શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

સંચાલકોને પ્રશિક્ષકની ભૂમિકામાં તૈયાર કરીને સંસ્થામાં ટીમોને સશક્ત કરીએ

તન્મય વોરા


આ વિષય દ્વારા એક એવાં વિચારબીજને રોપવાનો આશય છે  જે સંસ્થાના માળખાને નાટ્યાત્મક રીતે સશક્ત બનાવી શકે છે. સંચાલક અથવા ટીમ લીડના પદ પરના દરેકને દર મહિને ઓછામાં ઓછા બે કલાક અન્ય લોકોને (પહેલી પસંદગી તેમની ટીમોને આપી શકાય) તાલીમ આપવા માટે કહો. વિષય તેઓ જ નક્કી કરે. (મોટાભાગે તેમનાં પ્રાથમિક કૌશલ્ય ક્ષેત્ર, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, સોફ્ટ સ્કિલ અથવા એવા કોઈ પણ વિષય પસંદ કરી શકાય. ક્યારેક ક્યારેક માત્ર વ્યક્તવ્ય કે પ્રેઝન્ટેશન પણ આયોજી શકાય.

થોડા ફાયદા:

¾    સંચાલક અથવા ટીમ લીડ્સ આ વિષયો વિશે પોતે પણ નવી નવી બાબતો શીખી શકે છે.

¾    આ પ્રયોગ દ્વારા તેઓ વિચાર પ્રક્રિયા, વિચારોની રજૂઆત અને જાહેરમાં બોલવાની બાબતે વધુ સારી કુશળતા મેળવી શકે છે.

¾    પોતાના અનુભવો અને તારણો બીજાંઓ સાથે વહેચવાની સાથે સાથે સામેના લોકોને આ વિષય વિશેના આગવા દ્રષ્ટિકોણ સમજાવી શકાશે અને લોકોના દૃષ્ટિકોણ સમજી શકાશે.

¾    ટીમના સભ્યો તેમના સંચાલક અથવા ટીમ લીડને પોતાના કાર્યક્ષેત્રોમાં જ્ઞાન વૃદ્ધિ દ્વારા થતાં મૂલ્યવર્ધન માટે સન્માન આપવાનું શરૂ કરી શકે છે.

આ પ્રયોગ, શરૂઆતમાં  ત્રણ મહિના માટે કરી જૂઓ. હાજરીની સંખ્યા અને ગુણવત્તાની નોંધ રાખો અને ખર્ચવામાં આવેલા પ્રયત્નોનું માપ કાઢો - આ પ્રયાસનું ખર્ચ પરનું વળતર સારૂ  રહેવું જોઈએ કેમકે તે લોકો વચ્ચે મજબૂત કડીઓ બનાવે છે.

બહુ જટિલ વિષયોને પસંદ ન કરીને જ્યારે તાલીમનું ભારણ ઓછું રાખવામાં આવે છે ત્યારે તે સૌથી અસરકારક હોય છે. વધુમાં - તે સતત શીખવાનાં વાતાવરણને પોષે છે.

પ્રયોગ કરી જોવા જેવો જરૂર છે !

સ્રોત સંદર્ભ:: Build Strong Teams by Turning Your Managers Into Trainers


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

બુધવાર, 10 ડિસેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : માનવીનો પોતા સાથેનો સંબંધ

 

ગાયત્રી શ્રીધરન[1]

બુક ઑવ જેનસિસમાં એક કથન છે - Eritis Sicut Deus, Scientes Bonum Et Malum (દુષ્ટમાંથી સારાંને પારખી લેવાથી તમે ઈશ્વર જેવા બનશો) (૩:૫). પરંતુ છાંદોગ્ય ઉપનિષદ કહે  છે કે तत् त्वम् असि श्वेतकेतु, એ તું છો.  આકરી સાધના અને તપશ્ચર્યા કર્યા પછી જીવને સમજાય છે કે, अहं ब्रह्मास्मि, એ પોતે જ બ્રહ્મન્ (ઈશ્વર) છે. પછીથી તેને જ્ઞાન થાય છે કે सर्वम् खलु ईदम् ब्रह्म, બધું જ બ્રહ્મન્ છે.

આ સંદર્ભમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, ઋષિ યાજ્ઞવલ્ક્ય અને તેમનાં પત્નીના સંવાદમાં માનવીના પોતા સંબંધ વિશે આ મુજબ કહેવાયું છે 

પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ કરતી નથી, પણ આત્માને માટે તે પતિને ચાહે છે, કારણ તે આત્માને ચાહે છે. પત્નીને માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે આત્માને માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે. કોઈ પણ માણસ બ્રહ્મનને ચાહે છે તેનું કારણ એ બ્રહ્મન છે માટે નહીં, પણ તે આત્માને ચાહે છે તેથી તે બ્રહ્મનને ચાહે છે. કોઈ પણ માણસને ક્ષત્રિય તે ક્ષત્રિય છે માટે પ્રિય નથી, પણ તેને આત્મા વહાલો છે તેથી તે પ્રિય છે. તેમજ જગતને તે જગત છે માટે કોઈ ચાહતું નથી, પણ આત્માને ચાહે છે માટે તે જગતને ચાહે છે. આ જ પ્રમાણે દેવો તે દેવો છે માટે પ્રિય નથી પણ આત્મા પ્રિય છે માટે દેવો પ્રિય છે. વસ્તુ તે વસ્તુ છે માટે પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે માટે તેને વસ્તુ પ્રિય છે. આમ દરેક જીવ બધાંને પોતા માટે પ્રેમ કરે છે. ખરૂં સમજવાનું પણ સ્વને છે. તેને સાંભળો, તેના પર મનન કરો અને તેના પર ધ્યાન ધરો.

સંબંધોનો બીજો દૃષ્ટિકોણ

યહુદી ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓ પરનાં પુસ્તક, તાલમદ,ના એક બહુ જાણીતાં કથનમાં કહેવાયું  છે કે, 'વસ્તુઓ જેમ છે તેમ આપણે તેમને જોતાં નથી. આપણે જેવાં છીએ તેવી રીતે વસ્તુઓને આપણે જોઈએ છીએ. મૂળ કથન તો આપણાં અચેતન મનની 'સ્વપ્ન' સ્થિતિમાં જે કલ્પીએ છીએ તેનો ચેતન મન પડધો પાડે છે એવું કહેવાનો ભાવાર્થ છે. આપણા વેદોમાં પણ આ ભાવની જ વાત કહેવામાં આવી છે. આપણા પ્રાચીન ઋષિઓ તો કહે જ છે કે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા જે આપણે અનુભવીએ એ જ આપણને આપણી વાસ્તવિક દુનિયા દેખાય છે. આપણી એ જાગૃતિની બહાર બીજી કોઈ વાસ્તવિકતા અસ્તિત્વ જ નથી ધરાવતી. 

માનવીના વિવિધ સંબંધોને એક બીજી દૃષ્ટિથી પણ જોઈ શકાય. માનવીના બધા સંબંધો અસ્થાયી છે, લાંબું ન પણ ટકી શકે એવા છે. એક જ સંબંધ એવો છે જન્મથી મૃત્યુ સુધીસાથ આપે છે - માનવીનિ ઓતાની જાત સાથેનો સંબંધ. અદ્વૈતવાદની ભાષામાં પોતાની અંદરના આત્માને આપણે ગણકારતાં નથી તો પણ તે આપણો સાથ નથી છોડતો. માનવીનાં તન અને મન સાથેનો આત્માનો સંબંધ બહુ જ મૂળભુત  સંબંધ છે. 

સંબંધોના અવિઅક્સિત સ્વરૂપમાં માનવીનો અહં અને બીજું બધું એવાં બે જ સ્વરૂપો છે. શાસ્ત્રો આને અજ્ઞાન કહે છે. દુનિયાના બધા સંબંધોનું મૂળ આ વિચારબીજમાં છે.

दृग दृश्य विवेक સમજાવે છે કે

चिच्छायाऽऽवेशतो बुद्धौ भानं धीस्तु द्विधा स्थिता

एखाहङ्कृतिरन्यास्वादन्तःकरणरुपिणी॥ -

બુદ્ધિનું તેજ તેમાં રહેલ ચેતનાનાં પરાવર્તને કારણે છે. बुद्धि બે પ્રકારની હોય છે - અહં વિષયલક્ષી (સ્વયં अहंकार) અને મન (અંતઃકરણ अंत:करण) એમ બે સ્વરૂપ ધરાવે છે. धिः આંતરિક અંગ છે જે અલગ કાર્યના સંદર્ભમાં ઈચ્છા અને સંશયના સ્વરૂપમાં (मानस), નિર્ણય શક્તિ અને યાદ શક્તિ ( चित्त) સ્વરૂપ ધારણ કરે છે. અહંકાર સ્વ અને સ્વ સિવાયથી અલગ કરે છે.

સુખ, ભોગ અને પીડાની પાછળની આંધળી દોટ જ સજીવ અને નિર્જીવ દુનિયા સાથે અનેકાનેક સંબંધો માટે કારણ્ભૂત છે.

શા માટે સંબંધો બંધાય છે?

આપણી અંદર ઊંડે ઊંડે કંઈ અધુરાશની લાગણી અનુભવાતી રહે છે અને અજંપાનું રૂપ લે છે. એ અધુરાશને પુરી કરવા આપણે આસપાસ દેખાતી વસ્તુઓ, અનુભવાતી લાગણીઓ, અને કલ્પનામાં દેખાતાં સુખો સાથે સંબંધો બાંધી બેસીએ છીએ. આ સંબધ આપણને બીજાં સાથે જોડે છે, પણ તે કદી સંપૂર્ણ નથી બની શકતો. સંબંધ એ બે વ્યક્તિઓને જોડતો સેતુ છે, પણ તે એ બે વ્યક્તિને એક ન કરી શકે. જ્યાં સુધી એવું ઐક્ય ન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધ તુટી શકવાની શક્યતાઓ ઊભી જ રહે છે. ભૌતિક રીતે આવું ઐક્ય, જે અવસ્થામાં કોઈ દ્વૈત નથી અનુભવાતું, કોઈ અન્ય ભાવ નથી અનુભવાતો, માત્ર, એવી આપણી સુષુપ્તાવસ્થામાં જ શક્ય બને છે.

તો ઉપાય શું?

યાજ્ઞવક્લ્ય આપણી જાત વિશે ધ્યાનમ્ગ્ન થઈને મનોમંથન કરવાનું સૂચવે છે.તેઓ સમજાવે છે વીણા પર એક એક સુર અલગથી વગાડવામાં આવે તો તે સંગીત લાગે પણ તેમાંથી કોઈ અર્થ નથી નીકળતો, પણ જ્યારે અલગ અલગ સુર એક સાથે કોઈ સુરાવલીનાં સ્વરૂપે વાગે છે ત્યારે સંગીત ધાર્યો ભાવ પેદા કરી શકે છે.

વેદોમાં અને પતંજલિના યોગ સૂત્રમાં કહ્યું છે તેમ જેમ જેમ આપણે આપણી જાત વિશે વિચારતાં જઈએ છીએ તેમ તેમ તેને વધારે સમજતાં થઈએ છીએ. એમ કરતાં આપણેયમ અને નિયમનો અભ્યાસ કરવા લાગીએ છીએ. પરિણામે, આપણે સ્વીકૃતિને લાયક અધિકારપાત્ર બનીએ છીએ. આ તબક્કે કોઈ પણ સ્વરૂપે મળેલ ગુરૂ પાસેથી જ્ઞાન મળવા લાગે છે.  ધીમે ધીમે, શ્રવણ, મનન અને નિદિધ્યાસન (સક્રિય સાધના) વડે આપણી જાતથી ઉપર ઊઠવા લાગીએ છીએ.

રામકૃષ્ણ કથામૃતમાં જણાવ્યું છે તેમ ભક્ત ઈશ્વર સાથે વિવિધ રૂપે સંબંધ કેળવે છેઃ

શાંત (ઋષિઓનો માર્ગ)

દાસ્ય (સેવકપણાનો ભાવ)

સખ્ય (ઈશ્વર સાથે મૈત્રીનો ભાવ)

વાત્સલ્ય (માનો બાળક પ્રત્યેનો ભાવ)

મધુર ભાવ (મીરા જેવો પ્રેમ ભાવ)

માતૃ ભાવ ( રામકૃષ્ણ પરમહંસ આજના યુગ માટે આ ભાવને યોગ્ય ગણે છે)

જે માનવ સંબંધોના મૂળમાં ઈશ્વર છે તે તેમાં વણાઈ ગયેલ ઐક્યને કારણે નષ્ટ નથી પામતા. એ સંબંધોમાં વૈવિધ્ય શંકા, ભય કે વિરોધને બદલે આનંદ અનુભવાય છે. 

વેદાન્ત કેસરીના ડિસેમ્બર ૨૦૦૬ના અંકમાં સ્વામી ત્યાગાનંદના લેખ અન્ડરસ્ટેંડીંગ હુમન રીલેશનશિપ્સ ઈન લાઈટ ઑફ ધ ઉપનિષદ્સ'[2]માં આ લેખનું તાત્પર્ય આ રીતે કહેવાયું છે - 

આપણામાંના જે લોકો આધ્યાત્મિક જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલાં છે એ લોકો અનુકરણ કરવા માટેનાં આદર્શ છે. આજના સમયમાં રામકૃષ્ણ પરમહંસ અને મા શારદામણિ દેવી એકબીજાં સાથેના સંબંધો ઉપરાંત તેમના સગાં સંબંધીઓ, મિત્રો અને શિષ્યો સાથેના તેમના વ્યવહારથી આપણને અનેક નમૂના રૂપ બની રહે છે. આપણા અંતરમાના સ્રોત, આત્મા,ની શક્તિમાંથી નિપજેલા માનવ સંબંધો કેટલા સમૃદ્ધિપૂર્ણ અને પરિપૂર્ણ બની રહે છે તે દેખાઈ જ આવે છે. આત્મા, કે પછી તેના જેવી જ આપણા જીવનમાં ઈશ્વરની હાજરી,ની મધ્યસ્થીમાં પેદા થયેલા સંબંધો હંમેશાં પરિપૂર્ણ કરે છે. બીજા કોઈ પણ સંબંધો અનેક મર્યાદાઓમાં અટવાઈને બોજારૂપ બની રહે છે. 
  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Gayatri Sridharan ના મૂળ અંગ્રેજી લેખ Man’s Relationship with Himself નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] ગાયત્રી શ્રીધરન બેંગ્લુરૂ સ્થિત નિવૃત ઈન્કમ ટેક્ષ ઍડવોકેટ છે  

શુક્રવાર, 5 ડિસેમ્બર, 2025

દરેક ઉદ્યોગ સાહસિકે જોવી જ જોઈએ એવી ૧૦ દસ્તાવેજી ફિલ્મ......

 

ઉત્પલ વૈશ્નવ

મોટા ભાગના નવ્ય-ઔદ્યોગિક-સ્ટાર્ટાઅપ સંસ્થાપકો નવુંનવું શીખવા માટેના બોધપાઠોની ખોજ પુસ્તકોમાં કરતાં હોય છે.
તે પૈકી વધારે વિચક્ષણ લોકો ઉર્ધ્વ પ્રગતિ, જોખમો અને પતન (પાયમાલી) વિશેનાં પુસ્તકોને તેમના વાંચનમાં ખાસ પ્રાથમિકતા આપે છે.
નરી વાસ્તવિકાઓની કહાણીઓ. માત્ર સુખાંત કથાઓ જ નહીં...

સિદ્ધાંતો, સૈદ્ધાંતિક માન્યતાઓ જે છપાવી બેઠેલ હોય છે તે દસ્તાવેજી ફિલ્મો ઉઘાડી કરી મૂકે છે.

નિદ્રાવિહિન, પાસાં ઘસી ઘસીને વિતાવેલી, રાતો.
નૈતિક ધર્મસંકટો.
કરોડો રૂપિયાનાં સામ્રાજ્યોને પળવારમાં ખડા કરતા, કે ધ્વંસ કરી દેતા, નિર્ણયો

આ યાદી અહીં એટલે મુકી છે કે દરેકમ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિક એક સત્ય તો આખરે શીખે જ છે:

બીજાના જખમોમાંથી શીખેલા બોધપાઠ તમારા વિકાસને વેગ આપે છે.

૨૦૨૬નાં ઘડતર વિશેનાં તમારાં આયોજનમાં આ દસ દસ્તાવેજી ચિત્રો તમારી વિવેકબુદ્ધિ અને નિર્ણયશક્તિને વધારે ધારદાર બનાવશે, તમારા દૃષ્ટિકોણને વધારે વ્યાપક બનાવશે, અને ન કરવા જેવી ભૂલો કરવામાંથી બચાવશે.

ચકડોળમાં ઘુમતી આ ફિલ્મો પર નજર કરો.
એક પછી એક પસંદ કરો.
દર અઠવાડીયે એક એક કરીને જૂઓ.

Fyre – The Greatest Party That Never Happened (2019)

ઐતિહાસિક નિષ્ફળતા. માર્કેટીંગની પતંગોને હવામાં ઉડતી રાખવા  કામગીરીની માંજો પાયેલી દોરની મદદ જોઇએ

https://www.netflix.com/in/title/81035279

Pixar Story (2007)

નાવીન્ય, રચનાત્મકતા અને લવચીક અનુકૂલનશીલતાની ત્રિગુણી રસી વડે પિક્ષરે એનિમેશનને ફરી બેઠું કર્યું અને નવું કરતાં રહેવાની ભૂખ જાળવી રાખી

https://www.dailymotion.com/video/xq5vxi

https://www.dailymotion.com/video/xq63h0

https://www.dailymotion.com/video/xq65yh

 The Call of Entrepreneur (2007)

સ્ટાર્ટ-અપનાં સમરાંગણમાં ધૈર્ય અને હિમંત જોખમોનો પડકાર ઝીલતા અને વિજય વરતા વાસ્તવ જગતના સંસ્થાપકો


Inside Bill’s Brain: Decoding Bill Gates (2019)

એકાગ્રતા અને વ્યૂહરચના બાબતે સમસ્યા-નિરાકરણના અને પ્રાથમિકતા આપવાના બીલ ગેટ્સના બોધપાઠ





Dirty Money (2018)

ભ્રષ્ટાચાર અને છળકપટને ઉઘાડાં પાડતો અને નૈતિકતા અને ઉત્તરદાયિત્વને યાદ કરાવતા કિસ્સાઓનો અમૂલ્ય સંગ્રહ








The Inventor: Out for Blood in Silicon Valley (2019)

પાયા વિનાના પ્રચાર ગુબ્બારાઓનાં જોખમોને છતાં કરતાં થૅરેનૉસ જણાવે છે કે પૂરતી, તલસ્પર્શી, તપાસનો કોઈ વિકલ્પ નથી

https://www.dailymotion.com/video/x9gas76





WeWork: Or the Making and Breaking of a $47 Billion Unicorn (2021)

બહુ ઝડપથી મોટા થવું, કરિશ્માઈ નેતૃત્વ અને બઢાવેલ ચઢાવેલ મૂલ્ય-આકારણીઓની સામે ચેતવણીના સુરની કહાણી


Becoming Warren Buffet (2017)

ઓમાહાના ઋષિ પાસેથી ધૈર્ય, કરકાસર અને લાંબા ગાળાની વિચારસરણીના પાઠ શીખીએ


Enron: The Smartest Guys in the Room (2005)

નૈતિકતાના અવળા પાઠમાં ઊંડી ડૂબકી - છેતરપિંડીઓના ખેલમાં ચમરબંધીઓ ધૂળ ચાટતા કેમ થયા તે જૂઓ


Startup.com (2001)

ડૉટ.કોમ પરપોટાની ફુલવાની અને ફાટવાની હકીકતની તપાસ, આંતરિક સંઘર્ષો અને ફન્ડીગનાં જોખમોની માયાજાળ


તમારી આવતી કાલ તમારી આભારી બની રહેશે.

બીજાંની ચડતી પડતીનો અભ્યાસ આપણી પોતાની પ્રગતિના વેગનો ગુણાકાર કરી આપી શકે છે.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, 10 documentaries every entrepreneur should watch નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ ડિસેમ્બર ૨૦૨૫



બુધવાર, 3 ડિસેમ્બર, 2025

સંન્યાસીનું સ્મિતઃ ભારતમાં પિતૃસત્તા સ્થાપિત કરવા માટે બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતાની ભૂમિકા - દેવદત્ત પટ્ટનાઈક

પિતૃસત્તાક લોકપ્રિય મોડેલ ગ્રીક અને અબ્રાહમિક પૌરાણિક કથાઓમાંથી ઉતરી આવ્યું છે. ગ્રીક દેવતાઓના રાજા ઝિયસની જેમ, કુટુંબના પુરુષ વડાઓ પેઢી દર પેઢી જોહુકમી ચલવતા હોય છે. ઇબ્રાહિમના ભગવાન યહોવાહની જેમ, તે સંપૂર્ણ તાબેદારી માંગે છે.

ઘણા , પશ્ચિમી અને ભારતીય, નારીવાદીઓ ભારતમાં, ખાસ કરીને હિન્દુ ધર્મમાં, પિતૃસત્તાને સમજાવવા માટે આ પશ્ચિમી મોડેલ ઠોકી બેસાડે છેમ જે બ્રાહ્મણવાદ તરીકે ઓળખાવાય છે. કહે છે. તેઓ એવું માની લે છે કે બૌદ્ધ અને જૈન ધર્મ જેવા મઠના ધર્મો અને હિન્દુ ધર્મના આશ્રમના આદેશો, બિન-પિતૃસત્તાક છે, નારીવાદી પણ છે, કારણ કે આ ધર્મો શાંતિવાદ અને અહિંસાનો પ્રચાર કરે છે.

છતાં, બૌદ્ધ, જૈન કે હિન્દુ મઠના આદેશોમાં આપણે, ભારતીય સમાજમાં પિતૃસત્તાના લક્ષણો સમાં, સંસ્થાગત સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતાના મૂળ શોધી શકીએ છીએ.

વૈકલ્પિક પરંપરા

ભારતમાં મઠવાદ (શ્રમણ પરંપરા)નો લાંબો ઇતિહાસ છે. તે મુખ્ય પ્રવાહની ગૃહસ્થ ભૌતિકવાદી પરંપરાઓ (યજમાન પરંપરા) ના વિકલ્પ તરીકે ઉદ્ભવ્યો હતો. આ બન્ને સમાંતર પ્રવાહો હતા, જે ક્યારેક એકબીજા સાથે ભળીને પરસ્પર જરૂરિયાતોને સંતોષતા હતા.

બૌદ્ધ ધર્મના ઉદય સાથે, સાધુઓ સમાજ સાથે સક્રિય રીતે જોડાવા લાગ્યા, લોકોને બૌદ્ધ માર્ગ (ધમ્મ) અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા. આ વિશ્વના સૌથી શરૂઆતના મિશનરી હતા.

પરંપરાગત રીતે, સંન્યાસીનો પોતાનો માર્ગ હોય છે. તેઓ ગૃહસ્થીનાં રાજકારણ અને અર્થશાસ્ત્રમાં કોઈ ભાગ ન લેતા. પરંતુ વિક્ટોરિયન સમયમાં જ્યારે અંગ્રેજો દ્વારા વૈભવી-પ્રેમી ગૃહસ્થને સ્ત્રીત્વપ્રેમી માનવામાં આવવાનું શરૂ થયું ત્યારે આ સ્થિતિમા બદલાવ આવ્યો. પરિણામે સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાનું પુરુષત્વ સાબિત કરવા માટે સંન્યસ્ત (બ્રહ્મચર્ય)નો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.

આજે, ભગવા અથવા સફેદ ઝભ્ભા પહેરેલા બ્રહ્મચારીને મીડિયા દ્વારા "ધાર્મિક નેતા", "ભગવાનનો સંદેશવાહક" ​​પણ માનવામાં આવે છે, અને તે ગૃહસ્થ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ એક પદાનુસારનું સ્તરીકરણ છે જે ક્યારેય અસ્તિત્વમાં નહોતું.

ભારતના સંન્યાસીઓએ ત્રણ શક્તિશાળી વિચારોને જન્મ આપ્યો: બ્રહ્મચર્ય, અહિંસા અને શુદ્ધતા. મૂળે આ જ્ઞાનસંપન્ન પ્રથાઓ હતી જેના વડે બૌદ્ધ સાધુને નિર્વાણ, જૈન સાધુને કૈવલ્ય અને હિન્દુ સાધુને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મળે. .

ધીમે ધીમે, તેમને ગુપ્ત પ્રથાઓ તરીકે જોવામાં આવવા લાગી જે બ્રહ્મચારી પુરુષોને જાદુઈ શક્તિ (સિદ્ધત્વ) આપતી હતી, જેમ કે તાંત્રિક શાસ્ત્રોમાં સૂચવવામાં આવ્યું છે, તેમ આવા યોગીઓને આ સિદ્ધિઓ પાણી પર ચાલવા, ઉડવા, નિઃસંતાન લોકોને બાળક આપવા, ગરીબોને સંપત્તિ આપવા અને બીમારોને આરોગ્ય આપવા સક્ષમ બનાવતી હતી..

આજે, આ પ્રથાઓ સામાજિક ન્યાયના સાધનોમાં રૂપાંતરિત થઈ છે. છતાં, તેમણે, હંએશાં, ભારતીય સમાજની, સ્ત્રી-દ્વેષ, સમલિંગીઓ પ્રત્યે પૂર્વગ્રહ, વંશ-વર્ણ ઊંચનીચનો ભાવ, વંશ, જાતિ, લિંગ, ભાષા, વ્યવસાય આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી, સૌથી ખરાબ પ્રથાઓમાં ફાળો આપ્યો છે.

બ્રહ્મચર્ય

ચાલો આપણે બ્રહ્મચર્યને સમજજવાથી શરૂઆત કરીએ. તેનો બહુ સીધો, અને વ્યાપક, અર્થ કામક્રીડાઓનો ત્યાગ કરવો. એ દૃષ્ટિએ તે સંયમનો, તમામ પ્રકારના આનંદનો, એક અભિન્ન ભાગ છે. બ્રહ્મચર્ય પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે લાગુ પડવું જોઈએ. જોકે, વિશ્વભરના સાહિત્યમાં, ફક્ત સ્ત્રીને જ પરંપરાગત રીતે પ્રલોભંકારક તરીકે જોવામાં આવે છે.

તેથી, પૌરાણિક કથાઓમાં, અપ્સરા દ્વારા પ્રલોભનનાં બળથી તપસ્વીના તપની અગ્નિને ઓલવી નાખવામાં આવે છે. યુવાન પુરુષો દ્વારા સ્ત્રી સંન્યાસીઓ અને પવિત્ર પત્નીઓને મોહિત કરવાનો પ્રયાસ કરાયો હોય એવી કથાઓ જવલ્લે જ જોવા મળશે.

બૌદ્ધ કથાઓમાં, સિદ્ધાર્થ પોતાની પત્નીને છોડ્યા પછી મારાની પુત્રીઓને હરાવીને બુદ્ધત્વ પ્રાપ્ત છે. જ્યાં સુધી પોતાની અપર માતાને પોતાના પિતાના મૃત્યુ પછી વિલાપ કરતી જુએ તે પછી બુદ્ધ મઠમાં સ્ત્રીઓના પ્રવેશની સ્વીકૃતિ આપે છે.

જૈન કથાઓમાં, તીર્થંકર મલ્લી, જેનું પ્રતીક ઘડો છે, તે સ્ત્રી છે કે પુરુષ, તે અંગે વિવાદ છે, કારણ કે તેઓ સ્ત્રી શરીર ધરાવતા હોવા છતાં જ્ઞાન અને મુક્તિની ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરે છે તે ઘણા લોકો માટે અકલ્પ્ય છે.

કુંભ મેળા દરમિયાન પુરુષ સંન્યાસીઓ નગ્ન ફરે છે, પરંતુ સ્ત્રી સંન્યાસીઓ એમ કરવાની હિંમત કરતી નથી, કારણ કે એવી પ્રબળ માન્યતા છે કે સ્ત્રીઓએ કોઈને લલચાવવું જોઈએ નહીં. બ્રહ્મચર્યના સિદ્ધાંતમાં નહીં પણ તેના આચરણના કેન્દ્રમાં સ્ત્રીદ્વેષ છે.

સ્ત્રી શરીરની અનૈચ્છિક માસિક ચક્રની લાક્ષણિકતાને કારણે જન્મ અને મૃત્યુ દ્વારા સ્ત્રી દેહને પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલ જોવામાં આવે છે.સ્ત્રી શરીર પુરુષ શરીરને ઉત્તેજિત કરે છે, અને પરિણામે પ્રજનન પ્રક્રિયા શરૂ થાય છે.

સ્ત્રી શરીર જ છે જેમાંથી જીવનનો ઉદ્ભવ થાય છે, અને સ્ત્રી શરીર પર જ નવું જીવન પોતાનું પોષણ કરે છે. અને તેથી, અમરત્વની શોધમાં હંમેશા જાતીય કૃત્યનો, ખાસ કરીને સ્ત્રીનો, અસ્વીકાર શામેલ હતો.

તેનાથી મુક્ત થવું એટલે પ્રકૃતિથી મુક્ત થવું, અને કંઈક દિવ્યમાં ભળી જવું, જેને મુક્તિ (મોક્ષ), ભગવાન (પરમ-આત્મા), શાણપણ (કૈવલ્ય), અમરત્વ (અમૃત) અને વિસ્મૃતિ (નિર્વાણ) તરીકે ઓળખવામાં આવે છે.

આજે, મઠ સંપ્રદાયો દ્વારા પ્રચલિત કરાયેલાં જે હિન્દુ મંદિરો બ્રહ્મચારી દેવતાઓને સ્થાન આપે છે ત્યાં સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ વર્જિત છે. પ્રાચીન બૌદ્ધ મઠના નિયમો સ્ત્રીઓથી સાવચેત રહેવા પર વિશેષ ભાર આપતા હતા, અને બૌદ્ધ સાધુ કરતાં સાધ્વીઓ પર અંકુશ માટે વધુ નિયમો હતા.

આની તુલના ગૃહસ્થ પરંપરા સાથે કરો - મંદિરોની ધાર્મિક વિધિઓ અને ઉત્સવોમાં જોવા મળે છે એમ શિવને શક્તિ સાથે લગ્ન કરવા પડે છે અને વિષ્ણુએ સતત લક્ષ્મીને ખુશ કરવા પડે છે, તેમ

સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો સ્ત્રીઓની જેમ અતિશય કામુક અને પુરુષોને પોતાનો માર્ગ ભૂલવા માટે લલચાવનારા મનાવાને કારણે સમલૈંગિક પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે, મોટા ભાગે, અણગમા અગવડતા સુધી પ્રસરે છે. તેથી જ બૌદ્ધ મઠોમાં પાંડક [બૌદ્ધ ગ્રંથમાં જાતિ વર્ગીકરણ] ને સ્થાન નથી અપાયું. મહાકાવ્ય, મહાભારતમાં બ્રહ્મચારી ભીષ્મે જાતિપરિવર્તન કરેલ શિખંડી સામે લડવાનો ઇનકાર કર્યો હતો.

અહિંસા

હવે ચાલો અહિંસાના સિદ્ધાંત પર એક નજર કરીએ.

આજે, અહિંસાને એક સભ્ય સમાજના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઘણા શિક્ષણવિદો બુદ્ધને તેમના શાંતિવાદને કારણે યુદ્ધની હિમાયત કરતા કૃષ્ણ કરતાં શ્રેષ્ઠ ગણાવે છે. પરિણામે, ઘણા હિન્દુઓ રક્ષણાત્મક બને છે અને ભોઠપ અનુભવે છે, જમણેરી હિન્દુઓ અત્યંત ગુસ્સે થાય છે.

આમ થવા પાછળનું કારણ અહિંસા વિશે વધારે પ્રચલિત અને સીધી સાદી સમજણ છે, જે અહિંસાને અન્ન, સંપત્તિ અને અર્થશાસ્ત્રથી અલગ કરી દે છે.

બૌદ્ધ, જૈન અને હિન્દુ પરંપરાઓમાં, પ્રકૃતિના મુખ્ય સાધન તરીકે જોવામાં આવતાં, કામક્રીડા અને હિંસા પ્રત્યે ઊંડો આદર હતો. કામક્રીડા પ્રજનનને શક્ય બનાવે છે. હિંસા ખોરાક પૂરો પાડે છે જે પોષણ શક્ય બનાવે છે. આ દૃષ્ટિકોણથી, કામક્રીડા અને હિંસા અસ્તિત્વ માટે જરૂરી સાધનો પુરાં પાડતી હોવાથી અસ્તિત્વ માટે ચાવીરૂપ બની. એ દૃષ્ટિએ દરેક વનસ્પતિ, અને દરેક માનવી પણ કામુક અને હિંસક છે. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ મર્યાદિત વિચારશક્તિ ધરાવે છે અને (તેથી) ક્યારે રોકાવું તે જાણે છે. માનવો એમ નથી કરતો. તેથી નીતિશાસ્ત્ર, શાસન, નૈતિકતા, કાયદો, ન્યાય અને હા, ધર્મ પર પણ ચર્ચાઓ ચાલતી રહે છે.

ખેતી, ખાણકામ અને પશુપાલન જેવી બધી માનવ આર્થિક પ્રવૃત્તિઓ જે ખોરાક અને સંપત્તિ ઉત્પન્ન કરે છે તે મૂળભૂત રીતે હિંસક છે. તેમાં માનવ સમાજ માટે સંસાધનો ઉત્પન્ન કરવા માટે છોડ, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવર્ણીય વ્યવસ્થાનો નાશ થાય છે. અહિંસક આર્થિક પ્રવૃત્તિ જેવી કોઈ વસ્તુ નથી. ગૃહસ્થ કામક્રીડા અને હિંસાથી બચી શકતો નથી.

પ્રકૃતિની આ સ્વાભાવિક પકડમાંથી મુક્ત થવા માંગતા સંન્યાસીએ કામક્રીડા અને હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો. તેથી એ લોકોએ બ્રહ્મચર્ય (ઈન્દ્રીયનિગ્રહ, સંયમ) અને અહિંસા (હિંસાનો ત્યાગ) ની પ્રથા અપનાવી. હિંસા છોડીને, તેમણે વનસ્પતિનેનુકસાન કરતા ખોરાકનો ત્યાગ કર્યો. ઘણા સાધુઓ ફક્ત ઝાડ પરથી પડેલા ફળો ખાતા હતા, અને ઉગાડવામાં આવેલા પાક ખાતા નહોતા. વિવિધ સંપ્રદાયોના આ સાધુઓ ગૃહસ્થોની દુનિયામાં દખલ કરતા નહોતા. તેઓ પોતાને અલગ રાખતા હતા અને એકાંતમાં તેમના માર્ગ પર ચાલતા હતા. તેઓ ગૃહસ્થોને તેઓ નીચા પણ્નહોતા માનતા કેમકે તેઓ ગૃહસ્થોની કૌટુંબિક જવાબદારીની માંગણીઓ જાણતા હતા. જે સંન્યાસીઓ પોતાને શ્રેષ્ઠ માનતા હતા તેમને, મહાભારતમાં વ્યાધ ગીતામાં ગૃહિણી અને કસાઈએ ઘમંડી સંન્યાસીને બોધ આપ્યો તેમ, હિંસા અને અહિંસા, ધર્મ અને અધર્મના સત્યની યાદ અપાવવામાં આવી.

તો જો કોઈ ગૃહસ્થ હોય પણ સંન્યાસી જેવા જ ધ્યેયો શોધતો હોય તો શું કરવું? એવી વ્યક્તિ કૃષ્ણની ભગવદ ગીતા સાંભળી શકે છે, અને તેનાં જટિલ તત્વજ્ઞાનને સમજવું પડે છે. આ જ્ઞાનેટલુ ગહને છે કે કેટલાક શિક્ષણવિદો તેને હિંસાને ન્યાયી ઠેરવવા માટે બ્રાહ્મણવાદી ક્લિષ્ટ ભાષાનો ગુંચવવામાટેનો પ્રયોગ ખપાવી દે છે.

જેમને આ મર્ગ નથી અપનાવવો તે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ, જાતીય અને હિંસક પ્રવૃત્તિને નિયમનમાં રાખતી ઉપવાસ જેવી પ્રથાઓનું પાલન કરવા તરફ વળ્યા.

જે પરિવારોએ શાકાહાર અપનાવ્યો હતો તેઓ માંસાહાર અપનાવનારા પરિવારોની પસંદનો કરતા હતા. આ મંદિર સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. જેમકે, ઓડિશાના પુરી ખાતેના મંદિરમાં, મુખ્ય દેવતા, ભગવાન જગન્નાથ, ચુસ્તપણે શાકાહારી છે, પરંતુ તેઓ, બકરા અને માછલીનું માંસ ખાવાનું પ્સદ કરતી, મંદિર સંકુલની અંદર વિમલા અને બહાર વારાહી જેવી સ્થાનિક દેવીઓ પર ક્રોધ નથી કરતા.

પછીથી, પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ (ખેતી, ખાણકામ, પશુપાલન) અને ગૌણ આર્થિક પ્રવૃત્તિઓ (ઉત્પાદન) ને અન્ય સમુદાયોને સોંપી દઈને, તેમાંથી લાભ મેળવેલા લાભમાંથી તૃતીય આર્થિક પ્રવૃત્તિઓ (વેપાર, બેંકિંગ) અપનાવીને હિંસાથી દૂર રહેવાનો વિકલ્પ વિકસ્યો. આજે જે મજૂર ગારમાટી અને પશુ (જીવંત કે મૃત) સાથે કામ લે છે, તે ગરીબ મજૂર છે અને ગામડાઓમાં રહે છે. તેને મજૂરી ભળાવી દઈને બુદ્ધિથી કામ લેનારો વર્ગ ઉચ્ચ વર્ગ કહેવાયો અને શહેરમાં દૂર ભવ્ય વ્યવસાયોમાં છે.

આજે હિંસા અને અનાજ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ આપણને ઓછો સમજાય છે કારણ કે આપણે શહેરી વિસ્તારોમાં રહીએ છીએ. આજનો એ સમાજ ૫,૦૦૦ વર્ષથી વધુ સમયથી ભારતના બળદગાડાના અર્થતંત્રની ચલાવવા માટે નપુંસક કરાયેલા લાખો બળદો અથવા વાર્ષિક પાકને બચાવવા માટે માર્યા ગયેલા અબજો ઉંદરોથી પરિચિત નથી. આપણે એ બધી વાતોથી શરમ અનુભવીએ છીએ, અને એ સૂચનથી પણ ગુસ્સે થઈએ છીએ કે બુદ્ધે કદાચ તેમના છેલ્લા ભોજનમાં ડુક્કરનું માંસ ખાધું હશે, કે જ્યારે સંસ્કૃત સાહિત્યમાં રામે કદાચ હરણનું માંસ ખાધું હશે તેવા પુરાવા મળે ત્યારે આપણે તેનો વિરોધ કરતી સેનાને છ્ટી મુકી દઈએ છીએ..

આજે અહિંસા શાકાહાર સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેને ભદ્ર વર્ગ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે આ વર્ગ પુરવઠા શૃંખલાની બાબતોથી તેમનાં સદ્‍નસીબે, અજાણ છે, તેથી અસંસ્કારી સમૃદ્ધ જાતિઓને તેમના ખાનગી રિવાજોને જાહેર નીતિઓમાં ફેરવાતાં જોવાતાં પરિણામો ભોગવવાં પડે છે.

શાકાહારનો હેતુ સંન્યાસીને પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત કરવા માટે હતો. શાકાહાર પાળનારા પરિવારના સભ્યોએ ક્યારેય શાકાહારને પરિવારના અન્ય સભ્યો પર લાદ્યો નહીં. શાકાહાર પાળનારા ગૃહસ્થોએ ક્યારેય તેને અન્ય ગૃહસ્થીઓ પર લાદ્યો નહીં. પ્રકૃતિ અને સંસ્કૃતિથી મુક્ત થવાની શોધ માટે બન્ને વર્ગને પરસ્પર આદર હતો; તે દરેકની વ્યક્તિગત અને અંગત પસંદગીનો માર્ગ હતો.

શાકાહાર ક્યારેય, આજે બની બેઠેલા, સામાજિક ન્યાય કે પ્રાણી અધિકારોનું શસ્ત્ર નહોતું. અનુમાન કરો કે જ્યારે સમાજ પર બળજબરીથી શાકાહાર લાદવામાં આવે છે ત્યારે કોણ પીડાય છે? ગરીબ વર્ગ.

કલ્પના કરો કે એક શાકાહારી વેપારી એક આદિવાસી વ્યક્તિને કહે છે કે તેણે શું ખાવું જોઈએ. કલ્પના કરો કે એક સોફ્ટવેર એન્જિનિયર એક કસાઈને કહે છે કે તેનું કામ ખરાબ છે. એક બૌદ્ધ અરહત, જૈન મુનિ, હિન્દુ સાધુ ક્યારેય આવું નહીં કરે. આજે કરૂણતા એ છે કે જે ઉદ્યોગપતિઓ પોતાના કામદારોનો દુર્વ્યવહાર અને શોષણ કરે છે તેમને તેમના આધ્યાત્મિક ગુરુઓ દ્વારા જાહેરમાં માન આપવામાં આવે છે કારણ કે આ ઉદ્યોગપતિઓ તેમના કાર્યસ્થળમાં માંસાહારીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દર્શાવે છે.

શાકાહારને હવે એક દયાળુ જીવનશૈલી તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે. શાકાહરને સ્વ-ન્યાયીપણાના કૃત્ય, નૈતિક આક્રોશ, નિષ્ક્રિય આક્રમકતા અને અહિંસક ઉલ્લંઘનના કૃત્યો દ્વારા લાદવામાં છે, જેમ કે માંસાહારીઓને "માંસ ખાનારા" તરીકે મજાક ઉડાવવી, અને પાલન કરવાનો ઇનકાર કરનારાઓને રહેવાનો ઇનકાર કરવો, જે લોકો ઇંડા, માછલી, મટન, ડુક્કરનું માંસ અને બીફ ખાય છે તેઓએ છાત્રાલય અને કંપની કેન્ટીનમાં અલગ રસોડું, અલગ વિભાગ અને અલગ વાસણો સ્વીકારવા પડશે, જેવા સોશિયલ મીડિયા પર દુર્વ્યવહાર .

શાકાહારીઓમાં પણ એક આધ્યાત્મિક સીડી બનાવવામાં આવી છે. જે લોકોં મૂળીયાં શાકભાજી ખાતા નથી તેઓ પોતાને ઉચ્ચ સ્તર પર રાખે છે, કારણ કે તેમના ખોરાકમાં હિંસા ઓછી માત્રામાં હોવાનું કહેવાય છે. આવા ભેદભાવને વાજબી ઠેરવવામાં આવે છે, એનું માન પણ કરાય છે, કારણ કે અહિંસા સારી વિચારસરણી અને પ્રથા છે.

શુદ્ધતા

છેલ્લે, આપણે સૌથી ઘાતક મઠ પ્રથા - શુદ્ધિકરણ - પર આવીએ છીએ. પ્રવચન જણાવે છે કે આત્મા શુદ્ધ અને આનંદી છે જ્યારે દેહ પ્રદૂષણ અને તોફાની છે. તેથી, દેહ અને પ્રકૃતિથી મુક્ત થવાની અને દિવ્યતાને સ્વીકારવાની ઝંખના ધરાવાતી હોય છે. શુદ્ધિકરણ, ઝેર દૂર કરવાની અને ભૌતિકવાદ, વ્યાપારવાદ, આનંદ અને હિંસાથી દૂર રહેવાની માંગ કરે છે. કોઈ સેક્સ નહીં, દારૂ નહીં, માંસ નહીં, અને કોઈ નકારાત્મક વિચારો કે કાર્યો નહીં. સેક્સ, દારૂ, માંસ અને પૈસા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ શુદ્ધ કરી દેવાયા છે. આ વિચારોમાં આપણે અસ્પૃશ્યતાના અમાનવીય પ્રથાના બીજ શોધીએ છીએ.

તેથી શહેરો એવા સ્થળોએ રચાયેલા છે જ્યાં કેન્દ્રમાં સૌથી શુદ્ધ લોકો રહે છે: બ્રહ્મચારી સંન્યાસી અને પવિત્ર પૂજારી, જે શાકાહારી છે, પાણીની પુષ્કળ સુવિધા છે. પરિઘમાં સૌથી અશુદ્ધ લોકો રહે છે: કસાઈઓ, ચામડાના કારીગરો, ગટર સાફ કરનારા, માંસ ખાનારા, મસાણીયાઓ અને વેશ્યાઓ, જેઓ તેમના વ્યવસાયોને કારણે ગંદા છે, અને વધુ ગંદા રહે છે કારણ કે તેમને ગામડાના કૂવાનો ઉપયોગ નિષિદ્ધ છે. આ કહેવાતા અસ્પૃશ્યોનું ક્ષેત્ર હતું. બે અંતિમોની વચ્ચે વાણિજ્ય વેપારી અને જમીનદારો છે, જેઓ હિંસા કરવાવાળાં કામો પરિઘવાળોને સોંપી દે અને કેન્દ્રના સંન્યાસીઓ અને પૂજારીઓને ભંડોળ પૂરું પાડતા હતા.

જાતિ વંશવેલોનો સિદ્ધાંત મનુસ્મૃતિમાં સંહિતાબદ્ધ હોઈ શકે છે, પરંતુ જાતિ વંશવેલો અસ્પૃશ્યતા જેવો નથી. અસ્પૃશ્યતા શુદ્ધતામાં વિશ્વાસ અને પવિત્ર અને અપવિત્ર, આત્મા અને માંસ, શુદ્ધ અને અશુદ્ધ, પવિત્ર અને અપવિત્રને અલગ પાડવાથી ઉદ્ભવે છે. સંન્યાસી અને પૂજારીનો હેતુ બાકાત રાખવાનો કે ભેદભાવ કરવાનો ન હોય શકે, પરંતુ તેમના ધ્યેયો, સ્ત્રીનું માસિક રક્ત, માંસાહારી પાત્ર અને દલિતનો સ્પર્શ જેવી, તથાકથિત તમામ પ્રકારની ગંદકી પ્રત્યેના ઉપહાસને વ્યાખ્યાયિત કરે છે અને કાયદેસર ઠેરવે છે: .

નિષ્કર્ષ

આજકાલ, બ્રહ્મચર્ય, અહિંસા, શુદ્ધિકરણ, તેમજ સ્ત્રીદ્વેષ, ક્વિઅરફોબિયા, શાકાહાર અને અસ્પૃશ્યતા જેવી પ્રથાઓને સમજાવવા માટે વિજ્ઞાન, અથવા તો છદ્મ-વિજ્ઞાનનો ઉપયોગ કરવો સામાન્ય છે. તેનાથી એ હકીકતને અવગણી ન શકાય કે આ પિતૃસત્તાક પ્રથાઓ છે. ઉપરથી, તો તે તેને ન્યાયી ઠેરવે છે. જો કે, જો આપણે આ પ્રથાઓના મૂલને શોધવા માંગતા હોઈએ, તો સંન્યાસીના સુખદ સ્મિત પર નજર નાખવી જોઈએ. તેને પવિત્ર બનાવવામાં ફાળો આપતી બધી પ્રવૃત્તિઓના અણધાર્યા પરિણામો પર વિચાર કરવો એ એક સારો વિચાર છે.

  • સ્ક્રૉલ.ઈન માં  ૧૨ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe hermit’s smile: How celibacy, non-violence and purity work to establish patriarchy in India નો અનુવાદ | વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૩ ડિસેમ્બર ૨૦૨૫

બુધવાર, 26 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મા શારદામણિદેવીમાં જોવા મળતું સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. સર્બની પુતતુંડા[1]

આદિ ગુરુ શંકરાચાર્યએ અદ્વૈત ફિલસૂફીની સ્પષ્ટતા કરીને સંબંધોનાં દિવ્યકરણને ભારતીય સમાજનાં સામાજિક - ધાર્મિક પોતમાં વણી લીધેલ છે. સામાન્યપણે અદ્વૈતનો અર્થ એકપણાં તરીકે થતો હોય  છે. પરંતુ તેનો વધારે સચોટ અર્થ બિન - અન્યપણું થાય છે. એ મુજબ બ્રહ્મન્ સિવાય અન્ય કોઈ વાસ્તવિકતા નથી અને 'વાસ્તવિકતા' ટુકડાઓની બનેલી નથી હોતી. બીજા શબ્દોમાં કહીએ તો જીવાત્મન્ (સ્વ, વ્યક્તિ) બહ્મન્ જેમાંથી આ વિશ્વ સર્જન પામે છે અને જેમાં જે બધું વિશ્વમાં છે તે બધું તે બધું મળી જાય છે. જેટલાં કંઈ વિવિધ સ્વરૂપો દેખાય છે તે બધાં માયા - આભાસ - છે. 

મા શારદાદેવીનો અભિગમ

માશારદાદેવીનાં જીવન પર દૃષ્ટિ કરીએ તો જોવા મળશે તેમની ભાવનાઓનું ઐક્ય તેમના પ્રેમમાં નીતરતું રહેતું જોવા મળશે. તેમના માટે નાતજાત, સામાજિક મોભો કે જાતિ સુદ્ધાં એક જ બ્રહ્મન્ નાં જ સ્વરૂપ હતાં. એટલે બધાં સંબંધોમાં આ ઐક્યની ભાવના વડે તેમના માટે તેમની આસપાસનાં ભૌતિક વિશ્વનું દૈવીકરણ કરવું સહજ હતું. તેમની રોજબરોજ્ની પ્રવૃત્તિઓમાંવણાયેલી ઐક્યની ભાવનાને કારણે તેમને  અદ્વૈત વિશે કોઇ ચોક્કસ વિચારો જણાવવાની જરૂર જ નથી જણાઈ. એક વાર એમણે તેમના પોતાના શિષ્યને કહેલું, જે કોઈ મારામાં છે તે તમારામાં પણ છે. તે દુલાય, બાગદી અને દોમમાં પણ છે. તેમને માત્ર માનવોમાં નહીં બધી જ સજીવ વસ્તુઓમાં બ્રહ્મન્ નાં દર્શન થતાં એટલે તો તેઓ ભગવાન રામકૃષ્ણના પ્રસાદ પર ચડેલી કીડીઓને પણ હટાવી ન દઈ શકતાં.

એકવાર રાધી એક કીડીને મારવા જઈ રહી હતો તેને પણ માએ રોકી પાડી હતી.

એમના શિષ્યએ ભગવાન રામકૃષ્ણ માટે પીરસાયેલું ભોજન ત્યાં કોઈ ભૂખ્યાં બાળકને ખવરાવી દેવાનો વિરોધ કર્યો ત્યારે મા શારદાદેવીએ તેને કહેલું કે તેનામાં પણ ઈશ્વર છે, એટલે તેને ખાવા દે. 

એક વાર ઉમેશ બાબુ સાથે વાત કરતાં કરતાં મા શારદાદેવીએ નિર્જીવ સ્થંભ માટે પણ એવી જ ભાવના વ્યક્ત કરતાં કહેલું કે લોકો ઈશ્વરની વાત કરે છે.જો તેઓ આ સ્થંભમાં ઇશ્વરનો વાસ જોઈ શકે તો તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

અદ્વૈતનું જ્ઞાન આત્મસાત કરો અને તેનો રોજબરોજનાં જીવનમાં અમલ કરો એ ભગવાન રામકૃષ્ણનો ઉપદેશ મા શારદાદેવીનાં સમગ્ર જીવનમાં વણાઈ ગયો હતો.

મા શારદાદેવીએ છંદોગ્ય ઉપનિષદનો અદ્વૈતનો અર્ક (૩.૧૪) - सर्वं खल्विदं ब्रह्म नेह नानास्ति किंचन (આ સમગ્ર વિશ્વ બ્રહ્મ છે, તે સિવાય બીજું કશું નથી) - સહજપણે આત્મસાત કર્યો હતો.

મા શારદાદેવી અને તેમના સહયોગીઓ 

સમાજમાં ધર્મ, જાતિ, જાતપાત વગેરેથી કરાતા ભેદભાવની અતાર્કિકતા વિશે મા શારદાદેવીએ એક વાર કહેલું કે,

બ્રહ્મનો દરેકમાં વાસ છે. પરંતુ ઋષિઓએ લોકોને ઈશ્વરની પ્રાપ્તિ માટેના, પોતપોતાની સમજ અને આદર્શ મુજબના, અલગ અલગ માર્ગ બતાવ્યા. પરંતુ બધા માર્ગ તો એક જ જગ્યાએ લઈ જવાના છે. વૃક્ષનો દાખલો લો. અનેક ભાત, રંગનાં પક્ષીઓ ત્યાં આવીને પોતપોતાની શૈલીમાં કિલકિલાટ કરે છે. બધાના અવાજ જુદા હોવા છતાં આપણા માટે તો એ પક્ષીઓનો જ અવાજ છે.

જો ભેદભાવ કરવો જ હોય તો જે ક્ષણભંગુર છે અને જે સ્થાયી વાસ્તવિકતા છે તેના વચ્ચે ભેદ પાડો. આપણને જકડી રાખેલ માયાનાં બંધનોમાંથી મુક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જો દુન્યવી માયાનાં બંધનોથી સંપુર્ણપણે મુકત થઈ શકીશું તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું.

ઐક્ય વર્ગવિહિનતા તરફ દોરી જાય છે

ઐકયમાંથી સમાનાધિકારનો ભાવ પેદા થાય છેંઆ શારદાદેવીનું જીવન સમાનાધિકારને વર્ગવિહિનતામાં વ્યક્ત કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

એક વાર 'રામકૃષ્ણ પુંથી'ના લેખક અક્ષય કુમાર સેને મા પાસે વિશ્વમાં જોવા મળતા ભેદભાવ માટે અચકાતા સુરમાં ફરિયાદ કરી. મા શારદાદેવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ' મારા માટે કોઈ ખાસ નથી. મારા માટે બધાં સરખાં છે. મારા મનમાં કોઈ અન્યપણાનો ભાવ નથી.' એટલે જ એમની પાસેથી આવાં ક્રાન્તિકારક કથન સાંભળવા મળે - મારા માટે તો જેવિ શરત (સ્વામી સારદાનંદ) મારો દીકરો એવો  અઝમ્દ પણ મારો દીકરો.' સ્વામી સારદાનંદ રામકૃષ્ણ સંપ્રદાયના સેક્રેટરી જનરલ, ભગવાન રામકૃષ્ણના ખાસ સોળ શિષ્યોમાંના એક, હતા અને અઝમદ એક ખુંખાર ડાકુ હતો.. મા બંનેના સ્થાન વિશે બરાબર પરિચિત હતાં. 

પોતાના રોજબરોજનાં જીવનમાં મા તેમની દુન્યવી દિનચર્યામાં જ વ્યસ્ત દેખાતા. પણ કેટલાક ભાગ્યશાળીઓને તેમાં દિવ્યતાના પ્રકાશના ઝબકારા જોવા મળી જતા. મા પણ તેમની વાસ્તવિક મનોજીવનીને રોજબરોજની દીનચર્યાના પરદા પાછળ છુપાવી દેતાં. પણ સ્વામી અરૂપનંદ સાથેના તેમના સંવાદોમાં જોવા મળે છે તેમ તેમની નજદીકનાં બધાં જ જાણતાં હતાં કે આ તેમનો પ્રયત્નપૂર્વક ઊભો કરેલો આભાસ હતો.   

'મા, તમારો ખરો સ્વભાવ ક્યારેય બહાર નથી આવી જતો?'

'હા, ક્યારેક એવું થાય. ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછું, આ હું શું કરૂં છું? પછી ગૃહસ્થી,બાળકો વગેરે સામે જોતાં બધું ભુલાઈ જાય છે. 

માના શિષ્ય આશુતોષ મિત્ર કહે છે કે પોતાની દુન્યવી દુનિયામાંથી મા તેમનાં દૈવી સ્વરૂપમાં કેવાં ઝડપથી સરી જઈ શકતાં એનું એક ઉદાહરણ અદ્‍ભૂત છે. એક વાર મા આશુતોષ મિત્ર સાથે વાત કરતાં હતાં ત્યાં રાધાની તીણી ચીસને સાંભળીને તેઓ વાત અધુરી મુકીને ગયાં. થોડી વારે તેઓ જ્યારે પાછાં આવ્યાં ત્યારે લગભગ સમાધિમાં હતાં. આશુતોષ એ ફરક બહુ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તે પછી માએ જે કહ્યું તે બહુ રસપ્રદ હતું - 

ખબર છે એક દિવસ મેં શું જોયું? ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ) મારી પાસે અનેક સ્વરૂપોમાં દેખાતા હતા. જે બાજું નજર કરૂમ ત્યાં તેઓ દેખાય. તેઓ નેત્રહીનમાં હતા, અપંગમાં હતા....એ બધાં ઠાકુરનાં જ દર્શન હતાં. મને સમજાઈ ગયું કે આ તેમણે જ કરેલું છે, અને તેઓ સર્વસ્વમાં છે.તેઓ જેમાં દેખાય તે માનવી પીડા નથી ભોગવી રહ્યું પણ ઠાકુર જ ખરેખર એ પીડા ભોગવી રહ્યા છે. એટલે મારી પાસે લોકો રડતાં રડતાં આવીને મુક્તિ માટે પાર્થના કરે છે ત્યારે હું મારી જાતને રોકી નથી શકતી. મને એમ જ લાગે છે કે હું તેમને તેમનાં સર્જન અર્પણ કરૂં છું.

સ્વામી વિવેકાનંદે કલ્પેલ અને મા શારદાદેવીએ અનુમોદન આપેલ વ્યાવહારિક વેદાન્ત  

મા શારદાદેવીનું બહુ મોટું યોગદાન, સ્વામી વિવેકાનંદ જેને વ્યાવહારિક વેદાન્ત કહે છે એવા, કર્મ યોગના સિદ્ધાંતોનું સુનિશ્ચિત ઘડતર - ખાસ તો રામકૃષ્ણ સંપ્રદાયના સંન્યાસીઓ માટે - હતું. મા પોતે જ એમાં ઘડાયેલાં હોવાથી આ સિદ્ધાંતોની અટકળ આ શબ્દોમાં કરવી સહજ હતી - સદાય કર્મ કરતાં રહો. કર્મ આપણાં મન અને તનને તંદુરસ્ત રાખે છે. હું જ્યારે જયરામબાતીમાં હતી ત્યારે સતત કામ કર્યા કરતી. હું કોઈને મળતી નહી.....જોકે સતત કામ કરવાથી એક પ્રકારની અનાસક્તિ આવી જ્જાય છે. એક ઘડી પણ નવરા ન બેસવું. હું એક ઘડી પણ નવરી નહોતી પડતી તો પણ એક લાખ વાર ઈશ્વરના નામનો મંત્રોચ્ચાર કરી શકતી હતી.

આ સિદ્ધાંત પણ અદ્વૈત તત્વજ્ઞાનના ઐક્યની વિભાવનામાં સીધો જ નિષ્કર્ષ પામે છે. અહીં માએ જે કામનો ઉલ્લેખ કર્યો છે તે અલગ અલગ સ્વરૂપે કરાતી માનવ સેવા છે. રામકૃષ્ણ સંપ્રદાયમાં દાખલ થતાંની સાથે જ સંન્યાસીને માનવ સેવા અર્થે જ કામ કરવાનું કહેવામાં આવે છે. સન્યાસી હોય કે ગૃહસ્થ, માનવ સેવાની આડે કોઈ આદર્શ આવી ન શકે એ વાત મા શારદાદેવીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધી છે.

તેમના એક પત્રમાં સ્વામી વિવેકાનંદ વ્યાવહારિક વેદાન્તને સમજાવતાં આ મુજબ કહે છે - 

ગરીબ માટે સહાનુભુતિ અને મદદ; માનવી ઈશ્વર છે, એ નારાયણ છે; આત્મા માટે સ્ત્રી કે પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે એવા કોઈ ભેદ નથી. ઘાસનાં એક નાનાં તણખલાં સુધી દરેક વસ્તુ સર્જનહારનું સર્જન, નારાયણ, છે. નાનાં જંતુમાં એ ઓછું દેખાય કે સર્જનહારમાં વધારે દેખાય. દરેકમાં દૈવત્વનું દર્શન થાય એ માટે કરેલ દરેક કર્મ ઉત્તમ છે. જે કામ તેને ઢીલમાં નાખે તે દુર્વ્યવહાર છે. આપણા પોતાનાં દૈવત્વને પ્રગટ કરવાનો એક માત્ર માર્ગ બીજાંઓને તેમ કરવામાં મદદ કરવાનો છે.  

તેમની આસપાસની ભૌતિક દુનિયા સાથેના સંબંધોને સ્પષ્ટ કરતાં મા શારદાદેવીએ એક શિષ્યને કહ્યું હતું કે,

સમય જતાંની સાથે ઈશ્વરનું અસ્તિત્વ પણ અનુભવાતું નથી. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી સમજાય છે કે ઈશ્વર અને દેવતાઓ એ બધું માયા જ છે. સમયની સાથે બધું અસ્તિત્વમાં આવે છે અને સમયની સાથે બધું વિલિન થાય છે. જ્ઞાનપ્રાપ્તિની પ્હો થતાંની સાથે જ દેવતાઓ અને એવી બધી વસ્તુઓ ઓસરી જાય છે. મુમુક્ષુની સમજાય છે કે માત્ર મા જ આખાં વિશ્વમાં ખૂણે ખૂણે ફેલાયેલ છે. એ સમયે બધું એક બની જાય છે. આ જ સાદું સત્ય છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr Sarbani Putatunda ના મૂળ અંગ્રેજી લેખ Divinising of Relationship as Observed in Holy Mother Sri Sharada Devi નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] ડૉ. સર્બની પુતતુંડા અંગ્રેજીમાં પીએચ ડી છે અને કલકત્તાની ઇસ્ટ કલકત્તા ગર્લ્સ કૉલેજમાંથી નિવૃત થયાં છે. રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય સામયિકોમાં તેમનાં અનેક શૈક્ષણિક નિબંધ પત્રો પ્રકાશિત થતાં રહ્યાં છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.

બુધવાર, 19 નવેમ્બર, 2025

ગૌરક્ષા : 'ગાય એ માત્ર ગાય નથી' - દેવદત્ત પટ્ટનાઈક

ગૌરક્ષા હિન્દુ શાસ્ત્રોની કથાઓનો એક અભિન્ન ભાગ છે. ગૌ-હત્યા, એક ભયંકર ગુનો માનવામાં આવે છે. કાલિદાસના રઘુવંશમાં, રામના પૂર્વજ રાજા દિલીપ ગાયને સિંહથી બચાવવા માટે પોતાનું બલિદાન આપવાનું તૈયાર થઈ જાય છે. ગોદાવરી મહાત્મ્યમાં, ઋષિ ગૌતમ આકસ્મિક રીતે એક ગાયને મારી નાખે છે, અને શિવને આહ્વાન કરી ગંગાને વિંધ્યની દક્ષિણમાં ગોદાવરી તરીકે વહેવા દો એવી પ્રાર્થના કરવાનો એક માત્ર માર્ગ તેમની પાસે રહે છે.

આ કથાઓ બતાવે છે કે ગાયોની હત્યા હિન્દુઓ માટે કેટલી પીડાદાયક બાબત છે. વેદોમાં બળદોની હત્યાના સંદર્ભો છે. પરંતુ લોકો ઉગ્રપણે દલીલ કરે છે કે એ ઉલ્લેખોને શાબ્દિક રીતે નહીં, પણ રૂપકાત્મક રીતે લેવા જોઈએ. ભાગવત પુરાણમાં, કૃષ્ણ એક બળદ-રાક્ષસ, અરિષ્ટ અને વાછરડા-રાક્ષસ, વાસ્તનો નાશ કરે છે. ફરીથી, આપણને કહેવામાં આવે છે કે બળદ અને વાછરડાને શાબ્દિક અર્થમાં નહીં પણ રાક્ષસ તરીકેના રૂપકાત્મક રૂપમાં સમજવાના છે..

આમ, હિન્દુ શાસ્ત્રની ગાયને શાબ્દિક અને રૂપકાત્મક બંને રીતે જોવાની જરૂર છે. શાબ્દિક રીતે જોઈએ તો, એ ગુંચવણ થાય છે કે ગૌરક્ષા, ફક્ત માદા જાતિ માટે જ છે કે નર અને માદા બંને જાતિ માટે છે..

જો ગૌરક્ષામાં બળદને પણ આવરી લેવામાં આવે તો તો આપણે હજારો વર્ષોથી બળદોને ખસીકરણ કરીને સાંઢમાં ફેરવવાની, તેને ગાડાં ખેંચવા અને ખેતરો ખેડવા માટે કેમ માની જઈએ છીએ ? ખસીકરણ ક્રૂર છે તેમાં કોઈ શક ન હોઈ શકે. આટલું જ નહીં પણ એ પણ સ્પષ્ટ નથી કે ગાયનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે માત્ર ભારતીય જાતિની ગાયનો જ ઉલ્લેખ કરીએ છીએ, કે ડેરી ફાર્મિંગમાં લોકપ્રિય એવી જર્સી અને હોલ્સ્ટર જેવી વિદેશી જાતિઓ તેમાં આવરી લેવાયેલ છે. શું ગાય રક્ષાનો અર્થ ભેંસનું રક્ષણ પણ છે? તો પછી આપણે ભેંસ-રાક્ષસને મારી નાખનારી દુર્ગાની પૂજા કેમ કરીએ છીએ? શું તે ભેંસ વાસ્તવિક છે કે પછી રૂપક છે ?

ગાય રક્ષાની રોમેન્ટિક કલ્પનાઓ ઘણીવાર શહેરનાં લોકોમાં જોવા મળે છે જેઓ ડેરી ફાર્મિંગ અને કૃષિની પુરવઠા સાંકળનાં અર્થશાસ્ત્રથી અજાણ છે. તેઓ સમજી શકતા નથી કે ગરીબ ખેડૂતો જે વૃદ્ધ ઢોરને ખવડાવી શકતા નથી અને તેમને ઢોર મારવાની પણ મનાઈ છે, તે પોતાનાં ઘરડાં ઢોરોને શેરીઓમાં ભટકવા દે છે. અહીં એ ઢોરો ક્યાં તો ભૂખે મરે છે અને ક્યાંતો પ્લાસ્ટિક કે અન્ય કચરા ખાય છે. મૌર્ય કાળના ચાણક્ય પાસે આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી, કે વીસમી સદીની શરૂઆતમાં વિવેકાનંદ પાસે પણ આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી. રૂપકાત્મક રીતે જોઈએ તો, ગાય આજીવિકાનું પ્રતીક બની જાય છે. પુરાણોમાં, એક ઋષિ રાજા પાસે ગાય માંગે છે કારણ કે ગાયનું દૂધ અને છાણ તેને ખોરાક અને બળતણ પૂરું પાડે છે, તેની આર્થિક સ્વાયત્તતા સુનિશ્ચિત કરે છે અને તેને અન્ય બૌદ્ધિક કાર્યો કરવા સક્ષમ બનાવે છે.

સ્વાભાવિક રીતે, માનવ આજીવિકાના સ્ત્રોત સમાન રૂપકાત્મક ગાયને મારી નાખવી એ સૌથી મોટો ગુનો હતો. રાજાઓને ગાયોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા; બીજા શબ્દોમાં કહીએ તો, તે રીતે વધુ આજીવિકાનાં સ્રોત ઊભા કરવા કહેવામાં આવતું હતું. પૃથ્વીનો પહેલો રાજા પૃથુ હતો, જે વિષ્ણુ અવતાર હતો. પૃથ્વી તેની સમક્ષ ગો-માતા તરીકે પ્રગટ થઈ, અને પૃથુએ તેના ગો-પાલ અથવા ગોપાલ તરીકે તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. આમ, પૃથ્વીનું રક્ષણ એ ગો-રક્ષા હતું. જ્યારે માનવોએ પોતાના લોભથી પૃથ્વીનો દુરુપયોગ કર્યો, ત્યારે ગોમાતાએ વિષ્ણુને તેમના વચનની યાદ અપાવી અને તેઓ પરશુરામ, રામ અને કૃષ્ણ તરીકે પૃથ્વી પરના પૃથ્વીના સંસાધનો લૂંટતી રહેલા રાજાઓને મારવા માટે અવતર્યા જેમણે અને એમ કરીને પૃથ્વીનો ભાર ઓછો કર્યો. જે સ્ત્રી તમામ જીવંત પ્રાણીઓનું પોષણ કરતી હતી તે તેના ત્રાસ આપનારાઓના લોહીથી રક્તરંજિત થઈ ગઈ.

આપણી પાસે ક્યાં તો ગૌરક્ષાનો - સાંકડો - શાબ્દિક અર્થ પસંદ કરવાનો વિકલ્પ છે, અથવા તો આપણે ગૌરક્ષાનો - વ્યાપક - રૂપકાત્મક અર્થ પસંદ કરી શકીએ છીએ. પહેલો અર્થ રક્ષકોનો પક્ષકાર છે જ્યારે બીજો અર્થ વિકાસના માર્ગનો દ્યોતક છે.

  • સ્પિકીંગ ટ્રી માં  ૧૨ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખCOW PROTECTION: ‘Cow is not just a cow’ નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૯ નવેમ્બર ૨૦૨૫