પશ્ચિમ જગત ભલે આતંકવાદની સામેની લડાઈને બિનસાંપ્રદાયિક અને
કટ્ટરવાદી તત્ત્વો વચ્ચેની લડાઈ ગણાવે, પણ
ઈસ્લામી જગત તેને જૂનાં ધર્મયુધ્ધોના નવા તબક્કા તરીકે જોતું હોય એમ બની શકે છે. આ
વાતને સમજવા માટે એકેશ્વરવાદના ઈતિહાસ પર એક ફેરનજર કરવી જોઈએ.
આ વાતનો તંતુ પ્રાચીન
મેસોપોટેમિયાથી શરૂ થાય છે, જ્યાં દરેક શહેરનો પોતાનો
એક દેવ હતો.શહેર દીઠ એક દેવને કારણે જૂદી જૂદી જાતિના લોકોને એકજૂથ કરવાનું શક્ય
બનતું હતું. જ્યારે શહેરોમાં આપસમાં લડાઈ થતી ત્યારે એવી જીત
એ શહેરના દેવની જીત ગણાતી અને હારી ગયેલ શહેરના દેવનો ક્યાં તો નાશ કરાતો કે પછી
તેને વિજયી શહેરના દેવની પરિષદનો ભાગ બનાવી દેવાતો. આમ મોટાં શહેરોની પરિષદોમાં
એકથી વધારે દેવો રહેતા, જે અલગ અલગ જાતિકે
વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કરતા અને સૌથી શક્તિશાળી જાતિનો,
સૌથી વધારે શક્તિશાળી, દેવ પરિષદની
અધ્યક્ષતા કરતો.
લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં, ઊર
નામનાં શહેરમાં ઈબ્રાહીમ (કે, અબ્રાહમ)ને દર્શન
થયું. તેના પિતા અઝર લાકડાં અને પથ્થરી મૂર્તિઓ બનાવીને શહેરમાં વેંચતા. આવી
મૂર્તિઓ દેવો હોઈ શકે એ વાત ઈબ્રાહીમને
ગળે નહોતી ઉતરતી. જે લોકો જાતે પાણી ન પી શકતા હોય એ માનવજાતની તરસ ક્યાંથી છીપાવી
શકવાના હતા ! તેના પિતા સાથે જ્યારે તે બહુ દલીલમાં ઉતરી પડતો ત્યારે આવા ઉદ્દામ
વિચારો માટે તેના પિતા તેને પથ્થરો મારી મારીને કે જીવતો સળગાવીને મારી નાખવાની
ધમકી દેતા. એક વાર, પિતાની મૂર્તિપુજાથી
તંગ આવી જઈને ઈબ્રાહીમે પિતાએ ઘડેલી બધી મૂર્તિઓ તોડી નાખી અને જેની પ્રતિભાને કોઈ
આકારમાં સમાવી ન શકાય એવા, નિરાકારી, એકમાત્ર
ઈશ્વર, અલ્લા,ની
ખોજમાં ભાગી નીકળ્યો. આમ એકેશ્વરવાદનો જન્મ થયો.
ઈબ્રાહિમને સારા નામે
પત્ની હતી, પણ તેઓને કોઈ સંતાન નહોતું. એક દેવદૂતે આવીને
વરદાન આપ્યું કે સારાને પુત્ર થશે. સારા મનમાંને મનમાં હસી, કેમકે
તે તો માતૃત્વ ધારણ કરવાની વય વટાવી ચૂકી હતી. તેણે ઈબ્રાહિમને ઘરે કામ કરનારી
હૅગારને અપનાવી લેવા સૂચવ્યું. હૅગરને ઈબ્રાહીમથી પુત્ર થયો જેનું નામ ઇશ્માએલ
રખાયું. તે પછી થોડા સમયે, ઊંમર વીતી જવા છતાં
સારાને ગર્ભ રહ્યો અને તેણે આઈઝૅકને જન્મ આપ્યો. આમ એબ્રાહમના ઈશ્વરમાં શ્રધ્ધા ન
હોવા છતાં સારાને તેની શક્તિ, તેની કૃપાદષ્ટિ અને
તેના રોષનો પરચો થયો. એબ્રાહમના ઈશ્વરે સારાને મા બનાવી, પણ
સારાનો પુત્ર હૅગારના પુત્રથી નાનો રહે અને તેને પ્રણામ કરવાં પડે એવું ગોઠવ્યું.
તેમ છતાં સારાએ શાંતિને બદલે માનને અગત્ય આપ્યું અને અબ્રાહમને કહ્યું કે હૅગર અને
તેના પુત્રને કાઢી મૂકે. હૅગાર રણમાં જતી રહી અને તરસની મારી મૃત્યુ પામી હોત, પણ
અલ્લાએ તેને એક કૂવો બતાવ્યો જેનું નામ ઝમ
ઝમ હતું. પછી, અલ્લાના આદેશથી ઈબ્રાહિમ હૅગારને મળવા આવ્યો
અને ઈશ્માએલની મદદથી અલ્લાના માનમાં, ઝમ
ઝમથી બહુ દૂર નહીં એવું, કાબા
બાંધ્યું, જેની આસપાસ મક્કા શહેર વસવાનું હતું.
ઈશ્માએલના વંશજો આરબ કહેવાયા જે એરેબિયામાં ફેલાઈ ગયા. આઈઝૅકના
વંશજો યહુદીઓ કહેવાયા જેઓ ઈજીપ્તમાં વસ્યા. ત્યાં ફેરોએ છેવટે તેમને ગુલામ બનાવી
નાખ્યા. ત્રણ હજાર વર્ષ પહેલાં યહુદીઓમાં મુસા દેવદૂત તરીકે થયો . તેણે યહુદીઓને ગુલામીમાંથી
મુક્ત કર્યા અને લેવન્ટમાં વરદાયિત ભૂમિ તરફ લઈ
ગયો. અહીં વર્ષોની રઝળપાટ પછી બાર યહુદી જાતિઓએ ઈઝરાયેલ રાજ્યની સ્થાપના
કરી જેની રાજધાની યેરુશાલેમમાં પ્રસ્થાપિત થઈ. શાઉલ, ડેવિડ
અને સોલોમન જેવા અનેક રાજાઓ પછી યહુદી સામ્રાજ્ય
પડી ભાંગ્યું અને યહુદી જાતિઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ.
બે હજાર વર્ષ પહેલાં રાજા ડેવિડનો એક વંશજ જિસસ આગળ આવ્યો.
ઈશ્વર માત્ર ચોક્કસ પસંદનાં અનુયાયીઓની જ સંભાળ લે છે, કે
તે પૂર્ણ અજ્ઞાપાલન માટે કડક આગ્રહ રાખે એવા પિતા છે, એવા
પરંપરાગત યહુદી વિચારોનો તેણે અસ્વીકાર કર્યો. તેનું કહેવું હતું કે ઈશ્વર એવા પ્રેમાળ પિતા છે જે નિયમોના ભંગ
કરનાર સુધ્ધાં બધાંને પોતાને ઘેર આવકારે છે. આવા ઉદ્દામ વિચારોએ યહુદી ધર્મગુરુઓને
એટલા અસ્વસ્થ કરી નાખ્યા કે તેમણે જિસસને કેદ કર્યો અને ખિલ્લા ઠોકીને વધસ્થંભ પર
શૂળીએ ચડાવી દીધો. તેના અનુયાયીઓનું કહેવું છે અવસાનના ત્રીજા દિવસે તેણે પોતાને
સજીવન કર્યો અને વચન આપ્યું કે જ્યારે અતિ હર્ષોલ્લાસને દિવસે વિશ્વનો અંત થતો હશે
ત્યારે તે ફરીથી આવશે અને આસ્થાળુ અનુયાયીઓને તેમના પરમપિતા - પરમાત્મા- નાં
રાજ્યમાં લઈ જશે.
અનુયાયીઓનું એમ પણ કહેવું છે કે જેણે મૃત્યુને અવગણ્યું, જેનાં જોસેફ
સાથે સાથે લગ્ન થવાનાં હતાં એવી મેરી નામક
કુમારિકાએ તેની કૂખે વિશુદ્ધ પણે ગર્ભાધાન કર્યું. તેમણે એ બાળકને ઈસુ ખ્રિસ્ત
કહ્યો જે ઈશ્વરે મોકલેલો મસીહ હતો અને માનવજાતનાં પાપોની પીડા સહન કરવા જન્મ્યો
હતો. તેમના શબ્દો ધર્મસૂત્ર બની ગયા અને તેઓને
ધર્મદૂત માનવામાં આવ્યાં. ઈસુએ જે કંઈ કહ્યું તે વિષેની તેમની કથાઓ અને અર્થઘટનો
પૂર્વને બદલે પશ્ચિમમાં, પહેલાં રોમન ગુલામો, પછી
રોમન ઉમરાવો અને છેવટે રોમન રાજપરિવારમાં,
વધારે લોકપ્રિય થયાં. આમ બહુઈશ્વરવાદી રોમન સામ્રાજ્ય
એકેશ્વરવાદી પવિત્ર રોમન સામ્રાજ્યમાં પરિવર્તિત થયું. દોષદર્શીઓનું કહેવું છે કે
પોતાનાં ટૂટતાં જતાં સામ્રાજ્યને બાંધી રાખવા માટે સમ્રાટ પાસે ધર્માંતરણ જ એક
માત્ર માર્ગ હતો. પણ ખ્રિસ્તી જગત એકજૂથ નહોતું. પૂર્વનાં બાયઝન્ટીઅમમાં વસતાં
ખ્રિસ્તી લોકોએ રોમ પ્રતિ વધારે રાજનિષ્ઠ પશ્ચિમનાં ખ્રિસ્તીઓથી ચાહીને અલગ
પડવાનું નક્કી કર્યું.
તે પછી, લગભગ
૧૫૦૦ વર્ષ પહેલાં જિબ્રીલ નામક એક ફરિસ્તાએ મુહમ્મદ નામના એક વેપારી સાથે સંપર્ક
કર્યો અને તેને ઈશ્વરના શબ્દોનો પાઠ કરવા કહ્યું. આવા અનેક વાર્તાલાપોમાંથી
મુહમ્મદને ક઼ુરાનથી અવગત કરાયા. મુહમ્મદને માનવ જાતને સાચી રાહ પર લાવી આપનાર આખરી
પયગંબર તરીકે ઓળખવામાં આવ્યા. તેમને એક અશ્વ પર બેસાડીને સ્વર્ગમાં પણ લઈ જવામાં
આવ્યા, જ્યાં તેમને મુસ્લિમ બનવા માટેનો સાચો માર્ગ
બતાડવામાં આવ્યો. એ પછીથી દુઆનમાઝ યેરૂશાલેમની તરફ જોઈને નહીં પણ મક્કા તરફ જોઈને
અદા કરવાની થઈ. પયંગબરના સમયમાં અરેબીઆમાં ઇસ્લામ એક પ્રભાવશાળી શક્તિ તરીકે
વિકસ્યો. એમના મૃત્યુ પછી તરત જ મુસ્લ્મિમોમાં સુન્ની અને શિયા એમ બે મુખ્ય ભાગ
પડી ગયા. સુન્નીઓ મુહમ્મદ પયંગરના સસરાએ ચીંધેલી રાહ પર ચાલનારા અનુયાયીઓ હતા
જ્યારે શિયાઓએ મુહમ્મદ પયંગબરના જમાઈએ ચીંધેલ રાહ અપનાવી. આ ભાગલા પડવા છતાં પણ
આશ્ચર્યજનકપણે ઈસ્લામનો એરેબીઆમાંથી પર્શિયા, ત્યાંથી
આફ્રિકા અને પછી એશિયા અને ય્રુરોપમાં બહુ ઝડપથી પ્રસાર થયો. ખ્રિસ્તી યુરોપમાં
પહોંચતી વખતે તેનો બહુ આકરો સામનો થવા લાગ્યો.
લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં
આ અવરોધ આખરે શ્રેણીબધ્ધ યુધ્ધોમાં ફેરવાઈ ગયો. ક્રુસેડ્સ તરીકે ઓળખાયેલાં આ
ધર્મયુદ્ધોની આગેવાની મધ્ય યુરોપે લીધેલી. તેનો મુખ્ય આશય તો મુસ્લિમોના કબજામાં
રહેલ લેવન્ટની પવિત્ર ભૂમિ, અને તેમાં ય ખાસ તો યેરૂશાલેમ
શહેર પર ફરીથી કબજો મેળવવાનો હતો. આ ધર્મયુધ્ધો સદીઓ સુધી ચાલુ રહ્યાં, અને
આજથી પાંચસો વર્ષ પહેલાં કોન્સ્ટન્ટીનોપલના પતન પછી અટક્યાં. એ સાથે મુસ્લિમો, ખાસ
તો ઑટોમન સમ્રાટ,ને પૂર્વના શાસકો સ્થપિત થયા જ્યારે
ખ્રિસ્તીઓએ પશ્ચિમ પરનાં આધિપત્ય પૂરતો સંતોષ માની લેવો પડ્યો.
છેલ્લાં ૫૦૦ વર્ષમાં
જ્ઞાન, ઔદ્યોગિકીકરણ, સંસ્થાનીકીકરણ
અને છેલ્લે મૂડીવાદને કારણે ખ્રિસ્તી ગર્વની ભાવના ફરીથી બેઠી થઈ. તેણે વિશ્વની
દિશા જ ધરમૂળથી બદલી નાખી. અમેરિકા અસ્તિત્વમાં આવ્યું, સંસ્થાનોની
જગ્યાએ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રો બન્યાં. જો કે આ પ્રક્રિયા દરમ્યાન ૨૦મી સદીમાં બે
મહાવિનાશક વિશ્વ યુધ્ધો પણ લડાયાં. આ વિશ્વ યુધ્ધોનાં લાંબા ગાળાનાં પરિણામો પૈકી
મહત્વનું એક હતું ઓટ્ટોમન સામ્રાજ્યનું નાનાં નાનાં મુસ્લિમ રાજ્યોમાં અને એક
યહુદી રાષ્ટ્ર - ઇઝરાયેલ-માં વિઘટન.
એક સમયનાં મુસ્લિમ ઓટ્ટોમન રાજયની ભૂમિ પર ઇઝરાયેલની રચના
કરવાને ઘણા મુસ્લિમો ધર્મયુધ્ધોમાં ખ્રિસ્તીઓને મળેલી હારના બદલા સ્વરૂપે જૂએ છે.
જે ખ્રિસ્તીઓએ ઈસુ ખ્રિસ્તના હત્યારાઓ ગણીને યહુદીઓને સદીઓ સુધી સતાવ્યા હોય તેમને
વધારે પડતી મદદ કરવાનો પ્રેમ ઊભરાઈ આવવું મુસ્લિમોને ગળે નહોતું ઉતરતું. કે પછી
જર્મનીના શાસક નાઝીઓના હાથે લાખો યહુદીઓની થયેલી, ઠંડે
કલજે કત્લેઆમનો પસ્તાવો થયો હોઈ શકે. અથવા તો વિશ્વયુધ્ધમાં નબળાં પડેલાં યુરોપિયન
રાષ્ટનો હાથ મરડીને યહુદી બેન્કરોએ સદીઓએ સુધી પોતાનાં ઘર વગર ભોગવેલી યાતનાઓને
કારણે પ્રબળ બનેલ અલગ યહુદી રાષ્ટની ઈચ્છાપૂર્તિ કરી હોય.
યહુદી રાજ્યના ઉદય અને
યુરોપ-અમેરિકાની વાણિજ્યિક સત્તાના મધ્ય-પૂર્વમાં હસ્તક્ષેપ - ખાસ તો કાળાં સોના
જેવા તેલના ભંડારો પરના અંકુશ-ને પરિણામે ઈસ્લામી કટ્ટરવાદ ઉછરતો ગયો. આ વર્ગને
માટે જે કંઇ આધુનિક (એટલે આમ તો પાશ્ચાત્ય) હતું
તે નહોતું ખપતું. આ રૂઢીચુસ્ત ભાવના ઈરાનમાંથી ધીમે ધીમે જ્યાં જ્યાં મુસ્લિમ
વસ્તી છે તે બધાં રાષ્ટ્રોમાં પ્રસરતી ગઈ. ભલે વિધિસર સ્વીકાર ન કરાય, પણ
અખાતી યુધ્ધ કે અફઘાન લડાઈ કે હવે આઈએસઆઇએસ સામે સજ્જડ વિરોધ એ મધ્યકાલિન
ધર્મયુધ્ધનાં આજના સમયનાં સ્વરૂપ તરીકે ઘણાં લોકો જૂએ છે. પશ્ચિમના દેશો ભલે
સ્વીકારે નહીં, પણ મુસ્લિમ વિશ્વ માટે રેશનાલિટી, ઉદારમતવાદ
કે લોકશાહી એ તેમના જૂના ખ્રિસ્તી શત્રુઓના નવા અવતાર છે.
§
www.dailyo.in માં ૨૫ સપ્ટેમ્બર ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, New avatar for old crusadesનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો