બુધવાર, 28 ઑગસ્ટ, 2024

સંવેદનશીલ બાબત - દેવદત્ત પટ્ટનાઈક

૧૯મી સદીમાં, હૅન્સ ક્રિશ્ચિયન એન્ડરસને રાજકુમારી અને ચણોઠીની એક પરીકથા લખી હતી. એક રાજકુમાર એક 'અસલી' રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો અને તેથી, તેની માતાએ એક કસોટી તૈયાર કરી. રાજકુમારીઓને એકબીજાની ઉપર થપ્પી કરાયેલી વીસ રેશમી તળાઈઓ પાથરેલા ખાસ પલંગ પર સૂવા માટે મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું. બધી રાજકુમારીઓમાંથી માત્ર એક રાજકુમારીએ ફરિયાદ કરી કે તેને પથારીમાં આખી રાત કંઈક ખુંચતું રહ્યું હતું. તે સાચી હતી. છેક નીચેની તળાઈ હેઠળ એક ચોણોઠી મુકી દેવામાં આવી હતી, જે રાજકુમારીને ખુંચતાં રહેવા માટે પૂરતી હતી.
આવી જ એક કથા વેતાલ-પચીસી તરીકે પ્રખ્યાત સંસ્કૃત કથાઓના ઉત્તમ સંગ્રહમાં જોવા મળે છે. વેતાલ રાજા વિક્રમાદિત્યને ત્રણ નાજુક રાણીઓ સાથેના રાજાની વાર્તા કહે છે. એક રાણીના શરીર પર જ્યારે ફૂલ પડે છે ત્યારે તે રાણી બેહોશ થઈ જાય છે. બીજી રાણી ચંદ્રપ્રકાશથી દાજી જાય છે. રસોડામાં ખરલ અને મુસળીના ઘસરકાઓના અવાજથી ત્રીજી રાણીને શરીરે ઉઝરડા થઈ આવે છે. ‘સૌથી નાજુક કોણ છે?’ એવા વેતાલના સવાલના જવાબમાં રાજા વિક્રમાદિત્ય કહે છે કે, ત્રીજી રાણી કેમકે જે વસ્તુ તેને સ્પર્શી પણ નથી તેન કારણે પણ તેને પીડા થઈ આવી છે.

આ બંને કથાઓમાં મહિલાઓની અતિસંવેદનશીલતાની પ્રશંસા કરવામાં આવી છે. તે એક એવી ઋજુતાને દર્શાવે છે જે ખૂબ મૂલ્યવાન છે,. ભૌતિકવાદના બજારમાં જેની ખૂબ માંગ છે.

આને સંન્યાસીઓનાં સાથે સરખાવવાથી ખરો વિરોધાભાસ જોવા મળે છે. હઠયોગીઓ કાંટાળી પથારી પર સૂએ છે, કે પછી એ લોકો ધ્યાનસ્થ મુદ્રામાં એટલા લીન થઈ જાય છે કે તેમનાં શરીર પર ઊધઈના રાફડા બની જાય ત્યાં સુધી તેમનાં તપનો ભંગ થતો નથી. અહીં, અસંવેદનશીલતાને આધ્યાત્મિક શક્તિના સૂચક તરીકે મહત્ત્વ બતાવાયું છે . એ કક્ષાની અસંવેદનશીલતા - અસ્પૃહતા - ને પૂજવામાં આવે છે. આ કક્ષાની અસંવેદનશીલતા બાહ્ય ભૌતિક વિશ્વની ઘટનાઓ અને પ્રલોભનોથી પ્રભાવિત થવાને, કે અસર પામવા કે સંમોહિત થવાને બદલે તેના પર વિજય મેળવવાની યોગીની ક્ષમતા દર્શાવે છે.

આમ, અતિસંવેદનશીલ સ્ત્રીઓ ભૌતિક સમૃદ્ધિ સૂચવે છે, અને અસંવેદનશીલ પુરુષો આધ્યાત્મિક વિજયનું પ્રતિનિધિત્વ કરે છે. લૈંગિક પૂર્વગ્રહો એક વાર કદાચ સ્વીકારી પણ લઈએ તો પણ શું બંને ખરેખર એટલાં અલગ હોઈ શકે ખરાં?

બંને માટે, બાહ્ય દુનિયા દમનકારી છે. જ્યારે સ્ત્રીઓ તે દમનકારી દુનિયામાંથી તેમને બચાવવા માટે એક પુરુષને શોધે છે, તો પુરુષો દરેક વ્યક્તિથી, ખાસ કરીને તેમની ત્વચાને વીંધીને ચાળણી બનાવી નાખતા કાંટાઓ અને ઉધઈના રાફડા મરતાં વધુ પીડા આપે છે સ્ત્રીઓના સંગાથ કે વાસનાથી દૂર થઈ જાય છે, જેઓ. રાજકુમારીઓ અને રાણીઓ ઇચ્છે છે કે રાજકુમારો અને રાજાઓ વિશ્વને વધુ સારી જગ્યા બનાવે. સંન્યાસીઓ ફક્ત આ જગતનો ત્યાગ કરે છે કારણ કે વિશ્વને નિયંત્રિત અને વધુ સારું બનાવી શકાતું નથી. તે હંમેશા પીડા, પ્રદૂષણ અને દુઃખની દુનિયા રહેશે. છેવટે, જ્યારે વિશ્વને નિયંત્રિત કરવાની ઇચ્છા કોઈ પરિણામ આપતી નથી, ત્યારે વિશ્વને ત્યજી દેવામાં આવે છે. વીસ વીસ રેશમની તળાઈઓ હેઠેની ચણોઠી પણ જેને ખુંચતી હતી એવી અતિસંદનશીલતાનાં રૂપક સમી રાજકુમારી - દીનદુનિયાથી અલિપ્ત - ઉધઈના રાફડામાંની સંન્યાસિની બની જાય છે. ઉઘાડાં દમન કે સૂક્ષ્મ - દમન કે અજૂગતાપણાંની ચર્ચાઓમાં આપણને ચણોઠીવાળી રાજકુમારી જોવા મળતી રહે છે. છેવટે, દુનિયા અસાર અને ત્યાજ્ય લાગે છે અને મનમાં ટ્વીટર જેવાં સામાજિક માધ્યમોથી દૂર, કોઈ અંધારી ગુફામાં જઈ વસવાની ઈચ્છા મનને ઘેરી વળે છે. .

  • મિડ - ડેમાં ૭ મે૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A sensitive topic નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા,

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૮ ઓગસ્ટ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો