શુક્રવાર, 9 ઑગસ્ટ, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - એકરાગપૂર્ણ સંબંધો કેળવવાનું કળાકૌશલ્ય

તન્મય વોરા

કોઈ સૅલ્સ કૉલ માટે કે વાટાઘાટોના ભાગ રૂપે કે અન્ય કોઈ પણ કારણસર જ્યારે કોઈને મળવાનું થાય ત્યારે બંધાતો સંબંધ આગળ જતાં ગાઢ બને, કે ગાઢ સંબંધમાં એકરાગ કેળવાય, એવું જરૂરી નથી. અગ્રણીઓ (કે કોઈ પણ સામાન્ય લોકો) તરીકે આપણો ધ્યેય વધુ સારા અને ગાઢ સંબંધો બનાવવાનો હોવો જોઈએ. એમ કરી શકવા માટે વિવિધ પુરવાર થયેલી રીતો પૈકીની એક છે - સંબંધનાં અન્ય પાસાંઓ પર સતત ધ્યાન આપતાં રહીને એકરાગ લેળવવાની પ્રક્રિયા.

સંભવતઃ આપણે જાણતા હોઇએ જ છીએ કે, તાજેતરમાં આપણને યાદ કરાવવામાં આવ્યું હોઈ શકે કે, આ પ્રવૃત્તિ કેટલી મહત્વપૂર્ણ છે.

અહીં, બહુ સામાન્ય જણાતી, પણ વ્યવહારમાં મોટે ભાગે બિનમહત્ત્વની ગણાતી, એવી સાત વિશિષ્ટ પ્રવૃત્તિઓ રજૂ કરી છે જેને સંબંધોને ગાઢ બનાવવામાં કે સંબંધોમાં તાલમેલ વધારવા માટે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે:

·       અન્ય વ્યક્તિમાં માટે શું અર્થપૂર્ણ છે તે જાણો અથવા ખોળી કાઢો. દરેક વ્યક્તિના શોખ વિશે અથવા તેમને ખાસ રસ હોય વિશેની આ વાત હોઈ શકે છે. દરેક વ્યક્તિની આગવી લાક્ષણિકતાઓ અને પસંદ - નાપસંદ હોય છે, પછી ભલે તે કોઈ મનપસંદ રમતની ટીમ હોય, તેમની જૂની શાળા કે કૉલેજ હોય,, તેમના પરિવાર વિશે કંઈક હોય, કોઈક ભાવતી વાનગી અથવા મનપસંદ પ્રવૃત્તિ પણ હોય. એવી બાબતો શું છે તે જાણવાને તમારું લક્ષ્ય બનાવો અને શક્ય હોય ત્યાં સુધી તેમની સાથે હો ત્યારે એ પ્રવૃતિ તેમની સાથે  કે એ બાબતોમાં ખાસ રસ લો.

·       દરેક તક મળે ત્યારે કંઈક નવું શીખો. દરેક મુલાકાતમાં વ્યક્તિ વિશે કંઈક નવું શીખવાને તમારું લક્ષ્ય બનાવો. એમને શું પસંદ છે, કે શા માટે અમુક બાબત તેમના મહત્વપૂર્ણ છે તે સમજવું, કે પછી અમુક વસ્તુ શા માટે ગમે છે (કે નથી ગમતી) ગમે તે છે એવું એવું દરેક નાની મોટી મુલાકાત સમયે જાણવા બાબત સભાન રહો.

·       જાણકારી રાખો. અન્ય લોકો વિશે શું મહત્ત્વનું છે તે જાણવું એ સારી વાત છે, પણ એ બધું આપણી યાદશક્તિમાં સચવાશે એવો વિશ્વાસ કરવો એ મૂર્ખતા છે. માહિતીના આ મહત્વપૂર્ણ ઘટકોની જાણકારી મેળવવા અને જાળવી રાખવા માટે એક પ્રક્રિયા બનાવો. આ માહિતી મહત્વપૂર્ણ છે તે રીતે તેની સંભાળ લો. તમે જે જાણ્યું છે તે સમય આવ્યે યાદ આવે તેમ મનમાં ઉતારો.

·       અર્થપૂર્ણ પ્રશ્નો પૂછો. જે લોકો  સીધા કામની વાત પર કેન્દ્રિત થતાં હોય છે એવાં લોકોને પણ તેઓને સમજવામાં આવે એ તેમના માટે મહત્વનું તો હોય જ છે. તમારા પ્રશ્નો વ્યવસાયિક હોય અથવા વ્યક્તિગત હોય, પણ એટલું ધ્યાન રાખો કે જ્યારે આપણે અન્ય વ્યક્તિને તેમના અભિપ્રાય અથવા સલાહ બાબતે પૂછીએ છીએ (જેની ખરેખર જરૂર પણ હોઈ શકે છે) ત્યારે તે વ્યક્તિ સાથે તાલમેલ બનવાની સંભાવના વધે છે.

·       અર્થપૂર્ણ માહિતી જરૂર વહેંચવાની તક ન ચૂકો. તમારી સાથે સંપર્કમાં આવતાં લોકો માટે શું મહત્વનું છે, તેમની પસંદ નાપસંદ જેવી ખાસ બાબતો વિશે જેમ જેમ વધુ ઊંડાણથી જાણવા લાગો છો તેમ તેમ  તે બધી બાબતો સાથે સંકળાયેલી બીજી બાબતો તેમની સાથે શેર કરો. આ અનૌપચારિક, સહજ રીતે હોય તો વધારે અસરકારક નીવડે. ઉદાહરણ તરીકે, તમે તેમને તમે વાંચેલી કોઈ વસ્તુનો ઉલ્લેખ તેમની સાથે કરો. પરંતુ તેનાથી એક ડગલું આગળ લઈ જઈને, જો તમે જાણતા હો કે તેઓ તેમને કઈ બાબતો સાથે વધારે લગાવ છે કે તેમાં રસ ધરાવે છે, તેના વિશે કંઈક જુઓ કે સાંભળો, તો શા માટે તેમને જણાવવું નહીં? તેમના રસના એક લેખ સાથે જોડાયેલી નોંધ, અથવા તમે એ સંદર્ભમાં જોયેલી રસપ્રદ વેબસાઇટ કે વિડીયો ક્લિપની લિંક, તેમની રુચિને અનુરૂપ પુસ્તક જેવું મોકલવાનું વિચારો. અ વિષયમાં તમારી સર્જનાત્મક કલ્પનાના રસને વહેતા કરવા માટે આ તો ફક્ત ત્રણ ઉદાહરણો છે! મોટે ભાગે આવા સરળ વિચાર લોકોને બતાવે છે કે તમે તેમના વિશે વિચારી રહ્યા છો કે તમને તેઓમાં વિશેષ રસ  છે.

·       ધ્યાનથી સાંભળો. જ્યારે તમે  લોકોને ખરેખર ધ્યાનથી સાંભળો છો ત્યારે તમે માત્ર તેમના વિચારોમાં જ નહીં, પરંતુ તેમની સાથેના તમારા સંબંધમાં રોકાણ કરો છો. જ્યારે જ્યારે તેમના ગમતા વિષય વિશે વાત ચાલતી હોય ત્યારે તો આમ કરવું જ જોઈએ, પણ તે સિવાય પણ આ પ્રમાણે ગમે ત્યારે કરી શકાય. કોઈ વ્યક્તિની વ્યક્ત તેમ જ અવ્યક્ત વાતને ધ્યાનપૂર્વક સાંભળવાથી આપસી સંબંધોના દૃષ્ટિકોણમાં અકલ્પ્ય ફરક પડી શકે છે.

·       આભાર માનો. જીવનમાં આપણે વ્યવહાર કદાચ જે સૌથી પહેલા શીખ્યાં હઈશું તે પૈકીની એક રીતભાત

 આભાર કહેવાનું ગણી શકાય. આભાર માનવામાં કંજુસાઈ ન કરવી. તેને વધુ ને વધુ વાર કહો.યાદ રહે  કે તે ફક્ત ઉપરછલ્લા બોલ ન હોય. શક્ય હોય તો લખીને આભાર વ્યક્ત કરો - લેખિત આભારની નોંધની શક્તિ ક્યારે પણ ઓછી ન આંકવી જોઈએ. તે જ રીતે જાહેરમાં વ્યક્ત કરાતો આભાર પણ બહુ અસરકારક નીવડતો હોય છે.

અલગ અલગ લેવામાં આવે તો, આ દરેક પ્રક્રિયાઓ સંબંધોની ઘનિષ્ટતામાં ફરક પાડવામાં જરૂર અસરકાર રહે છે. પરંતુ, જ્યારે એ બધી એકસાથે સાતત્યપૂર્વક અને સહૃદય નિષ્ઠાથી લેવાતાં પગલાંઓની શ્રેણીની કડીઓ બને છે ત્યારે  કલ્પના પણ ન થાય  તે કરતાં વધુ ઝડપથી સંબંધોમાં એકરાગના વિકાસ માટે અતિસમૃદ્ધ પોષણ સ્રોત બની રહે છે..

સ્ત્રોત સંદર્ભ:: Building Rapport

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો