બુધવાર, 12 માર્ચ, 2025

ટેકરી પરનો સિંહ - દેવદત્ત પટ્ટનાઈક

 

અંગ્રેજો હિન્દુ ધર્મના સ્ત્રીત્વ પર ભાર મૂકતા હતા. તેને કારણે હિન્દુ ધર્મના પુરુષત્વને સાબિત કરવા માટે મક્કમ એવા હતા તેવા હિન્દુ કટ્ટરપંથીઓ નારાજ થયા. બંને માટે, પુરુષત્વ હિંસક આક્રમકતા અને સ્ત્રીત્વ નિષ્ક્રિયતા સાથે, કે બહુ બહુ તો, નિષ્ક્રિય ચાલાકીપૂર્ણ આક્રમકતા સાથે સંકળાયેલું હતું.

જોકે, હિન્દુ પૌરાણિક કથાઓમાં, આવું કોઈ દ્વિઅંગી વિભાજન નથી. હિંસા અને આક્રમકતાની જેમ અહિંસા અને નિષ્ક્રિયતા પુરુષ અને સ્ત્રી બન્ને પ્રકારનાં દૈવ સ્વરૂપોમાં મૂર્તિમંત થઈ શકે છે. વિષ્ણુના અવતારોમાં ભગવાન જે વિચારોને મૂર્તિમંત કરી શકે છે તેમાં માછલીની લાચારી, કાચબાની ધીરજ, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવનાર ડુક્કર અને નર-સિંહની હિંસક રક્ષણાત્મક આક્રમકતા, એક પૂજારીની ચાલાકી પ્રકૃતિ અને બીજાની ક્રોધની પ્રકૃતિ, રાજાની પ્રામાણિકતા, ચાલાક ગોવાળનું મોહક વશીકરણ, ઋષિની ટુકડી અને આક્રમણ પછી થતી ઉગ્ર હિંસાનો સમાવેશ થાય છે.

આ વિવિધ અવતારોમાં, ન્યાયી રામ અને મોહક કૃષ્ણ, સૌથી વધુ લોકપ્રિય છે. આંધ્રપ્રદેશના બંદર શહેર વિશાખાપટ્ટનમથી દૂર એક ટેકરી પર સ્થિત સિંહચલમમાં, વિષ્ણુ, વરાહ (ડુક્કર) અને નરસિંહ (માનવ-સિંહ) ના ઓછા લોકપ્રિય 'પુરુષ અને આક્રમક' અવતારોની સંયુક્ત મૂર્તિની પૂજા કરવામાં આવે છે, જે આ મંદિરને ખાસ બનાવે છે.

વરાહ-લક્ષ્મી-નરસિંહ-સ્વામી તરીકે ઓળખાતા, આ પ્રતિષ્ઠિત દેવતા અસામાન્ય છે કારણ કે મોટાભાગના હિન્દુ દેવતાઓને હોય છે તેમ તેમને ચાર કે તેથી વધુ નહીં પણ બે હાથ છે, તેઓ ત્રિભંગી મુદ્રામાં ઉભા છે, નર્તકની જેમ તે કમર અને કટિ પર વળેલા છે, જે સ્ત્રીની ઉર્જા સૂચવે છે. તેનું માથું સિંહ કરતાં ડુક્કર જેવું વધારે દેખાય છે, તેથી જ આ નામ પડ્યું. જ્યારે આપણે મંદિરની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણને દેવતાની મૂર્તિ દેખાતી નથી. તે સંપૂર્ણપણે ચંદનના લેપથી ઢંકાયેલી રહે છે. આ ચંદનનો લેપ વર્ષમાં ફક્ત બાર કલાક માટે દૂર કરવામાં આવે છે. ત્યારે હજારો લોકો મંદિરમાં આવે છે. ચંદનનો લેપ લોહીની લાલસાથી ગ્રસ્ત આક્રમક ('ઉગ્ર') દેવતાને શાંત કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે શાંત અને મહદ અંશે 'સ્ત્રી' વિષ્ણુ માટે એક દુર્લભ લાગણી છે.

કથા વૈકુંઠના બે દ્વારપાલ જય અને વિજયથી શરૂ થાય છે, જેમણે વિષ્ણુ ઊંઘતા હતા ત્યારે સનત કુમારોને વિષ્ણુના સ્વર્ગમાં પ્રવેશવા દીધા ન હતા, અને તેથી તેમને પૃથ્વી પર અસુર તરીકે જન્મ લેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. તેઓ હિરણ્યક્ષ અને હિરણ્યક્ષિપુ ભાઈઓ તરીકે જન્મ્યા હતા. આ બન્ને ભાઈઓએ નક્કી કર્યું હતું કે વિષ્ણુના હાથે તેમના જીવનનો અંત લાવવાનો સૌથી ઝડપી રસ્તો વિશ્વને ભયભીત કરવાનો છે. તેથી હિરણ્યક્ષ પૃથ્વી-દેવી ભૂ-દેવીને સમુદ્રના તળિયે ખેંચી ગયો જ્યારે હિરણ્યકશિપુએ તેમના, પ્રખર વિષ્ણુ ભક્ત પુત્ર, પ્રહલાદતેને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. ભૂ-દેવી અને પ્રહલાદના આર્તનાદ ત્રણેય લોકમાં પડઘાઈ ગયા.

વિષ્ણુ નિંદ્રામાંથી જાગી ગયા. જંગલી સુવર, વરાહના રૂપમાં, તેણે સમુદ્રમાં ડૂબકી લગાવી, હિરણ્યક્ષને તેના શક્તિશાળી દાંતથી માર્યો, અને પછી પ્રેમથી ભૂ-દેવીને તેના નાકની દાંડી પર મૂકીને, તેને સપાટી પર લાવી મુક્યાં 

હિરણ્યકશિપુને મારવાનું વધુ મુશ્કેલ હતું: તેણે એક વરદાન મેળવ્યું હતું કે તેને ન તો ઘરમાં કે બહાર, ન દિવસે કે રાત્રે, ન તો માણસ દ્વારા કે પ્રાણી દ્વારા, ન તો ઉપર કે નીચે, ન તો સાધન કે શસ્ત્ર દ્વારા, ન તો ગર્ભ કે ઇંડામાંથી જન્મેલા પ્રાણી દ્વારા મારી શકાય છે. તેથી વિષ્ણુ એક સ્તંભ (ન તો ગર્ભ કે ઇંડા) માંથી અંશતઃ માનવ અને અંશતઃ પ્રાણી તરીકે પ્રગટ થયા. હિરણ્યકશિપુને પકડીને તેને ઉંબરા સુધી ખેંચી ગયા (ન તો અંદર કે બહાર), તેને પોતાના ખોળામાં (ન તો ઉપર કે નીચે), અને સંધ્યાકાળે (ન તો દિવસ કે રાત) અને તેના પંજાના નખ (ન તો સાધન કે શસ્ત્ર) નો ઉપયોગ કરીને તેના આંતરડા ફાડી નાખ્યા.

જો વરાહની કથા ક્રૂર બળ (શક્તિ) સાથે સંબંધિત છે, તો નરસિંહની કથા ચાલાકી (યુક્તિ) સાથે સંબંધિત છે. બંને કથાઓઓ વિપરીત ભક્તિ સાથે સંબંધિત છે: જ્યાં દ્વેષ પ્રેમનું વિકૃત સ્વરૂપ છે.

પરંતુ સ્થાનિક કથાઓ અસુરના વધ સાથે સમાપ્ત થતી નથી. ક્રોધિત નરસિંહ ખતરનાક છે અને તેને ફક્ત લક્ષ્મીની હાજરીથી જ શાંત કરી શકાય છે. તેથી, ભક્તો ફક્ત લક્ષ્મી નરસિંહની પૂજા કરે છે, એકલા નરસિંહની નહીં. જો એકલા હોય, તો તે યોગ મુદ્રામાં, યોગ નરસિંહ, તરીકે હોય છે. ઉગ્ર નરસિંહની બાજુમાં કોઈ દેવી નથી. એ મૂર્તિની સેવા ફક્ત બ્રહ્મચારી પુરુષ પુજારીઓ દ્વારા જ કરવામાં આવે છે.

મધ્યયુગીન સમયનો શૈવ-વૈષ્ણવ સાંપ્રદાયિક સંઘર્ષ એક નવો વળાંક ઉમેરે છે: શિવ લોહીની લાલસામાં જંગલી થઈ ગયેલા નરસિંહને વશ કરવા માટે શરભ નામના આઠ પગવાળા સર્પ-પૂંછડીવાળા બિલાડીના પ્રાણીનું રૂપ ધારણ કરે છે. પછી વિષ્ણુએ શરભને વશ કરવા માટે બે માથાવાળા વિશાળ પક્ષી, ગંધભેરુન્ડાનું રૂપ ધારણ કરવું પડે છે.

પ્રાકૃતિક ઇતિહાસકારો આપણને જણાવે છે કે સિંહ ક્યારેય શ્રીલંકા ટાપુ કે દક્ષિણપૂર્વ એશિયામાં ફરતો જોવા નથી મળ્યો. છતાં આપણે સિંહલા (સિંહના લોકો) અને સિંગાપોર (સિંહનું શહેર) વિશે સાંભળીએ છીએ. સૌથી વધારે શક્યતા એ હોઈ શકે કે સિંહનું વિચારબીજ ગંગા અને ચોલ રાજાઓ નરસિંહની પૂજાને સમર્થન આપતા હતા એવા ભારતના પૂર્વ કિનારેથી, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રાચીન બંદરોથી આવતા વેપારી જહાજોમાંથી ફેલાયું હતું. ઉદાહરણ તરીકે, પુરીના જગન્નાથ સંકુલનું સૌથી જૂનું મંદિર નરસિંહને સમર્પિત મંદિર છે. જોકે, બધા નરસિંહ મંદિરો દરિયાકિનારે નથી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના અહોબિલમમાં, દરિયાકિનારે દૂર, નવ નરસિંહ મંદિરોનું સંકુલ છે, દરેક એક ટેકરીની ટોચ પર સ્થિત છે.જ્યાં જ્યાં હિન્દુ રાજવંશનો ઘટાડો થયો, ત્યાં ત્યાં નરસિંહ અને વરાહની પૂજાનો પણ ઘટાડો થયો, જેના કારણે ભક્તિ માટે વધુ અનુકૂળ એવા રામ અને કૃષ્ણના અવતારોનો ઉદ્ભવ થયો.

એ કોઈ અકસ્માત નથી કે વીસમી સદીમાં સમ્રાટ અશોકનાં રાજચિહ્ન,સિંહ, ને ભારતનું પ્રતીક બનાવવામાં આવ્યું અને બાયા વણકર પક્ષીની જેમ ભલે સિંહો કંઈ બનાવતા નથી, તો પણ એકવીસમી સદીમાં 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનું પ્રતીક સિંહ છે. પ્રાચીન કાળથી સિંહોમાં સાર્વભૌમત્વ અને શાહી સત્તાનો સમાવેશ થાય છે. બુદ્ધ અને તીર્થંકર મહાવીરના આધ્યાત્મિક વિજયનું પ્રતિનિધિત્વ કરવા માટે મઠના આદેશો દ્વારા પણ સિંહનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે રાજાઓ પોતાને અજેય માનતા હતા, તેમના માટે મહેલના સ્તંભમાંથી નીકળેલા નરસિંહની વાર્તા પૌરાણિક ચેતવણીની ભૂમિકા ભજવે છેઃ ભગવાન સૌથી હોંશિયાર રાજાઓને પણ માત કરી દઇ શકે છે.

  • મુંબઈ મિરર માં ૨૬  જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, THE LION ON THE HILL  નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૨ માર્ચ ૨૦૨૫