બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024

પુરાણવિદ્યાશાસ્ત્રોની કથાઓ અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે - દેવદત્ત પટ્ટનાઈક

છેલ્લા કેટલાક વર્ષોથી, પત્રકારો ભારતમાં પૌરાણિક કથાઓની વધતી જતી લોકપ્રિયતા વિશે સમજાવવા માટે મને પુછતા રહે છે. મારે પણ, વારંવાર, એ જ કહેવું રહે છે કે આ ઘટના માત્ર હવે ભારતની સીમાઓ સુધી જ સીમિત નથી રહી. સમગ્ર વિશ્વમાં તે અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે.

ગ્રીક પૌરાણિક કથાઓનું પુનરુત્થાન ફિલ્મોમાં થતો જોવા મળી રહ્યું છે. ટાઇટન્સ, ઓલિમ્પિયન્સ અને હર્ક્યુલસ જેવા ગ્રીક હીરોની વાર્તાઓનો પ્રસાર વધી રહ્યો છે. નોઅહ અને એક્ઝોડસ જેવી ફિલ્મો પણ અબ્રાહમિક પૌરાણિક કથાઓનું પુનરુત્થાન કરે છે. ૨૦૧૬ માં રિલીઝ થઈ રહેલી, રાઇઝન અને ધ યંગ મસીહા જેવી ફિલ્મો, પણ વિશેષ કરીને ખ્રિસ્તી પૌરાણિક કથાઓ પર આધારિત છે. ઈરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદીએ પયગંબર મુહમ્મદ પર એક ફિલ્મ બનાવી છે. એવું મનાય છે કે, જે ફિલ્મના અંતમાં નાયકનો અહેરો પયગંબરમાં પરિવર્તીત થતો બતાવાવાની હિંમત કરવામાં આવી છે એ ફિલ્મમાં સંગીત આપવા બદલ એ.આર. રહેમાન સામે ફતવો બહાર પડાયો છે. આ બધી વિશ્વની કથાઓનું પુનરુત્થાન છે જેને ઇતિહાસકારો વાસ્તવિકતા ગણે એ બાબતે નિસબત નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જે કોઈનું સત્ય નથી એવી પરીકથાઓથી વિપરીત, પૌરાણિક કથાઓ કોઈકનું સત્ય છે, .

કેટલીક ધાર્મિક સામગ્રી ધરાવતી ફિલ્મો કરતાં પરીકથાના પાત્રોની પુનઃકલ્પના કરતી ફિલ્મોની તોડમરોડ કરવી સહેલી છે. તેથી, આપણી પાસે સ્નો વ્હાઇટ એક યોદ્ધા રાજકુમારીમાં અને હેન્સેલ અને ગ્રેટેલ શાતિર લડવૈયાઓમાં ફેરવાઈ રહ્યા છે. યુરોપીયન દંતકથાઓ પર આધારિત ડ્રેક્યુલા અને પુનમની રાતે વરુમાં ફેરવાઇ જતા વેરવોલ્ફની ફિલ્મો 'હાડમાંસ અને રકત' અને પુનરુત્થાન અને અમરત્વના વચનો સાથે જેમને વલ્ગણ છે એવી ખ્રિસ્તી માન્યતાઓ પર, અને તેની વિરુદ્ધ પણ, બહુ સાવચેતી વર્તે છે.

એક તરફ કાલ્પનિક ફિલ્મો અને બીજી તરફ ઐતિહાસિક ફિલ્મોની વચ્ચે પૌરાણિક ફિલ્મોનું સ્થાન ગણી શકાય. જ્યારે ગ્રીક મહાકાવ્ય ટ્રોયને ઈતિહાસ તરીકે રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ટિકિટબારી પર પીટાઈ ગયું: લોકો દેવતાઓને જોવા માંગતા હતા. જ્યારે કિંગ આર્થરને મર્લિન અને ચેલિસ અને ફિશર કિંગની વાર્તાઓ વિના રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે તે પ્રેક્ષકોને આકર્ષી ન શક્યા, પ્રેક્ષકોને જીવનનાં રહ્સ્યો જાણવાની ઝંખના હોય છે. આથી, ૩૦૦: રાઈઝ ઑફ એન એમ્પાયર જેવી ફિલ્મો, એક ઐતિહાસિક ઘટના પર આધારિત હોવા છતાં જુલમગાર અને શોષિતના પૌરાણિક નમૂનાનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે જેમાં અર્ધનગ્ન મરદ નર ગ્રીક (એટલે કે પશ્ચિમના) સ્વતંત્રતાના રક્ષકો તરીકે અને નામર્દ પર્સિયન (એટલે કે મધ્ય પૂર્વના) ને જુલમી લોકો તરીકે રજૂ કરવામાં આવે છે.

હેરી પોટરનાં પુસ્તકો અને ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ શ્રેણીની ફિલ્મોની વિશભરની લોકપ્રિયતાએ કામણ માટેના પ્રેમને આખી દુનિયામાં ફરીથી જાગૃત કર્યો. વિજ્ઞાન, ટેકનોલોજિ અને તર્કસંગતતાએ તો દુનિયામાંથી ચમત્કાર જેવી બાબતોને સાવ છીનવી લીધી જ છે. હવે બધું ગાણિતિક સૂત્ર, અથવા આત્મસંતોષ પમાડતા નિયમ, કે એપ્સમાં સમાઈ ગયું છે. આજની દુમિયામાં, રાજકારણ અને અર્થશાસ્ત્ર વાસ્તવિકતા છે, જ્યારે શ્રદ્ધા તો દિવાસ્વપ્ન બનીને રહી ગઈ છે.

વિશ્વનું આ 'ધર્મનિરપેક્ષીકરણ' વિશ્વના તમામ ચમત્કારો અને અર્થઘટનોને છીનવી લે છે. આપણે માત્ર એવાં જૈવિક એકમો બનીને રહી જઈએ છીએ જેઓ સત્તા અને સંપત્તિ માટે ઝંખતાં રહે છે. વિશેષાધિકારો ધરાવતા લોકો ગણ્યા ગાંઠા હોય છે જે અત્યાચરીઓ જોય છે અને જેમને સતત કર્મશીલ લોકોની કચકચ સહન કરવી પડે પડે છે. હારનારાઓ અત્યાચારો સહન કરનારા કે તેમના તારણહાર બને છે, જે દરેકને અપૂર્ણ હોવા માટે ઠપકો આપતા રહે છે. આ બધામાંથી છુટકારો માત્ર કલ્પિત ઇતિહાસ અને વારંવાર કહેવાતી પૌરાણિક કથાઓ દ્વારા મળે છે. કથા વાર્તાઓમાં જ વાંચવા મળતું, સર્વસત્તાધારી અને ઉત્તરદાયિતવ વિનાના દેવતાઓ, જેવું કંઈક જે વાસ્તવિક પણ છે.

  • મિડ - ડેમાં ૧૪ મે૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Mythology everywhere નો અનુવાદપ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા,

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો