બુધવાર, 24 એપ્રિલ, 2019

સંપ્રદાયોના ગુરૂઓનાં આનંદપ્રદ સત્યો - દેવદત્ત પટ્ટનાઈક


બાબા રામપાલ અને એમના જેવા જૂદા જૂદા સંપ્રદાયોના ગુરુઓની ક્યારે પણ કમી નહીં પડે. જ્યાં સુધી આ બાબાઓને તેમની દરેક વાત આંખો બંધ કરીને માની લેતા આનુયાયીઓ મળતા રહેશે ત્યાં સુધી આ ગુરુઓની પ્રજાતિ પણ નવા નવા ગુરુઓ પેદા કરતી રહેશે. આ ગુરુઓની એકેએક વાતની વિરૂધ્ધ ગમે તેટલા પુરાવાઓ રજૂ કરો તો પણ તેમના શિષ્યો તેમના વિરોધીઓ પર હિંસક હુમલા કરવા કે પોતાની જાત કુરબાન કરવામાં પાછું વળીને જોતા નથી. આ બાબા રામપાલે એક વાર જાહેર કરેલું કે કાલ નિરંજન અને અષ્ટાંગી આદી માયાના ત્રણ પુત્રો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માનવજાતને અવળે માર્ગે દોરવા ગમે તેટલી જાળ ફેલાવે પણ માનવ જાતને ઈશ્વર સુધી લઈ જનાર, કબીરદાસજીનો સાચો ઉત્તરાધિકારી, સત પુરુષ, તો એ પોતે જ છે. હજારો લોકો તેમની કહાનીઓમાં આસ્થા ધરાવે છે, તેમણે જે દુધથી દેહ સ્નાન કર્યાનું કહેવાય છે તેમાંથી બનેલી  ખીરને પ્રસાદ સમજીને આરોગે છે, તેમને માટે કરીને જાન લેવા કે આપવા તૈયાર છે.
સંપ્રદાયોના ગુરુઓ માત્ર ભારતમાં જ હોય છે એમ માની લેતાં પહેલાં એક નજર અમેરિકાના ટેલીધર્મપ્રચારકો પણ કરવી જોઈએ. એ વર્ગ પણ પોતાની અગડંબગડં કહાનીઓ કહેતા ફરે છે અને તેમના અનુયાયીઓ તેને સત્ય માનીને સ્વીકારતા રહે છે. ઈસુને સાદગીનું કે ગરીબીનું કે કેથોલિક ચર્ચ કહે છે તેમ સહન કરી લેવાનું મૂલ્ય હતું એ વાત આ લોકો નકારી કાઢે છે. સમૃધ્ધિના ઉપદેશકોનો દાવો છે કે ઈસુ તો બધાંને અમીર જોવા માગતા હતા, લોભ તો દૈવી છે અને જરૂરી છે, તેઓ તો જોર્શોરથી જાહેરાત કરતા ફરે છે કે તેમનાં ચર્ચને સખાવતનાં નાણાં આપવાથી ઈશ્વરની સંપત્તિમાંથી ફ્ટાફટ ભાગ મળી જશે.
બધા સંપ્રદાયોના ગુરુઓ ધાર્મિક હોય તેમ પણ જરૂરી નથી. વેન્ડી ડોનીગરની સામે વિરોધનો ઝંડો ફરફરાવતા રાજીવ મલ્હોત્રાના સંપ્રદાય જેવા  કેટલાક સંપ્રદાયો અર્ધા-વિદ્યા અર્ધા-રાજકીય સંપ્રદાયો હોય છે,. વેન્ડી ડોનીગરનો પાછો આગવો અનુયાયી વર્ગ છે જે માને છે કે તેણે લખેલ દરેક શબ્દ સત્ય છે અને સત્ય સિવાય બીજું કશું નથી. આ સફળતાથી પોરસાઈ આ એનઆરઆઈ શ્રીમાન પોતાની જાતને 'બુધ્ધિમાન  ક્ષત્રિય' માને છે, તેમના મતાનુસાર 'દેશના ટુકડા ટુકડા' કરવા બેઠા છે તેવા ભૂત અને વર્તમાન,પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોથી 'દેશને બચાવશે', તે પોતાની જાતને 'નવી કેડી ચાતરતાં' હિંદુ જ્ઞાનનો સ્રોત ગણાવે છે, સમારંભો અને સાહિત્યિક મેળાવડાઓમાં આમંત્રણ ઝંખે છે, જ્યાં તે ચર્ચાઓ કરીને એ વિચારધારાના ભુક્કા બોલાવી દેવા તલપાપડ બની બેઠા છે. તેમના પર જો ધ્યાન ન આપવામાં આવે તો તથાકથિત પડ્કાર ફેંકનારોની તે 'સામ્રાજ્યવાદી સિપાહી' કહીને મજાક ઉડાવે છે, કલ્પિત હરીફોને તે 'મામૂલી' અને 'નકલખોર'માં ખપાવી દે છે. એના ચાહકો હોંશે હોષે હા ભરે છે. એ લોકો માટે તો એ હિંદુ ધર્મનો પયગંબર છે, બચાવનાર  છે અને શહીદ છે. આ પ્રકારનાં વિશેષાણો એ અનુયાયીઓને પાછાં દેખાતાં નથી. કદાચ સૌથી વધારે રોચક તો 'રેશનાલિસ્ટ' ગુરુઓ અને તેમના 'રેશનાલિસ્ટ ઝઘડા' હશે. આ ઝઘડાઓમાં સૌથી વધારે પ્રસિદ્ધિ મળી છે એકાદ દસકા જૂના રિચાર્ડ ડૉકિન્સ અને દીપક ચોપરા વચ્ચેનાં વાક્‍યુધ્ધોને. ડૉકિન્સ ઉત્ક્રાંતિવાદી જીવશાસ્ત્રી છે જે તેણે રચેલ 'મીમ' શબ્દ માટે વધારે પ્રખ્યાત છે. તેને લડાઈખોર નાસ્તીક વધારે કહેવામાં આવે છે. દીપક ચોપરા મન-શરીરના ગુરુ છે, જે હોલીવુડના સ્ટાર્સમાં વધારે લોકપ્રિય છે. તે 'ચેતના'  અને 'નિયતપ્રમાણમાં સારવાર' (quantum healing) જેવી પરિભાષામાં  'જેમ છે તેમ ઠીક છે'વાળી  વૈજ્ઞાનિક પરિસ્થિતિ વિષે સવાલ ઉઠાવે છે. ડૉકિન્સ અને દીપક ચોપરા એકબીજાને ઢોંગી, કટ્ટરપંથી અને ધર્માંધ કહેતા રહે છે. પોતે જ સાચા છે અને સામેવાળૉ ખોટો છે તે સાબિત કરવાની હોડમાં બન્ને એકસરખા પ્રમાણમાં માન અને ચીડ પેદા કરી શકે છે.
સંપ્રદાયોના ગુરુઓ જૂઠું નથી બોલતા; એ લોકો તો સરાસર પ્રબળ  અને તલસ્પર્શી સત્ય કહેતા આવ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે થોડા સમય બાદ એ લોકો જે કહે છે તે રહેવાને બદલે તે તેમના વિષે બનવા લાગે છે ! એ લોકો હવે આકર્ષણ બનવા લાગે છે અને આપણામાંનાં પશુને જગૃત કરવા લાગે છે. ટોળામાં રહેવાની આપણી ઈ્ચ્છાને, આપણા બલશ્રેષ્ઠ નેતાને અનુસરવા અને આપ્ણા પ્રતિસ્પ્ર્ધીઓથી આપણી સંપત્તિને રક્ષવાની ઈચ્છાને તેઓ આગ દે છે. કોઈ ચોક્કસ અર્થ કે ઉદ્દેશ્ય ઝંખતી આપણી માનવીય બાજૂને પણ તેઓ જગાડે છે, જેમાંથી બીજાના અસ્વીકાર, અને અન્ય મહાન્હસ્તીઓ સાથે પોતાની જાતને સરખાવીને પોતાનામાં જ મસ્ત રહેવું અને બીજાથી વધારે સારા અનુભવાવવું પણ સળવળવા લાગે છે.
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Delightful truths of cult leaders નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો