બુધવાર, 18 નવેમ્બર, 2020

સ્પૅનિશ વટાણા વેરાણા ચોતરફ (૧૯૩૭) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 

પહેલાં અને બીજાં વિશ્વયુધ્ધ વચ્ચે સ્પેન આંતરવિગ્રહ (૧૯૩૬-૧૯૩૯) તકનીકી દૃષ્ટિએ તો સ્પેનની અંદર ઊકળી રહેલાં વિવિધ અસંતોષમાંથી ભડકી ઉઠેલ બળવાની અને તેમાંથી ફાટી નીકળેલ અંતરવિગ્રહ સાથે સંબંધ ધરાવે છે. એટલા પુરતું તેને વિશ્વનાં આંતરરાષ્ટ્રીય  યુદ્ધો જેટલું વ્યાપક મહત્ત્વ નથી મળ્યું.

જ્યોર્જ ઓર્વેલ ડીસેમ્બર ૧૯૩૬માં સ્પેન ગયા હતા તો અખબારો માટેના લેખોની સામગ્રી એકઠી કરવાના આશયથી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમણે જોયું કે અહીં તો કામદાર વર્ગનૂં શાસન પર પ્રભુત્વ છે અને ચરૂ તો ઉકળી રહ્યો છે. ત્યાં તેઓ કેમ આ ચળવળમાં જોડાયા અને તેમણે કેવા કેવા આનુભવો કર્યા એ પણ એક અલગ જ અભ્યાસનો વિષય છે.[1]

આપણું ધ્યાન માત્ર પ્રસ્તુત લેખ પર જ કેન્દ્રિત કરતાં અહીં એટલું જ નોંધીશું કે આ લેખને ન્યુ સ્ટેટમેને 'બખેડા પેદા કરે તેવો' ગણીને પ્રકાશિત નહોતો કર્યો. તે પછી ન્યુ ઈંગ્લીશ વીકલીમાં તે  ૧૯ જુલાઈ અને ૨ સપ્ટેમ્બર, ૧૯૩૭નો રોજ, બે ભાગમાં, પ્રકાશિત થયો હતો.

+    +    +    +    +


૧૯૧૪-૧૮નાં મહા યુધ્ધ પછી સ્પેનિશ લડાઇએ જેટલાં હળાહળ જુઠાણાં પેદા કર્યાં છે તેટલાં બીજી કોઈ ઘટનાએ કદાચ નહીં કર્યાં હોય. જોકે, મારો પ્રમાણિક સંશય છે કે, ડેઈલી મિરરના ખબરપત્રીઓની આંખ સામે સાધ્વીઓ પર  દુષ્કર્મ ગુજારાવા અને પછી તેમને વધસ્તંભ પર લટકાવી દેવા જેવી જાહેર બલિદાનની ઘટનાઓનાં છતાં પણ ફાસીવાદી તરફી અખબારોએ આ બાબતે સૌથી વધારે નુકસાન કર્યું છે. ધ ન્યુઝ ક્રોનિક્લ અને ધ ડેઈલી વર્કર જેવાં વામપંથી અખબારોની ગેરમાહિતી ફેલાવવાની સલુકાઈભરી ચતુરાઈને કારણે આ આખા સંધર્ષનું સાચુ સ્વરૂપ સમજવાથી બ્રિટિશ પ્રજાને વંચિત રખાઈ છે.

આ અખબારોએ જે સાવચેતીથી હકીકતને દૂર્બોધ કરવા અસ્પષ્ટતાનું ધુમ્મસ રચ્યું છે તે એ છે કે(અર્ધ-સ્વાયત કેટલન સરકાર સહિતની) સ્પેનની સરકાર જેટલી ફાસીવાદીઓથી ડરે છે એટલી ક્રાંતિકારીઓથી નથી ડરતી. એ પણ હવે તો નિશ્ચિત જ છે કે આ લડાઈ કોઈને કોઈ પ્રકારનાં સમાધાન દ્વારા સમાપ્ત થશે, વળી, એમ માનવાનો સંશય કરવા માટે પણ પુરતાં કારણો છે કે જે સરકારે આગંળી પણ ઉંચી કર્યા વિના બિલ્બાઓ જીતાવા દીધું તે બહુ વધારે પડતી વિજયી નથી થવા માગતી; પણ જે ચોકસાઈથી ક્રાંતિકારીઓને કચડી દેવાઈ રહ્યા છે એ બાબતે કોઈ જ સંદેહ નથી. છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષો પર બળજબરીભર્યું દમન, અખબારો પર ગુંગળાવી નાખતી સેન્સરશિપ, અંતહિન જાસુસી અને મુકદ્દમા ચલાવ્યા વગર જ મોટા પાયે કેદ જેવી પ્રવૃત્તિઓ વડે આતંકનું સામ્રાજ્ય ફેલાતું હતું. જૂનના અંતમાંમેં જ્યારે બાર્સેલોના છોડ્યું ત્યારે પણ જેલો ઉભરાતી હતી; મૂળ જેલો તો ક્યારની ભરાઇ ચુકી હતી, અને કેદીઓને હવે ખાલી દુકાનો અને એવાં, જે હાથમાં આવ્યાં તે, કામચલાઉ સ્થાનોમાં ઠૂંસી દેવાઈ રહ્યા હતા. મૂળ નોંધવાનો મુદ્દો એ છે કે હવે જે લોકો જેલમાં મોકલાઈ રહ્યાં છે તે ફાસીવાદીઓ નહીં પણ ક્રાંતિવાદીઓ છે; એ લોકો ત્યાં તેમનાં મંતવ્યો બહુ જ સાચાં છે તે માટે નહીં પણ તે વધારે પડતા ડાબેરી છે માટે છે.  આ લોકોને જેલોમાં ધકેલવા માટે જવાબદાર પણ એ ત્રાસદાયક ક્રાંતિવાદીઓ - સામ્યવાદીઓ - જ છે જેમનાં નામ માત્રથી ગાર્વિનનું રુંવે રૂવું કાંપી ઊઠે છે.

આ બધાં દરમ્યાન ફ્રાંકો સામેની લડાઈ ચાલુ તો છે જે પરંતુ પહેલી હરોળની ખાઈઓમાં ભરાઇ બેઠેલા બિચારાઓ સિવાય સ્પેનની સરકારમાં તેને સાચી લડાઈ કોઈ ગણતું નથી.  ખરો સંઘર્ષ ક્રાંતિવાદીઓ અને પ્રતિક્રાંતિવાદીઓ વચ્ચે છે; સંઘર્ષ હવે ૧૯૩૬માં જે કંઈ જીત્યા તેને પકડી રાખવા મથતા મજુર વર્ગ અને તેમની પાસેથી તે બધું સફળતાથી ઝુંટવી રહેલા ઉદારમતવાદી-સામ્યવાદીઓ વચ્ચે રહ્યો છે. એ બહુ કમનસીબ બાબત છે કે બ્રિટનમાં બહુ થોડાં લોકોને હજૂ પણ સમજાયું છે કે પ્રતિક્રાતિવાદી બળ હવે સામ્યવાદીઓ છે;  સામ્યવાદીઓ બધે જ હવે રૂઢીપરસ્ત સુધારવાદ સાથે ગઠબંધનમાં છે અને તેમની બધી જ શક્તિશાળી તંત્રવ્યવસ્થા વડે ક્રાંતિકારી વલણ ધરવાતાં કોઈ પણ જૂથને કચડી નાખી રહ્યાં છે કે બદનામ કરી રહ્યા છે. એટલે હવે એવું કઢગું દૃશ્ય સર્જાયું છે કે જમણેરી બુદ્ધિવાદીઓ જેમને 'રેડસ' કહીને ધુત્કારતા તેમની સાથે હવે એ લોકો અનિવાર્ય સમજૂતિના પક્ષમાં બેઠા છે. જેમકે, શ્રી વિન્ધમ લ્યુઈસને, ભલે હંગામીપણે પણ, હવે સામ્યવાદીઓ ગમવા લાગે. સ્પેનમાં, સામ્યવાદી-ઉદારવાદી જોડાણ અત્યારે લગભગ પૂર્ણતઃ વિજયી છે.સ્પેનિસશ મજુરો [પાસે પોતાના માટે ૧૯૩૬માં જે કંઈ જીત્યા હતા તેમાંથી અમુક સામુહિક ખેતરોના ટુકડા અને ગયે વર્ષે ખેડૂતોએ જીતેલા જમીનના ટુકડા સિવાય ખાસ કંઈ રહ્યું નથી; અને તેમાં વળી જ્યારે તેમના ગુસ્સાને શાંત કરીને મનાવવાની જરૂર ન રહે ત્યારે ખેડૂતોનો આગળ જતાં ભોગ પણ લેવાઈ જાય. અત્યારની પરિસ્થિતિ કેમ ઉદ્‍ભવી છે તે સમજવા માટે, આંતરવિગ્રહની શરૂઆત અને મૂળ તરફ એક દૃષ્ટિપાત કરવો જોઈશે.

+    +    +    +    +

હવે જ્યોર્જ ઑર્વેલ સ્પેનિશ આંતરવિગ્રહનાં મૂળ કારણો વિશે વાત ઉપાડવાના છે ત્યારે આપણે પણ હવે પછીના તારીખ ૧૬-૧૨-૨૦૨૦ના અંક સુધી ટુંકો વિરામ લઈએ.

                                    +    +    +    +    +

  • જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Spilling the Spanish Beans નો આંશિક અનુવાદ 

૧૮-૧૧-૨૦૨૦ 

[1] Orwell and the Spanish Revolution - John Newsinger - From International Socialism 2 : 62, Spring 1994.  Copyright © International Socialism. Copied with thanks from the International Socialism Archive.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો