બુધવાર, 16 જુલાઈ, 2025

અહિંસક અનાદરનો ઉદય - દેવદત્ત પટ્ટનાઈક

મહાભારતમાં, કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન, યુધિષ્ઠિરને એક સમયે યુદ્ધભૂમિમાંથી પાછા હટવાની ફરજ પડે છે. અર્જુન તેના મોટા ભાઈની સાથે બધું બરાબર છે કે નહીં તે તપાસવા માટે તેના પાછળ જાય છે. યુધિષ્ઠિરને આ વાત પસંદ નથી પડતી. અર્જુનને તેમની પાસે રાવટીમાં રહે તેના યુદ્ધભૂમિમાં અર્જુનની હાજરીને યુધિષ્ઠિર વધારે મહત્વની ગણે છે. મોટા ભાઈ તેની ચિંતાને કાયરતા સમજીને ગુસ્સે થાય છે તેથી અર્જુન ગુસ્સે થાય છે. વાતાવરણ ગરમ થઈ જાય છે. ચડસા ચડસીમાં યુધિષ્ઠિર અર્જુનના ગાંડિવનું અપમાન કરી બેસે છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે મારામારી થઈ પડશે તે ડરથી, બન્ને જણા શાંત થઈ જાય એટલે કૃષ્ણ દરમિયાનગીરી કરે છે.

યુધિષ્ઠિરને તેના કઠોર શબ્દોનો પસ્તાવો થાય છે. અર્જુનને પણ તેના ક્રોધનો પસ્તાવો થાય છે. પરંતુ પછી, અર્જુનને એક પ્રતિજ્ઞા યાદ આવે છે. 'મેં ગાંડિવનું અપમાન કરનાર કોઈપણને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. શું મારે હવે મારા મોટા ભાઈને મારી નાખવા પડશે? મારા ભાઈને મારવાનો મને વિચાર પણ આવે છે, તો મારે પણ મરી જ જવું જોઈએ' એમ કહીને અર્જુન વિલાપ કરે છે. ત્યારે કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે, 'તું માર્યા વિના પણ મારી શકે છે. તારા ભાઈનું અપમાન કરવું એ તેમને મારી નાખવા બરાબર જ છે. તેમજ, પોતાની પ્રશંસા કરવી એ પોતાની જાતને મારી નાખવા જેટલું જ ખરાબ છે.’ આમ, કૃષ્ણ ‘અપમાન’ અને ‘પ્રશંસા’ ને શસ્ત્રોમાં ફેરવી નાખે છે.

આ કેવી રીતે શક્ય છે? આ માટે આપણે હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ શરીરની રચનાને સમજવી પડશે. માનવ ત્રણ શરીરમાં રહે છે: ભૌતિક શરીર (સ્થુળ શરીર), માનસિક શરીર (સૂક્ષ્મ શરીર) અને સામાજિક શરીર (કારણ શરીર). ભૌતિક શરીર આપણું હાડમાંસ અને આપણો શ્વાસ છે. આપણી જાત વિશે પ્રશંસાથી પોરસાતા અને અપમાનથી ઘવાતા આપણા ભંગુર અહંકાર સ્વરૂપ કેવી કલ્પના આપણે એ માનસિક શરીર છે.સામાજિક શરીરને કારણભૂત શરીર પણ કહેવામાં આવે છે, કારણ કે તે આપણું નસીબ અને આપણું દુર્ભાગ્ય જેવા આપણી આસપાસના સંજોગો બનાવવા માટે જવાબદાર છે: તત્વતઃ તે ‘આપણે જેવા છીએ' તે છે. આમ, આપણા ઘરો, ગાડીઓ, બેંક બેલેન્સ અને આપણું વિઝિટિંગ કાર્ડ, જે આપણને સમાજમાં દરજ્જો આપે છે, તેમજ આપણી સ્વ છબી પણ આપણા શરીરનો વિસ્તૃત ભાગ છે.

હિંસા ભૌતિક શરીરને નુકસાન પહોંચાડે છે. અનાદર અને અપમાન માનસિક અને સામાજિક શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે કોઈ આપણી સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર કરે છે અથવા ઇન્ટરનેટ પર આપણને ટ્રોલ કરે છે ત્યારે આપણે અપમાન અનુભવીએ છીએ. તેઓ આપણા માનસિક શરીર દ્વારા આપણા પર હુમલો કરી રહ્યા છે. જ્યારે કોઈ આપણા પૈસા ચોરી કરે છે, આપણી મિલકત પર અતિક્રમણ કરે છે, આપણી ગાડી પર ગોબા પાડી નાખે છે ત્યારે આપણે અપમાન અનુભવીએ છીએ. તેઓ આપણા સામાજિક શરીર દ્વારા આપણા પર હુમલો કરી રહ્યા છે. બીજાંનું અપમાન કરવું એ તેમની હત્યા કરવા બરાબર છે અને પોતાની પ્રશંસા કરવી એ આત્મહત્યા બરાબર છે એમ કહીને કૃષ્ણ અપમાનને હિંસા સાથે સરખાવે છે.

અહિંસાનો વૈશ્વિક સ્તરે સભ્યતાનાં પ્રતિક તરીકે મહિમા કરવામાં આવે છે. પરંતુ સૌથી સભ્ય સમાજમાં પણ બીજાને નુકસાન પહોંચાડવાની માણસ જાતનીવ ઇચ્છા ઓછી થઈ નથી. તેથી, આપણે હિંસાને અપમાનમાં બદલી કાઢીએ છીએ. હું તમને એક અલગ પ્યાલામાં પાણી આપું છું. હું તમને લાંબા સમય સુધી મારી ઓફિસની બહાર રાહ જોવડાવું છું. હું તમારો પગાર મોડો ચૂકવું છું. હું તમને વધારે કામ કરાવું છું અને તમારું શોષણ કરું છું અને કામ પર તમને અપમાનિત કરું છું. હું તમને મારા શૌચાલયનો ઉપયોગ કરવા દેતો નથી કે મારા સોફા પર બેસવા દેતો નથી. આવી બધી રીતે તમને મારવાને બદલે, હું તમને અપમાનિત કરું છું અને નીચા દેખાડું છું.

આ એવા અપમાનિત કરતાં કૃત્યો છે જે અહિંસક હોવા છતાં દુઃખ પહોંચાડે છે. હકીકતમાં, તેનાથી જે ઘા થાય છે તે વધુ ઊંડો હોય છે. આપણે ટીકાકારો અને ટ્રોલકરનારાંઓના વર્તનમાં અહિંસક રીતે લોકોને નુકસાન પહોંચાડવાની દાનત જોઈએ છીએ. રાજકારણીઓના ભાષણોમાં અને મિત્રો સાથેની ગપસપ અને ગુસ્સાવાળી દલીલો જેવી કેટલીય ઘટનાઓમાં આપણી આસપાસ બધે જ આવું જોઈએ છીએ. તે આપણા જલદ વ્યવહારમાં છે. તે આપણા કટાક્ષયુક્ત ચાબખાઓમાં છે. તે અસ્પૃશ્યતાના આપણા વિચારમાં છે.

હિંસાના કિસ્સાઓની જેમ, 'અહિંસક અપમાન' ઊંડા ઘા પેદા કરે છે. પરંતુ આ ઘા દેખાતા નથી કે તેની અસર માપી શકાતી નથી. તે આપણા વ્યક્તિત્વને અને વિશ્વ પ્રત્યેના આપણા વલણને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આખરે તો આવાં અહિંસક અપમાનો આપણાં અને આપણી આસપાસના લોકોના જીવન પર અસર કરે છે.

  • મિડ-ડે માં ૧૦ જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Rise of non-violent violation નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૬ જુલાઈ ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો