શુક્રવાર, 3 ડિસેમ્બર, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : પીટરના ઉપાયનિર્દેશ

 ધાર્યા હેતુ માટેની સાચી દિશા કેમ બનાવ્યે રાખવી

પીટર સિદ્ધાંત પ્રસ્થાપિત કરતી વખતે તૈયારીરૂઓ સંશોધનો કરતી વખતે ડૉ. લૉરેન્સ જે પીટરના નોંધવામાં આવ્યું હતું કે સભ્યતાના વિકાસ દરમ્યાન માનવીએ જે કંઇ પ્રગતિઓ કરી છે તેને તેઓ જેને સ્તરીકરણ / hierarchy’ કહે છે તેવા કોઈ ને કોઈ વર્ગમાં વહેંચી નાખીને છેવટે તો અસુખો જ વધાર્યાં છે. 


પીટર સિદ્ધાંતનાં સ્વર્વવ્યાપી અસ્તિત્ત્વને કારણે જે આડ અસરો થઇ છે તે સમજાવાથી તેમણે એવા ઉપાયનિર્દેશો પર કામ કર્યું જે 'વ્યક્તિગત પરિપૂર્ણતા અને વાસ્તવિક સિદ્ધિઓના આનંદ તરફ દોરે.' તેઓ સંન્નિષ્ઠપણે દાવો કરે છે કે આ ઉપાયનિર્દેશોનો હેતુ 'અક્ષમતાને નીવારીને તમારાં શ્રેષ્ઠ સામર્થ્યોને પરિપુર્ણ કક્ષાએ સિદ્ધ કરીને જીવનનાં દરેક પાસાંમાં ખુશી લાવવાનો છે'. તેઓ એમ પણ રજુઆત કરે છે કે ખરી પ્રગતિ ઉપર તરફ વધવામાં નહીં પણ આગળની તરફ જવામાં છે.

(૧૯૭૨માં પહેલવહેલીવાર જે શીર્ષકથી પ્રકાશિત થયેલ તે) પુસ્તક, The Peter Prescription: How To Be Creative, Confident and Competentના મુખ્ય મુદ્દાઓને રજુ કરતાં સારાંશના પાનાંની તસવીરથી જોઈ શકાય છે કે પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.


દરેક ભાગને આ મુજબ અલગ અલગ પ્રકરણોમાં વહેંચી દેવાયેલ છે –

Introduction

 

1. Incompetence treadmill

 

 

Onward and upward

 

Sex and society

 

Hierarchal regression

 

The mediocracy

2. Protect your competence

 

 

Know thyself

 

Know thy hierarchy

 

Know thy direction

 

Know thy defences

3. Manage for competence

 

 

The competence objective

 

The rational process

 

The gift of prophecy

 

The compensation miracle

Au Revoir.

 

'પીટરનો સિદ્ધાંત' કરતાં આ પુસ્તકનો સુર એકંદ્રે ગંભીર છે, અને 'પીટરના સિધ્ધાંત'માં વર્ણવાયેલ અક્ષમતાની વિભાવનાથી તે આગળ અને ઊંડે પણ જાય છે. જોકે જે પારખી શકે તેના માટે તેમાં સુક્ષ્મ હાસ્ય પણ છે તો ખરૂં, પણ તેનો મુખ્ય આશય જે કોઈ અક્ષમતાને નીવારવા ધારતું હોય, સુખ ખોળવા માગતું હોય અને બહેતર વિશ્વ બનાવવા માગતું હોય તેને તે માટેનો વાસ્તવિક કાર્યક્રમ સમજાવવાનો છે.

પુસ્તકમાંનાં હાસ્યને માણવા માટે તો આખું પુસ્તક જાતે જ વાંચવું પડે.

આપણે અહીં પુસ્તકના મુખ્ય મુદ્દાઓને સંક્ષિપ્તમાં રજુ કરેલ છે.

પહેલા ભાગમાં જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રોમાં કેવાંકેવાં વિવિધ સ્વરૂપે અક્ષમતા જોવા મળે છે તે રજુ કરાયું છે.

બીજા ભાગમાં તમારી ક્ષમતાને સાચવી લેવા માટેના પીટરના ૨૫ ઉપાયનિર્દેશો રજુ કરાયા છે. દેખીતી રીતે તો આ નિયમો બહુ સીધ આને સરળ દેખાય છે. પરંતુ તેમનું વિગતે વાંચન કરવાથી તેમને જીવનમાં ખરેખર ઉતારવાનું મહત્ત્વ કેટલું છે તે સમજાય છે. લેખક તો સ્પષ્ટપણે દાવો કરે જ છે કે રોજબરોજનાં જીવનમાં આ નિયમોના સમજપૂર્વક અમલ વડે , પ્રવર્તમાન સંજોગોના દાયરામાં રહીને , પણ તમારી પોતાની શરતોએ, જીવનમાં મહત્તમ આનંદ અને શાંતિ મેળવી શકાય છે, લેખક જણાવે છે કે ૨૩થી ૨૫ નંબરના ઉપાયનિર્દેશો ત્યારે જ અમલમાં લાવવા જોઇએ જ્યારે  નોકરી (વ્યવસાય) કે ક્ષમતા જોખમમાં હોય. સહજપણે રજુઆત કરતાં કરતાંજ લેખક મુદરતની અવળચંડાઈના નિયમ (The Law of Perversity of Nature)ને અચુકપણે યાદ રાખવાનું આપણને કહેતા જાય છે.


ત્રીજા ભાગમાં સુચવાયેલા ઉપાયનિર્દેશો સંચાલન કૌશલ્યોમાં એવી સુધારણો સુચવે છે જેનાથી પોતાની સાથે બીજાંઓને પણ અક્ષમતા નીવારવામાં મદદ થઈ શકે. આવા બીજા ૩૬ ઉપાયનિર્દેશો આ ભાગમાં રજૂ કરાયેલ છે. અહીં પંણ જે ઉપાયનિર્દેશ સુચવવામાં આવ્યા છે તે કોઈ પણ સંચાલક તેની રોજબરોજની જિંદગીમાં સામાન્યતઃ આવી બાબતોનું ધ્યાન તો રાખતો જ હોય એવું દેખીતી રીતે જણાશે. પરંતુ દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો અક્ષમતાની સીમાએ પહોંચી જ જતો હોય તો એનો અર્થ એમ ચોક્કસ કરી શકાય કે વાસ્તવિક જગતમાં આ ઉપાયનિર્દેશોમાં સુચવેલ બાબતોનું ક્યાંક પણ તો પાલન  નથી  જ થતું. એટલા પુરતું આ પુસ્તકને 'જાતે-મદદ કરો' કક્ષાનું પુસ્તક ન ગણવા જેવું લાગે તો પણ રોજબરોજના વહેવારોમાં આપણે ક્ષમતા જાળવવા તેમજ એ સંદર્ભમાં આપણી સંચાલન વ્યવસ્થાઓમાં, ભલે કદાચ અજાણ્યે પણ, કેવી સામાન્ય, પણ મહત્ત્વની, કચાશ છોડી દેતાં રહ્યાં છીએ તેની સામે લાલ બત્તી તો ગણવું જ જોઈએ.

પુસ્તકના અંતમાં ખુબ ગહન વિચારોમાં ઉતરી જઈને લેખક પીટરની યોજનાનું નિરૂપણ કરે છે. એ યોજનાનું પહેલું પગથિયું પીટરના ઉપાયનિર્દેશોનો ઉપરની તરફ ઘુમરાતાં વંમળોને પાછાં ફેરવવામાં કરવાનું છે.


આખરે પુનઃરચનાનું આયોજન કરીને સમગ્ર સમાજને અક્ષમતાની ગર્તામાંથી બચાવવાના અંતિમ હેતુ માટે તે એક મહત્ત્વનું સાધન છે.


ડો. પીટર જે લૉરેન્સ તો માનવજાતને બચાવવાની 'નમ્ર' પ્રેરણાની ધુણી ધખાવીને બેઠા છે.


કદાચ, દરેક 'સરેરાશ માણસ' આવી મહેચ્છા ન ધરાવી શકે. પરંતુ, તે સંસ્થાનાં જે સ્તરે તે મુકાય તે સમયના સંજોગોને અનુરૂપ રહીને પોતાની મૂળભુત, આગવી, લાક્ષણિક ક્ષમતાને તો જાણી શકે અને તેમ કરીને જાળવી તો શકે ને! એ માટે તેણે જીવન પર્યંત શીખતા રહેવા માટે તૈયાર થવાનું છે.માત્ર અક્ષમતાનાં તુંબડે આ જીવનની વૈતરણી કંઈ થોડી જ તરી જવાશે !

+                +                +

નોંધ: અહીં રજુ કરેલ આકૃતિઓ અને વિચારકણિકાઓ 'પીટર પ્રિસ્ક્રિપ્શન' પુસ્તકમાંથી સાભાર લીધેલ છે.

+                +                +                +                +

પીટરના સિદ્ધાંત અને તેને લગતા મૅનજમૅન્ટના અન્ય નામસ્રોતીય સિદ્ધાંતોની આ સફર જીવન પર્યંત શીખતા રહેવાના અગ્નિને પેટાવવા માટેનો એક તણખો બની રહેશે એ આશા સાથે….

અસ્તુ….



'પીટરનો સિદ્ધાંત અને તેને લગતા મૅનજમૅન્ટના અન્ય નામસ્રોતીય સિદ્ધાંતો'ના અલગ અલગ પ્રકાશિત થયેલ લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં હાયપર લિંક પર ક્લિક કરીને વાંચી / ડાઉનલોડ કરી શકાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો