે યાદ કરવામાં આવશે એ સવાલનો જવાબ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે શોધે છે અને નક્કી કરે છે. એ સવાલનાં આ સામાન્યપણે વિચારાયેલ, દુન્યવી અર્થઘટનથી જરા દૂર ખસીને. પીટર ડ્રકર  આ સવાલને એક નવો આયામ આપે છે.
તત્ત્વતઃ તેમનું કહેવું છે કે આ સવાલને, વિચારપૂર્વક અને પૂરી ઊંડાઈપૂર્વક, પૂછવાથી જીવનના અતાગ પડકારોના ઉપાયો તરફ દિશાસૂચન મળશે જે જીવનને એક નવો અર્થ પણ આપી શકે છે.

વિષય પ્રવેશ
જ્યારે કોઈએ પીટર ડ્રકરને પહેલી વાર પૂછ્યું કે 'તેઓ શેના માટે યાદ કરાય તેમ ઈચ્છે છે?", ત્યારે જવાબમાં ડ્રકર એક અદ઼્ભૂત વાત કહે છે.
'જ્યારે હું તેરેક વર્ષનો હઈશ, ત્યારે અમારા એક શિક્ષક હતા. તે ધર્મને બહુ ઉત્સાહથી સમજાવતા. એક દિવસ આવીને તેમણે વર્ગના દરેક છોકરાને પૂછ્યું કે "તમારે શેના માટે યાદ કરાતા રહેવું છે?"
સ્વાભાવિક છે કે એ ઉમરે અમારામાંથી કોઇની પાસે એ સવાલનો જવાબ નહોતો. તે ધીમેથી હસ્યા અને કહ્યું કે. 'મને તમારી પાસેથી આજે કોઈ જવાબની અપેક્ષા પણ નથી. પણ ૫૦ની ઉમરે પહોંયા પછી પણ જો તમે આ સાવલનો જવાબ ન આપી શકો, તો તમારૂ જીવન એળે ગયું છે એમ ગણજો.'
આમારી શાળાનાં ૬૦મા પુનર્મિલનના મેળાવડા સમયે . . .અમારા એક સહાધ્યાયી મિત્રએ પૂછ્યું, 'તમને ફાધર પ્ફીલગર અને તેમનો સવાલ 'તમારે શેના માટે યાદ કરાવડતાં રહેવું છે' યાદ છે ?’ અમને બધાંને બરાબર યાદ હતું અને દરેકનું કહેવું હતું કે જીવનને દરેક તબક્કે એ સવાલે બહુ મોટો ફરક પણ પાડી બતાવ્યો છે.
પીટર ડ્રકરનાં પુસ્તક 'મૅનેજિંગથી નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન'માંથી સંક્ષિપ્ત તારવણ
તમારો જવાબ બદલશે
૨૦મી સદીના મહાન ચિંતકોમાંના જેસેફ એ. શુમપીટર તેમણે બહુ પ્રચલિત કરેલ શબ્દપ્રયોગ, 'સર્જનાત્મક વિનાશ' માટે ખાસ જાણીતા ગણાય છે. તેમનું કહેવું હતું કે નવોત્થાન એ આર્થિક ગતિશીલતાની ચાવી છે. પ્રખ્યાત સામયિક 'ધ ઈકોનોમિસ્ટ"માં આ શબ્દપ્રયોગને સામયિકના એક સ્તંભનાં શીર્ષક તરીકે અપનાવાયેલ છે.
ડ્રકર વડે હવે  પછી  કહેવાયેલી વાતમાં શુમપીટરના જવાબ કેમ કરીને / શા માટે બદલતા ગયા તે સમજાવાયું છે..
નાતાલ ૧૯૪૯:
મેં ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં મૅનેજમૅન્ટ શિખવાડવાનું શરૂ કર્યું હતું. એ સમયે મારા ૭૩ વર્ષના પિતા અમને મળવા આવ્યા.
૩ જાન્યુઆરી, ૧૯૫૦ના હું તેમની સાથે તેમના એક બહુ જૂના મિત્ર, જોસેફ શુમપીટરને મળવા ગયા
મારા પિતા તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા, પણ ૬૬વર્ષની ઉમરે, વિશ્વ ખ્યાતિ મેળવી ચૂકેલા, શુમપીટર હજૂ હાર્વર્ડમાં ભણાવતા હતા અને અમેરિકન ઈકોનોમિક એસોશીએશનના પ્રમુખ તરીકે પણ સક્રિય હતા...
૧૯૦૨માં મારા પિતા ઓસ્ટ્રીયાનાં નાણાં મંત્રાલયમાં બહુ યુવાન કર્મચારી હતા અને તે સાથે યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર પણ શીખવતા હતા. એ કારણે એ સમયે ૧૯ વર્ષના શુમપીટર સાથે તેમને પરિચય થયો હતો. શુમપીટર એ સમયે બહુ પ્રતિભાવંત વિદ્યાર્થી હતા.
શુમપીટર અને મારા પિતા એ બે જેટલાં અલગ પડતાં વ્યક્તિત્વો દુનિયામાં શોધ્યાં કદાચ ન મળે  શુમપીટર જેટલા જગજગાટ,મગરૂર, આખાબોલા અને મિથ્યાભિમાની હતા એટલા જ મારા પિતા શાંત, નમ્ર, અને શરમાળ કહી શકાય એટલી હદે વિનયી હતા. તેમ છતાં, બન્ને ખુબ જ ગાઢ મિત્રો બન્યા હતા, અને છેક સુધી પ્રગાઢ મિત્રો બની રહ્યા.
૧૯૪૯ સુધીમાં તો શુમપીટર સાવ બદલી ચૂક્યા હતા. હાર્વર્ડનાં તેમનાં છેલ્લાં વર્ષોમાં તો તેઓ તેમની કારકીર્દીમાં ખ્યાતિનાં શીખર પર હતા. એ દિવસે બે વયોવૃધ્ધ મિત્રોએ પોતાના જૂના દિવસોને પેટ ભરીને યાદ કરતાં કરતાં ખૂબ નિરાંતે એકબીજાને મળ્યા
ઓચિંતું જ મારા પિતાએ થોડાં શરારતી હાસ્ય સાથે શુમપીટરને પૂછ્યું, 'જોસેફ, તને લોકો શેના માટે યાદ કરશે એ વિષે તું હજૂ પણ વાત કરે છે?' જવાબમાં શુમપીટર ખડખડાટ હસી પડ્યા
શુમપીટર જ્યારે ત્રીસેક વર્ષના હતા, અર્થશાસ્ત્રનાં બે મહાન પુસ્તકોમાંનું પહેલું પુસ્તક પ્રકાશિત કરી ચૂક્યા હતા ત્યારે એમ કહેવા માટે કુખ્યાત ગણાતા કે તે ઈચ્છે કે તેમને 'સુંદર સ્ત્રીઓના યુરોપના બહેતરીન ચાહક અને યુરોપના અતિકાબેલ ઘોડેસ્વાર- અને કદાચ વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે' તરીકે યાદ કરવામાં આવે.
શુમપીટરે જણાવ્યું, 'હા હોં, આ સવાલ આજે પણ મારા માટે મહત્ત્વનો છે, પણ હવે મારો જવાબ અલગ સ્વરૂપે હોય છે. હવે હું ઈચ્છું કે હું એવા શિક્ષક તરીકે ઓળખાઉં જેણે અડધો ડઝન તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ તરીકે પળોટ્યા.'
મારા પિતાના ચહેરાના ભાવ જોઈને શુમપીટરને કંઈક નવાઈ અનુભવાઈ હશે કેમકે તેમણે જવાબ આગળ ચલાવ્યો, 'એડોલ્ફ, તને ખબર છે, આ ઉમરે હવે મારાં પુસ્તકો અને સિધ્ધાંતોથી યાદ રહેવું એ બહુ અપૂરતું લાગે છે. લોકોનાં જીવનમાં જે વ્યક્તિ પરિવર્તન નથી લાવી શકતી, તેણે બહુ વધારે ફેરફાર સિધ્ધ કરી બતાવ્યો છે એમ કહેવું અજૂગતું કહેવાય.'
મારા પિતા શુમપીટરને ખાસ મળવા આવ્યા હતા તેનું એક ખાસ કારણ એ હતું કે શુમપીટર બહુ માંદા છે અને હવે કદાચ બહુ લાંબું ન પણ જીવે એમ કહેવાતું હતું. અમે એમને મળી આવ્યા તેના પાંચમા દિવસે શુમપીટર અવસાન પામ્યા હતા.….
એ સંવાદ હું ક્યારે પણ ભૂલી નથી શક્યો. મને તેમાંથી ત્રણ બાબતો શીખવા મળી છે:
પહેલું, પોતે શા માટે યાદ કરાતી રહેવી જોઈએ એ સવાલ વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે.
બીજું, પોતાની વધતી જતી પરિપક્વતા, અને બદલતી જતી દુનિયાની, સાથે તે બદલતું રહેવું જોઈએ.….
છેલ્લે, યાદ રહેવા માટે શ્રેષ્ઠ કારણ પોતે લોકોની જીંદગીમાં લાવેલ પરિવર્તન, જેણે લોકોનાં જીવનને નવો અર્થ આપ્યો હોય, એ જ હોવું જોઈએ .
સારાંશ અને તારણો
આ મહત્ત્વના સવાલ માટે ડ્રકરનો પોતાનો જવાબ શું હશે?
"જે થોડાંક લોકો જે કંઈ કરવા ધારતાં હતાં તેમને એ કરવા માટેસક્ષમ કર્યાં, હું એ માટે યાદ કરાતા રહેવાનું પસંદ કરીશ."
ડ્રકરનાં અદ્‍ભૂત કામ અને યોગદાનોએ બહુ બધાં લોકોને પોતે જે કરવા ધારે છે તે કરવા માટે સક્ષમ કર્યાં છે.
રાજ્ય, વ્યાપાર, કે સામાજિક સેવા સંસ્થાઓ જેવી અનેકવિધ પ્રકારની સંસ્થાના અગ્રણીઓએ પીટર ડ્રકરના સિધ્ધાંતો અને કાર્યપધ્ધતિઓને આત્મસાત કરીને સફળતાઓ મેળવી છે અને આવનારી પેઢીઓના અગ્રણીઓ પણ તે આત્મસાત કરીને અસરકારકપણે સફળ રહેતા રહેશે. તેમની શીખ માનવજાતને ટકી રહેવામાં, અને આપણે જે કંઈ સિધ્ધ કરી શકીએ છીએ તેનું સ્તર ઊંચે લઈ જવામાં, પાયાની ભૂમિકા ભજવતાં રહેલ  છે.
આમ, "મને શા માટે યાદ રાખવામાં આવે?" એ માટેનાં લક્ષ્યને ડ્રકરે તો બહુ અનોખી રીતે સિધ્ધ કરી બતાવ્યું. ડ્રકરની સફળતાઓનાં આવાં બહુ જાણીતાં રહસ્યો દ્વારા આવનારી પેઢીઓ પણ પૂર્ણ સફળતા સિધ્ધ કરવામાં આ રહસ્યોથી ફળદાયિત થતી રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમીએ.



  • મૅનેજમૅન્ટ મેટર્સ નેટવર્કનાં કોલમ 'ડ્રકર પર્સ્પેક્ટીવ' પર એલિઝાબેથ એડર્સહાઇમ. પી. એચડી.ના લેખ, "What Do You Want to be Remembered for?" નો અનુવાદ
  • અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ, ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮



અનુવાદકની નોંધ:  વિષયને વધારે સરળતાથી સમજવામાં મદદ મળે એ આશયથી, અહીં રજૂ કરેલ ઈમેજીસ નેટ પરથી સાભાર લીધેલ છે. તે બદલ કોઈ જ વાણિજ્યિક લાભ અપેક્ષિત નથી. એ દરેક ઈમેજીસના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો