બુધવાર, 29 જાન્યુઆરી, 2020

પૌરાણીક કથાઓનો ક્રમિક વિકાસ - દેવદત્ત પટ્ટનાઈક

અમેરિકામાં ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે - એ ભગવાનનું કરેલું હતું કે અચાનક જ બની ગયેલી કોઈ ઘટના? સર્જનના સિદ્ધાંત મુજબ ઈશ્વરે આ દુનિયાને તેની અનેકવિધ વિવિધતાઓ સાથે સર્જ્યું છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ અચાનક જ બની ગયેલી એક ઘટનામાં કેટલાંક રસાયણોનું જનિનમાં રૂપાંતર થઈ ગયું જે પછીથી ગુણરિવર્તનશીલ સજીવ જીવમાં રૂપાંતર થયું. લાખો વર્ષો બાદ પ્રાકૃતિક પસંદગીના ક્રમાનુસાર તે અમીબાથી માનવી જેવાં સજીવોમાં સર્જન પામતું રહ્યું.

વિવાદ એકાદ સદી પહેલાં શરૂ થયો, જ્યારે ચાર્લ્સ ડાર્વિને પોતાનું પુસ્તક 'ધ ઓરિજિન ઑફ સ્પીસીઝ' પ્રકાશિત કર્યું. પુસ્તકમાં તેમણે દાવો કર્યો હતો કે માનવી વાંદરામાંથી ઉતરી આવ્યો છે ! આખો વિચાર નરી મૂર્ખતા જ લાગતો હતો. તેને નાસ્તિક કહીને ચારે તરફથી હડધૂત કરવામાં આવ્યો.

એવો પણ એક વર્ગ છે જે બાઈબલનો શબ્દે શબ્દ સાચો માનવાના મતનો નથી. જેનેસિસમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં નિરવયવ પદાર્થોની રચના થઈ, પછી પક્ષીઓ અને માછલીઓ આવ્યાં, અને તે પછી જ માનવી આવ્યો. આ એક પ્રકારે ઉત્ક્રાંતિની જ સ્વીકૃતિ ગણી શકાય. ફરક છે માત્ર સમયનાં સાપેક્ષ પરિમાણનો. તેમાં જે દિવસની માત્રા દર્શાવી છે તે માનવ ઈતિહાસમાં લાખો વર્ષ હોઈ શકે છે. આ પ્રતિકાત્મક વિચારધારાનું માન્વું છે કે નોઆની નાવ (Noah’s Ark)ની કથા દ્વારા સમજાય છે કે ડીનોસોર જેવી આખીને આખી પ્રજાતિનો કુદરતી હોનારત કેમ વિનાશ કરી શકે છે. તેઓનું કહેવું છે કે મૂળ પાપ (The Original Sin) ઐતિહાસિક ઘટના નથી પણ તાત્વિક મિમાંસાની અનુભૂતિ છે: જ્યારે માણસ તર્કને બદલે જોશને વશ થાય છે ત્યારે પોતાનાં સુખની શોધમાં તે વિસંવાદીતા પેદા કરી રહે છે.

'પ્રજાતિની ઉત્કાંતિ’ (The Origin of Species) નાં મૂળ'ના વિવાદના પાયામાં માન્યતા (આસ્થા) અને તર્ક વચ્ચે પ્રાચીન સમયથી રહેલ અંતર છે. ૩૦૦ વર્ષ પહેલાં યુરોપમાં વૈજ્ઞાનિક ક્રાન્તિનાં પગરણ થયાં ત્યારથી યુધ્ધનાં નગારાં વાગી ચૂક્યાં છે. ધર્મએ વૈજ્ઞાનિકોને નાસ્તિક કહીને વખોડ્યા તો વૈજ્ઞાનિકોએ ધાર્મિક અગ્રણીઓને અંધશ્રધ્ધાળુઓ, સત્તા ભૂખ્યા, ઘાતકી, ભગતડાઓ કહીને ભાંડ્યા. આ તિરાડ સામ્રાજ્યવાદની સાથે સાથે, યુરોપથી હિંદુસ્તાન સહિત, સમગ્ર વિશ્વમાં પ્રસરી,

વૈજ્ઞાનિક વિચારસરણીના શરૂ શરૂના વિદ્યાર્થીઓ મૉટા ભાગના ભારતના ઉચ્ચ વર્ણના, સમૃધ્ધ લોકો હતા. આ વર્ગને અંગ્રેજી સમાજમાં 'જેન્ટલમેન' તરીકે કે બંગાળી સમાજમાં 'ભદ્રલોક' તરીકે ઓળખવામાં આવે છે. પાશ્ચાત્ય વિચારસરણી સાથેના સહવાસને કારણે હવે તેઓ ભારતીય આચારપધ્ધતિઓ અને માન્યતાઓ સાથે અસુખ અનુભવવા લાગ્યા. તેને કારણે ૧૯મી સદીની ભારતીય સામાજિક વિચારસરણીમાં મહા પુનરૂજ્જીવનનો તણખો પડ્યો. સામાજિક સુધારકોએ ભારતીય સંસ્કૃતિને વૈજ્ઞાનિક વિચારસરણીના હિસાબે ઢાળવાનું શરૂ કર્યું. એમ પણ કદાચ કહી શકાય કે તે હવે નવા સામ્રાજ્યવાદી શાસકોને સ્વીકાર્ય બનવા તરફનો ઝુકાવ હતો. આ એ સમય છે જ્યારે ડાબેરી વિચારસરણીનો જન્મ થયો, જેણે ધાર્મિક માન્યતાનો છેદ જ ઉડાડીને સંપૂર્ણપણે તર્ક આધારીત આદર્શ સમાજ વ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કર્યો. તેના પ્રતિરોધમાં જમણેરી વિચારધારાએ જન્મ લીધો, જે ડાબેરીઓ દ્વારા સૂચવાતી દરેક બાબતોના વિરોધમાં વહેવા લાગી. યુધ્ધ રેખાઓ ખેંચાઈ ગઈ હતી : વૈજ્ઞાનિક વિચારસરણીને જમણેરીઓ 'વિદેશી' અને 'પાશ્ચાત્ય' કહીને ભાંડવા લાગ્યા, તો ડાબેરીઓ 'આધુનિક' કહેવામાં ગર્વ લેતા હતા.

દશાવતારની કથાઓએ ભારતમાં ઘણાં લોકોને સ્વદેશાભિમાનનો પારો ચડાવ્યો. પહેલાં દરિયાવાસી માછલી, પછી દ્વિચર કાચબો, તે પછી ભૂચર સુવર, પછી પશુ માનવીનું સાયુજ્ય, પ્રાચીન માનવ, નરસિંહ અને છેક છેલ્લે માનવી અવતારમાં વિષ્ણુનાં પૃથ્વી પર અવતાર્ર થયા. તેના પરથી આ લોકોએ એવું તારણ કાઢ્યું કે ભારતીયો તો ડાર્વિનના બહુ પહેલાંથી જ જીવનની ક્રમિક ઉત્ક્રાંતિથી પરિચિત હતાં. આવી રીતે રાષ્ટ્રવાદ વધારેને વધારે ગર્વ અનુભવવા લાગ્યો. પરંતુ, એમાં જે વાત ધ્યાન બહાર જ રહી ગઈ તે હતી વિષ્ણુના માનવ અવતારો: પહેલાં હતા વામન, એક ધર્મોપદેશક; તે પછી હતા પરશુરામ, ઋષિ-યોધ્ધા; એના પછી રામ, રાજકુમાર; પછી કૃષ્ણ, રાજવી ગોવાળીયો અને સારથિ; તેના પછી બુધ્ધ, એક સંન્યાસી; પછી છેલ્લે કલ્કિ, એક આક્રમણકાર અને વિનાશક. અહીં જે વર્ણ વ્યવસ્થા અભિપ્રેત છે તે તો બધાંએ નજરઅંદાજ જ કરેલ છે, કેમકે, ડાબેરી હોય કે જમણેરી, કોઈ પણ પક્ષના ભારતીય સમાજ માટે એ વાત અકળાવનારી છે.

બાઈબલની જેમ, હિંદુઓનો કોઈ એક નિશ્ચિત ગ્રંથ નથી. તેમના તો કંઈ કેટલાય ધર્મ ગ્રંથો છે અને તેટલી જ પાછી સર્જનની કથાઓ છે. ઉપનિષદો અનુસાર, પ્રજાપતિ (આત્મા) અનેક રૂપધારિણી શતરૂપા (દ્રવ્ય)નો પીછો કરતા હતા. શતરૂપાએ અલગ અલગ માદા પશુઓનું રૂપ લીધું, તો પ્રજાપતિ નર પશુઓ બની ગયા, જેમાંથી પેદા થઈ જૈવિક્વૈવિધતા. પુરાણો અનુસાર, દેવો અને પ્રાણીઓ સહિતના બધા જ જીવો કશ્યપની અનેક પત્નીઓથી થયેલાં સંતાનો છે. તિમિનાં સંતાન માછલીઓ, સુરભિનાં સંતાનો પાલતુ પ્રાણીઓ,. જંગલી જાનવરો સુરસાનાં સંતાનો, વિનતાનાં સંતાનો પક્ષીઓ, કદ્રુનાં સંતાનો સર્પ,અદિતિના સંતાનો દેવો અને દાનુનાં સંતાનો દાનવો બન્યાં.

હિંદુઓનો સૌથી પ્રાચિન ગ્રંથ, ૠગવેદ, પ્રજાતિઓનાં સર્જનનું મૂળ સાવ જ મૌલિક સ્વરૂપે પ્રતિપાદીત કરે છે. તે સવાલ કરે છે કે ઉત્ક્રાંતિ શા માટે થઈ . એક સંકેત તો જોવા મળે છે પ્રાણીઓ અને માનવીમાંના મૂળતઃ તફાવતમાં. વિકસિત મગજને કારણે માનવી પોતાનાં અસ્તિત્ત્વની પારની કલ્પના કરી શકે છે. તે પશુ -પ્રકૃતિની ઉપર ઊઠી શકે છે. માનવીને અસ્તિત્ત્વ ટકાવી રાખવું, પ્રભાવ બનાવી રાખવો કે પોતાના પ્રદેશ પરનાં આધિપત્ય સિવાય પણ કંઈક વિશેષ જોઈએ છે. તેને તાત્પર્યની ખોજ રહે છે. માનવ અસ્તિત્વની પુષ્ટિ એ જ પુરુષ-અર્થ (પ્રુરુષાર્થ)નો સાર છે.

ઋગ વેદ એમ તારણ કાઢે છે કે ઉત્ક્રાંતિ પશુ પ્રકૃતિથી પુરુષ-અર્થ તરફ વિકસતી માનસીક અવસ્થા છે. બાઈબલની પરિભાષામાં કહીએ તો તે પતન પછી એડન પરત ફરવાની સ્થિતિ છે. વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો તે ત્યારે જ શક્ય બને છે જ્યારે માણસ પોતાની માટે વિચારવાનું બંધ કરીને બીજાંને માટે વિચારવાનું શરૂ કરે. જે દેખીતી રીતે મુશ્કેલ તો છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો એટલું અશક્ય પણ નથી.

ધ સ્પિકીંગ ટ્રીમાં ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Mythical Evolutionનો અનુવાદ : વિશ્વ પુરાણવિદ્યાભ્યાસ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૯ જાન્યુઆરી, ૨૦૨૦


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો