બુધવાર, 17 માર્ચ, 2021

ગ્રાહકનાં શરીરનું સ્થાપત્ય - દેવદત્ત પટ્ટનાઈક

ભાત ભાતની વસ્તુઓ અને સેવાના રચીયિતાઓને  એ જાણવા કે સમજવામાં રસ હોય  છે કે માનવ શરીર જુદા જુદા પ્રકારનાં ઉત્તેજનાપ્રેરક પરિબળોને કેવો પ્રતિભાવ આપે છે. કોઈ જાહેરાત જોવા (કે કુદાવી જવા) તે કેમ પ્રેરાય છે, કે કોઈ પૉસ્ટ જોઈને તે 'લાઇક'નું બટન શા માટે દબાવે છે. તેમાં પણ એ કોઈ પણ વસ્તુને 'ખરીદવા'નો  નિર્ણય કેમ (લઈ) લે છે તે તો અનેક સંશોધનોનો વિષય રહેતો હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુનો (સંભવીત) ખરીદનાર તો એક માનવી જ છે. કોઈને એક ચીજ ગમે છે અને બીજાંને તે જ ચીજ નથી ગમતી એનું કારણ જો સમજાય તો તેનું પરિણામ એક ટંકશાળ ખોલવામાં આવે.

ફેસબુકનાં 'લાઈક' બટનનો જ દાખલો લઈએ. 'અનલાઈક' બટન કેમ નહીં બનાવાયું હોય? યુ ટ્યુબમાં થમ્બ્સ અપ અને 'થમ્બસ ડાઊન' એમ બન્ને સ્પષ્ટ વિકલ્પ છે, તો ફેસબુકમાં 'લાઈક' જ કેમ હશે? જો કોઈએ કંઈ ન ગમતું લખવું હશે તો તેણે આખી 'કોમેન્ટ' લખવાની મહેનત કરવી પડશે. એટલે ફેસબુકના રચીયિતાઓએ એવી વ્યવસ્થા કરી કે ગમતો પ્રતિભાવ ઓછામાં ઓછી મહેનતથી આપી શકાય અને ન ગમતું લખવા માટે સારી એવી મહેનત કરવી પડે. આમ કરવાથી સકારાત્મક પ્રતિભાવો નોંધાવાની શક્યતા વધી જાય છે. આનું કારણ એ કે એ લોકોએ સંશોધનો વડે, કે પછી પોતાની સૂઝ વડે, એવું શોધી કાઢ્યું છે કે નેટ પર કંઈ પણ મુકનાર  પોતાનાં એ 'સર્જન' પોતાની પ્રતિકૃતિ માને છે. એટલે જેટલાં વધારે લોકોને તે ગમે, એટલો વધારે તેમને ભાવનાત્મક રીતે હકારાત્મક સધિયારો, ઉર્જા, મળે છે. ફેસબુક લોકોની એ જરૂરિયાત પુરી કરે છે. ફેસબુકની જબરદસ્ત લોકપ્રિયતાનું આ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે.

ભારતીય તત્ત્વજ્ઞાનનો સંબંધ માનવીનાં તન કરતાં મન સાથે વધારે છે. યુરોપનાં તવજ્ઞાનને જેમ વિશ્વનાં 'સત્ય' વિષે ઊંડો સંબંધ છે તેમ ભારતીય તત્ત્વજ્ઞાનને માનવી ને દુનિયાનો 'અનુભવ' કેવો છે તેની સાથે વધારે સંબંધ છે. એટલે માનવ તન અને મન કોઈ પણ ઉત્તેજનાપ્રેરક પરિબળને કેવો પ્રતિસાદ આપશે એ વિશે માનવ રચનાનાં સ્થાપત્ય વિશે અનેક ચર્ચાઓ થતી રહે છે. શરીરને મનનાં વિસ્તરણ તરીકે જોવામાં આવે છે. ઈન્દ્રિયોને વિશ્વમાં ફેલાયેલ ઉત્તેજનાઓનું ચરામણ તરીકે જોવામાં આવે છે. આપણે વિશ્વને જેના થકી અનુભવીએ છે તે માધ્યમ માટે આટલો બધો લગાવ  હોવો એ ભારતીય વિચારસરણીની ખાસિયત છે. વિભાગો કે વર્ગીકરણો કે પારિભાષિક સંજ્ઞાઓ જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ કે હિંદુ ધર્મમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત તત્વો બધાંમાં અચલ છે. વિચાર ધારાઓ પૂર્ણતઃ ભૌતિકવાદીથી લઈને આધ્યાત્મિક કે આસ્તિકતા સુધી લઈને ઉચ્ચ મનોવૈજ્ઞાનિક સ્તરની હોઈ શકે છે.

મૂળ તફાવત પોતાની આસપાસની દુનિયાને અનુભવી ન શકતી અજીવ વસ્તુઓ અને પોતાની આસપાસ વસતી વસ્તુઓને અનુભવી શકતી સજીવ હસ્તીઓનો છે. આ તફાવતનું કારણ અંદર રહેલાં જીવન સાથે સંબંધ ધરાવે છે. એ જીવન ભુખ લગાડે છે, ભય પેદા કરે છે, જેને પરિણામે સજીવ હસ્તીઓ સંવેદના અનુભવતી જ્ઞાન-ઈન્દ્રિયો વડે ખોરાક શોધે છે કે ભયનું નિવારણ કરવા ઉપાયો વિચારે છે તેમજ ભૂખ કે ભય ને દૂર કરવા કર્મ-ઈન્દ્રિયો વડે ક્રિયા કે પ્રતિક્રિયા કરે  છે. બધી જ સજીવ હસ્તીઓમાં ઓછા વધારે પ્રમાણમાં વિકસેલ આ ઈન્દ્રિયો હોય છે તેના વડે તે પોતાનું જીવન ટકાવી રહેવા પ્રયતનશીલ રહે છે. ઉચ્ચ કક્ષાનાં સજીવો અનુભવી (ચિત્ત) શકે છે અને બુદ્ધિપૂર્વક (બુદ્ધ) નિર્ણયો કરી શકે છે. માનવીને આ બધાં ઉપરાંત કલ્પના શક્તિ મળી છે, એટલે તે વિચાર (માનસ) પણ કરી શકે છે.

વનસ્પતિ ભયથી દૂર નથી ભાગી શકતી એટલે કે તે હલનચલન નથી કરી શકતી -અચર- સજીવ હસ્તીઓ છે, જ્યારે પ્રાણીઓ હલનચલન કરી શકે છે એટલે તે ચર સજીવો છે. માનવીની કલ્પનાશક્તિ તેનું એવું ખાસ પ્રાણી બનાવે છે જેને કારણે તે તેને ઈન્દ્રિયોથી થતી અનુભૂતિઓથી અલગ અવનવી વાસ્તવિકતાઓ ઘડી કાઢી શકે છે. વનસ્પતિ કે પ્રાણીનું જીવન તેમની આસપાસની પરિસ્થિતિઓનાં સચોટ મૂલ્યાંકન પર નિર્ભર છે. જ્યારે માનવી તેની આસપાસની વસ્તુઓને એક નવું જ, તે કુદરતી રીતે છે તેના કરતાં કંઈક અલગ જ,  મૂલ્ય પ્રદાન કરી શકે છે. જેમકે,  પથ્થરને દૈવી સ્વરૂપ પણ આપી શકે અને હથિયાર પણ બનાવી શકે. હથિયાર  તરીકે પથ્થરનો ઉપયોગ તેનું અમુક અંશે કુદરતી મૂલ્ય કહી શકાય પણ દૈવી સ્વરૂપ જેવું તો કુદરતમાં કઈ છે જ નહી. મનુષ્ય પોતપોતાની આસપાસની વસ્તુઓનો અર્થ ખોળીને પોતાને માટે અર્થ નિશ્ચિત કરે છે. તે જાણવા માગે છે કે તે શું છે અને શા માટે છે. તેને પોતની ઓળખની ખેવના છે. બીજાં પ્રાણીઓમાં આવી ખેવના નથી હોતી. એમને તો એટલું જાણવામં રસ હોય છે તેમની આસપાસ શિકારી છે કે પ્રતિસ્પર્ધી છે, કે સાથીદાર છે કે પછી ખોરાક છે. જો આમાનું કંઈ જ ન હોય તો પછી તેમને કોઈ વધારે રસ નથી રહેતો.  પરંતુ માણસને તો ફેસબુક પરની પોસ્ટથી લઈને તેની આસપાસનું બધું જ પોતાને ભાવનાત્મક રીતે પોષણ આપનારૂં (કે ન આપનારૂં) જ દેખાય છે.

કુદરતી વિશ્વની સરખામણીમાં ઉત્તેજનાપ્રેરક પરિબળો માટેના માનવ પ્રતિભાવો બહુ સંકુલ અને આગાહી ન કરી શકાય એવા હોય છે, જે રચીયિતાઓ માટે બહુ મોટા પડકાર બની રહે છે. આપણે માત્ર પીડામાંથી છૂટકારો કે આનંદ જ નથી ઈચ્છતાં, આપણને તો કંટાળામાંથી પણ મુક્તિ અને સતત ભાવનાત્મક પોષણ પણ જોઈએ છે. જે વેબસાઈટ્સ કે સામાજિક માધ્યમો આપણી આ અપેક્ષાઓ પૂરી નથી કરતાં, કે જે આપણને ઉપયોગી નથી જણાતાં કે આપણને આપણી જાત વિષે સારૂં સારૂં નથી લગાડતાં,  તેનાથી આપણે દૂર રહીએ છીએ.  શબ્દોનાં વિવિધ અર્થઘટનો કે રંગવર્ણ  વિશેની માન્યતાઓ વગેરે વિશેનાં આપણા સાંસ્કૃતિક સાંસ્કૃતિક પૂર્વાગ્રહો અને પૂર્વધારણાઓ આ જટીલતામાં ઉમેરો કરે છે. માનવીની આચારવિચાર સંહિતાઓ ભલે મર્યાદિત હશે, પણ સાંસ્કૃતિક  સંહિતાઓ તો પાર વગરની હોય છે. સરવાળે, આપણે એવાં જ ઉત્પાદનો, સેવાઓ કે વિચારો પસંદ કરીએ છીએ જે આપણને આપણી સગવડ અનુસાર સાર્થક જણાય.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૫ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Architecture of the Customer’s Body નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો