બુધવાર, 21 મે, 2025

એકાકી પિતાઓ - દેવદત્ત પટ્ટનાઈક

 

એક દિવસ, ગામની બહાર ફરતાં ફરતાં, મત્સ્યેન્દ્રનાથે એક ખેડૂત -પત્નીને પોતાના ઘરની સામે રડતી જોઈ. તેમની દૈવી શક્તિઓથી મસ્ત્યેન્દ્રનાથને ખ્યાલ આવી ગયો કે સ્ત્રી નિઃસંતાન છે. તેમણે તેણીને મુઠ્ઠીભર રાખ આપી અને કહ્યું, "તે ખાઈ લે અને તું ગર્ભવતી થઈશ." મહિલાએ રાખ સ્વીકારી તો લીધી પણ થોડા સમય પછી તેને શંકા થઈ અને તે ગભરાઈ ગઈ. એટલે જ્યાં તેનો પરિવાર ખાતર બનાવવા માટે ગાયનું છાણ નાખતું હતું એ ખાડામાં તેણે એ રાખને ફેંકી દીધી . બાર વર્ષ પછી, મત્સ્યેન્દ્રનાથ તે જ ઘરની પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમણે એ સ્ત્રીને જોઈને કહ્યું, "તારો દીકરો ક્યાં છે? હવે તો તે લગભગ ૧૧ વર્ષનો થઈ ગયો હશે!"  મસ્ત્યેન્દ્રનાથને શું  જવાબ આપવો તે વિશે એ સ્ત્રી થોથવાવા લાગી. પણ તેના ચહેરા પરના ભાવથી બધું સમજાઈ જતું હતું.  "તેં તે રાખ ખાધી નથી, ખરું ને? તને મારી શક્તિઓ પર વિશ્વાસ નહોતો. હવે મને કહે કે તેં રાખ ક્યાં ફેંકી હતી." તે સ્ત્રી ઋષિને ગાયના છાણના ખાડા પાસે લઈ ગઈ. મત્સ્યેન્દ્રનાથે ખાતર ખોદ્યું તો અગિયાર વર્ષના એક સુંદર છોકરા તેમાંથી મળી આવ્યો.  "મેં તને આપેલી રાખ એટલી શક્તિશાળી હતી કે તે તારા ગર્ભની બહાર પણ તારા ગાયના છાણના ખાડામાં તે બાળકમાં પરિવર્તિત થઈ ગઈ. આ પુત્ર તારો પુત્ર હોત. પણ હવે, હું તેને મારો પુત્ર ગણીશ.. ગાયના ગોબરના ખાડામાં જન્મેલો હોવાથી, હું તેનું નામ ગોરખનાથ રાખું છું." ખેડૂતની પત્ની, જે હજુ પણ નિઃસંતાન હતી, તેણે ક્ષમા માંગી. ઋષિ ફક્ત હસ્યા અને પોતાના પુત્ર સાથે ચાલ્યા ગયા. તેમણે સંન્યાસીનું જીવન પસંદ કર્યું હતું, છતાં સ્પષ્ટપણે, તેમના પ્રભુ ઇચ્છતા હતા કે તે પિતા બને. ગોરખનાથ તેમના પિતાની જેમ એક મહાન નાથ-જોગી બન્યા, કેટલાક લોકોના મતાનુસાર તો કદાચ પિતાથી પણ તે વધુ શક્તિશાળી યોગી હતા.

આ કથાને કેવી રીતે જોઈ શકાય? શું તે જેને પત્ની ન હોવા છતાં પિતા બને એવા એકાકી પુરુષ (પિતા)ની કથા માત્ર  છે? પત્નીઓ વિના પિતા બનેલા પુરુષોની આવી કથાઓ હિન્દુ પૌરાણિક કથાઓમાં અવારનવાર જોવા મળતી રહે છે.

કૌરવો અને પાંડવોના મહાન ગુરુ દ્રોણને કોઈ માતા નહોતી. તેમના પિતા, ભારદ્વાજે એક અપ્સરા જોઈ અને એટલા ઉત્તેજિત થયા કે તેમનું સ્થળ પર જ વીર્યસ્ખલન થયું અને વીર્ય એક વાસણમાં પડી ગયું. એ વાસણમાં તે ટીપું એક બાળકમાં રૂપાંતરિત થયું, જેનું નામ દ્રોણ હતું. દ્રોણના પિતા કુંભાર હતા. દ્રોણનો ઉછેર તેમની માતા દ્વારા નહીં પણ એકલા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો.

દ્રોણનાં પત્ની, કૃપા અને તેના જોડિયા ભાઇ, કૃપ,નો જન્મ ત્યારે થયો જ્યારે શરદવન નામના બીજા ઋષિએ જનપદી નામની એક અપ્સરાને જોઈ અને નદીના કાંઠે ઉગેલાં રાડાંમાં તેમનું સ્ખલન થયું. દ્રોણની જેમ, આ ભાઈ બહેનના પિતા હતા, પરંતુ માતા નહોતી. પરંતુ તેમના પિતાને તેમના જન્મ વિશે ખબર નહોતી. હસ્તિનાપુરના રાજા શાંતનુએ એ બાળકોને શોધી કાઢ્યાં અને તેમનો ઉછેર કર્યો. તે સમયે તે શાંતનુ પણ એકલા હતા; તેની પહેલી પત્ની, ગંગા, તેને છોડીને તેઓના પુત્ર, દેવવ્રત,ને પોતાની સાથે લઈને જતી રહી  હતી તેમની બીજી પત્ની, સત્યવતી સાથે શાંતનુનો હજુ મેળાપ થયો નહોતો. બીજા શબ્દોમાં કહીએ તો, કૃપા અને કૃપને એક જ પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.

પ્રખ્યાત સુંદરી, શકુંતલાની માતા, મેનકા, એક અપ્સરા હતી જેણે મહાન ઋષિ વિશ્વામિત્રને મોહિત કરીને તપોભંગ કર્યો હતો. જેને પરિણામે તે ગર્ભવતી થઈ હતી. પરંતુ બાળ શંકુતલાને જંગલમાં મુકીને મેનકા પાછી ઈન્દ્રસભામાં જતી રહી હતી. વિશ્વામિત્રે એ બાળકને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેથી, બાળક જંગલમાં જ રહ્યું અને ગીધનાં ધ્યાન પર ચડી ગયુંકણ્વ નામના એક ઋષિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે આ ત્યજી દેવાયેલી બાળકીને શોધી કાઢી અને તેને પોતાની દત્તકપુત્રી તરીકે ઉછેરી. આમ, કણ્વ ઋષિ પણ એ બાળા, શકુંતલા, ના એકલ પાલક પિતા હતા.

આ બધી કથાઓ આપણી સમક્ષ એવી વૈકલ્પિક પરિવારો વ્યવસ્થા રજુ કરે છે, જ્યાં પિતા કોઈ પત્ની વિના બાળકો પેદા કરી શકે છે, અને એ એકલ પિતાનાં બાળકો પુખ્ત વયના સ્વસ્થ લોકો તરીકે મોટાં થાય છે.

  • મિડ - ડે માં ૨ જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Single fathers  નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૧ મે ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો