બુધવાર, 28 જાન્યુઆરી, 2026

રામની રાહ જોતાં જોતાં - દેવદત્ત પટ્ટનાઈક

 

જમ્મુની પહાડીઓમાં એક સાંકડી ગુફામાંથી લાંબા સમય સુધી ભાંખોડીયાંભેર પસાર થયા પછી, તમે

આખરે વૈષ્ણો-દેવીને, સોનાના ફૂદડીઓ ટાંકેલ લાલ કાપડ વીંટાળેલ, ઉપરથી ફૂલો અને  છત્તરોઓ લટકાવેલા, ખડકના ત્રણ ઢગલા તરીકે મૂર્તિમંત જુઓ છો. આ ત્રણ ખડકો દેવીના ત્રણ સ્વરૂપો, મહા- લક્ષ્મી, મહા-સરસ્વતી અને મહા-કાલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભક્તોના 'જય માતા દી' હર્ષનાદથી હવા ગુંજી ઉઠે છે. 'જય માતા દી'નો પંજાબીમાં અર્થ 'જય માતા કી' થાય છે. અહીં એ વાત સ્પષ્ટ કરવી મહત્વની છે કેમકે ઘણા લોકો માને છે કે 'દી' છઠી વિભક્તિનો પ્રત્યય 'ની' નહીં પણ દેવીનું સ્થાનિક નામ છે.

વૈષ્ણો-દેવી હવે ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થાન છે. તે પંજાબ અને જમ્મુ પ્રદેશોમાં જોવા મળતાં ઘણાં પર્વતીય દેવીઓમાંના એક છે. કેટલાક લોકો તેને ભારતીય લોકવાયકાનો ભાગ એવાં સાત બહેનો અથવા સાત કુમારિકાઓ પૈકી એક તરીકે ઓળખે છે. આ દેવીઓ રહસ્યમય સ્ત્રીઓ જંગલમાં દોડે છે, કોઈપણ પુરુષથી અલિપ્ત છે, અને ધમકી આપવામાં આવે તો જે ખતરનાક બની શકે છે અને જો પ્રસન્ન રાખવામાં આવે તો દયાળુ બની શકે છે. સિંધુ ખીણના શહેરોમાં સાત કન્યાઓની મૂતિઓ મળી આવી છે. આ સાત બહેનો કોણ છે? શું તેઓ પુરુષ દેવતાઓનું સ્ત્રી સ્વરૂપ માતૃકાઓ છે: શિવમાંથી શિવાની, વિષ્ણુમાંથી વૈષ્ણવી, વિનાયકમાંથી વિનાયકી, કુમારમાંથી કૌમારી, ઇન્દ્રમાંથી ઇન્દ્રાણી, વરાહમાંથી વારાહી અને નરસિંહમાંથી નરસિંહી? શું તેઓ સામૂહિક રીતે શિવના લડવૈયા સેનાપતિ પુત્ર કાર્તિકેયની માતા તરીકે ઓળખાતાં  કૃતિકાઓ છે? શું તેઓ એક સમયનાં સપ્તર્ષિઓનાં પત્નીઓ છે?  શું તેઓ જંગલ અને નદીઓનાં પ્રાચીન દેવીઓ છે? મહારાષ્ટ્રમાં, ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડતી હોય, ગર્ભપાતનો ભય રાખતી ગર્ભવતી કે જે સ્ત્રીઓનાં છોકરાંઓને ચામડી પર ફોલ્લીઓ સાથે વાયરલ તાવ આવતો હોય તેવી સ્ત્રીઓ દ્વારા જેમની પૂજા કરવામાં  આવતાં 'સતી આસરા' - સાત પથ્થરો - તરીકે તેઓ ઓળખાય છે. આપણે ખરેખર ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. ગ્રંથોના સંદર્ભો આપણને રૂઢિચુસ્ત સંસ્કૃત બ્રાહ્મણ પરંપરાઓથી દૂર રહેવાનું પસંદ કરતા કે પછી જેમને દૂર રાખવામાં આવ્યા છે એવા સામાન્ય લોકો દ્વારા હજારો વર્ષોથી કાનોપકાન કહેવામાં આવતી, ભારતની નદીઓ અને મેદાનો પર વહેતી એક દીર્ઘ મૌખિક પરંપરાની આકર્ષક ઝલક આપે છે.

પંજાબ અને જમ્મુ ક્ષેત્રની ઘણી દેવીઓની જેમ, વૈષ્ણો-દેવીની સૌથી વિચિત્ર વાત એ છે કે તે શાકાહારી દેવી છે. સામાન્ય રીતે, પૌરાણિક અને તાંત્રિક પરંપરાઓમાં, દેવીની પૂજા રક્તની બલિ ચડાવીને કરવામાં આવે છે. વસંત  અને શરદ માં ઉજવવામાં આવતા નવરાત્રીના તહેવાર દરમિયાન, દેવી અસુરો સાથે યુદ્ધ કરે છે, તેમને ભેંસ, બકરા અને કૂકડાનું રક્ત ચઢાવવામાં આવે છે. પરંતુ વૈષ્ણો-દેવી, ચુસ્ત શાકાહારી છે એટલે તેમના પર આવા બલિ નથી ચડાવાતા. દેવીને બલિ ન ચડાવવાનું તો બંગાળ, આસામ અને ઓડિશાના શાક્તને પણ ગળે ન ઉતરે, અને અસ્વસ્થ પણ કરી શકે છે.

જ્યારે જૂની વૈદિક ધાર્મિક રીતોએ પૌરાણિક પરંપરાઓને જગ્યા કરી આપી, ત્યારે બે દેવતાઓ ઉભરી આવ્યા જેમણે સર્વોપરિતા માટે સ્પર્ધા કરી: શિવ અને વિષ્ણુ. શિવે હિન્દુ ધર્મના મઠના પક્ષને મૂર્તિમંત કર્યો જ્યારે વિષ્ણુએ ગૃહસ્થ પક્ષને મૂર્તિમંત કર્યો. શિવ વૈદિક રૂઢિચુસ્તતાને ખુલ્લેઆમ પડકારે છે. તેમની કથાઓમાં તેઓ બ્રહ્મા અને દક્ષનો શિરચ્છેદ કરતા જોવા મળે છે. વિષ્ણુ પણ વૈદિક રૂઢિચુસ્તતાને પડકારે છે, પરંતુ, રાજવી રામ તરીકે અને પશુપાલક કૃષ્ણ તરીકે, ગુપ્ત રીતે. બે વિચારધારાઓ વચ્ચે તણાવ વધે છે. શિવ તાંત્રિક પ્રથાઓ, ખાસ કરીને દારૂ, માંસ અને સેક્સના ધાર્મિક ઉપયોગ સાથે સંકળાયા, અને વિષ્ણુ દૂધ, ગાય, શાકાહાર અને સંયમ સાથે વધુને વધુ સંકળાયેલા બન્યા. શિવના અનુયાયીઓ સિદ્ધ, અથવા યોગિક પ્રથાઓ દ્વારા પ્રાપ્ત થતી જાદુઈ શક્તિઓ વિશે વાત કરે છે. વિષ્ણુના અનુયાયીઓ ધર્મ, અથવા સમાજના શાસન વિશે વાત કરે છે. શિવ દુનિયાથી દૂર થઈ જાય છે. વિષ્ણુ દુનિયા સાથે જોડાય છે.

બે દેવતાઓ વચ્ચે સમાધાન દેવી કરાવી આપે છે. શક્તિ તરીકે તે શિવનાં પત્ની બની ને ઉગ્ર સંન્યાસીને નમ્ર ગૃહસ્થમાં ફેરવે છે. લક્ષ્મી તરીકે તે વિષ્ણુની જવાબદારી બને છે, અને વિષ્ણુને તેમના ઉચ્ચ સ્વર્ગ વૈકુંઠમાંથી નીચે ઉતરવા અને રામ અને કૃષ્ણના અવતાર તરીકે માનવ જીવનના વ્યવહારોમાં ભાગ લેવા દબાણ કરે છે. આ કથાઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં ઉભરી આવી હતી.  આ સાંસ્કૃતિક પરિવર્તનો આપણને વૈષ્ણો-દેવીના મંદિરને સમજવામાં મદદ કરે છે.

વૈષ્ણોદેવીને દક્ષિણ ભારતનાં એક રાજકુમારી તરીકે ઓળખવામાં આવે છે, જે રામને મળે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ રામ એકપત્નીવ્રત છે, અને એક માત્ર પત્ની સીતાને વફાદાર છે. રામ રાજકુમારીને કહે છે કે તે તેની સાથે રામ તરીકે લગ્ન નહીં કરી શકે પરંતુ ભવિષ્યના જીવનમાં ચોક્કસ તેમના પતિ બનશે. તેથી રાજકુમારી પર્વત પર જાય છે અને સંન્યાસી બને છે. તેમને ક્યારેક ત્રિકુટા તરીકે ઓળખવામાં આવે છે, અને ક્યારેક વેદ-વટી તરીકે ઓળખવામાં આવે છે. શિવનો ઉપાસક રાવણ, તેને પોતાની પત્ની બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ દેવી અગ્નિમાં પ્રવેશ કરે છે, અને વૈષ્ણોદેવી તરીકે પુનર્જન્મ લે છે, તપ અને ધ્યાન કરે છે અને રામની વિષ્ણુના ભાવિ અવતાર તરીકે પાછા ફરવાની રાહ જુએ છે. તેઓ ધ્યાનમાં હોય છે ત્યારે ભૈરવ તેમના તરફ આકર્ષાય છે. ભૈરવ તાંત્રિક વિધિઓનું પાલન કરે છે, દેવી ભૈરવ પાસેથી ખોરાક માંગે છે. ભૈર દેવીને ખવડાવે છે. પરંતુ 'ખોરાક'માં સેક્સ (તાંત્રિક વિધિમાં 'મૈથુન') શામેલ છે. એટલે દેવી ના પાડે છે. તે ભૈરવને જણાવે છે કે તે રામની રાહ જોઈ રહ્યાં છે, તેથી ભૈરવે તેમની ઇચ્છાઓનો આદર કરવો જોઈએ. પરંતુ ભૈરવ ના પાડે છે અને તેમની ઇચ્છા વિરૂદ્ધ દબાણ કરવાનો પ્રયાસ કરે છે. દેવી ભાગે છે. જે માર્ગેથી તેઓ પસાર થયાં તે માર્ગ આજે યાત્રાળુઓ દ્વારા અપનાવવામાં આવે છે. ભૈરવને રોકવાનો પ્રયાસ કરી રહેલા વાનર-નાયક લંગુર-વીરનો ભૈરવ  પીછો કરે છે. - કેટલાક લોકો લંગુર-વીરને હનુમાન તરીકે ઓળખે છે. અંતે, તેના પીછાથી કંટાળીને, દેવી પાછાં ફરે છે, અને ઉગ્ર ચંડીનું રૂપ ધારણ કરે છે અને ભૈરવનું માથું કાપી નાખે છે. ભૈરવનું ધડ પર્વત પર રહે છે અને એક પથ્થરમાં ફેરવાઈ જાય છે, જે આજે પણ દેખાય છે. ભૈરવનું માથું નીચે ખીણમાં પડે છે. ભૈરવ પસ્તાવો કરે છે અને પોતાના અપરાધ માટે માફી માંગે છે. 'કુપુત્રો જાયેત માતા કુમાતા ન ભવતિ એ રીતે માફી માગે છે. વૈષ્ણોદેવી શાંત થાય છે અને તેને માફ કરે છે અને જાહેર કરે છે કે તેમના ભક્તો ભૈરવના મંદિરમાં પણ જશે, જ્યાં તેના કપાયેલાં માથાની પૂજા કરવામાં આવશે, જે આજે પણ ચાલુ છે.

આમ આપણે એક એવી કથા જોઈએ છીએ જેમાં પૌરાણિક વિચારના, શાક્ત, શૈવ અને વૈષ્ણવ, એમ ત્રણેય પ્રવાહો શામેલ છે: . અહીં શાક્ત પરંપરા રામની વૈષ્ણવ પરંપરા સાથે સુસંગત છે, અને ભૈરવની શૈવ પરંપરાને ટાળે છે. પરંતુ આખરે, બધું સમાધાન થાય છે. ભૈરવને સજા થાય છે પણ માફ પણ કરવામાં આવે છે. અંતે તેનું પૂજન કરવામાં આવે છે. ભૈરવનું આ પરિવર્તન હિન્દુ સંસ્કૃતિ માટે અનોખું છે. ભગવાનની નજરમાં કોઈ 'ખલનાયક' નથી. બધું બદલાય છે - દેવીની સંમતિની અવગણના કરનારાઓને પણ યોગ્ય પસ્તાવો અને શિખામણ કર્યા પછી માફ કરવામાં આવે છે અને આદર આપવામાં આવે છે.

  • મુંબઈ મિરર માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખWaiting for Ram નો અનુવાદ પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા,  હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૮ જાન્યુઆરી ૨૦૨૬

બુધવાર, 21 જાન્યુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૨]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

૧૧ ઓગસ્ટ, ૧૯૪૪

થોડા દિવસો પહેલા એક પશ્ચિમ આફ્રિકન વ્યક્તિએ અમને જાણ કરવા માટે લખ્યું હતું કે લંડનના એક ડાન્સ હૉલના ગ્રાહકોનો એક મહત્વપૂર્ણ હિસ્સો એવા અમેરિકન સૈનિકોને ખુશ કરવા માટે એ ડાન્સ હૉલમાં તાજેતરમાં એક 'રંગ નિષેધ' લાગુ કરાયો છે. ડાન્સ હોલના મૅનેમૅમેન્ટ સાથે ટેલિફોન વાતચીતથી અમને જવાબો મળ્યા કે: (૧) 'રંગ નિષેધ' રદ કરવામાં આવ્યો હતો, અને (૨) તે પહેલા ક્યારેય લાદવામાં આવ્યો ન હતો; પરંતુ મને લાગે છે કે કોઈ એવું માની શકે છે કે અમારા બાતમીદારના આરોપનો કોઈ આધાર હતો. તાજેતરમાં આવી જ બીજી ઘટનાઓ બની છે. ઉદાહરણ તરીકે, ગયા અઠવાડિયામાં મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક કેસમાં મેં એ હકીકત બહાર લાવી હતી કે આ દેશમાં કામ કરતા એક વેસ્ટ ઈન્ડિયન નીગ્રોને, જ્યારે તેણે હોમગાર્ડનો ગણવેશ પહેર્યો હતો તો પણ, મનોરંજનના સ્થળે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ભારતીયો, નેગ્રો અને અન્ય લોકોને હોટલમાંથી એ આધાર પર પાછા મોકલી દેવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સાઓ બન્યા છે કે 'અમે અન્ય રંગ લોકોને સ્વીકારતા નથી'.

આ પ્રકારની વસ્તુ સામે સતર્ક રહેવું અને શક્ય તેટલો વધુ જાહેર હોબાળો કરવો ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ એક એવી બાબત છે જેમાં હોબાળો કરવાથી કંઈક મળી શકે છે. આ દેશમાં અન્ય રંગની ચામડીવાળા લોકો માટે કોઈ કાનૂની અપાત્રતા નથી, બહુ બહુ તો, અન્ય રંગની ચામડીવાળા લોકો માટે લાગણી ખૂબ ઓછી છે. (ભારતમાં આપણું વર્તન બતાવે છે એમ આમ થવું એ બ્રિટિશ લોકોના કોઈ જાતિગત ગુણને કારણે નથી. તે એ હકીકતને કારણે છે કે બ્રિટનમાં જ રંગભેદની કોઈ સમસ્યા નથી.)

મુશ્કેલી હંમેશા એ જ રીતે ઊભી થાય છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે પછી ક્યાંય પણ એવા લોકો વારંવાર આવે છે જેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા હોય છે અને જેઓ ભારતીયો અથવા હબસીઓ સાથે ભળવાનો વિરોધ કરે છે. તેઓ માલિકને કહે છે કે જો તે અન્ય રંગના લોકો માટે પ્રતિબંધ નહીં લાદે તો તેઓ બીજે ક્યાંય જતા રહેશે. તેઓ ખૂબ જ નાની લઘુમતી હોઈ શકે છે, માલિક તેમની સાથે સહમત ન પણ હોય, પરંતુ તેના માટે સારા ગ્રાહકો ગુમાવવાનું મુશ્કેલ છે; તેથી તે અન્ય રંગના લોકો માટે પ્રતિબંધ લાદે છે. જ્યારે જાહેર અભિપ્રાય સભાન હોય અને જ્યાં અન્ય રંગના લોકોનું અપમાન કરવામાં આવે એવી કોઈપણ વ્યવસ્થાને વખોડી કાઢવાને પ્રચાર આપવામાં આવે ત્યારે આ પ્રકારની વસ્તુ થઈ શકતી નથી. જે ​​કોઈને રંગ ભેદના સાબિત થયેલાં ઉદાહરણ વિશે ખબર હોય તેણે હંમેશા તેને ખુલ્લાં પાડવાં જોઈએ. નહિંતર, આપણી વચ્ચે રહેલા અન્ય રંગની ચામડી પ્રત્યે સુગ ધરાવતા લોકોનો એક નાનો ભાગ કાયમ મુશ્કેલીઈ ઊભી કરી શકે છે. પરિણામે બ્રિટિશ લોકોને એક સમુહ તરીકે રંગભેદ તરફી ન હોવા છતાં એ પ્રકારના ચીતરવામાં આવે છે.

ઓગણીસ-વીસના દાયકામાં, જ્યારે પેરિસમાં જોવા મળતાં તમાકુના કિઓસ્ક અને ટીન મુતરડીઓ જેટલાં જ અમેરિકન પ્રવાસીઓ દેખાતાં હતાં, ત્યારે ફ્રાન્સમાં પણ રંગભેદનિષેધની શરૂઆત દેખાવા લાગી હતી. અમેરિકનો પાણીની જેમ પૈસા ખર્ચે છે, અને રેસ્ટોરન્ટના માલિકો અને તેના જેવા લોકો તેમની અવગણના કરી શકતા ન હતા. એક સાંજે, એક ખૂબ જ જાણીતા કાફેમાં નૃત્ય કરતી વખતે કેટલાક અમેરિકનોએ એક નિગ્રોની હાજરીનો વિરોધ કર્યો જે ત્યાં એક ઇજિપ્તીયન મહિલા સાથે હતા. થોડી વાર સુધી નબળો વિરોધ કર્યા પછી, માલિકે હાર માની લીધી, અને નિગ્રોને બહાર કાઢી મૂકવામાં આવ્યા.

બીજા દિવસે સવારે ભયંકર હોબાળો થયો અને કાફેના માલિકને સરકારના મંત્રી સમક્ષ લઈ જવામાં આવ્યો અને કાર્યવાહીની ધમકી આપવામાં આવી. એવું બહાર આવ્યું હતું કે નારાજ થયેલો નિગ્રો હૈતીનો રાજદૂત હતો. આવા ખાસ સ્થાન ધરાવતા લોકો મોટા ભાગે તેમના અપમાનનો બદલો મળ્યાનો સંતોષ મેળવી શકે છે. પરંતુ આપણામાંના મોટાભાગના લોકોને રાજદૂત બનવાનું સૌભાગ્ય મળતું નથી ! એટલે સામાન્ય ભારતીય, હબસી કે ચીની ફક્ત તો જ નાનાં નાનાં અપમાનથી સુરક્ષિત રહી શકે છે, જો અન્ય સામાન્ય લોકો તેમના વતી પોતાનો પ્રયાસ કરવા તૈયાર હોય.

                                     +                      +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 14 જાન્યુઆરી, 2026

બે ઈમારતોની જૂદી જૂદી દશાની વાત - દેવદત્ત પટ્ટનાઈક

એક સમયે, હિન્દુઓના એક જૂથનું દૃઢપણે માનવું હતું કે અયોધ્યામાં આવેલી મસ્જિદ રામના
જન્મસ્થળની નિશાનીઓ ધરાવતાં હિન્દુ મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં ગયો. શિક્ષણવિદો, ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને વકીલોએ દાયકાઓ સુધી આ કેસ પર દલીલો કરી. ભારતની દરેક બાબતની બનતું આવ્યું છે એમ આ કિસ્સામાં પણ દસ્તાવેજો અને નોંધો સ્પષ્ટપણે નિર્ણાયક સ્તરનાં હતાં નહીં. 'બાંધછોડ' કરી લેવાનીની પરંપરાગત ભાવનાએ કાર્યકરોના ગુસ્સાને સીંચ્યો. પરિણામે, અધીરા બની ઊઠેલા લોકોના એક ટોળાએ મસ્જિદ પર હુમલો કર્યો, મસ્જિદને 'વિવાદિત માળખું' ગણાવ્યું અને તેને તોડી પાડ્યું. ત્યારબાદ ભયંકર રમખાણો થયા જેમાં સેંકડો લોકો માર્યા ગયા. કેટલાકે ન્યાયની માંગ કરી. અન્યોએ બદલો લીધો. રામાયણ પર લખનારા પશ્ચિમી શિક્ષણવિદોએ તેમના નિબધોની શરૂઆત હંમેશા બાબરી મસ્જિદના ધ્વંસનો ઉલ્લેખ કરીને, રામ પ્રત્યેના હિન્દુ લોકોના આદરની મજાક ઉડાવવા માટે તેનો ઉપયોગ બીજી એક હાથવગી લાકડી તરીકે કર્યો. હિન્દુઓએ તેમના પર હિન્દુ ધર્મ પ્રત્યેના તીવ્ર અણગમાનો આરોપ લગાવ્યો. એક ભાંગાણનો ઉકળતો ચરૂ આપોઆપ છતો થઈ રહ્યો. વધુ હિંસા થઈ. હવે, સમગ્ર ભારતમાં, મંદિરો અને મસ્જિદો અને અન્ય વિવાદિત માળખાઓને વાડ અને સુરક્ષા રક્ષકોથી વીંટાળીને એવી ખાતરી આપવા માટે કમર કસવામાં આવી છે કે ધાર્મિક કટ્ટરપંથીઓ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને તોડી ન નાખે.

દરમિયાન, ઇસ્લામનાં સૌથી પવિત્ર શહેર, સાઉદી અરેબિયાના, મક્કામાં આવેલ, મુસ્લિમો માટે આદેશાત્મકસમી હજ યાત્રાનાં કેન્દ્ર, કબ્બામાં કંઈક અસામાન્ય બની રહ્યું છે. શહેરમાં આવતા યાત્રાળુઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે, સાઉદી અરેબિયા સરકાર પયગંબર મુહમ્મદ, તેમના પરિવાર અને પ્રારંભિક ઇસ્લામિક ઇતિહાસ સાથે સંકળાયેલી સાંસ્કૃતિક ધરોહર સમાન સ્થળો, કબરો અને મસ્જિદોને તોડી પાડી રહી છે. આ સ્થળોએ હોટલો, શોપિંગ મોલ અને એપાર્ટમેન્ટ બ્લોક્સ ધરાવતી અત્યાધુનિક ગગનચુંબી ઇમારતો બનાવવામાં આવી રહી છે, જેના કારણે ઇસ્લામિક વિદ્વાનો અને કલા ઇતિહાસકારો ચિંતામાં મુકાયા છે. તેમના વિરોધને સાંભળવામાં નથી આવી રહ્યો. એ લોકો વ્યવહારૂપણાં, આધુનિકતા અને વિકાસના નામે એક પ્રાચીન વારસાનો નાશ થતો જોઈ રહ્યા છે. તેમને ડર છે કે આ ઉઘાડો વ્યવહારવાદ એક એવી રૂઢિચુસ્તવાદી વિચારધારા છે જે ભગવાન સિવાય કોઈ પણ વસ્તુ અથવા કોઈની પૂજાની કદર કરતી નથી. ઇસ્લામના આ સંસ્કરણમાં, પયગંબર પરિવાર, ઇમામ તરીકે ઓળખાતા નેતાઓ અને દરગાહો માટે શિયા પૂજાને લાયક નથી માનવામાં આવતી. સૂફીવાદને પણ પાપ, અનેકઈશ્વરવાદનાં એક સ્વરૂપ તરીકે જોવામાં આવે છે.

આમ, બે અલગ અલગ સ્થળોએ આદરણીય ઇસ્લામિક બાંધકામોને તોડી પાડવાનાં બે અલગ અલગ પ્રકારનાં પરિણામો આપણે જોઈએ છીએ. ભારતમાં, બાબરી મસ્જિદ તોડી પાડવાથી ગુસ્સો ભભૂકે છે અને રમખાણો થાય છે, તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિંદા થાય છે. સાઉદી અરેબિયામાં, વ્યવહારપટુ અને કેટલાકના કહેવા મુજબ રૂઢિચુસ્ર સરકાર દ્વારા ઉત્તેજન અપાતા મનાતા, મસ્જિદો, કબરો અને સાંસ્કૃતિક વારસા સમાન ઇમારતોના ધ્વંસને અનિચ્છાએ પણ સહન કરવામાં આવી રહ્યો છે.

આ ફરક શા માટે? શું તે એટલા માટે છે કે, ભારતમાં સરકાર ઇસ્લામિક નથી અને મસ્જિદના ધ્વંસમાં કાયદાનો અનાદર કરી રહેલા મનાતા હિન્દુ કટ્ટરપંથીઓ સામેલ હતા? શું તે એટલા માટે છે કે સાઉદી અરેબિયામાં, સરકાર મુસ્લિમ છે, શાહી પરિવાર મક્કા દરગાહનો પરંપરાગત રક્ષક છે અને સ્થાનિક મૌલવીઓ જ નક્કી કરે છે કે શું પવિત્ર છે અને શું નથી?

કદાચ, આ ફરક દર્શાવે છે કે ધ્વંસ પરના આક્રોશને તર્કસંગતતા સાથે કોઈ લેવાદેવા નથી. તેના 'અર્થઘટન' સાથે સંબંધ છે. તોડી પાડવામાં આવતી ઇમારતો અને તોડી પાડનારાઓના હેતુઓનું આપણે શું અર્થઘટન કરીએ છીએ? આજના અતિસંવેદનશીલ અતિ-ધાર્મિક વિશ્વમાં તફાવત સમજવા માટે, એક સામ્યતા મદદ કરે છે: 'જો હું મારી માતા વિશે મજાક કરું તો ચાલે. પરંતુ તમે મારી માતા પર મજાક કરો તે ન ચાલવી લેવાય.' અને તેમ છ જો તમે એવું કંઈક કર્યું તો મારા ક્રોધાવેશનો ભોગ બનશો.' ન્યાયિક પ્રણાલીઓ આ મુદ્દાઓનો 'તર્કસંગત' ઉકેલ કોઈને કોઈ રીતે લાવશે એવી અપેક્ષા આપણે કેમ રાખીએ છે પણ એક પ્રશ્ન બની રહે છે.

  • મિડ-ડે માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTale of two buildings નો અનુવાદ | વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૪ જાન્યુઆરી ૨૦૨૬

શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026

ટેક્ષી ડ્રાઈવર પાસેથી શીખવા મળેલ જીવનપર્યંતનો બોધપાઠ

 તન્મય વોરા


મારા વ્યવસાયને લગતી એક બહારગામની મુલાકાતથી હું પાછો ફરી રહ્યો હતો. મેં જે ટેક્ષી તે નક્કી કરી ટેક્ષીના ડ્રાઈવરની આંખોમાં ચમક હતી. કસાયેલો બાંધો ધરાવતો એ યુવાન ઉત્સાહથી છલકાતો હતો. તેનાં સ્વાગતમાં ખુશખુશાલી અને વર્તણૂકમાં સહજ વ્યાવસાયિકતા હતી. જેમ જેમ ટેક્ષી ચાલવા લાગી તેમ તેમ તેણે મારી સાથે અર્થતંત્ર, નોકરીઓની પરિસ્થિતિથી લઈને પોતાને ટેક્ષી ચલાવવાનું કેમ ગમે છે તે વિશે વાતચીત શરૂ કરી. તે એક અનોખો દ્રષ્ટિકોણ ધરાવતો હોય તેવું લાગતું હતું. તેનો ઉત્સાહ લગભગ ચેપી હતો અને હું પણ, અવશપણે, તેની સાથે વાતચીતમાં ખેંચાઈ ગયો !

નોકરીઓથી લઈને વેચાણ સુધીના વિષયો પરની વાતચીતમાં એક તબક્કે, તેણે પોતાનો સેલ ફોન કાઢ્યો અને એક વિડિઓ રેકોર્ડિંગ બતાવવાનું શરૂ કર્યું. મને તે પ્રેરણાત્મક વિડિઓ જેવું લાગ્યું. તેણે મને ફોન આપ્યો જેથી હું તે વ્યક્તવ્ય જોઈ/સાંભળી શકું. તેણે પછીથી ખુલાસો કર્યો કે તેણે એક અગ્રણી પ્રેરક/વેચાણ વક્તાના આ દિવસભરના સેમિનારમાં હાજરી આપવા માટે તેની માસિક આવકનો લગભગ ૩૦% ખર્ચ કર્યો હતો. તેણે મને પણ યુ ટ્યુબ પર ક્યાંકથી એ વક્તાના વિડિઓ શોધી ને જોવા  માટે વિનંતીપૂર્વક સૂચન કર્યું.

આ વ્યક્તિ તરીકે ખરેખર અદ્‍ભૂત હતો કેમકે તેણે પોતાની ભૂતકાળની કે વર્તમાન સામાજિક પરિસ્થિતિ, પોતાની નોકરી કે શૈક્ષણિક લાયકાતના અભાવને મર્યાદા તરીકે જોયાં જ ન હતાં. આમ, તેણે મને શીખવ્યું કે નવું નવું શીખતા રહેવાની કોઈ સીમા નથી. નવી વસ્તુઓ શીખવા માટે એકમાત્ર પૂર્વશરત એ છે કે ખુલ્લું, તૈયાર, ગ્રહણશીલ અને જિજ્ઞાસુ મન હોવું જોઈએ. નવું શીખવાને જ્યારે તમે કોઈ ડિગ્રી માટે કે બીજાંઓની નજરોમાં સ્વીકૃતિ તરીકે બાહ્ય પ્રમાણપત્ર માટે નથી જોતા, ત્યારે નવું શીખવાની કક્ષા શ્રેષ્ઠ સ્તરે પહોંચે છે.

ટોમ પીટર્સ તો કહે જ છે કે  જો તમે બિઝનેસ ટ્રાવેલર છો, તો તમે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ પાસેથી નહીં પણ કેબ ડ્રાઇવરો પાસેથી સૌથી વધુ શીખો છો. તમને જીવન વિશેનો એક વાસ્તવિક દ્રષ્ટિકોણ જાણવા મળશે.  મેં આ કથનનાં હાર્દનો અનુભવ તે દિવસે જાતે કર્યો.

હવે પછી જ્યારે મને કેબની જરૂર પડશે, ત્યારે મને ખબર છે કે મારે કોને ફોન કરવો!

સ્રોત સંદર્ભ:: Lifelong Learning: Lesson From A Cab Driver

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

બુધવાર, 7 જાન્યુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 

 ટ્રિબ્યુન

ઓગસ્ટ, ૧૯૪૪

સંતૃપ્ત બોમ્બમારા (સેચ્યુરેટેડ બોમ્બિંગ)ના સંદર્ભમાં, મારી સાથે બહુ જ અસંમત એવા એક સંવાદદાતા એ ખુબ જ ભારપૂર્વક ઉમેર્યું કે તે પોતે કોઈ પણ રીતે શાંતિવાદી નથી. પરંતુ, 'હુણોને મારી હટવવા જોઈએ' એને તો તેઓ સ્વીકારે છે. તેઓ આપણે જે ક્રૂર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ ફક્ત તેનો વિરોધ કરી રહ્યા હતા.

હવે, મને લાગે છે કે લોકોને 'હુણ' કહેવા કરતાં બોમ્બ ફેંકીને તમે ઓછું નુકસાન પહોંચાડો છો. દેખીતી રીતે, જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી કોઈ મૃત્યુ કે ઘાયલ થવા નથી માંગતું. પરંતુ હું એવું માનતો નથી કે ફક્ત હત્યા જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણામાંથી મોટાભાગના 'કુદરતી મૃત્યુ' તરીકે ઓળખાતી ઘૃણાસ્પદ ભયાનકતાથી સો વર્ષથી ઓછા સમયમાં મરી જઈશું. ખરેખર ખરાબ બાબત એ છે કે શાંતિપૂર્ણ જીવન અશક્ય બની જાય એવી રીતે વર્તવું. સંસ્કૃતિના વિનાશ દ્વારા નહીં (યુદ્ધની ચોખ્ખી અસર સમગ્ર વિશ્વની ઉત્પાદક ક્ષમતામાં વધારો કરવા માટે પણ હોઈ શકે છે), કે માનવ હત્યા દ્વારા પણ નહીં પરંતુ નફરત અને અપ્રમાણિકતાને ઉત્તેજન આપીએ યુદ્ધ સંસ્કૃતિના માળખાને નુકસાન પહોંચાડે છે. તમારા દુશ્મન પર ગોળીબાર કરીને તમે તેને સૌથી ઊંડા અર્થમાં અન્યાય નથી કરતા. પરંતુ દુશ્મનને નફરત કરીને, તેમના વિશે જુઠ્ઠાણા ફેલાવીને અને એ જુઠ્ઠાણાઓ પર વિશ્વાસ કરવા માટે બાળકોને ઉછેરીને, યુદ્ધોને અનિવાર્ય બનાવે એવી અન્યાયી શાંતિની શરતો માટે બૂમો પાડી પાડીને, તમે એક નાશવંત પેઢી પર નહીં, પરંતુ માનવતા પર જ પ્રહાર કરી રહ્યા છો.

એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે યુદ્ધના ઉન્માદથી સૌથી ઓછા ગ્રસ્ત લોકો ખરેખર લડાઈ લડી રહેલા સૈનિકો છે. બધા લોકો  કરતાં તેઓ દુશ્મનને નફરત કરવા, જૂઠાણાના પ્રચારને ગળે ઉતારી જવા કે બદલો લેવાની ભાવનાથી શાંતિની માંગ કરવા માટે ઓછામાં ઓછું વલણ ધરાવે છે. લગભગ બધા સૈનિકો - અને શાંતિ સમયમાં વ્યાવસાયિક સૈનિકોને પણ આ લાગુ પડે છે - યુદ્ધ પ્રત્યે સમજદાર વલણ ધરાવે છે. તેઓ સમજે છે કે યુદ્ધ ઘૃણાસ્પદ છે, અને છતાં તે ઘણીવાર જરૂરી હોઈ શકે છે. નાગરિક માટે આવું વલણ ધરાવવું મુશ્કેલ છે, કારણ કે સૈનિકનું અલગ વલણ કંઈક અંશે થાક, ભયની ગંભીર અસરો અને તેના પોતાના લશ્કરી મશીન સાથે સતત ઘર્ષણને કારણે છે. સુરક્ષિત અને સારી રીતે ખાતાપીતા નાગરિકમાં વધુ ફાજલ લાગણી હોય છે, અને તે તેનો ઉપયોગ જો તે દેશભક્ત હોય તો દુશ્મનને, જો તે શાંતિવાદી હોય તો તેના પોતાના પક્ષને, કે કોઈ પણ બીજાને નફરત કરવા માટે સૌથી વધારે તૈયાર હોય છે. પરંતુ, જેમ ગોળીઓના ડરને દૂર કરી શકાય છે તેમ યુદ્ધની માનસિકતાની સામે સંઘર્ષ કરી શકાય છે અને તેને દૂર કરી શકાય છે. મુશ્કેલી એ છે કે પીસ પ્લેજ યુનિયન[1] કે નેવર અગેઇન સોસાયટી યુદ્ધની માનસિકતાને જુએ છે ત્યારે તે માંસિકતાને ઓળખી શકતા નથી. દરમિયાન, આ યુદ્ધમાં 'હુણ' જેવા આક્રમક ઉપનામો મોટા ભાગના લોકોમાં ફેલાયાં નથી તે હકીકત મને શુભ શુકન લાગે છે.

છેલ્લા યુદ્ધના સૌથી આઘાતજનક કાર્યોમાંનું એક કૃત્ય મને હંમેશા એવું લાગતું હતું કે તેનો હેતુ કોઈને મારવાનો નહોતો. - તેનાથી વિપરીત, તેને કારાણે, કદાચ, ઘણા લોકોના જીવ બચ્યા હશે. કાપોરેટો પર પોતાનો મોટો હુમલો શરૂ કરતા પહેલા, જર્મનોએ ઇટાલિયન સૈન્યને નકલી સમાજવાદી પ્રચાર પત્રિકાઓથી લાદી દીધું. એ પત્રિકાઓનો સુર જર્મન સૈનિકો તેમના અધિકારીઓને ગોળી મારવા અને તેમના ઇટાલિયન સાથીઓ સાથે ભાઈચારો કરવા તૈયાર હતા જેવા આરોપ કરવાનો હતો કે.. ઘણા ઇટાલિયનોને પકડવામાં આવ્યા, જર્મનો સાથે ભાઈચારો કરવા આવ્યા તેમને કેદી બનાવવામાં આવ્યા - અને, હું માનું છું કે, તેમનાં ભોળપણ માટે એ લોકોની મજાક પણ ઉડાવવામાં આવી હશે. મેં સાંભળ્યું છે કે આવાં કારનામાંઓનો બચાવ યુદ્ધ કરવાની એક ખૂબ જ ચાતુર્યભરી અને માનવીય રીત તરીકે કરવામાં આવે છે - ખાસ કરીને  જો તમારો એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય તેટલાં વધુ લોકોને છાવરવાનો હોય તો. અને છતાં, હિંસાનું કોઈ પણ કૃત્ય ન કરી શકે  એવી રીતે આવી યુક્તિ માનવ એકતાના મૂળને  નુકસાન પહોંચાડે છે.
હું જોઉં છું કે લંડનના એક પછી એક ચોકમાં રેલિંગ પાછી આવી રહી છે - છે ભલે ફક્ત લાકડાની, પણ એ હકીકત છે કે એ રેલિંગ છે. આમ થવાથી ચોકના કાયદેસર રહેવાસીઓ ફરીથી તેમની કિંમતી ચાવીઓનો ઉપયોગ કરી શકે છે, અને ગરીબોના બાળકોને બહાર રાખી શકાય છે.

જ્યારે ઉદ્યાનો અને ચોકની આસપાસની રેલિંગ દૂર કરવામાં આવી, ત્યારે આંશિક રીતે ઉદ્દેશ્ય લોખંડનો ભંગાર એકઠો કરવાનો હતો. પરંતુ રેલિંગ દૂર કરવી એ લોકશાહીનો સંકેત પણ માનવામાં આવતો હતો. હવે ઘણી વધુ હરિયાળી જગ્યાઓ જાહેર જનતા માટે ખુલ્લી હતી, અને તમે ઉદ્યાન બંધ થવાના સમયે ભયાનક ચહેરાવાળા ચોકીદારો દ્વારા બહાર કાઢી મુકાવાને બદલે ઘણે લાંબે સુધી ઉદ્યાનોમાં રહી શકો છો. એવું પણ જાણવા મળ્યું કે આ રેલિંગ ફક્ત બિનજરૂરી જ નહીં પણ ભયંકર કદરૂપી પણ હતી. ઉદ્યાનોને ખુલ્લા મૂકવાને કારણે હવે તેમની ઓળખ સાવ બદલી ગઈ. તેમને એક મૈત્રીપૂર્ણ, લગભગ ગ્રામીણ દેખાવ મળ્યો જે પહેલાં ક્યારેય નહોતો. જો રેલિંગ કાયમ માટે અદૃશ્ય થઈ ગઈ હોત, તો કદાચ બીજો સુધારો થયો હોત. જે મૂળતઃ જ ઇંગ્લેન્ડને અનુકૂળ ન હતા અને લંડનમાં પણ હંમેશા ધૂળવાળા જ રહેતા હતા એવા લૉરેલ અને પ્રાઇવેટના ઉદાસ દેખાતા છોડવાઓને કદાચ ઉખેડી નાખીને તેની જગ્યાએ ફૂલોની પથારી વાવી દેવાઈ હોત.  રેલિંગની જેમ, લોરેલ અને પ્રાઈવેટના છોડવાઓને પણ માત્ર વસ્તીને બહાર રાખવા માટે ત્યાં મૂકવામાં આવ્યા હતા. જો કે, બીજા કેટલાય સુધારાઓની જેમ ઉચ્ચ અધિકારીઓ આ સુધારાને ટાળવામાં સફળ રહ્યા. જ્યાં જુઓ ત્યાં, મજુરી અને લાકડાના બગાડને ધ્યાનમાં લીધા વિના, લાકડાના ખૂટાંઓની વાડ ઊભી કરાઈ રહી છે. 

જ્યારે હું હોમગાર્ડમાં હતો ત્યારે અમે કહેતા હતા કે જ્યારે કોરડા મારવાની શરૂઆત થશે એ ખરાબ સંકેત હશે. મારું માનવું છે કે હજુ સુધી એવું થયું નથી, પરંતુ બધા નાનાં નાનાં સામાજિક ચિહ્નો એક જ દિશામાં નિર્દેશ કરે છે.  જો ટોરી સામાન્ય ચૂંટણી જીતી જાય તો મારું માનવું છે કે જે લગભગ તરત જોવા મળી શકે એવો સૌથી ખરાબ સંકેત એ હશે કે- લંડનની શેરીઓમાં, અન્ત્યવિધિ કરનારાઓ કે બેન્કરો સિવાય ટોપ-હૅટ[2] પહેરનારાઓ વધારે દેખાવા લાગશે. ફરીથી દેખાવ થશે નહીં. આપણને આ દિશામાં શું થયું તેની સમીક્ષા બહુ ટુંક સમયમાં કરવા મળવી જોઈએ.  તે દરમિયાન મેરી પેનેથ દ્વારા લખાયેલ બ્રાન્ચ સ્ટ્રીટ નામના અસાધારણ પુસ્તક તરફ ધ્યાન દોરવાની હું તક લેવા માગીશ. લેખિકા ચિલ્ડ્રન ક્લબમાં સ્વૈચ્છિક કાર્યકર છે, કે કદાચ હતાં. તેમના આ પુસ્તકમાં તેઓ લંડનના કેટલાક બાળકો હજુ પણ જે ક્રૂર પરિસ્થિતિઓમાં મોટા થાય છે તે દર્શાવે છે. જોકે, યુદ્ધના પરિણામે આ પરિસ્થિતિઓ હજુ વધુ ખરાબ થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી. બાળકો પર યુદ્ધની અસરના અધિકૃત અહેવાલને હું વાંચવા માંગુ છું - મને લાગે છે કે આવી કોઈ વસ્તુ ક્યાંક અસ્તિત્વમાં હશે, પરંતુ મને તેની ખબર નથી. શહેરોના લાખો બાળકોને ગ્રામીણ જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, ઘણાનું શિક્ષણ મહિનાઓ સુધી રખડી ગયું છે, બીજાં કેટલાંય બાળકોને લોકોને બોમ્બમારાના ભયાનક અનુભવો થયા છે (યુદ્ધની શરૂઆતમાં હર્ટફોર્ડશાયર ગામમાં સ્થળાંતર કરવામાં આવેલી હતી આઠ વર્ષની એક નાની છોકરીએ મને ખાતરીપૂર્વક કહ્યું હતું કે તે સાત વખત બોમ્બમારાનો ભોગ બની હતી), જો બીજાં કેટલાંક  અંડરગ્રાઉન્ડ ટ્યુબ આશ્રયસ્થાનોમાં, ક્યારેક એક વર્ષ કે તેથી વધુ સમય માટે, સૂઈ રહે છે. મારે એ જણવું છે કે કે શહેરના બાળકોએ ગામડાના જીવન સાથે કેટલી હદ સુધી અનુકૂલન સાધ્યું છે - શું તેઓ પક્ષીઓ અને પ્રાણીઓમાં રસ ધરાવતા થયા છે, કે પછી શું તેઓ ફક્ત તસવીરો લગાવેલાં ઘરોમાં પાછા ફરવા માટે ઉત્સુક છે - અને શું કિશોરવયનાં બાળકોના ગુનામાં કોઈ નોંધપાત્ર વધારો થયો છે. શ્રીમતી પેનેથે વર્ણવેલ બાળકો, રશિયન ક્રાંતિની આડ પેદાશ ગણાતાં, લગભગ 'જંગલી બાળકો' ના ટોળા જેવા લાગે છે.
અઢારમી સદીમાં, જ્યારે ભારતીય મલમલ વિશ્વના અજાયબીઓમાંનું એક હતું, ત્યારે એક ભારતીય રાજાએ લુઇ પંદરમાના દરબારમાં વેપારના કરાર કરવા માટે વાટાઘાટો કરવા માટે દૂતો મોકલ્યા. રાજા જાણતો હતો કે યુરોપમાં સ્ત્રીઓનો રાજકીય પ્રભાવ ઘણો વધારે છે, અને દૂતો તેમની સાથે મોંઘા મલમલનો એક તાકો લાવ્યા હતા, જે લુઇની રખાતને રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. કમનસીબે એ દૂતોની માહિતી જૂની થઈ ગઈ હતી : લુઇનો પ્રેમ હવે બીજી સ્ત્રી તરફ ઢળી ગયો હતો. એટલે જે રખાતને મખમલનો તાકો ભેટ અપાયો તેને પહેલાથી જ ત્યજી દેવાઈ હતી. પરિણામે, મિશન નિષ્ફળ ગયું, અને ઘરે પહોંચ્યા પછી દૂતોનો શિરોચ્છેદ કરવામાં આવ્યો.

મને ખબર નથી કે આ વાર્તામાં કોઈ બોધપાઠ છે કે નહીં, પણ જ્યારે આપણા વિદેશ મંત્રાલયને જે પ્રકારના લોકો સાથે મળવાનું ગમે છે તેમને હું જોઉં છું, ત્યારે મને ઘણીવાર આ કહાણી યાદ આવે છે..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

શુક્રવાર, 2 જાન્યુઆરી, 2026

કોઈ જોતું હોય કે ન જોતું હોય, તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું

ઉત્પલ વૈશ્નવ

સંચાલન કક્ષાએ પહોંચેલાં ઘણાં લોકોનાં પદમાં અગ્રણી હોવાનું લેબલ તો હોય છે.

પરંતુ, ખરા અર્થમાં નેતૃત્વ બહુ ઓછાં લોકો પૂરૂં પાડતાં હોય છે.

પોતાના પદ અનુસારનું કામ કરવું તો સહેલું છે.

નક્કી કરેલાં કામ કરવાં.

નિશ્ચિત કરેલ ધ્યેય સિદ્ધ કરવાં.

મિટિંગોમાં ભાગ લેવો.

અને, પગાર મેળવવો.

નેતૃત્વ પૂરૂં પાડવું એ અલગ જ બાબત છે.

તંત્ર વ્યવસ્થાની તિરાડ ખાઈ બને તે પહેલાં ધ્યાન પર લેવી.

ચૂપ રહેવું શ્રેયકારક હોય ત્યારે અપ્રિય લાગે તેવી વાત કહી શકવી.

દોષારોપણનો ટોપલો પોતાની ટીમના સાથીદારને માથે ન જવા દઈને પોતે પહેરી લેવો.

ટૂંકે ગાળે મોંઘા પડતાં લાગતા નિર્ણયો લઈને લાંબા ગાળાના ફાયદા કરી શકવા.

આ બધાં માટે વધારે વેતન કે વધારે નોંધ ન પણ લેવાય.

પદની જવાબદારીઓ સોંપાય ત્યારે આવું બધું કહેવાયું ન હોય.

ઘણી વાર  તો આભારના બે બોલ પણ કોઈ ન કહે. 

તમે પણ આ બધું એટલે કરો છો કે તેમ કર્યા વિના તમને ચાલે તેમ નથી.

પોતાનાં કામ માટે પગાર મળે છે.

તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું, કોઈ જોતું હોય કે ન જોતું હોય.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Leadership is what you can’t not do, even when no one is watching. નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૨ જાન્યુઆરી ૨૦૨૬ 

બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ધાર્મિક ઓળખની આગવી પુનઃસ્થાપના ઉભરી રહી છે - દેવદત્ત પટ્ટનાઈક

છેલ્લા ૭૦ વર્ષોમાં હિન્દુ ઓળખ નાહકનો બચાવ ન કરતી અને વધુ સ્વમતાગ્રહી, આક્રમક અને ઊતરતી સરખામણી ન સહન કરી લેવાનું વલણ ધરવાવા લાગતી જોવા મળવા લાગી છે. આમ થવા પાછળ ઇતિહાસનો પ્રતિભાવ જણાય છે. ધર્મનિરપેક્ષતા બધા ધર્મો પ્રત્યે સમાનભાવનામાંથી મત બેંકોને ખુશ કરવાનું વાહન બનતી જતી મનાવા લાગી છે. વૈશ્વિક પ્રસાર માધ્યમો અને શૈક્ષણિક વર્તુળોમાં જોવા મળતી ચર્ચાઓનો પણ પ્રતિભાવને કારણે પણ ધર્મનિરપેક્ષતા વધુને વધુ નાસ્તિકવાદી અને અમુક ચોક્કસ બાબતોમાં તર્કસંગત બની રહી છે. હિન્દુ ધર્મની ટીકા કરવાથી 'ઉદારવાદી' બની શકાય છે અને ઇસ્લામ વિશે ઘસાતું બોલનારા 'કટ્ટરપંથી' ગણાઇ જાય છે.

મારાં માતા-પિતા ૫૦ વર્ષ પહેલાં ઓડિશાથી મુંબઈ આવીને સ્થિર થયાં હું ચેમ્બુર નામના પરામાં ઉછર્યો. ચેમ્બુરમાં, મોટા ભાગે તમિલનાડુ, કેરળ, ગુજરાત, ગોવા, બંગાળ અને પંજાબથી આવીને વસેલાં લોકો રહેતાં, જેમાં થોડા સ્થાનિક મહારાષ્ટ્રીયનો પણ હતા. હું એક મિશનરી શાળા, અવર લેડી ઓફ પર્પેચ્યુઅલ સક્કરમાં ભણ્યો. મારા શિક્ષકો તેમજ સહપાઠી વિદ્યાર્થીઓમાં ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. હું ઘણો મોટો થયો મને ખ્યાલ આવ્યો કે અમને બિન-હિંદુઓને તેમના ધર્મ (ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી) અને હિન્દુઓને તેમની ભાષા (ઓડિયા, બંગાળી, મહારાષ્ટ્રીયન, તમિલ, મલયાલી, કન્નડી, પંજાબી) દ્વારા ઓળખવાનું, લગભગ ફરજિયાત જ કહી શકાય એ રીતે, શીખવાડવામાં આવતું હતું. ત્યારે મને એ મને ધ્યાન નહોતું આવ્યું કે જે પણ હિન્દુ સાથે મારો વ્યવહાર હતો તે બધા 'સવર્ણ' હતા.

હકીકતમાં, પછી ભલે તે મિત્રો સાથે તમિલ સુબ્રમણ્યમ મંદિરની મુલાકાત લેવાનું હોય (જેના વિશે મારી માતાને કોઈ ખ્યાલ નહોતો), અથવા સ્થાનિક ગણેશ અથવા હનુમાન મંદિર (ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોથી ભરેલું) જવું હોય, અથવા મારા માતાપિતા સાથે હાજી અલી દરગાહ અથવા અજમેર દરગાહની મુલાકાત લેવાનું હોય, અથવા મુંબઈના પ્રખ્યાત માઉન્ટ મેરી, અથવા ગોવાના બેસિલિકા જવાનું થતું, મને ક્યારેય આપસભાનતાથી પણ ધર્મનિરપેક્ષ કે હિન્દુ, કે ખાસ વિશેષાધિકાર પ્રાપ્ત હોવાનું શીખવવામાં આવ્યું ન હતું. જાહેર પ્રસાર માધ્યમો ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોથી આગળ વિસ્તર્યાં તે પછીથી આ પ્રકારનાં વિશેષણો વપરાવા લાગ્યાં.

ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર વિષયોમાં અમને શાળામાં ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે શીખવવામાં આવતું. એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નિર્માણ માટે કેટલાક લોકોએ બિનસાંપ્રદાયિકતા (ભારતની વિચારધારા)ને બદલે ધર્મ (ઈસ્લામ) ને પસંદ કર્યો ત્યારે અમને દુઃખ થયું. શાળામાં અમને ધર્મ વિશે નહીં પણ વિજ્ઞાન, ગણિત અને ભાષાઓ, વિશે જ શીખવાડાતું. એ ભણતરે અમને ડૉક્ટર અને એન્જિનિયર બનવામાં મદદ કરી. પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસનો અંત દેશને સ્વતંત્રતા મળવા સાથે થયો. અમે મહાત્મા ગાંધીની હત્યા, નક્સલબારી ચળવળ, અથવા ઈન્દિરા ગાંધીની કટોકટી પછી થયેલા બ્રાહ્મણ વિરોધી રમખાણો વિશે અમને શાળામાં શીખવાડવામાં નહોતું આવ્યું.

હું હજુ શાળામાં હતો ત્યારે ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કર્યો, અને ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી, અને દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો થયા. અમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે શીખો પોતાને હિન્દુ, કે ભારતીય પણ માનતા નથી, અને ખાલિસ્તાન નામના રાજ્ય માટે લડી રહ્યા છે. થોડા સમય પછી, અમે ટેલિવિઝન પર રામાયણ અને મહાભારત જેવાં બે મહાન મહાકાવ્ય જોયાં જેને જોવા આખો દેશ થંભી જતો. મુસ્લિમ જૂથોના વિરોધને કારણે બાઇબલની વાર્તાઓ પર આધારિત હિન્દી શ્રેણી અચાનક બંધ થઈ ગઈ. કોલેજમાં હતા ત્યારે, મેં રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ ધ્વંસ, મુંબઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને પછી ગોધરા વિશે સાંભળ્યું. તે જ સમયે, મેં MTV, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વપરાશના અનુભવનાં પગરણ થવાં લાગ્યાં હતાં. દુનિયા નાટકીય રીતે બદલાઈ રહી હતી. આપણે દુનિયા વિશે વધુને વધુ પરિચિત થઈ રહ્યા હતા અને ધર્મ પ્રત્યે વધુ ને વધુ સભાન થતા હતા.

જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ મસ્જિદોમાંથી નમાઝ માટે મોટેથી અને મોટેથી અઝાન સંભળાતી થઈ. મારા પડોશમાં તેને કારણે વધુમાં વધુ લોકો પરેશાની અનુભવવા લાગ્યા. ત્યારબાદ મંદિરો અને તહેવારો દરમિયાન ભક્તિ સંગીત મોટેથી અને મોટેથી સંભળાતું થઈ ગયું. લગભગ સ્પર્ધાત્મક ભાવનાથી કરાતી આ પ્રવૃતિઓથી કંટાળી, ચિડાઈને લોકો રજાઓ લઈને તહેવારોના સમયે શાંત હિલ સ્ટેશનો પર જતા રહેતાં.

શાળામાં, આર એસ એસ વિશે ગુસપુસમાં વાત થતી કે તે ગેરકાયદેસર હિન્દુ ઉગ્રવાદી સંગઠન હતું જે મહાત્મા ગાંધીની હત્યા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હતું. કોલેજ છોડી ત્યાં સુધીમાં, હું હિન્દુત્વ શબ્દ વધુને વધુ, વારંવાર, સાંભળતો હતો. અમને સમજાવા લાગ્યું કે તે એક પ્રકારની ક્રોધપ્રેરિત, હિંસક હિન્દુ ઓળખ છે, જે ઘરમાં જાણવા મળેલી હિન્દુ ઓળખથી ઘણી અલગ છે.

મારા બાળપણમાં, અમે ક્યારેય હિન્દુ હોવા વિશે વાત કરતા નહોતા. તે જીવનનો એક ભાગ હતો. હિન્દુ કથાઓ અમર ચિત્ર કથા અને ચાંદમામા જેવા કોમિક્સ અને કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો દ્વારા અમારા સુધી પહોંચી. રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન અને ઇસ્કોન દ્વારા હિન્દુ ફિલસૂફી અમારા સુધી પહોંચી. જોકે તે સમયે કોઈએ ક્યારેય ધ્યાન આપતું નહીં કે શા માટે 'મિશન' બ્રહ્મચારી પુરુષો દ્વારા નિયંત્રિત હતાં કે ઇસ્કોન અબ્રાહમી ધર્મોને વધુ અનુરૂપ પ્રચાર નમૂનાઓનો ઉપયોગ કેમ કરતું હતું. અમે બધા ખજુરાહો મંદિરો વિશે ઉત્તેજિત થતા અને શરમ અનુભવતા. અમે બધા માનતા હતા કે રામાયણ આદર્શવાદી હતું જ્યારે મહાભારત વાસ્તવિક હતું. જ્યારે પૌરાણિક કથાઓનો મારો શોખ વિદ્વતાપૂર્ણ શોધખોળનો વિષય બન્યો ત્યારે બધું બદલાઈ ગયું, અને મને સમજાયું કે મોટાભાગના લોકોનો હિન્દુ ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ સંસ્થાનવાદી ઢાંચા પરથી ઘડાયો હતો.

જેમ જેમ મારો અભ્યાસ ઊંડો બનતો ગયો, તેમ તેમ મેં ગીતા પ્રેસ ગોરખપુર (તે સમયે તેમનું વલણ જમણેરી છે તે સમજાયું ન હતું) દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં હિન્દુ કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ જે રીતે રજૂ કરવામાં આવતાં હતાં તેની સરખામણીમાં વિદેશી શિક્ષણવિદો (તે સમયે તેમનું વલણ ડાબેરી છે એવું સમજાયું ન હતું) અને મોતીલાલ બનારસીદાસ પ્રેસ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં સ્પષ્ટ તફાવત જોયો. ગીત પ્રેસે હિન્દુ ધર્મને અદ્‍ભૂત, પરિપૂર્ણ, કોઈપણ લિંગ કે જાતિના પૂર્વગ્રહ વિનાની દુનિયા તરીકે, જે રીતે ભદ્ર હિન્દુઓ ધર્મને જોવા માંગતા હતા એ રીતે, રજૂ કર્યો. મોતીલાલ બનારસી પ્રેસ અને એ મુજબની વિચારધારાએ હિન્દુ ધર્મને, સ્ત્રી-જાતિ પ્રત્યે અત્યંત પૂર્વગ્રહથી જોતી અને જાતિવાદને વધુ મહત્વ આપતી, એક દમનકારી સામંતશાહી તાકાત તરીકે રજૂ કર્યો. અનુઆધુનિક ફિલસૂફીના સંપર્કમાં આવવાથી બંને વિચારધારાઓમાં પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ છતો થયો. હિન્દુ ધર્મને રાજકીય ઓળખ બનાવવાના ઇરાદાથી, ‘હિન્દુત્વવાદી’ (જમણેરી) રાજકારણીઓએ ગીતા પ્રેસ ગોરખપુરના હિન્દુ ધર્મના, ગાયને માનવ જીવન કરતાં વધુ મૂલ્યવાન માનતા, દૃષ્ટિકોણને પસંદ કર્યો. તેની સામે, ડાબેરી ઉદારવાદીઓ, પોતાની હિન્દુ ઓળખથી શરમાઈને, જાતિથી લઈને કર્મ સુધીની દરેક બાબતની પાશ્ચાત્ય સમજને ટીકા કર્યા વિના સ્વીકારી લીધી.

તાજેતરના સમયમાં, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે એક ખુલ્લેઆમ હિન્દુ રાજકીય પક્ષના સત્તામાં આવવાથી આપણે, મોટે ભાગે ઘસાતું બોલતા ઇન્ટરનેટ ટ્રોલ તરીકે, એનઆરઆઈ હિંદુઓનો ઉદય વધુને વધુ જોઈ રહ્યા છીએ. વિદેશમાં સ્થાયી થયેલા હિન્દુઓમાં એ લોકો લઘુમતી હોવા છતાં, ખાસ કરીને રાત્રે જ્યારે ભારત સૂતું હોય, ત્યારે આગિયાની જેમ બહુ જ જોવા મળે છે. આમાંના ઘણા લોકો ઉચ્ચ જાતિના હિન્દુ પૃષ્ઠભૂમિના છે. ભારતના લાઈસન્સ રાજ, તમિલનાડુમાં બ્રાહ્મણ વિરોધી ચળવળો, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નીતિઓ અને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મુસ્લિમોની તરફેણ કરતી વોટ-બેંકના રાજકારણથી હતાશ થઈ જઈને આ લોકો આર્થિક કારણોસર અમેરિકા ગયા છે. જે દેશો હિન્દુ ધર્મને આદિમ, મૂર્તિપૂજક અથવા અજબ માને છે, એવા દેશોમાં આ વર્ગ અળગાપણું અનુભવે છે. તેઓ કલ્પનાનાં એવા હિન્દુ ભારતમાં 'ઘરે પાછા' આવવા ઝંખે છે જે તેમને, બ્રિટિશરો અને મુસ્લિમો પહેલાંના, વેદ, સમ્રાટ અશોક અને રાજપૂતોના સમયના, વિશ્વ પર પ્રભુત્વ મેળવેલાં ભવ્ય, 'તે સમય'નાં હિન્દુ રાષ્ટ્રને લાવવા માટે કટિબદ્ધ છે એવાં આરએસએસ અને બીજેપી સાથે સાંકળે છે. વિશ્વ પ્રત્યેના આ દૃષ્ટિકોણનાં મૂળમાં ક્રોધાવેશ અને હીનતાની ભાવના છે. તે પૌરાણિક કથાઓની જરૂરિયાતને પુસ્તકો અને ટેલિવિઝનમાં વેગ આપે છે, ખાસ કરીને જ્યાં શિવને વિશ્વ હિન્દુ પરિષદના પોસ્ટરો પર જોવા મળતા રામ જેવાં બાવડાં હોય એવા મૈત્રીપૂર્ણ ‘મર્દ’ પુરુષ તરીકે રજૂ કરવામાં આવે છે.

તેમ છતાં, છેલ્લા વીસ વર્ષોમાં હિન્દુ ધર્મના પ્રગતિશીલ અને પરિપક્વ પાસાં દર્શાવતા મારા લખાણો અને ટીવી શૉની વધતી જતી લોકપ્રિયતા મને એવું માનવા પ્રેરે છે કે આધુનિક, વિવેકબુદ્ધિથી સમજનારી હિન્દુ ઓળખ માટે પણ ઝંખતો એવો વર્ગ પણ છે, જે ડાબેરી વિચારધારાઓથી કંટાળી ગયો છે અને જમણી વિચારધારાઓથી સાવધ છે, જે ભૂતકાળની પરવા નથી કરતો, પરંતુ, જ્યાં વૈશ્વિક સામાજિક પરિવેશમાં હિન્દુઓને હિન્દુ હોવામાં શરમ નથી આવતી એવાં, ભવિષ્ય તરફ જોઈ રહેલ છે.

  • www.theweek.in માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ The rise of religion  નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩૧ ડિસેમ્બર ૨૦૨૫