શુક્રવાર, 17 મે, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૯




#91 "મને ખબર નથી" કહેવામાં ખચકાટ ન અનુભવીએ

| જાન્યુઆરી ૧૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

કાયમ “મને ખબર નથી" કહેવાનાં પણ જોખમ છે, તો ક્યારે પણ "મને ખબર નથી" એમ ન કહેવામાં પણ જોખમ તો છે જ.

બન્ને અંતિમો જ કહી શકાય. પહેલા કિસ્સામાં કૌશલ્ય અને ક્ષમતાની વાત છે, તો મોટે ભાગે, બીજા કિસ્સામાં "અહંકાર"ની વાત છે.આપણે આજે બીજા કિસ્સા પર ધ્યાન આપીશું.

મોટા ભાગનાં લોકોને "મને ખબર નથી" એવું કહેવું સ્વિકાર્ય નથી હોતું, અને તે પણ, બીજાંની સરખામણીમાં, અગ્રણીઓની બાબતે તો ખાસ. ઘણીવાર અગ્રણીઓ એવું માનવા પ્રેરાઇ જતાં હોય છે કે, તેઓ અગ્રણી છે તેથી તેમના અન્ય સહયોગીઓ જે કોઇ સમસ્યા તેમની પાસે રજૂ કરે, તેનો ઉકેલ તેમની પાસે હોવો જ જોઇએ. માત્ર એટલું જ નહીં, પણ તેઓ એવું પણ માનતાં હોય છે કે તેમની પાસે એ ઉકેલ , હંમેશાં, હાથવેંત જ હોવો જોઇએ. એટલે, ઉકેલ ખબર નથી તેવું સ્વિકારવાને બદલે, તેઓ કંઇ ને કંઇ જવાબ 'ઘડી' કાઢે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ અગ્રણીઓ 'સ્માર્ટ' તો હોય જ છે, એટલે તેઓ ઝડપથી જવાબ સુઝાડી શકે છે, અને તે ઠીક ઠીક 'સારો' પણ હોય છે. હા, પણ, તે 'મને ખબર નથી' કહેવા બરાબર તો નથી જ હોતું.

જ્યારે પણ આપણે 'મને ખબર નથી' એવું કહેતાં હોઇએ છીએ, ત્યારે જવાબ 'બનાવી’ કાઢવાને કારણે ઉભી થતી જવાબદારીઓની સરખામણીમાં કેટલી ય નવી જવાબદારીઓની શક્યતાઓ ઊભી કરતાં હોઇએ છીએ. જેવું આપણે "મને ખબર નથી" કહીએ, એટલે સહુથી પહેલું તો આપણાં મનમાં, આ વિષયમાં આપણાથી વધારે જાણકાર વ્યક્તિ પાસેથી મદદ માગવાનો વિચાર આવે છે. બીજો વિકલ્પ છે, પુસ્તકો, ઇન્ટરનૅટ કે પ્રશિક્ષણ શિબીર કે એવા અન્ય સ્ત્રોતની મદદથી એ વિષય બાબતે વધારે શીખવાનો. ટુંકમાં, "બનાવી કાઢવા'ને બદલે, આપણે 'નવું શીખવા'ની કક્ષામાં આવી જઇએ છીએ. 'બનાવી કાઢવા' વાળા વિકલ્પમાં માત્ર ઉતરતી ગુણવતાવાળો ઉકેલ શોધી કાઢવાનું જોખમ તો છે જ, પણ તે ઉપરાંત જે કંઇ 'બનાવી કાઢ્યું' છે તેનો બચાવ કરતાં રહેવાનું તો આવી જ પડે છે. આ તો પત્તાંનો મહેલ બનાવવા જેવું પરવડે છે. આપણે જે કંઇ 'બનાવી કાઢ્યું' તે જો જામ્યું નહી તો, તે વખતે તો નીચાજોણું થાય જ, પણ તે પછીથી જ્યારે પણ આવા 'હાજર જવાબી' ઉપાયોના બચાવ કરતી વખતે ભોં ભારી પડી જતી હોય છે.

જો થોડું ગંભીરતાથી, લાંબું વિચારીશું, તો સમજાશે કે 'બનાવી કાઢવા'માં બહુ ફાયદા નથી.

અને છેલ્લે, "મને ખબર નથી" કહેવાથી આપણે કોઇ પણ દ્રષ્ટિએ નાનાં નથી થઇ જતાં. જો આપણી ટીમ નાના થઇ જવાના વિચારનો અભિગમ ધરાવતી હોય, તો એ ટીમ અંગે પણ ફેર વિચારણા કરવી જોઇએ.આપણી ટીમ નવું શીખવાની જરૂર છે તે સ્વિકારવામાં નાનપ અનુભવે તે પરિસ્થિતિ, લાંબે ગાળે, બધાંને માટે હિતાવહ અને શ્રેયકારક નથી. પહેલેથી જ આવી ટીમની પસંદગી ન થાય તે વિશે સચેત રહીએ.


#92 આપણે કોની સાથે વધારે સમય વીતાવીએ છીએ તે અંગે સચેત રહીએ 
                                                                                                                              | જાન્યુઆરી ૧૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

થોડા સમય પહેલાં મારે ઈગલ ઇન્સ્ટિટ્યુટના ડૉ. ટૉમ હિલને મળવાનો સુયોગ થયો હતો. ટૉમ હિલ વિશે થોડી મહત્વની જાણકારી - તેઓ ૭૦ વર્ષના છે.તેઓ ૫૦ વર્ષના થયા ત્યાં સુધી તો તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. ૫૦ વર્ષની ઉમરે તેમણે રી/મેક્ષ ફ્રેંચાઇઝ વેંચવાનો વેપાર શરૂ કર્યો. પછીના દસ વર્ષમાં તેમણે ત્રણ બીલીયન ડૉલરનાં કુલ વેંચાણોનાં સ્તરના વેપાર ઉભા કર્યા.

અમારાં ગ્રૂપ સાથે તેમણે ઘણા વિષયો પર વાત કરી, પણ એક વિષય બહુ જ ધ્યાનાકર્ષક હતો. તેમણે અમને અમે જેમની સાથે સહુથી વધારે સમય વ્યતિત કરતાં હોઇએ એવી (પોતાનાં કુટુંબીજનો સિવાયની) ૧૦ વ્યક્તિઓની યાદી બનાવવાનું કહ્યું. તેમનો કહેવાનો મુદ્દો એ હતો કે મોટા ભાગે, ઘણી બાબતોમાં આપણે એ વ્યક્તિઓની 'સરેરાશ' જેવાં જ હશું. આજનો લેખ આ વાત પર છે.

આપણે જેમની જોડે સહુથી વધારે સમય વ્યતિત કરીએ છીએ તેની અસર, આપણે શું છીએ અને શું બનવા જઇ રહ્યાં છીએ, તેના ઉપર બહુ જ થતી હોય છે. એ માટેનાં કારણો -

૧. વિચાર અમલ ની આગળ ચાલે છે

૨. આપણા સામાન્ય વિચારો પર આપણા પ્રભાવકારી સંવોદોની બહુ ઘણી અસર થતી હોય છે

૩. સામાન્યતઃ, આપણી વાતચીત આપણી ખુદની સાથે, અથવા તો આપણી આસપાસ રહેલ વ્યક્તિઓ સાથે, થતી રહેતી હોય છે

૪. જેમની સાથે આપણે સહુથી વધારે સમય પસાર કરીએ છીએ તેઓની આ સંવાદ પર ઘણી વધારે અસર થતી હોય છે.

ટુંકમાં, આપણે જેમની સાથે સહુથી વધારે સમય પસાર કરીએ છીએ, તે આપણી નિયતિ પર બહુ વધારે અસર કરે છે. આજની તારીખે, આપણાં જીવનમાં કોણ છે એ લોકો? એ યાદીમાં કોનો ઉમેરો કરવો જોઇએ?

મારૂં એમ જરા પણ કહેવાનું નથી કે જેમની સાથે મોજ મસ્તી કરી શકીએ એવાં મિત્રો ન હોવાં જોઇએ. ખરૂં ડહાપણ એ નક્કી કરવામાં છે કે જીવનમાં કેટલી મોજ અત્યારે માણી લેવી અને કેટલી ભવિષ્ય માટે બાકી રાખવી .

#93 ક્યારેક, પોતાનો વિરોધ પણ કરવો જોઇએ!
| જાન્યુઆરી ૧૬, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
બીજી રીતે કહીએ, તો જ્યારે આપણે તદ્દન ખોટાં હોઇએ, તો સીધે સીધું સ્વિકારી લેવું જોઇએ!

દરેક વખતે આપણે સાચાં જ હોઇએ તેવું તો ન બને. હું ઘણાં લોકોને પૂછું છું કે આવતે વર્ષે જો તેઓ ખાસ ધ્યાન રાખે તો શું તેમના ૧૦૦% નિર્ણયો સાચા પડશે ખરા. હજુ સુધી મને એવું કોઇ નથી મળ્યું જેમણે જવાબ 'હા'માં આપ્યો હોય.એટલે કે, ધાર્યાં પરિણામો ન લાવી શકે એવા થોડા ઘણા નિર્ણયો થવાના તો ખરા જ.

એનો અર્થ એમ પણ નહીં કે નિર્ણય લેતી વખતે જ આપણે કહી શકીએ કે આ નિર્ણયનું ધાર્યું પરિણામ નહીં આવે.આપણે તો બધા સાચા નિર્ણય જ લેવા હોય. નિર્ણય લેતી વખતે ઘણાં પરિબળો કામ કરતાં હોય છે, જેમ કે, એ સમયની આપણી સમજ, આપણું જ્ઞાન, આપણી બુધ્ધિ, તે સમયના સંજોગો, વગેરે. આપણે જ્યારે નિર્ણય લઇ લઇએ કે કોઇ એક અભિપ્રાયની ભૂમિકા સુધી પહોંચીએ, તે સમયે નવા સંજોગો કે નવી માહિતિઓ કે નવી નિવિષ્ટ સામગ્રી કે નવા દ્રષ્ટિકોણ ધ્યાન પર આવે, જેને પરિણામે આપણો પહેલાંનો નિર્ણય કે અભિપ્રાય બરાબર ન હતો તેવો ખયાલ પણ આપણને આવી જાય.એ સમયે સહુથી સરળ [કે મુશ્કેલ?] વિકલ્પ તો એ જ છે કે આપણી ભૂલ સ્વિકારી લેવી અને નવેસરથી નિર્ણય પ્રક્રિયા કરવી. પણ આમ કરવામાં ઘણા લોકોના અહંકારને ઠેસ પહોંચતી હોય છે. સાચાં કે વજૂદવાળાં કારણોસર ખોટો,(ભૂલ ભરેલો), નિર્ણય કે અભિપ્રાય બદલવાના સંજોગ ઊભા થાય, તો આપણી જ વાતનો વિરોધ કરવા માટેની હિંમત એકઠી કરીને પણ સુધારો તો કરવો જોઇએ.

જો કે, આપણે સમજીએ છીએ કે જો આપણે દરેક વાતે આપણો જ વિરોધ કરતાં રહીને અભિપ્રાયો બદલતાં રહીશું, તો લોકોને આપણા પર ભરોસો જ નહીં રહે. પરંતુ, જો આવું કોઇ કોઇ વાર જ બને, તો આપણે પણ આખરે તો માનવી જ છીએ તેમ બધાં સમજી શકશે. કોઇ કોઇ વાર તો ભૂલ થાય.પણ આપણી એ ભૂલ ન સ્વિકારવાથી, જે ખોટું હતું તે સાચું તો નહિં જ બની રહે.

તેમાં પણ આપણે જો અગ્રણી સ્થાન કે કક્ષામાં હોઇએ, તો આ વાત ઘણી મહત્વની બની રહે છે. પૂરેપૂરા સંન્નિષ્ઠ પ્રયત્નો પછી પણ થયેલ ભૂલ ભર્યા નિર્ણયને સ્વીકારી લેવાથી આપણે આપણી ટીમ માટે ઉત્કૃષ્ટ, અનુકરણીય, ઉદાહરણ પૂરૂં પાડીશું તે વાત તો નિર્વિવાદ છે.

#94 ચિંતન કરતાં શીખીએ
| જાન્યુઆરી ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

તન અને મનનાં જોડાણ વિષે કંઇ કેટલું ય લખાઇ ચૂક્યું છે. એ બન્ને વચ્ચેનાં જોડાણવિશે વૈજ્ઞાનિક પુરાવા પણ છે. એ સંજોગોમાં આપણાં મનને તંદુરસ્ત તો રાખવું જ જોઇએ. અને મારી દ્રષ્ટિએ આ માટે, ચિંતન એ એક બહુ જ સરળ વિકલ્પ છે!

ઉપલબ્ધ ઇતિહાસ પ્રમાણે, ચિંતન હજારો વર્ષોથી ઉપયોગમાં છે. આપણે સમજી જ શકીએ છીએ કે , ચિંતનની ઘણી પધ્ધતિઓ પ્રચલિત છે. મેં પણ તેમાંની ઘણી પધ્ધતિ વિશે વાંચ્યું છે, પણ તેમાંની કોઇ પધ્ધતિઓ વિશે ઊંડાણમાં નથી ગયો. પણ મારો આ બાબતનો, છેલ્લાં થોડાં વર્ષોનો જેટલો અનુભવ છે, તેનાથી એટલું તો જરૂર કહી શકીશ કે તાણ ઘટાડવામાં અને મનને શાંત અને સ્થિર કરવામાં તે બહુ જ ઉપયોગી નીવડે છે.

તેનાં સહુથી સરળ સ્વરૂપમાં, ચિંતન એક એવી કસરત કહી શકાય, જેના વડે આપણાં મગજને "ખાલી" કરી નાખવામાં આવે છે. બીજા શબ્દોમાં, આપણાં મગજમાં સતત ચાલી રહેલા વિચારો પર થોડું પણ નિયંત્રણ લાવવાની પ્રક્રિયાને ચિંતન કહી શકાય. એવા વૈજ્ઞાનિક પુરાવા છે કે જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે આપણાં મગજની ગતિવિધિઓ કંઇક (અજ્ઞાત સ્થિતિના) અંશે ઘટે છે, જે આપણા માટે બહુ જ ફાયદાકારક છે.

જો તમે પણ ચિંતન કરતાં હશો, તો તેના ફાયદાઓથી પરિચિત તો હશો જ.અને જો ચિંતન ન કરતાં હો, તો શરૂ કરવામાટે કંઇ મોડું નથી થઇ ગયું. તે માટે કેટલોક જાણીતી પધ્ધતિઓ નીચે જણાવી છે:

૧. અનુભવાતીત ધ્યાન

૨. વિપાસના ધ્યાન

3. આદિકાળનું નાદ ધ્યાન

૪. સીલ્વ પધ્ધતિ

5. સહજ સમાધિ ધ્યાન


કેટલાંક લોકો દર અઠવાડિયે દરરોજ અમુક કલાકો માટે ધ્યાન ચિંતન કરે છે, તો બીજાં કેટલાંક દરરોજ અમુક મિનિટો માટે ધ્યાન ચિંતન કરે છે. પણ, બધાં જ ચિંતનાભ્યાસીઓ એક બાબતે તો સહમત છે જ કે, એક યા બીજી રીતે, ધ્યાન ચિંતનને કારણે તેમની જીવન પધ્ધતિમાં સુધારો તો થયો જ છે.

તો, આપણે હવે કોની રાહ જોઇએ છીએ?

#95 આપણને મળેલી મદદ કદાપિ ન ભૂલીએ!
| જાન્યુઆરી ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે એક વાતે તો સંમત થશું જ કે, આપણે આજે જે સ્થાને છીએ, ત્યાં આપણા એકલાંની જ મહેનતથી નથી પહોંચ્યાં. આપણાં જીવનના કોઇ ને કોઇ તબક્કે, કેટલાંય નામી અનામી લોકોની કંઇ ને કંઇ મદદ તો મળતી જ રહી છે.

આપણે જેમ કલ્પી શકીએ છીએ, તેમ આપણાં જીવનના શરૂઆતના તબક્કાં જેમણે આપણને મદદ કરી હોય, તેમાંનાં ઘણાં આપણને આજે મદદ કરી શકે તેમ ન પણ હોય.એવું પણ બને કે તે લોકો કરતાં આપણે કદાચ વધારે મોટાં થઇ ગયાં હોઇએ. એવું પણ બને કે,આપણે તેમની મદદને કદાચ ભૂલી પણ જઇએ, તો આપણી ભવિષ્યમાં આવનાર સ્થિતિમાં કદાચ કોઇ મહત્વનો ફેર પણ ન પડે.એટલે, ભૂતકાળમાં જેમણે આપણને સમયસરની અને મહત્વની મદદ કરી છે, તેમને ભૂલી જવામાં ખોટું શું છે?

આ રહ્યાં તેમ ન કરવા માટેનાં કેટલાંક કારણો:

૧. આમ તો આ અભિગમનો મુદ્દો છે. ભૂતકાળમાં જેમણે મદદ કરી છે તેમના વિશે આ રીતે વિચાર કરીએ, તો તેનો અર્થ એમ પણ થાય કે હાલમાં કે ભવિષ્યમાં પણ મદદ કરનાર વિશે પણ આપણે આમ જ વિચારીશું.આપણા માર્ગમાં સાથે ચાલેલાં લોકોને ભૂલતાં જવું એ કંઇ સારી વાત તો નથી.

૨.લાંબાં ગાળાના સંબંધો એક એક કદમ ચલઈને જ વિકસે છે. સમયસર મળેલી મદદની અસ્વિકૃતિ અને તેને ભૂલવું તે આપણને મદદ કરનાર વ્યક્તિઓથી અંતર વધારવા લાયક એક વાત જ કહેવાય.

૩. આપણે કોઇની સાથે એ રીતે વર્તીશું, તો કોઇ આપણી સાથે પણ એ જ રીતે વર્તશે. આ દુનિયામાં જેવું કરીએ , તેવું જ પામીએ છીએ.તો પછી, સાચાં અને સારાં આચરણની પ્રથાની શરૂઆત આપણાથી જ કેમ ન કરવી?

૪. એક કક્ષાએ પહોંચ્યા પછીથી તો આપણે સિધ્ધ્હસ્ત લોકોની સંગતમાં રહેતાં થઇ જઇ છીએ. એ લોકોની અનુભવી નજર આપણી આ મદદ ભૂલી જવાની દાનત અને મનોવૃતિને તરત જ પારખી લઇ શકે છે. એ લોકોને તેમનો કોઇ "ઉપયોગ" કરી જાય તે સ્વિકાર્ય નથી હોતું. એટલે ક્યાં તો આપણો અભિગમ બદલવા કે પછી એવાં લોકોના સાથ/ મૈત્રી છોડવા સિવાય બીજો કોઇ વિકલ્પ આપણી પાસે નથી રહેતો.

૫.અને છેલ્લે, પણ અંતમાં નહીં, બહુ થોડાં લોકો પોતાને મળેલ મદદ યાદ રાખી શકતાં હોય છે. એટલે બહુ ન ખેડાયેલ માર્ગ પસંદ કરીને, આપણે કંઇક વિશિષ્ઠ પગલું ભરી જરૂર રહ્યાં છીએ.

શુભેચ્છાઓ.....!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૯ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૭, ૨૦૧૩

મંગળવાર, 14 મે, 2013

દેવીમાને જ્યારે વિજાતીય પોષાક જોઇએ છે - દેવદત્ત પટ્ટનાઇક


દેવીમાની સરખામણી આકરી મા સાથે થતી હોય છે, જે સંપત્તિ કે મોજમજાનાં પ્રતિક સ્વરૂપે જોવામાં આવતી સ્ત્રીનાં દર્શનથી સાવ જ અલગ છે.
કેરળનાં કોલ્લમની નજીક, ચાવરામાંનાં કોટ્ટનકુલાંગરમાંનાં મંદિરમાં દર વર્ષે, હજારો પુરૂષો સ્ત્રીના પોષાક પહેરીને ભગવતી દેવીની દીવાઓથી પૂજા કરે છે.  આ આગવી પ્રથા "ચમય વીલક્કુ' (વેષભૂષા દીવો) તરીકે ઓળખાય છે, જેમાં હાથમાં પ્રગટાવેલ દીવાઓ લઇને પુરૂષો લાંબા સરઘસાકારે મંદિરમાં પ્રવેશ કરે છે. દર વર્ષે માર્ચ-એપ્રિલમાં આ વિધિ થતી હોય છે.
એક કહાણી છે કે ગોવાળોના એક જૂથને જંગલમાં લોહી ટપકતો પથ્થર મળી આવ્યો. તેમને ખ્યાલ આવી ગયો કે આ પથ્થરમાં દેવીમાની ચમત્કારીક શક્તિ રહેલી છે. તેમાંના એક ગોવાળે જેવો તેને અડવાનો પ્રયાસ કર્યો,  કે તેમાંથી આગની જ્વાળાઓ ફૂટી નીકળી અને તે ભસ્મીભૂત થઇ ગયો. દેવીમાને પૂજારીને બદલે પૂજારણ વધારે પસંદ હતી, તેથી દેખીતું હતું કે તે પથ્થરને કોઇ સ્ત્રી જ માત્ર અડકી શકે. આસપાસમાં કોઇ સ્ત્રી તો હતી નહીં,તેથી આવા શક્તિશાળી પથ્થરને એમને એમ છોડી જવા કરતાં, છોકરાઓને લાગ્યું કે છોકરીનો વેષ પહેરીને તેને અડકવું જોઇએ. એવું કરવાથી કોઇને કશું ન થયું. પોતાની સ્ત્રી તરફની બાજૂને બતાવતા પુરૂષોનો સંગાથ દેવીમાને ગોઠી ગયો. તેમણે તેમને આશીર્વાદ પણ આપ્યા.
એ પ્રસંગની યાદગીરી રૂપે, આજે પણ  દેવીમાના આશીર્વાદ મેળવવા માટે, એ દિવસે પુરૂષો સ્ત્રીના વેશમાં જઇ , દેવીમાને દીવા, ધૂપ અને ફૂલ ચડાવે છે. આ લોકો વિજાતીય પોષાક પહેરતા, ન્યાનતર વ્યંઢળો નથી. ઘણા પુરૂષો તો તેમની પત્ની, બહેનો કે માને પણ સાથે લઇ જાય છે અને પૂજાનો પોષાક પહેરવામાં તેમની મદદ પણ લે છે. આમ તો આ બધું બહુ સ્વાભાવિક પણે થતું રહે છે, પણ કેટલાક પુરૂષોને પુરુષત્વના બોજામાંથી એક દિવસ પૂરતી મળતી છુટ્ટી ગમે પણ છે.
બંગલુરૂ અને કર્ણાટકના અન્ય ભાગોમાં થતી બીજી એક વિધિ,કરગ,માં દેવીમાને એક ઘડા (કરગ)માં આહવાન કરાય છે.  સ્ત્રીનો વેષ પહેરેલો યુવાન પુજારી પછીથી માથે લઇને તે ઘડાને આખાં ગામમાં ફેરવે છે. દેવીમાનો સંબંધ દ્રૌપદી સાથે મનાય છે, અને તે પુરૂષ ક્ષત્રિય જાતિનો હોય છે. આમ જુગારમાં દ્રૌપદીને દાવ પર મુકી, કૌરવો સામે તેને હારી જઈને તેમનું જે અપમાન કર્યું હતું તેની ક્ષમા માગવાનું આ વિધિ પ્રતિક ગણાય છે. વિજાતીય પોષાક પહેરેલા પુરૂષને માથે બેસીને આખાં ગામમાં જે શેરીઓ અને ઘરો પાસેથી દેવી પસાર થાય છે, તેમના પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે, તેમ મનાય છે.
આ બધી વિધિઓમાં, પુરૂષની મર્દાનગી પર કોઇ શંકા નથી કરાઇ રહી , કે ન તો તેને કોઇ પડકાર છે. તેમાં, કદાચ, સામાજિક મૂલ્યોને બરકરાર રાખવા માટે સ્ત્રીએ ચૂકવવી પડતી કિંમતમાટે પુરૂષોની સહાનુભૂતિની ભાવનાની સ્વીકૃતિ હોઇ શકે છે. કમનસીબે, દેવીની પૂજા કરવાથી કે તેમની ક્ષમા માગવાથી, મોટે ભાગે, સ્ત્રી પ્રત્યે માનની ભાવના જાગતી નથી જણાતી. દેવીમાની સરખામણી આકરી મા સાથે થતી હોય છે, જે સંપત્તિ કે મોજમજાનાં પ્રતિક સ્વરૂપે જોવામાં આવતી સ્ત્રીનાં દર્શનથી સાવ જ અલગ છે. પૌરાણીક ગ્રંથોમાં માતા કે બહેન કે પત્નીનાં સ્ત્રી સ્વરૂપમાં કોઇ ફરક નથી કરાયો. જ્યાં સુધી ડહાપણને સંબંધ છે , ત્યાં સુધી આપણે સંપત્તિ કે આધિપત્યમાં નથી માનતા. અને ત્યાં સુધી, આપણે રાવણ કે દુર્યોધન કે પાંડવોની જેમ દેવીના ખોફનું જોખમ ખેડીને પણ દેવી પર અંકુશ રાખીશું અને તેમને મર્યાદાનું ઉલ્લંઘન પણ કરતા રહીશું. 
*       સનડે, મિડ ડેની પૂર્તિ 'દેવલોક'માં માર્ચ ૦૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, When the goddess demands cross dressing, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૯, ૨૦૧૩ના રોજ INDIAN MYTHOLOGY ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૧૪, ૨૦૧૩

શનિવાર, 11 મે, 2013

ગુણવત્તાને સમજીએ: પોતા તરફની ફરજ -- તન્મય વોરા


ગ્રાહક્ની જરૂરીયાત પૂરી કરવી કે તેથી પણ વધારે કંઇ કરવું, તેમની અવ્યક્ત અને વ્યક્ત અપેક્ષાઓ પૂરી કરવી, ઉત્કૃષ્ટતાની કક્ષા, અને વિશિષ્ટ સ્પષ્ટીકારક વિધાનોનું અનુરૂપણ - જેવી ગુણવત્તાની વ્યાખ્યાઓ એકંદરે બાહ્યલક્ષી છે. તે દરેક કોઇ ને કોઇ બહારના સંદર્ભ સાથે સંકળાયેલ છે.

પણ સુક્ષ્મ, માર્મિક સ્તરે,ગુણવત્તા આપણી અંદરથી ફૂટે છે. બહારનાં માટે કરતાં, તે ખરા અર્થમાં તો પોતા માટે , અંદરનું, પ્રદાન છે. આપણે કંઇ કરીએ કે વિચારીએ, તે જો આપણને પોતાને ખુશ કરી શકશે, તો બીજાંઓને પણ જરૂર ખુશ કરશે. 

તેમની સમયાતીત પ્રમાણભૂત રચના, "ઝેન ઍન્ડ આર્ટ ઓવ મૉટર સાઇકલ મેન્ટનન્સ'માં રૉબર્ટ એમ. પીર્ઝીગે પ્રાચીન ગ્રીક અને હિંદુ પુરાણો અને ગુણવતાનાં અનુબંધને સાંકળી લીધા છે.
તેમાંનો આ એક ટુકડો જોઇએ: 
 
       “ગ્રીક યોધ્ધાઓને શૌર્યનાં કૃત્યો તરફ તેમની પોતા પ્રત્યેની ફરજની દ્રષ્ટિ પ્રેરે છે, નહીં કે બીજાં તરફની                 ફરજની દ્રષ્ટિ. તેમનું પ્રેરક બળ [ગ્રીક શબ્દ] ઍરીતી, (ઉત્કૃષ્ટતા) છે, જેનો આપણે સામાન્ય રીતે "સદ્‍ગુણ' જેવો અર્થ કરીએ છીએ .. ફીદ્રસને પણ, પ્રેરક બળને "પોતા તરફની ફરજ" તરીકે વર્ણવવાનું વધારે આકર્ષતું, જે સંસ્કૃત શબ્દ 'ધર્મ'’નો બહુ જ હુબહુ અનુવાદ ગણી શકાય.”

ઍરીતી (ઉત્કૃષ્ટતા) એટલે 'પોતાની ક્ષમતાને અનુરૂપ જીવવું', જેના વિષે ગ્રીક પુરાણોમાં, સ્વ-મદદ સ્વરૂપનું, ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આપણે જે કંઇ કરવા ઇચ્છતાં હોઇએ તેને, બીજાં માટે નહીં, પણ પોતા માટે, સહુથી ઉત્કૃષ્ટ રીતે કરવાથી જ, તેની શરૂઆત થાય છે.

“દુનિયાને સુધારવાની શરૂઆત પોતાનાં દિલ, દિમાગ, હાથોથી થાય છે, બીજાંઓ તરફ તો તે પછી જવું જોઇએ." રૉબર્ટ એમ. પીર્ઝીગ.


·         અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૧ મે, ૨૦૧૩

બુધવાર, 8 મે, 2013

મનોકામના અને દેવી - દેવદત્ત પટ્ટનાઇક


કોઇપણ ઉપક્રમ-યજ્ઞ-નું બીજ મનોકામના -કામ-માં રહેલું છે
બૌધ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ, કામનાઓનો દૈત્ય ,મારા, એ મનોકામનાને સદાય અતિક્રમવા મથતા બુધ્ધનો સહુથી મહાન શત્રુ છે. હિંદુ માન્યતા પ્રમાણે મારા એ કામનાઓનો દેવ, કામ, છે. યોગના ઇષ્ટદેવ એવા સંન્યાસી શિવ પર તેમની કામનાઓને પ્રદીપ્ત કરવાના આશયથી કામ પોતાનાં શેરડીના સાંઠાનાં કામઠાંથી ફુલોનું તીર ચલાવે છે. પરંતુ, શિવે તો તેમનું ત્રીજું નેત્ર ખોલી, જ્યાં સુધી કામ રાખનો ઢગલો ન થઇ ગયો ત્યાં સુધી અગ્ન્યાસ્ત્રનો પ્રહાર તેના પર ચાલુ રાખ્યો. જો શિવ લગ્ન ન કરે, તો તેને સંતાન ન થાય, અને તો દૈત્ય, તારક,નો વધ ન થાય. કંઇ ઊગે પણ નહીં: મધમાખી ફૂલ પાસે ન આવે, બળદ ગાય પાસે ન જાય, ધરતી જીવન વિનાની બની રહે.

એટલે દેવી શિવ પાસે કામાક્ષીનું રૂપ લઇ ને આવ્યાં.તેમનું નામ કામ જેવું જ છે; તે પણ, કામની જેમ, શેરડીના સાંઠાનું કામઠુ અને ફૂલોનું તીર ધારણ કરે છે. તે શિવની ઉપર નૃત્ય કરે, તેમના પર બેસે, તેમની આંખો ખોલવા વિનવે અને, પોતાના માટે નહીં પણ તારકથી ભયભીત થયેલાંઓ માટે, તેને પત્ની તરીકે સ્વીકારવા સમજાવે છે.

આખરે શિવે આંખો ખોલી; તે દયાળુ,શંકર બની રહ્યા, તેમણે કામાક્ષી સાથે લગ્ન પણ કર્યું, જેનાથી તેમને કાર્તીકેય નામે પૂત્ર પણ થયો, જેણે તારકાસુરનો વધ કર્યો.

પછીનાં બૌધ્ધ સાહિત્યમાં, બુધ્ધ વધારે હાથ ધરાવતા બોધિસત્વ થયા, અને દેવી તારાનો અંગીકાર કર્યો, જેમણે તેમનાં ક્ષમા યુક્ત ધીરગંભીર ડહાપણને પસંદ કર્યું હતું. કોઇ પણ ઉપક્રમ-યજ્ઞ-નું બીજ, કામના-કામ-છે. જો યજમાનને ઇચ્છા ન હોય, તો યજ્ઞ કદી શરૂ જ ન થાય. ન તો કોઇ વિનિમય હોય, કે ન કોઇ બજાર. સંપત્તિનાં સર્જન અને આદાનપ્રદાન માટે, યોગ, નહીં પણ ભોગ જોઇએ.

આધુનિક સમાજમાં વેચાણશાસ્ત્રનું કામ યોગનો નાશ કરીને ભોગને વધારવાનું છે. સંસારનો ત્યાગ કરવાની ભાવનાવાળો યોગી એ બજાર વ્યવસ્થા માટે સહુથી મોટું જોખમ છે. તેને તો લલચાવવો જ પડે. તેથી જ ઇન્દ્ર તેમને મોહવશ કરવા અપ્સરાઓને મોકલતા રહે છે. સંન્યાસી તો પોતાને સમાજ થી દૂર કરીને તપસ્યા માત્રની એક જ પ્રવૃત્તિમાં મગ્ન રહે છે. ગૃહસ્થ તરીકે તે સમાજનું, લેણ દેણના વિનિમયનું, અંગ બની રહે છે.

રામયણમાં,જ્યારે દશરથ પુત્ર પ્રાપ્તિમાટે યજ્ઞ કરે છે ત્યારે તેને હૃશ્યશૃંગ ઋષિને બોલાવવામાટે કહેવાય છે. એ ઋષિએ તેમનું આખું જીવન સ્ત્રી વિશેનાં જ્ઞાન વગર વ્યતિત કર્યું હતું. તેમને કોઇ ભૂખ પણ નહોતી, કે જેથી તેમણે પોતાના આશ્રમને મૂકી કશે બીજે જવાનું મન પણ થાય.એટલે દશરથ, લોમપદની પૂત્રી શાંતાને તેમને વશ કરી ને અયોધ્યા લાવવાનું કામ સોંપે છે. શાંતા સફળ રહે છે, હૃશ્યશૃંગ અયોધ્યા આવે છે, યજ્ઞ પણ કરે છે, અને દશરથને ચાર પૂત્રો પણ ફળે છે. આમ દશરથની કામનાને કારણે હશ્યશૃંગ પળોટાયા, યજ્ઞ થયો, અને દશરથને રામ અને તેના ભાઇઓ પૂત્રો તરીકે જન્યા. જો કામે તેનું તીર ન છોડ્યું હોત, તો ન તો ભોગ હોત કે ન તો હોત રામ કે ન તો હોત રામાયણ.

વેદિક સાહિત્યમાં વેપારીમાટેનો શબ્દપ્રયોગ, વૈશ્ય એ ગણિકા માટેના શબ્દપ્રયોગ, વેશ્યા, જેવો જ છે, તે કોઇ અકસ્માત નથી. બન્નેનો સંબંધ બજાર સાથે છે, જ્યાં લક્ષ્મી પેદા થાય છે અને હાથફેર થાય છે. તેથી જ દેવીના ઉત્સવો વખતે વેશ્યાનાં ઘરમાંથી લેવાયેલ માટીમાંથી દેવીની મૂર્તિ બનાવવામાં આવે છે અને વૈશ્યના ઘરમાંથી લેવાયેલ નાણાંમાંથી મંડપ બાંધવામાં આવે છે તે બન્ને વડે ઉત્સવનાં કેન્દ્રને એક ચોક્કસ સ્વરૂપ મળે છે.

  • સનડે, મિડ ડેની પૂર્તિ 'દેવલોક'માં ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ. 

રવિવાર, 5 મે, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૮


| ડીસેમ્બર ૩૦, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
વળતર ક્ષિતિજ એટલે કોઇ પણ રોકાણ પરનું વળતર શરૂ થવા દેવા માટે આંકવી જોઇએ એવી એવી સમય મર્યાદા.
આપણે જ્યારે બેંકમાં બાંધી મુદ્દતની થાપણ કરાવીએ છીએ ત્યારે, તેઓ બે બાબત સ્પષ્ટ કરે છે
* વળતર કેટલું રહેશે
* ક્યારથી વળતર મળવાનું ચાલુ થશે
આ એવા કેટલાક કિસ્સાઓ પૈકી છે, જેમાં વળતર મળવાની ક્ષિતિજ નક્કી છે. કોઇ જ અસંદિગ્ધતા નથી.પણ, જીવનમાં એવાં કેટલાંય ક્ષેત્ર છે જેમાં આપણાં રોકાણ પર વળતર-ક્ષિતિજ નક્કી કરવી શક્ય નથી હોતું. એક વિચાર રજૂ કરૂં છું:
આપણી પાસે એક એવી પરિસ્થિતિ છે, જેમાં આપણાં હાલનાં સમય અને નાણાનાં રોકાણનું આવતા ૧૨ મહિના માટે, દર મહિને, સારૂં એવું વળતર મળવાનું છે. એટલે કે વળતર ક્ષિતિજ ૧૨ મહિનાની છે.
હવે માનો કે આપણે તેને પાંચ વર્ષ માટે લંબાવવા માગીએ છીએ. તો આપણે કેવા પ્રકારનું રોકાણ કરવું જોઇએ જેથી કરીને વળતર ક્ષિતિજ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય? અને તેને હજૂ બીજા કેટલાક દાયકાઓ સુધી લબાવવી હોય તો?
ડાહ્યા લોકો અજાણપણે તેમનાં જીવનનું ઘડતર એવી જ રીતે કરે છે કે તેમની વળતર ક્ષિતિજ ખૂબ લાંબા સમય સુધી ફેલાયેલ રહે. આમ કરવાથી તેની અસરકારકતાને કુદકે ને ભૂસકે વધારી શકાય છે.
શુભેચ્છાઓ!

| જાન્યુઆરી ૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે માનતાં હોઇએ કે નહીં, પણ આપણે ઘણાં ગળણાંઓ વાપરતાં હોઇએ છીએ. જેવું આપણને કોઇક કંઇક કહે, એટલે આપણું ગળણું સક્રિય બની જઈ ને આપણને તેમાંથી શું સ્વીકારવું તે વિશે કહેવા લાગે છે. જો કોઇ જાણીતાં લેખકનું પુસ્તક વાંચતાં હોઇએ, તો તેના વિષે અભિપ્રાયનું ગળણું તૈયાર જ હોય છે. કોઇ પણ સંદેશની આપણા પર થતી અસર તે સંદેશા જેટલી જ, તે સંદેશાના સ્ત્રોત પર પણ આધાર રાખે છે.આ છે ગળણાંઓનો પ્રભાવ.
ગળણાંઓનાં અસ્તિત્વને ટાળી શકાય તેમ નથી, અને તેમને અવગણવાં પણ ન જોઇએ. આપણાં ગળણાંથી પરિચિત રહેવાથી, કોઇ પણ ગળણાંઓની અસરમાં આવી જવાનું નિયંત્રણમાં રાખી શકવા જેવા પણ ઘણા ફાયદા થઇ શકે છે.
જ્યારે આપણને કોઇ નવા વિચાર વિશે કહેતું હોય, ત્યારે જો કોઇ ગળણું એ વિચારને પૂરેપૂરો  "સાંભળાવા" ન આપે, તો નુકસાન થઇ શકે છે. 'સંદેશવાહકો' પરનાં આપણાં ગળણાં એટલાં પ્રભાવશાળી હોઇ શકે છે કે કોઇ પણ સંદેશાનાં અર્થઘટનને સાવ જ બદલી નાખે. વિચાર ગમે એટલો સારો હોય, પણ તે વ્યક્તિ કે વિચાર સાથે જોડાયેલ ભૂતકાળ, આપણને તે વિચાર વિશે તટસ્થપણે પૂરતી વિચારણા કરવા પણ ન આપે તેવું પણ બની શકે.   
એટલે એક સહેલો રસ્તો એ છે કે જ્યારે આપણી સામે કોઇ નવો વિચાર આવે, એટલે આપણાં બધાં ગળણાંને કામ કરતાં બંધ કરી દેવાં, કે પછી તે વિચારને આપણને જેના પર વિશ્વાસ હોય તે સ્ત્રોત સાથે સાકળી લેવો. આ બન્નેમાંથી કોઇ પણ પરિસ્થિતિ સિધ્ધ કરઈ શાક્ય તો તેને કારણે શક્ય એવાં કોઇ જબરદસ્ત, સુખદઆશ્ચર્ય માટે તૈયાર રહેજો!
નોંધ: મારૂં એમ કહેવું નથી કે ગળણાં ન હોવાં જોઇએ કે ગળણાં એ સારી વસ્તુ નથી. જ જો તે સાવ જ  ન હોય તો, આપણને ઘણી વસ્તુઓનાં વિશ્લેષણમાં બહુ સમય લાગી જાય એમ પણ બની શકે. પણ જો એમાં લેવાઇ જઇએ, તો કંઇક ખોવાનો વારો પણ આવી શકે છે.

 | જાન્યુઆરી ૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે આ પહેલાં અંતિમ ચરણ પર ધ્યાન આપવા# વિશે વાત કરી હતી. આજની વાત તેના જેવી કહી શકાય ખરી. ચાલો, આગળ વધીએ.
પહેલાં આપણે વાતનો સંદર્ભ બેસાડીએ:
કોઇ પણ સંસ્થામાં સહુથી ઉચ્ચ સ્થાન પર બેઠેલ વ્યક્તિને કાર્યવાહીના સંદર્ભને બદલવામાટેનો અંતિમ કહી શકાય. ઘણી વાર તેની પાસે, પળ ભરમાં સંદર્ભ બદલ્યા સિવાય કોઇ અન્ય વિકલ્પ નથી હોતો, અને તે નવા સંદર્ભમાં તેણે નૈસર્ગીક અનુકુલન પણ રાખવું પડતું હોય છે. જેમ જેમ સંસ્થા મોટી થતી જાય તેમ તેમ અગ્રણી સ્થાન પર બેઠેલ વ્યક્તિએ તેમની નીચેનાં સંચાલકો પર વધારે ને વધારે અધાર રાખવો પડેછે, કારણ કે હવે પહેલાં જેમ તે બધું જ જાતે જોઇ શકે તેમ નથી.
એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જેમાં વરીષ્ઠ સંચાલકે એક દિવસમાં બાર બાર બેઠકોમાં હાજરી આપવી પડે છે (કંઇ બહુ અસામાન્ય નથી આ વાત....બેઠકો તો આજકાલ આપણી કૉર્પૉરેટ સંસ્કૃતિનું અભિન્ન અંગ બની રહી છે), અને દરેક બેઠકમાં સંદર્ભ બદલતા રહેતા હોય છે.તે ઉપરાંત બે બેઠકોની વચ્ચે તેણે પોતાના જૂનીયર સહકર્મચારીને થોડાં કામ ભળાવીને આગળ વધતા રહેવું પડે છે. આવું મહિનામાં ઘણી વાર બનતું હોય છે, એટલે કોઇ વાર તે તેના જૂનીયરને સોંપેલા કામની પ્રગતિ પર નજર રાખવાનું ચુકી પણ જઇ શકે છે.
તમે જો આવા કોઇ એક જૂનીયર સહકર્મચારી હો, તો તમારી પાસે, કૉવીના શબ્દપ્રયોગમુજબ, કામના પ્રકાર મુજબ આ વિકલ્પો છે :
 ૧) તાકીદનું અને મહત્વનું:
આને તો બધાં જ નજરમાં જ રાખશે, તમારાં બૉસ સુધ્ધાં.એટલે આ પ્રકારનાં કામ તો સમય પહેલાં જ કરી લેવાની ચીવટ કેળવજો.
૨) તાકીદનું નહીં, પણ અગત્યનું ખરૂં:
શક્ય છે કે આ પ્રકારનાં કામ તરત જ નજરે ન પણ ચડે, કોઇ વાર થોડા સમય પછી જરૂરીયાત ન પણ રહે. તમે પણ થોડો વખત કંઇ જ કરો પણ નહીં, અને તે વાત કોઇના ધ્યાન પર પણ કદાચ ન આવે.
આંકડીના છેડાઓને કાયમ ગાંઠથી બાંધેલા રાખવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે.પણ આપણને સંપાયેલા કામોના છેડાઓની ગાંઠ બાંધેલી રાખાવા માટે જો આપણે પ્રતિબધ્ધ હશું, તો જે જવાબદારીઓ આપણે સ્વીકારવા માગીએ છીએ  તે બાબતે સાવધ રહેવું જોઇશે. કંઇ પણ વચન આપતાં પહેલાં વિચાર કરવો અને ખેંચાઇ રહેવાય તેવું તો ક્યારે પણ ન કરવું.
સંભાળજો.. શુભેચ્છાઓ..!

# મૂળ અંગ્રેજીમાં #57 Focus on the last mile    અને તેનો ગુજરાતી અનુવાદ #57 અંતિમ ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતાં રહીએ જૂઓ


| જાન્યુઆરી ૧૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
"ઉબાખો' એટલે "ત્તમ હાનાં ખો'. થોડાં વર્ષો પહેલાં અમારી ટીમમાં એક 'ઉબાખો'માં પાવરધો સહકર્મચારી હતો, આપણે તેને "જયેશ'નાં નામથી ઓળખીશું. તે જે કંઇ કરતો હોય, તેનાથી થોડું પણ વધારે કંઇ કરવા માટે બૉસ જેવું તેને કહે, એટલે ભાઇ જયેશ એ કામ કેમ નહીં થઇ શકે તે સમજાવતું કોઇ બહાનું ખોળી કાઢે.  બહાનું એવું તો જડબેસલાક હોય કે બૉસ તો શું, બીજું કોઇ પણ તે કથનને નકારી શકે નહીં. પરિણામે, બૉસ કોઇ બીજાંને શોધી, તે કામ તેને સોંપી દે. જયેશભાઇ ખુશ થાય કે કેવા બચી ગયા. આવું મહિનાઓ સુધી ચાલતું રહ્યું અને પરિણામ પણ એ જ આવતાં રહ્યાં. આવી દરેક મુઠભેડ પછી જયેશભાઇ માનતા રહ્યા કે તેઓ "જીતતા" રહ્યા છે. જયેશ ભારે સ્માર્ટ છે, અને એને સોંપાયેલાં બધાં જ કામ તે બહુ જ સારી રીતે પૂરાં પણ કરે છે, એમાં કોઇ બે મત નથી. ફરક માત્ર એટલોકે જયેશ વધારાનું કોઇ કામ માથે ન લે!
થોડા સમય પછી, પરિસ્થિતિ બદલી ગઇ! બૉસ હવે કોઇ નવાં કામની વાત જયેશ સાથે કરતા જ નહોતા. તેને સંપાયેલ કામથી વધારે કોઇ પણ કામ માટે બૉસે તેને પૂછવાનું જ બંધ કરી દીધું. જયેશ માટે તો બહુ મોટી જીત હતી!
આપણને બધાંને અંદાજ તો આવી જ ગયો હશે કે તે પછી શું થયું હશે. જે થોડી વધારે મહેનત કરવા તૈયાર રહેતાં હતાં, તેવાં જયેશનાં બીજાં સહકર્મચારીઓને બઢતી મળી ગઇ. જયેશને લોકો માનથી જોતાં, પણ તેની કારકીર્દી ભેખડે ચડી ગઇ હતી. સરવાળે જયેશભાઇએ તે કંપની છોડીને 'પ્રગતિની ખોજ"માં બીજે નીકળી પડવું પડ્યું.
'ઉબાખો' મદદ કરે છે - માત્ર ટુંકા ગાળામાં. જો તમે 'ઉબાખો' નિષ્ણાત હો તમારી જાતને સ્માર્ટ જરૂર ગણાવી પણ શકો. પણ હકીકત એ રહે છે કે, તે સાચું નથી. કહે છે ને કે " પસંદગી ક્યાં તો કારણો અથવા પરિણામો વચ્ચે હોય, તો કારણોનો ભાવ પણ કોણ પૂછે છે!"  હવે પછી જ્યારે પણ થોડું કંઇક વધારે કરવાની તક મળે. જરા વાર થોભી જઇએ અને આપણા વિચારો પર નજર કરીએ. મન 'ઉબાખોતરફ ઢળી રહ્યું છે કે એ કંઇક વધારે કરવા માટે યેનકેન પ્રકારેણ કામે લાગવા તરફ ઢળી રહ્યું છે? બન્ને અભિગમો વચ્ચે દિવસ અને રાત જેટલો ફરક છે.
લાંબે ગાળે, 'ઉબાખો', કારકીર્દીને ખતમ કરવા ભાણી જ લઇ જાય છે!

| જાન્યુઆરી ૧૨, ૨૦૦૬ના રોજ પ્રકાશિત થયેલ.
ગઇકાલે હું જેનો સભ્ય છું એવાં એક 'ભેજાંબાજ' ગ્રુપની બેઠકમાં ગયો હતો. ઘણા વિષયોની ચર્ચાઓ થઇ રહી હતી. ફરતાં ફરતાં,દીપક ચોપરાની કૃતિઓની વાત નીકળી. અમારા મિત્ર, મુકુંદને દીપક ચોપરાના લૅરી કિંગ સાથેના ઇન્ટરવ્યુની વાત કહી. મને યાદ છે ત્યાં સુધી એક સવાલ " વિશ્વ કેમ પેદા થયું?", કે તે મતલબનો હતો. તે સવાલનો સીધો જવાબ આપવાને બદલે દીપક ચોપરાએ સવાલનો પ્રત્યુત્તર સવાલથી આપ્યો હતો. તેમણે કહ્યું  કે, "લૅરી, તમારા સવાલ પરથી એવું લાગી રહ્યું છે કે વિશ્વના જન્મ વિશે ચર્ચા થઇ રહી છે.  તો તેના અંતની પણ થશે જ. ન તો તે જન્મ્યું છે કે ન તો તેનો અંત થશે.તે તો હંમેશાં હતું અને હંમેશાં રહેશે.
આ વાત ઘણી ચર્ચાસ્પદ બની શકે છે, તેથી તેમાં વધારે ઊંડાં નહીં ઉતરીએ. નોંધવાનો મુદ્દો એ છે કે દીપકે સવાલના જવાબને સવાલમાં ફેરવીને મૂળ સવાલનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. મોટા ભાગના વિચક્ષણ લોકોની આ એક સામાન્ય ખાસીયત છે. તેમને પૂછાયેલ દરેક સવાલ તેમને  જવાબ આપવા યોગ્ય નથી જણાતો. આ સંજોગોમાં, તેઓ સવાલ પર વિચાર કરીને તેનો જવાબ આપવો કે કેમ, તે પહેલાં નક્કી કરી લે છે.
જો કે સામાન્યપણે આપણી મનોવૃત્તિ સવાલનો જવાબ આપવાની રહે છે. આપણાં બાળપણથી, આપણાં ઘરમાંથી જ આપણને આમ શીખવાડવામાં આવે છે. શાળામાં પણ આમ જ થતું રહે છે - શિક્ષક સવાલ પૂછે, અને વિદ્યાર્થી એનો જવાબ આપે.આગળ વધતાં, વ્યાવસાયિક જીવનમાં પણ,મોટે ભાગે,આ ક્રમ ચાલુ રહે છે - બૉસ સવાલ કરે અને આપણે તેનો જવાબ આપીએ. આ અનુકૂલનને કારણે આ સિવાય વર્તવું અઘરૂં થઇ પડતું હોય છે. આ સમગ્ર યાત્રા દરમ્યાન સવાલના જવાબમાં સવાલ કરવાનું કોઇ શીખવાડતું નથી. આ કોઇ જ અભ્યાસક્રમમાં પણ નથી આવરી લેવાયું.  'જેમ જેમ મોટાં થાઓ, તેમ તેમ જાતે શીખો'ની યાદીમાં આ એક વિષયને ઉમેરી લેવો રહ્યો.
સવાલના જવાબમાં સવાલ કરવાનું શીખવું શી રીતે? કોઇ કોઇ લોકો માટે તો તે સ્વાભાવિક હોય છે. બીજાંઓએ, આજુબાજુનાં નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તે શીખવું રહ્યું. પ્રભાવશાળી લોકોના ટીવી કે રેડિયો કે ઇન્ટરનૅટ પરના ઇન્ટરવ્યુ, ખાસ કરીને મુક્ત પ્રશ્નોત્તરી સમયે તે લોકો કેવી સલુકાઇથી પ્રશ્નોની સાથે કામ પાર પાડે છે તે, ધ્યાનથી સાંભળીએ / વાંચીએ. આપણી સંસ્થામાંનાં અગ્રણી સ્તરનાં લોકો પણ પ્રશ્નોને કઇ રીતે સંભાળી લે છે, તે પણ આ વિષયને શીખવાનો એક મહત્વનો સ્ત્રોત છે.
અહીં જ એક છટકું છે: ઘણી વાર આપણને બહુ સારા સવાલ પૂછાયા હોય છે, પણ તેના જવાબ દેવાનું આપણને ઓછું અનુકૂળ પડતું હોય છે. તે સમયે તે સવાલના જવાબમાં એક સામો સવાલ  તેમાંથી બચી નીકળવા માટે છટકબારી બની રહી શકે છે. પણ પોતાની જવાબદારી કે ઉત્તરદાયિત્વ ટાળવા માટે સવાલના જવાબની સામે સવાલ કરવાની આદત ન પાડવી હિતાવહ છે.
અ. જ્યારે સવાલનો જવાબ આપવો સરળ ન હોય, ત્યારે સામે સાચા સવાલ પૂછવાની#,
બ. જે ક્યારે પણ ન પૂછ્યા ન હોય તેવા નવા સવાલો પૂછવાની, અને
ક.  અસ્થાને હોય તેવા સવાલો સામે પ્રશ્ન ઉઠાવવાની
                                                                                              હિંમત અને ડહાપણ આપણામાં હોવાં જોઇએ.

# મૂળ અંગ્રેજીમાં #16 Ask the right questions   અને તેનો ગુજરાતી અનુવાદ #16  ઉચિત અને ખરા સવાલ પૂછો જૂઓ


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૮ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૦૫, ૨૦૧૩