બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025

શિવ કેફી પદાર્થોનું સેવન કરે છે? - દેવદત્ત પટ્ટનાઈક

 

ઘણા યુવાનો શિવને 'કૂલ ડ્યુડ' તરીકે પૂજે છે. શા માટે? કારણ કે શિવ તેમના દેખાવ અને જીવનશૈલી બાબતે અન્ય લોકોનાં મંતવ્યો શું છે તે વિશે પરવા નથી કરતા, તેઓ એકલા રહે છે, માદા ગાંજા છોડના ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો ગાંજો (સંસ્કૃતમાં ગંજિકા)  ભરેલી ચલમ પીને અથવા નર ગાંજા છોડના પાંદડાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હળવું માદક પીણું, ભાંગ, પીને સંતુષ્ટ રહે છે.

"જો શિવ કેફી દ્રવ્યો લે છે, તો મારે પણ પીવું છે," એક વિદ્યાર્થીએ તેના શિક્ષકને કહ્યું. "સારો વિચાર છે," શિક્ષકે કહ્યું, "પણ પહેલા પોતાને શિવ તો બનાવો !" આ કાલ્પનિક સંવાદ આપણને એ પ્રશ્ન તરફ દોરી જાય છે કે, શિવ કોણ છે અને તેમને કેફી દ્રવ્યોનું સેવન કરતા કેમ માનવામાં આવે છે. શું હિન્દુ દેવતાઓ ડ્રગ્સને રોમાંચક કરે છે? શું તે 'હિપ્પી' ને ભારત તરફ ખેંચે છે?

એ વાતનો ઇનકાર નહીં થઈ શકે કે કે શિવ કેફી દ્રવ્યો સાથે સંકળાયેલા છે. તે ગાંજો પીવે છે. તે ભાંગ પીવે છે. ઘણી તાંત્રિક માન્યતાઓમાં, ગાંજાને વેદોમાં ઉલ્લેખ કરતા રહસ્યમય સોમ કહેવામાં આવે છે. આ  વિચારનો વધુ શુદ્ધતાવાદી અને મુખ્ય પ્રવાહની વેદાંતિક શાળા દ્વારા જોરશોરથી અસ્વીકાર કરવામાં આવે છે.

શિવ મંદિરોમાં, તેઓ ધતુરાના ઝેરી અને ભ્રમોત્પાદક ફૂલો અને ફળનો સ્વીકાર કરે છે. કાલ ભૈરવ તરીકે તેઓ દારૂને તેઓ પ્રસાદ તરીકે સ્વીકારે છે. શું એટલા માટે પુરાણોમાં દક્ષ શિવને તેમની યજ્ઞશાળામાં પ્રવેશવા દેતા નથી એવી કથા કહેવામાં આવી છે? છતાં, દક્ષની પુત્રી, સતી, જે દેવી છે, યજ્ઞશાળા છોડીને આ 'અશુદ્ધ' દેવતાને પોતાનો પતિ બનાવવાનું પસંદ કરે છે. રહસ્ય શું છે?

આપણે દલીલ કરી શકીએ છીએ કે કેફી પદાર્થો શૈવ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે છે પરંતુ તે વૈષ્ણવ સંસ્કૃતિનો ભાગ નથી. પરંતુ તે સાચું નથી. ભાંગ વિષ્ણુ મંદિરોમાં ધાર્મિક વિધિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કૃષ્ણને અનુક્રમે મહાપ્રભુ જગન્નાથ અને શ્રીનાથજી ઠાકુર તરીકે પૂજાવામાં આવે છે એવાં ઓડિશાના પુરી અને રાજસ્થાનના નાથદ્વારામાં ભાંગ 'સરકાર દ્વારા માન્ય' દુકાનોમાં વેંચાય છે. કૃષ્ણના મોટા ભાઈ બલરામને ભાંગ ચઢાવવામાં આવે છે. તેમની છબીને ભાંગથી સ્નાન કરવામાં આવે છે. બલરામને ઘણીવાર શિવ સાથે ઓળખવામાં આવે છે. તેમનું પ્રતીક તાડીનું વૃક્ષ છે, જેનો રસ હળવું મદ્યાર્ક પીણું બનાવવા માટે વપરાય છે. દેવતાઓ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે?

આ રહસ્યને સમજવા માટે, આપણે સમજવું પડશે કે હિન્દુ ધર્મ વિશ્વને અંદર અને બહાર, ઘર અને અરણ્ય, ગૃહસ્થનું ક્ષેત્ર અને સંન્યાસીના ક્ષેત્રમાં કેવી રીતે વિભાજીત કરે છે. શિવ, બલરામની જેમ, ગૃહસ્થાશ્રમથી વિમુખ છે. બંને ભાંગ, ધતુરા અને તાડીનાં વૃક્ષ સાથે સંકળાયેલા વગડાને પસંદ કરે  છે.  આ સ્વરૂપમાં, તેઓ બ્રહ્મચારી છે. તેઓ બધા ઈન્દ્રીય આનંદોથી દૂર રહે છે. કેફી પદાર્થો તેમના માટે વિમુખ થવા માટેનું સાધન છે. આમ, આ બધાં તેમને માટે ભોગનાં નહીં પણ યોગ માટેનાં સાધનો છે.

પરંતુ મોટાભાગના લોકો માટે, કેફી પદાર્થો ભોગ માટે, મોજશોખ માટે છે. સામાજિક જવાબદારીઓ અને સામાજિક દબાણોને સંભાળવામાં અસમર્થ, આધુનિક સમાજની માંગણીઓથી દબાણ અનુભવતા, ગેરસમજ અનુભવતા, એકલતા અને પ્રેમની ખોટ અનુભવતા, ઘણા કેફી પદાર્થો ડ્રગ્સ તરફ વળે છે. એમના માટે તેમનું સેવન કઠોર વાસ્તવિકતાથી છટકી જવામાં અને  વાસ્તવિકતાને વધુ સુસંગત બનાવવામાં મદદ કરે છે. કેફી પદાર્થોનું સેવન જીવનના તણાવને કે નિષ્ફળતાઓનાં દુઃખને કરવા માટે એક મલમ છે કે  નિષ્ફળતાથી જન્મેલી કાખઘોડી છે. કેફી પદાથો લેનારાઓમાનું આમાનું કોઈ પણ યોગી બનવા માંગતું નથી.

શિવ યોગી છે. તે સંસારથી વિમુખ થાય  છે. તે સાથે, શંકર તરીકે દેવી સાથે તેઓ  ઘર સંસાર માંડીને વિશ્વ સાથે સંકળાય છે, ગીત, નૃત્ય અને કહાણીઓ લાવે છે. તેમને મુરુગન (કાર્તિકેય) નામનો એક પુત્ર છે, જે વિશ્વનું રક્ષણ કરે છે, અને ગણેશ નામનો તેમનો બીજો પુત્ર વિશ્વનું પાલન કરે છે. સંસારથી વૈરાગ્ય અને રાગનાં આ બેવડાં પાસું શિવને શિવ બનાવે છે. જ્યાં સુધી આપણે આ વિશ્વને મદદ કરનાર શિવ ન બની શકીએ, જે વિશ્વને મદદ પણ કરે છે, અને તેનાથી ડરતા પણ નથી, ત્યાં સુધી કેફી પદાર્થોથી દૂર રહેવામાં જ શ્રેય છે.

  • સ્પીકિંગ ટ્રીમાં ૧૫  જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Doesn’t Shiva take drugs? નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો