બુધવાર, 23 ડિસેમ્બર, 2020

પ્રભાવકારી સામર્થ્યની શોધ - દેવદત્ત પટ્ટનાઈક

સામર્થ્યના પ્રભાવની સીધી જ કસોટી છે કે તેનાથી કંઈ પણ કરાવી શકાવાય છે કે નહીં. વ્યાપાર જગતમાં તો કેમ ખરીદી લેવું, કેમ તેને કામમાં લગાડવું, કેમ તેની વંહેંચણી શકય બનાવડાવવી, કેમ તેને પાછું પણ ખેંચાવી લેવડાવું જેવાં અનેક કામોમાં ડગલે ને પગલે એ પ્રકારનું સામર્થ્ય જોઈએ. અને આવું પાછું કોઈ મૅનેજમૅન્ટ કૉલેજમાં ક્યાંય શીખવા પણ ન મળે, અને તેમ છતાં અસરકારક નેતૃત્વનો તો તે પાયાનો પથ્થર છે.

પ્રાણી અને પશુ જગતમાં તો માત્ર શારીરિક સામર્થ્ય જ જોવા મળે છે, જેને આપણે માનવીઓ પાશવિક બળ (કે પછી પ્રેરણા) કહીએ છીએ, જેના થકી પ્રાણી કે વનસ્પતિ પોતાનું કામ કાઢી લે છે.  તેમનાં કામ કે તે માટેનું સામર્થ્ય પણ તેમના માટે સાહજિક હોય છે. તેને માટે કોઈ વિચારીને કરેલી ઈચ્છાપૂર્તિનો આશય નથી હોતો. કોઈ પ્રાણી ચાહી કરીને આધિપત્ય જમાવવા નથી માગતું. જ્યારે જરૂર પડે ત્યારે તે ક્યાં તો આધિપત્ય જમાવે કે ક્યાં તો પોતાની જાત બચાવે. તેમની જીતમાં કોઈ ગર્વ નથી હોતો કે હારમાં નથી હોતી કોઈ નાલેશી. જે કંઈ થાય એ તો કુદરતના ક્રમ અનુસાર જ થાય છે. પરંતુ માનવ જગતમાં આ મુજબ નથી થતું. અને ખાસ કરીને, વ્યાપાર જગતમાં તો નહી જ !

માનવીને દરેક વાતમાં પોતાનો રૂક્કો જોઈએ - પછી તે ખોરાકની સાંકળ હોય કે કોઈ પદ કે માનની પદક્રમની ચડતી ઉતરતી ક્રમવ્યવસ્થા હોય, તેની પતરાળી સૌથી પહેલાં જ પડવી જોઈએ. જે પ્રદેશોમાં સિંહ કોઈ કાળે પણ નહોતા તે પ્રદેશના રાજાને પણ પોતાનાં રાજચિહ્નમાં સત્તાનાં પ્રતિકરૂપ સિંહ તો જોઈએ જ. એ દૃષ્ટિએ તો 'મેક ઈન ઈન્ડીયા' (ભારતમાં બનાવો) પણ આવી ઉચ્ચ પ્રકારની શિકારી વર્ચસ્વની ભાવનાનો કંઈક પણે અંશ તો જણાય. તેમાં માર્મિકપણે સામર્થ્યમાંથી નિપજતી સત્તાના પ્રભાવ વડે, એક સુશાસન વ્યવસ્થાની સાથે સાથે આધિપત્ય વર્તુળ વિકસાવવાની ઊંડી ઊંડી આકાંક્ષાની પણ અસર તો કળી શકાય.

ઘણા અગ્રણીઓ માટે સત્તા તેમની આસપાસનાં લોકોને પોતાના અંકુશ હેઠળ રાખવાનું સાધન છે. એમને એવી અપેક્ષા રહે છે કે લોકો તેમનાથી ડરે, તેઓ કહે તેમ કરે અને તેમને વશ થઈને રહે. આપણા મગજમાં સત્તાનું આવું એક પ્રચલિત સ્વરૂપ જડાઈ ગયું હોય છે, જેમાં વિષ્ણુના વારાહ અવતારમાં ભૂદેવીનું અપહરણ કરીને સમુદ્રમાં ખેંચી જતા હિરણ્યાક્ષને  જેમ પોતાનાં પાશવી બળથી વારાહે રહેંસી નાખ્યો હતો. આપણા મગજમાં   લોહીથી લથપથ, હાથમાં તલવાર ખેંચીને ઉભેલા  વિજેતા યોધ્ધાઓનાં વાર્તાઓમાં જોયેલાં ચિત્રો જ નજર સામે આવે છે. આપણને એવો જ નેતા જોઈએ જે આવું સામર્થ્ય ધરાવતો હોય. સેલ્સમેન મટેની વેચાણ પરિષદોમાં એ લોકોને આવી આક્રમક અદાથી વેચાણ કરવા જવાનું સમજાવાતું હોય છે. મોટા ભાગનાં લોકો માટે નેતા એવો સિંહ જે મોટો શિકાર કરીને પોતાની સિંહણોને તેની મિજબાનીનું આમંત્રણ આપતો હુંકાર કરતો હોય. અગ્રણી તો 'માલિક' છે, જે એક એવો સામંતશાહી સર્વાધીશ છે, જેનાથી લોકો ડરે અને તેનો પડ્યો બોલ ઉઠાવે. ઘણા મુખ્ય સંચાલકોને ત્યારે નિરાશા થાય છે જ્યારે તેઓ મુખ્ય સંચાલક બને ત્યારે તેમના જૂના સાથીઓએ તેમની સાથે ધાર્યા મુજબ અદબથી નથી વર્તે. ઘણા સ્થાપકોને પણ વ્યાવસાયિક સંચાલકો એટલા જ માટે પસંદ નથી હોતા કે એ લોકો વિના સવાલ કર્યે તેમનો પડ્યો બોલ ઝીલવાને બદલે દરેક વાતમાં પોતાનો સ્વતંત્ર મત રજૂ કરતા હોય છે. 

સામર્થ્યના પ્રભાવ અનેક પ્રકારના હોઈ શકે છે. એક પ્રકાર છે જે પોતાની કામગીરીને કારણે પ્રસ્થાપિત થાય છે, જેમકે પરશુરામને પરાણે અપાતો આદર સત્કાર. પરશુરામ એક ક્ષત્રિયની ભુલના કારણે હવે જે ક્ષત્રિય સામે મળતો તેમનો પોતાના પરશુથી વધ કરી દેતા હતા. સામર્થ્યના પ્રભાવનો બીજો  પ્રકાર છે જે પદવી કે સ્થાનને કારણે મળે છે.  જેમકે રામ, જે રાજાના પાટવી કુંવર હોવાને કારણે રાજ્યગાદીના વારસ બને છે. ત્રીજો પ્રકાર છે જે ક્રમિક વિકાસથી વિકસતા સંબંધોને કારણે પ્રસ્થાપિત થાય છે. આવો પ્રભાવ કૃષ્ણ માટે જોવા મળે છે  જેમણે પોતાના કુટુંબ કે મિત્રોનો ધીમે ધીમે કરીને વિશ્વાસ અને પ્રેમ જીત્યાં.

પરશુરામ એકલવીર હતા : જ્યાં સુધી એમનો અંકુશ શોય ત્યાં સુધી તે સરસ રીતે કામ પાર પાડી શકતા. પ્રભાવ પાડવાનું તેમનું માધ્યમ તેમની અપાર શારીરિક તાકાત હતી. રામને તો વંશપરંપરાગત સ્થાન મળ્યું હતું: એ સમયની પરિસ્થિતિના પરિવેશમાં તેમને તેમનાં સ્થાનની ખબર જ હતી, તેમજ અન્યોને પણ તેમનાં સ્થાન વિશે ખબર હતી. એટલે તેમણે સામર્થ્ય માટે કે પ્રભાવ ઊભો કરવા માટે કંઈ લડાઈઓ લડવાની જરૂર ન હતી. તેઓ તો તેમનાં સ્થાનને અનુરૂપ માન મેળવશે જ તેની  તેમને ખાત્રી હતી. કૃષ્ણને કોઈ રાજવંશનો પરંપરાગત કે વારસાગત ટેકો ન હતો,ન તો તે જ્યેષ્ઠ પુત્ર હતા. તેમણે તો એક બાળપણમાં ગોપાલક અને પછીથી સારથિ તરીકે કામ કરવાનું હતું. તેમ છતાં તેમનો તેમની આસપાસનાં લોકો પર પુર્ણ પ્રભાવ રહેતો. તે પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવતા અને જેમની પાસે તેમણે કામ કરાવવું છે તેને આગળ રાખતા અને તેમની શક્તિઓનો પુરેપુરો પરિચય કરાવીને તેમની જવાબદારીઓનો અહેસાસ કરાવતા. ઘણી વાર તેમને પરદા પાછળથી કઠપુતળીઓનો સંચાર કરાવનાર તરીકે પણ ચિતરવામાં આવ્યા છે, પણ તેમને તો સ્પષ્ટ જ હતું કે કુરુક્ષેત્રનું આ યુધ્ધ પાંડવોનું જ છે, તેમનું નહી. એ યુધ્ધનાં પરિણામોની જવાબદારી અને ઉત્તરદાયિત્વ પાંડવોનું જ છે. હા, એ માટે કૃષ્ણએ તેમને સક્ષમ જરૂર કર્યા.

પરશુરામ સુચનો કરે છે. રામ સંસ્થાકીય નિયમોને અનુસરે છે અને બીજાં પણ તેમ જ કરે તેમ આશા રાખે છે. કૃષ્ણ બીજાંઓને તેમની જવાબદારી વહન કરવા સક્ષમ બનાવે છે: તેઓ કાર્યકર્તા (અનુયાયી)ને કર્તા (અગ્રણી) બનાવે છે. કોર્પોરેટ જગતમાં આપણે પણ જેમ જેમ કોર્પોરેટ સીડીમાં ઉપર ચડતાં જઈએ તેમ તેમ આપણે એકલવીર પરશુરામમાંથી  ટીમના મુખીયા રામ અને તે પછી બીજાંને સક્ષમ બનાવનાર કૃષ્ણમાં રૂપાંતરીત થતાં જવું જોઈએ.

આ ત્રણે પૌરાણિક પાત્રોમાં રાજા તો માત્ર રામ જ બન્યા. 'ચાકર-અગ્રણી'ની વાત કરવી બહુ સુંદર લાગે છે, પરંતુ ભાગ્યે જ કોઈ મુખ્ય સંચાલક ખરેખર સત્તાના વાંઘા ઉતારી નાખી શકે છે કે ન તો સત્તા છોડી શકે છે. જવાબદારી કે સત્તા પણ એવી રીતે જ સોંપી હોય કે તેનો કંઇને કંઇ અંકુશ બની રહે, અને જો કદાચ અમુક પ્રકારે અંકુશ છોડ્યો હોય તો તે સાવ નગણ્ય હોય એવી જ  બાબતો ને લગતાં જ હોય. મોટા ભાગે તેમને માટે સત્તાની સોંપણીનો અર્થ સત્તાનો ત્યાગ થતો હોય છે. જ્યારે ખરેખર તો સત્તાનો ત્યાગ બીજાંને સક્ષમ બનાવવામાં છે. માર્ગદર્શન મોટા ભાગે આડકતરી રીતે  બળજબરી કે સુચનાઓનો વરસાદ પરવડે છે, જેનો ઊંડે ઊંડે આશય પોતાની જ પ્રતિકૃતિ તૈયાર કરવાનો હોય છે. ઘણાંને કૃષ્ણની જેમ  કોઈને રાજા બનાવનારની ભૂમિકા અંગીકાર કરવાનું  પસંદ હોય છે, પરંતુ એ લોકો ભુલી જાય છે કે કૃષ્ણએ ન તો ક્યારે તાજ ધારણ કર્યો કે ન કદી સિંહાસન પર બેઠા કે ન તો કોઈ રાજ્ય પર શાસન કર્યું હતું. એમને ગોપાલક કે સારથી બનવામાં પણ ન તો કોઈ અચકાટ થયો હતો કે ન તો કોઈ શરમ અનુભવી. એમને માટે તો સામર્થ્યનો પ્રભાવ કોઈ સંસ્થાનાં બળે નહીં પણ અંદરથી પેદા થતો હતો. સામર્થ્યના આ પ્રભાવની અનુભૂતી કરવી એ સૌથી મોટો પડકાર છે.

ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૨૪ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The Yakshi’s solicitation    નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો