શુક્રવાર, 4 જુલાઈ, 2025

કૉલેજની ડીગ્રી નાં જોરે ૨૦૩૦માં તમારી કારકિર્દી સલામત નહીં રહી શકે

ઉત્પલ વૈશ્નવ

ટીપણું લઈને રસ્તે બેઠેલા કોઈ જ્યોતિષીની આ ભવિષ્યવાણી નથી. આ તો સામે આવીને ઊભેલી હકીકત છે.

ઝેરોધાના નિખિલ કામથ તો બહુ સ્પષ્ટપણે જણાવે છે :
માત્ર રચનાત્મક, વ્યૂહાત્મક, લોકાભિમુખી નોકરીઓ (કે વ્યવસાયો) ટકી રહેશે.[1]

સાંદર્ભિક નોંધઃ નેટ પરથી સાભાર

ચાર વર્ષનો ડીગ્રીનો અભ્યાસક્રમ તમને બચાવી નહી શકે, જો:

¾   AI એ કામ વધારે સારી રીતે કરી શકશે.

¾   દર બે વર્ષે તમે નવાં નવાં કૌશલ્યો શીખતાં નહીં રહો.

¾   તમારૂં સ્થાન, તમારાં કામનાં મૂલ્ય પ્રદાનથી નહીં પણપદાનુક્રમના ટેકે ટકી રહ્યું છે. 


સોંસરવો ઘા તો આ છે :

મોટા ભાગના ઉચ્ચતમ ડીગ્રીધારીઓ હવે મૂર્ખા સવાલો પૂછતાં ડરે છે.

અનુકુલનશીલતાને વધાવતી દુનિયામાં, આ મનોદશા ઘાતક નીવડે છે.

પુનઃકૌશલ પ્રાપ્તિનાં ત્રણ પગલાંની પુનરાવર્તી ત્વરિત કસરત (દરરોજ ૧૫ મિનિટ) 

૧/ એક પ્રચલિત વલણ જણાવતો ન્યૂઝલેટર અચુક વાંચો .
૨/ ૧૦ મિનિટનાં નાનાં નાનાં કામનો અભ્યાસ કરો..
૩/ લાઈવ સ્કિલ્સ પાનાં પર એક વિજય અંકે કરો.

 

નવાં કૌશલ્ય શીખવાં એ હવે કોઈ વિકલ્પ નથી. એ તો પ્રાણવાયુ છે.

ડીગ્રીથી નૈયા પાર નહીં ઉતરે. લાઈફ બોટ તો (તમારા) નિર્ણયો  બનશે.

મહત્વની પાદ નોંધઃ “2025 skill” પર તમારો પ્રતિભાવ ઉત્પલ વૈણવને જણાવો અને વળતરમાં તેમનું ૫ મિનિટનું routine + resource તમારા ઇ-મેલ પર મેળવો.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, College degrees won’t save your career in 2030 નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૪ જુલાઈ ૨૦૨૫

બુધવાર, 2 જુલાઈ, 2025

મહાલક્ષ્મીનાં સ્વરૂપો - દેવદત્ત પટ્ટનાઈક

 

સાંદર્ભિક તસવીર - નેટ પરથી

એક દિવસ, ઋષિ ભૃગુ વૈકુંઠની મુલાકાતે જઈ ચડ્યા.ત્યાં તેમણે વિષ્ણુને નિદ્રાધીન જોયા. વિષ્ણુ તેમનાં પત્ની સાથે એટલા ભ્રાંત્ચિત્ત હતા કે વિષ્ણુનું ઋષિ તરફ ધ્યાન જ ન ગયું. તેથી ઋષિને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે વિષ્ણુની છાતી પર લાત મારી. વિષ્ણુએ શાંતિ જળવાય એટલા માટે માફી માંગી, પરંતુ જ્યારે તેમના પતિએ કંઈ ખોટું નહોતુંકર્યું ત્યારે લક્ષ્મીજીને તેમના પતિનું આટલું ક્ષમાપ્રાર્થી વર્તન ગમ્યું નહીં.


તેમની વધારે પડતી શાંતિપ્રિયતાથી નારાજ થઈને, લક્ષ્મીજી વૈકુંઠ છોડીને પૃથ્વી પર આવી અને મહારાષ્ટ્રના કરવીરપુરા, જે હવે કોલ્હાપુર કહેવાય છે, માં આશ્રય મેળવ્યો. લક્ષ્મીજીએ સ્થાનિક લોકોને વચન આપ્યું કે જ્યાં સુધી તેમની પૂજા કરવામાં આવશે ત્યાં સુધી તેમના જીવનમાં સમૃદ્ધિ રહેશે. વિષ્ણુ તેમની પત્નીની પાછળ પૃથ્વી પર આવ્યા, પરંતુ લક્ષ્મીજીએ વૈકુંઠ પાછા ફરવાનો ઇનકાર કર્યો. તેથી વિષ્ણુ ભગવાન દક્ષિણમાં તિરુપતિ ટેકરીઓ પર રાહ જુએ છે, જેથી લક્ષ્મીજી શાંત થાય અને પોતાનો વિચાર બદલી શકે. આ વાર્તા આંધ્રપ્રદેશના લોકપ્રિય વૈષ્ણવ મંદિરને મહારાષ્ટ્રના આ શાક્ત મંદિર સાથે જોડે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જટિલ છે અને ઇતિહાસ અને રહસ્યના સ્તરો છતી કરે છે. 

મહાલક્ષ્મી શબ્દ હિંદુઓ માટે હાથમાં અનાજ અને સોનાથી ભરેલો વાસણ પકડીને દૂધના સમુદ્રમાંથી નીકળતા કમળ પર ભવ્ય રીતે બેઠેલાંસફેદ હાથીઓની સુંઢો તેમના પર પાણી વરસાવતી હોય એવાં સંપત્તિની દેવીની છબીઓને ઉજાગર કરે છે. છતાં, કોલ્હાપુરમાં આ દેવી ખૂબ જ અલગ લાગે છે. સ્થાનિક લોકો તેમને અંબા-બાઈ, અથવા માતા તરીકે ઓળખે છે, અને તેમનાં સ્વરૂપ અને પૂજા યુદ્ધનાં દેવી અને  રાજાઓનાં આશ્રયદાતા દુર્ગાને રજૂ કરે છે.

મંદિરમાં જે દેવીની પૂજા થાય છે તે ચંચળ નસીબનાં દેવી છે કે શક્તિનાં અદ્્‍ભૂત દેવી છે, તે શોધવા માટે, ફક્ત એ તપાસવાની જરૂર છે કે સામાન્ય રીતે ગર્ભગૃહની સામે મૂકવામાં આવેલ, દેવી સાથે સંકળાયેલ પવિત્ર પ્રાણી કયું છે. જો તે હાથી હોય, તો દેવી લક્ષ્મી છે; જો તે સિંહ હોય, તો દેવી દુર્ગા છે. કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં, તે સિંહ છે (જેમ કે તે મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં છે), તેને શક્તિ, યુદ્ધ અને રાજવી દેવી તરીકે મજબૂત રીતે સ્થાપિત કરે છે. દર વર્ષે, નવરાત્રિ અને દશેરાની ઉજવણીના ભાગ રૂપે, સ્થાનિક મરાઠા લોકો દેવીને રીઝવવા માટે બકરીનું બલિદાન આપે છે, કારણ કે દેવીને 'ગરમ' અને 'ઉગ્ર' માનવામાં આવે છે. તેમના હાથમાં એક વિશાળ ગદા, ઢાલ, એક પાત્ર અને એક ખાટું ફળ છે, જે પ્રતીકો સામાન્ય રીતે લક્ષ્મી સાથે સંકળાયેલા નથી. મોટાભાગના મંદિરો દેવતાઓ પૂર્વાભિમુખ હોય છે, જ્યારે અહીં દેવીનું મુખ પશ્ચિમ તરફ છે. પશ્ચિમ દિશા સમુદ્રના દેવ, લક્ષ્મીના પિતા વરુણ સાથે સંકળાયેલી છે. વર્ષમાં બે વાર, માર્ચ અને સપ્ટેમ્બરમાં, ત્રણ દિવસ માટે, અસ્ત થતા સૂર્યનો પ્રકાશ બારીમાંથી દેવી પર પડે છે અને ભક્તો આ દેવીને જોવા માટે ભીડ કરે છે. દેવી જે મહારાષ્ટ્રીયન શણગારથી શણગારેલાં છે, ખાસ કરીને લાક્ષણિક ચંદ્ર આકારની નાકની વીંટી, જે આપણને યાદ અપાવે છે કે, યોદ્ધા હોવા છતાં, તે પત્ની પણ છે, તેથી માતા છે.

લક્ષ્મી કે દુર્ગા? વિષ્ણુ કે શિવની પત્ની, કે સ્વતંત્ર વ્યક્તિત્વ? શાકાહારી પ્રસાદ કે રક્તનું બલિદાન? વ્યવહારુ 'જીવંત' હિન્દુ ધર્મ બધી સૈદ્ધાંતિક સીમાઓને અવગણે છે. કોલ્હાપુરના પ્રાચીન મંદિરની દિવાલો પર કોતરણી જોવાથી વસ્તુઓ વધુ ગુંચવણભરી બને છે. આ કોતરણીઓમાં જૈન ઋષિઓની આકૃતિઓ જોવા મળે છે. ઇતિહાસકારો એ વાત તરફ ધ્યાન દોરે છે કે આ પ્રદેશના કેટલાક પ્રાચીન રાજાઓ, જેમ કે શિલાહાર રાજવંશ, જેમણે એક હજાર વર્ષ પહેલાં આ પ્રદેશ પર શાસન કર્યું હતું, તે જૈન હતા. તેઓ આ પ્રતિષ્ઠિત દેવીને તેમનાં રક્ષક દેવી પદ્માવતી તરીકે જોતા હતા.દેવીનાં આ સ્વરૂપને તીર્થંકરોનું રક્ષણ કરતાં યક્ષિણી તરીકે જોવામાં આવતી હતી. આ યક્ષિણીને સામાન્ય રીતે કોલ્હાપુરની મહાલક્ષ્મીની જેમ બહુમુખી સર્પ નીચે બેઠેલાં જોવામાં આવે છે. પદ્માવતી નામનો અર્થ 'કમળ પર બેઠેલી' થાય છે. તે હિન્દુ દેવી લક્ષ્મીનું પણ એક નામ છે. તેથી સ્વાભાવિક રીતે, જ્યારે હિન્દુ રાજાઓએ જૈન રાજાઓનું સ્થાન લીધું, ત્યારે જૈન દેવી હિન્દુ દેવી બન્યાં, જે હજુ પણ રક્ષક છે પરંતુ હવે તીર્થંકરો સાથે નહીં, પરંતુ વિષ્ણુ સાથે જોડાયેલાં છે. શું દેવીને પહેલાં બકરાનું બલિદાન આપવામાં આવ્યું હતું? શું કોઈ એવો સમય હતો જ્યારે દેવીને કોઈ પુરુષ દેવતા સાથે જોડવામાં આવતાં ન હતાં? આ પ્રશ્નોનો જવાબ કોઈ આપી શકતું નથી, કારણ કે ઇતિહાસ ૧,૨૦૦ વર્ષથી વધુ જૂનો છે, અને મર્યાદિત લેખિત દસ્તાવેજ તરીકે, ભૂકંપ અને આક્રમણોથી બચી ગયો છે. હકીકતમાં, આજે બધા જવાબો શાકાહારવાદ અને પિતૃસત્તાનાં સમકાલીન રાજકારણમાં ફસાયેલા છે.

પરંપરાગત રીતે, ભારતના દરેક ગામમાં એક ગ્રામદેવતા અને એક ગ્રામદેવી હતા. પિતૃસત્તાક પૂર્વગ્રહને ધ્યાનમાં રાખીને ઘણા વિદ્વાનો એવું માને છે કે પુરુષ દેવતા રક્ષક છે અને સ્ત્રી દેવતા ફળ આપનાર છે. પરંતુ જેમ આપણે કોલ્હાપુરની મહાલક્ષ્મીની પ્રતિમામાં જોઈએ છીએ, એવું નથી હોતું. અહીં દેવી પોષક (તેના હાથમાં ફળ અને પાત્ર છે) અને રક્ષક (તેના હાથમાં ગદા અને ઢાલ પણ છે) બંને છે.

સિંહો પર સવારી કરતી અને યુદ્ધમાં રાજાઓને મદદગાર બનતાં યુદ્ધ દેવીઓની કથાઓ ફક્ત હિન્દુ પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ દૂરના મેસોપોટેમીયાની પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. મેસોપોટેમીયાની પૌરાણિક કથાઓમાં ઇશ્તાર જેવી દેવી છે જે યુદ્ધમાં યોદ્ધા-નાયક-રાજાઓને મદદ કરે છે. હવે અફઘાનિસ્તાન અને ઈરાન તરીકે ઓળખાતાં દક્ષિણ એશિયામાં જોવા મળતાં સિંહ પર સવારી કરતાં દેવીની સૌથી જૂની કોતરણીઓમાંની આકૃતિઓની ઓળખ કુષાણ રાજાઓની સંરક્ષક દેવી, નાના, તરીકેની છે.  બે હજાર વર્ષ પહેલાં, કુષાણ સામ્રાજ્ય મથુરા સુધી વિસ્તરેલું હતું અને કેટલાક વિદ્વાનોના મતે, તેઓએ ભારતમાં સિંહ પર સવારી કરતી યુદ્ધ દેવીનો વિચાર રજૂ કર્યો હતો, જે વિચારનું હિન્દુ કટ્ટરપંથીઓ દ્વારા ખંડન કરવામાં આવતું રહ્યું છે.

કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં તુલજા ભવાનીનું મંદિર સાથે બહુ ગાઢપણે સંકળાયેલું છે. દંતકથા છે કે દુર્ગાનું સ્થાનિક સ્વરૂપ, ભવાની, શિવાજીના સ્વપ્નમાં પ્રગટ થયાંતાં અને શિવાજીને તલવાર ભેટમાં આપી હતી તેમજ સત્તરમી સદીમાં મુઘલોની તાકાતને પડકારવા અને હિન્દુ મરાઠા રાજ્યની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. છત્રપતિ શિવાજીના મૃત્યુ પછી, તેમના બે પુત્રો, સંભાજી અને રાજારામ, વચ્ચે ઉત્તરાધિકારના વિવાદને કારણે ભોંસલે રાજવી પરિવાર બે ફાંટાઓમાં વહેંચાઈ ગયો.  જે ફાંટો સતારામાં સ્થાયી થયો તેણે તુલજા ભવાનીના મંદિરને પુરસ્કૃત કર્યું હતું અને કોલ્હાપુરમાં સ્થાયી થયેલ ફાંટાએ અઢારમી સદીમાં મહાલક્ષ્મીના મંદિરની પુનઃસ્થાપના કરી. (મુઘલ આક્રમણકારોથી તેનું રક્ષણ કરવા માટે મૂર્તિને છુપાવીને રાખવામાં આવી છે). ભારતીય પુરાણકથાઓમાં સ્પષ્ટ છે કે સિંહ-સવાર દેવીની કૃપા વિના, કોઈ રાજાનું અસ્તિત્વ નથી.

  • મુંબઈ મિરર માં ૧૦ જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The faces of Mahalakshmi નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨ જુલાઈ ૨૦૨૫


બુધવાર, 25 જૂન, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ઉપનિષદના દૃષ્ટિકોણથી માનવ સંબંધોનું દિવ્યકરણ

 

સ્વામી શુદ્ધિદાનન્દ[1]

માનવી સહજપણે સામાજિક પ્રાણી છે. માનવ જીવનની તંદુરસ્તી માનવ માનવ વચ્ચેના આપસી, જટિલ, સંબંધોની સ્વસ્થતા પર નિર્ભર છે.

માનવ સંબંધોને સામાન્ય રીતે માનવ જાતના ભૌતિક દૃષ્ટિકોણની અને આત્મા તરીકે આધ્યાત્મિક દૃષ્ટિકોણના બે પ્રકારોમાં વહેંચી નાખવામાં આવે છે.

માનવ જાતનો ભૌતિક દૃષ્ટિકોણ અને તેની અસરો

મોટા ભાગનાં માનવીઓ તેમનાં રોજબરોજનાં જીવનમાં એ જ માન્યતામાં જીવે છે કે તેઓ તન, મન, બુદ્ધિ, અહં અને લાગણીઓનો સમૂહ છે. આપણે જન્મથી જ આ દૃષ્ટિકોણથી ઘડાઈએ છીએ અને આપણને તેમ જ બીજાંઓને પણ આ જ દૃષ્ટિકોણથી જોવા જ ટેવાયેલાં છીએ. દુનિયાને આ નજરોથી જોવાતા પાશ્ચાત્ય દૃષ્ટિકોણને માનવ જાતના 'ભૌતિક દૃષ્ટિકોણ' તરીકે ઓળખવામાં આવે છે. આ દૃષ્ટિકોણની ખાસ નોંધપાત્ર વિશેષતા સ્વાર્થ છે. સ્વાર્થીપણાની ઘણી અસરો પૈકી મુખ્ય અસર છે દુઃખ. સ્વાર્થના પાયા પર રચાતા બધા સંબંધો શરૂમાં શરૂમાં, દેખીતી રીતે, બહુ મીઠા લાગે છે, પણ લાંબા ગાળે તે પીડાદાયક જ નીવડે છે. સ્વાર્થનું બીજું લક્ષણ છે સ્નેહબંધન અને દ્વેષભાવની વળગણ સમી લાગણી. જ્યારે સંબંધ સ્વાર્થની પુર્તિ કરતો ન જણાય ત્યારે તે ભાંગી પડવાના અંતિમ સુધી પણ જતો રહે છે. 

સ્વાર્થ આધારિત માનવ સંબંધો

હિંદુ પુરાણોમાં આ વિષય આમ તો બહુ જ ચર્ચા થયેલી જોવા મળે છે. એ બધી ચર્ચાઓના અર્ક સમો એક દાખલો બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ યાજ્ઞવલ્કય અને તેમનાં પત્ની મૈત્રેયી વચ્ચેના સંવાદરૂપે જોવા મળે છે.

ભારતમાં શાસ્ત્રોનું એવું વિધાન છે કે દરેક માણસ જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આથી યાજ્ઞવલ્ક્યે પોતાની પત્નીને કહ્યુંઃ

પ્રિયે! આ રહ્યું મારું ધન અને બધી સંપત્તિ; હું હવે જાઉં છું.તેણે જવાબ આપ્યોઃમહારાજ! જો ધનથી ભરેલી આખી પૃથ્વી મને મળે તો તેથી શું મને અમૃતત્વ પ્રાપ્ત થશે?’ યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યોઃના, એ નહીં થાય; તું પૈસાદાર થઈશ, એટલું જ. પણ ધન આપણને અમૃતત્વ આપી શકતું નથી.તેણે પૂછ્યુંઃજેનાથી મને અમૃતત્વ મળે તે પ્રાપ્ત કરવા માટે હું શું કરું? જો તમે જાણતા હો તો કહો.યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યોઃતું સદૈવ મને પ્રિય રહી છે; અને આ પ્રશ્નથી તું મને વધારે પ્રિય બની છે. ચાલ, હું તને તે કહું. પ્રથમ તું તે શ્રવણ કરી લે, ત્યાર પછી તેના ઉપર મનન કરજે.

પછી યાજ્ઞવલ્ક્યે કહ્યુંઃ

પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ કરતી નથી, પણ આત્માને માટે તે પતિને ચાહે છે, કારણ તે આત્માને ચાહે છે. પત્નીને માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે આત્માને માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે. કોઈ પણ માણસ બ્રાહ્મણને ચાહે છે તેનું કારણ એ બ્રાહ્મણ છે માટે નહીં, પણ તે આત્માને ચાહે છે તેથી તે બ્રાહ્મણને ચાહે છે. કોઈ પણ માણસને ક્ષત્રિય તે ક્ષત્રિય છે માટે પ્રિય નથી, પણ તેને આત્મા વહાલો છે તેથી તે પ્રિય છે. તેમજ જગતને તે જગત છે માટે કોઈ ચાહતું નથી, પણ આત્માને ચાહે છે માટે તે જગતને ચાહે છે. આ જ પ્રમાણે દેવો તે દેવો છે માટે પ્રિય નથી પણ આત્મા પ્રિય છે માટે દેવો પ્રિય છે. વસ્તુ તે વસ્તુ છે માટે પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે માટે તેને વસ્તુ પ્રિય છે.

आत्मा वा अरे श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः

માટે આત્માનું શ્રવણ કરવું જોઈએ, તેનું મનન કરવું જોઈએ અને તેનું નિદિધ્યાસન (ધ્યાન) કરવું જોઈએ. હે મૈત્રેયી! જ્યારે આ આત્મા વિશે શ્રવણ કરાય છે, આ આત્મા જોવાય છે, આ આત્માનો અનુભવ થાય છે, ત્યારે બધું જાણી શકાય છે.પછી આપણને શું પ્રાપ્ત થાય છે? આપણી પાસે વિચિત્ર તત્ત્વજ્ઞાન ઊભું થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે દરેક જાતનો પ્રેમ એ શબ્દના હલકામાં હલકા અર્થમાં સ્વાર્થપરાયણતા છે; હું મને ચાહું છું માટે હું બીજાને ચાહું છું; એ બની શકે નહીં. આધુનિક કાળમાં એવા તત્ત્વજ્ઞો છે, જેઓ એમ માને છે કે પોતાનો આત્મા એ જ આ જગતનું એક માત્ર પ્રેરકબળ છે. આ સાચું છે તેમજ ખોટું પણ છે. પરંતુ આ આત્મા તો પાછળ રહેલા સાચા આત્માનો પડછાયો માત્ર છે. તે ખોટો અને ખરાબ એટલા માટે દેખાય છે કે તે ક્ષુદ્ર છે. વિશ્વરૂપ આત્મા માટેનો અનંત પ્રેમ અલ્પ દેખાવાનું કારણ એ છે કે તે એક નાના અંશ દ્વારા દેખાય છે. પત્ની પતિને ચાહે છે ત્યારે પણ તે જાણે કે ન જાણે પણ આત્માને માટે જ તે પતિને ચાહે છે. જગતની અંદર અભિવ્યક્ત થવાથી એ સ્વાર્થીપણા જેવું દેખાય છે, પરંતુ આ સ્વાર્થીપણું ખરી રીતે તો આત્માનો જ એક અલ્પ અંશ હોય છે. જ્યારે કોઈ પ્રેમ કરે ત્યારે તે આત્મા દ્વારા જ પ્રેમ કરી શકે છે. આ આત્માને જાણવો જોઈએ. આત્માને જાણવા અને ન જાણવામાં તફાવત શો છે? જેઓ આત્મા શું છે તે જાણતા નથી તેઓનો પ્રેમ સ્વાર્થી છે; જે લોકો એ આત્મા છે એમ માનીને ચાહે છે તેઓનો પ્રેમ સ્વાર્થરહિત છે, તેઓ જ્ઞાની છે.જે બ્રાહ્મણને આત્માથી અલગ જુએ છે તેની ઉપર બ્રાહ્મણ વિજય મેળવે છે. જે ક્ષત્રિયને આત્મા સિવાય અન્યરૂપે જુએ છે, તેની ઉપર ક્ષત્રિય વિજય મેળવે છે, જે જગતને આત્મા સિવાય બીજા રૂપે જુએ છે, તેની ઉપર જગત વિજય મેળવે છે; જે દેવોને આત્મા સિવાય બીજા રૂપે જાણીને તેમને ચાહે છે તેની ઉપર દેવો વિજય મેળવે છે; જે સર્વ વસ્તુને આત્મા સિવાય અન્ય તરીકે જાણે છે તેની પાસેથી સર્વ વસ્તુ ચાલી જાય છે. આ બ્રાહ્મણો, આ ક્ષત્રિયો, આ દુનિયા, આ દેવો, જે કંઈ અસ્તિત્વમાં છે તે બધુંય આત્મા છે.પ્રેમ એટલે શું તે યાજ્ઞવલ્ક્ય આ રીતે સમજાવે છેઃ

જ્યારે જ્યારે આપણે કોઈ પણ વસ્તુમાં વિશિષ્ટતા જોઈએ છીએ ત્યારે ત્યારે આપણે તેને આત્માથી જુદી પાડીએ છીએ. હું કોઈ સ્ત્રીને પ્રેમ કરવા મથું છું; જ્યારે તે અમુક સ્ત્રી બની જાય છે, ત્યારે તે આત્માથી ભિન્ન બને છે, તેને માટેનો મારો પ્રેમ શાશ્વત નથી રહેતો પણ તે શોકમાં પરિણમે છે. પણ જેવી તે સ્ત્રીને હું આત્મા તરીકે જોવા લાગુ તેવો જ તે પ્રેમ પૂર્ણ બને છે અને તેથી કદી મારે સહન કરવું પડશે નહીં. આ જ પ્રમાણે બધી વસ્તુઓ વિશે છે. જેવા તમે વિશ્વમાં કોઈ વસ્તુમાં આસક્ત બનો છો અને તેને સમગ્ર વિશ્વથી એટલે કે આત્માથી અલગ પાડો છો કે તુરત પ્રત્યાઘાત ઊભો થાય છે. આત્માથી બહાર જે કશાને આપણે ચાહીએ, તેને પરિણામે શોક અને દુઃખ આવવાનાં. આત્મામાં અને આત્મા તરીકે બધાનો ઉપયોગ કરીએ તો કોઈ દુઃખ કે પ્રત્યાઘાત આવશે નહીં. પૂર્ણ આનંદ આ છે. આ આદર્શને કેમ પહોંચવું? જે રીતથી આ સ્થિતિને આપણે પહોંચીએ તે રીત યાજ્ઞવલ્ક્ય બતાવે છે. આ વિશ્વ તો અનન્ત છે. આત્માને જાણ્યા સિવાય આપણે પ્રત્યેક વસ્તુને આત્મા તરીકે કેવી રીતે જોઈ શકીએ? ‘જ્યારે નગારાથી આપણે દૂર હોઈએ ત્યારે તેના અવાજને આપણે પકડી શકતા નથી, તેને આપણે કાબૂમાં રાખી શકતા નથી; પણ જેવા આપણે નગારા પાસે પહોંચીને તેના પર હાથ મૂકીએ કે તરત આપણે અવાજને કાબૂમાં લઈ શકીએ છીએ. જ્યારે શંખનો અવાજ કરવામાં આવે છે ત્યારે આપણે શંખની નજીક ન હોઈએ ત્યાં સુધી તેના અવાજને પકડી શકતા નથી, કાબૂમાં લઈ શકતા નથી; પણ જ્યારે આપણે શંખની નજીક આવીને તેને પકડી લઈએ છીએ, ત્યારે તે અવાજ આપણા કાબૂમાં લઈ શકાય છે. જ્યારે વીણા વગાડાતી હોય તે વખતે આપણે વીણા પાસે આવીએ ત્યારે આપણે એ કેન્દ્રે પહોંચીએ છીએ કે જ્યાંથી એ ધ્વનિ નીકળે છે. જેમ કોઈ લીલું ઇંધન બળતું હોય ત્યારે ધુમાડો અને જુદી જુદી જાતના તણખાઓ નીકળે છે, તે જ પ્રમાણે આ મહાન વિરાટમાંથી જ્ઞાન નિઃશ્વસિત પેઠે નીકળ્યું છે; બધુંય તેનામાંથી જ બહાર આવ્યું છે; જાણે કે બધું જ્ઞાન તેણે પોતાના નિઃશ્વાસથી બહાર કાઢ્યું હોય તેવું લાગે છે. જેમ બધાં જળ માટે સમુદ્ર એ એક જ આખરી સ્થાન છે, બધા સ્પર્શ માટે ત્વચા એ એક માત્ર કેન્દ્ર છે, બધી ગંધ માટે નાક એ એક માત્ર કેન્દ્ર છે, બધા સ્વાદ માટે જીભ એ એક માત્ર કેન્દ્ર છે, બધાં રૂપ માટે આંખ એ એક માત્ર કેન્દ્ર છે, બધા શબ્દો માટે કાન એ એકમાત્ર કેન્દ્ર છે, બધા વિચાર માટે મન એ એકમાત્ર કેન્દ્ર છે, બધા જ્ઞાન માટે હૃદય એ એકમાત્ર કેન્દ્ર છે, બધાં કામ માટે હાથ એ એકમાત્ર કેન્દ્ર છે, જેમ મીઠાનો ગાંગડો દરિયાના પાણીમાં નાખવાથી ઓગળી જાય છે અને આપણે તેને પાછો મેળવી શકતા નથી, તેમ હે મૈત્રેયી! આ વિરાટ આત્મા નિત્ય, અનંત છે; બધું નિત્ય, અનંત છે; બધું જ્ઞાન તેનામાં છે. સમગ્ર વિશ્વ તેમાંથી ઉત્પન્ન થાય છે અને પાછું તેમાં મળી જાય છે. ત્યારે પછી જાણવાનું કે મરવાનું કે મૃત્યુની સ્થિતિ કશું રહેતું નથી.એ પરથી આપણને જણાય છે કે આપણે બધા જાણે કે ઈશ્વરના તણખારૂપે આવ્યા છીએ અને જ્યારે તમે તેને જાણશો ત્યારે તમે તેમાં પાછા જઈને તેની સાથે એક થઈ જશો. આપણે જ એ વિરાટ છીએ.

આ સાંભળીને જેમ બધા લોકો ડરી જાય તેમ મૈત્રેયી પણ ડરી ગઈ. તેણે કહ્યુંઃમહારાજ! અહીં જ આપે મને ભ્રમણામાં નાખી દીધી. હવે દેવો નહીં હોય તેમ કહી આપે મને ડરાવી દીધી; સઘળાં વ્યક્તિત્વો અલોપ થઈ જશે. કોઈ જાણવા યોગ્ય, પ્રેમ કરવા યોગ્ય કે અધિકારપાત્ર રહેશે જ નહીં. આપણું શું થશે?’

મૈત્રેયી! હું તને મૂંઝવણમાં નાખવા માગતો નથી અથવા આ વિષય અહીં જ બંધ કરીએ. સંભવ છે કે તને ડર લાગશે. જ્યાં બે હોય ત્યાં એક જણ બીજાને જુએ, એક જણ બીજાને સાંભળે, એક જણ બીજાને આવકારે, એક જણ બીજા વિશે વિચાર કરે, એક જણ બીજાને ઓળખે; પણ જ્યારે તે બધું જ આત્મા બની જાય ત્યારે કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને આવકારે અને કોણ કોને ઓળખે?’ શોપનહોરે આ એક વિચાર પકડી લીધો હતો અને પોતાના તત્ત્વજ્ઞાનમાં તેનો પડઘો પાડ્યો હતો. જેનાથી આ વિશ્વ જણાય છે, તેને શાથી જાણવો? જ્ઞાતાને કેમ કરીને જાણવો? કયા ઉપાયથી આપણે જ્ઞાતાને જાણી શકીએ? એ કેમ બની શકે? કારણ કે તેમાંથી અને તેની દ્વારા જ આપણે બધું જાણીએ છીએ. કયાં સાધનથી આપણે તેને જાણી શકીએ? કોઈ સાધનથી નહીં, કારણ તે પોતે જ એ સાધન છે.

અત્યાર સુધી વિચાર એ છે કે આ બધું એક જ અનંત આત્મા છે; જેના કોઈ પ્રકારના વિભાગ નથી અને જેના કોઈ અંશો નથી, તે જ સાચું વ્યક્તિત્વ છે. આ નાના નાના વ્યક્તિત્વના વિચારો ઘણા હલકા અને ભ્રામક છે. પરંતુ વ્યક્તિત્વની દરેક ચિનગારીમાં અનંત છે અને તેની દ્વારા જ અનંત પ્રકારો દેખાય છે. બધું જ એ આત્માની અભિવ્યક્તિ છે. તેને કેમ પામવો? યાજ્ઞવલ્ક્ય જેમ કહે છે તેમ તમારે પ્રથમ આ સિદ્ધાંત અમલમાં મૂકવો કેઆ આત્માનું પ્રથમ શ્રવણ કરવું.આ પ્રમાણે તેણે આ સિદ્ધાંતની રજૂઆત કરી. પછી તેણે તર્ક દ્વારા તેનું સમર્થન કર્યું અને અંતમાં તેણે બતાવ્યું કે જેને જાણવાથી સઘળું જણાઈ જાય છે, તેને કેમ કરીને જાણવો અને છેલ્લે એનું ધ્યાન કરવું જોઈએ. વ્યષ્ટિ અને સમષ્ટિના દાખલા લઈને તેઓ પોતપોતાની વિશિષ્ટ રીતે કેમ ચાલ્યા કરે છે અને એ આખી યોજના કેવી સુંદર છે, તે તેમની તુલના દ્વારા બતાવે છે.આ પૃથ્વી પ્રત્યેક પ્રાણી માટે ખૂબ આનંદદાયક અને સહાયક છે અને આ જગતમાં બધાં પ્રાણીઓ પણ પૃથ્વીને ખૂબ સહાય કરે છે.આ બધા તે સ્વયંપ્રકાશ આત્માની અભિવ્યક્તિઓ છે.આ જે આનંદ છે તે તેના હલકામાં હલકા અર્થમાં પણ પેલા આત્માનું પ્રતિબિંબ છે. જે કંઈ સારું છે તે તેનું જ પ્રતિબિંબ છે; જ્યારે તે પ્રતિબિંબ અંધકારરૂપ હોય ત્યારે તે અનિષ્ટ કહેવાય. ઈશ્વર બે નથી. જ્યારે તેનો આવિર્ભાવ ઓછો હોય છે ત્યારે તેને અંધકાર કે અશુભ કહેવામાં આવે છે, જ્યારે તે વિશેષરૂપે પ્રગટ થાય છે ત્યારે તેને પ્રકાશ કહેવામાં આવે છે. ફેર એટલો જ છે કે શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો જોઈએ છીએ કે જેને આપણે સારી માનીએ છીએ પણ તે ખરેખર ખરાબ હોય છે; અને કેટલીયે એવી ચીજો જોઈએ છીએ કે જે ખરાબ જણાય છે પણ ખરી રીતે સારી હોય છે. વિચારોનું કેવું પરિવર્તન થાય છે! વિચાર કેવો ઊંચે ને ઊંચે જાય છે! જેને આપણે એક વખત ઘણું સારું લેખતા હતા તેને હવે આપણે તેટલું સારું લેખતા નથી. આમ સારું અને ખરાબ બંને માત્ર વહેમો છે, તેમનું અસ્તિત્વ નથી. તફાવત કેવળ માત્રાનો છે. આ સઘળી આત્માની જ અભિવ્યક્તિ છે; તે જ બધામાં પ્રકટ થાય છે. માત્ર જ્યારે તેનું આવરણ વધારે ઘેરું થાય છે ત્યારે તેને આપણે અશુભ કહીએ છીએ. જ્યારે તે વધારે પાતળું હોય છે ત્યારે તેને શુભ કહીએ છીએ. જ્યારે બધુંય આવરણ ચાલ્યું જાય ત્યારે તે સર્વોત્તમ બને છે. આમ આ જગતમાં જે કંઈ છે તેનું આ દૃષ્ટિથી મનન કરવું જોઈએ કે જેથી તે બધાને આપણે સારા તરીકે જોઈ શકીએ, કારણ કે તે જ શ્રેષ્ઠ છે. જેમ અશુભ છે તે શુભ પણ છે અને તેનું સર્વોચ્ચ અથવા મધ્યવર્તી બિન્દુ તે સત્ય છે. તે ખરાબ પણ નથી અને સારો પણ નથી; તે સર્વશ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે. સારું ઘણુંય હોય છે; ખરાબ પણ ઘણુંય હોઈ શકે; પણ સર્વશ્રેષ્ઠ એક જ હોઈ શકે. સારા અને ખરાબ વચ્ચે માત્રાનો તફાવત રહ્યા કરશે પણ સર્વશ્રેષ્ઠ તો એક જ છે અને જ્યારે આછાં આવરણો વચ્ચેથી આ શ્રેષ્ઠ તત્ત્વને આપણે જોઈએ છીએ ત્યારે આપણે તેને જુદી જુદી જાતના શુભ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ઘેરાં આવરણોમાંથી જોઈએ છીએ ત્યારે તેને અશુભ કહીએ છીએ. શુભ અને અશુભ એ વહેમના જુદા જુદા પ્રકાર છે. તેઓ આ વિવિધ પ્રકારના દ્વૈતભ્રમમાં અને તરેહતરેહના વિચારોમાં વ્યાપી રહેલા છે; એ શબ્દો માણસોનાં હૃદયમાં ઘર કરી બેઠાં છે, સ્ત્રીપુરુષોને તેમણે ડરાવી દીધાં છે અને ભયંકર જુલમગાર તરીકે તેઓ ત્યાં પકડ જમાવી બેસીને આપણને વાઘ જેવા હિંસ્ર બનાવે છે, જે આપણે મૂર્ખાઈભર્યા વિચારોને આપણા બાળપણથીસારા અને નરસા બંનેનેસ્વીકારી રહ્યા છીએ, તેને પરિણામે જ આપણામાં બીજા પ્રત્યેનો સઘળો તિરસ્કાર ઉત્પન્ન થાય છે. માનવજાત વિશેની આપણી આંકણી તદ્દન ખોટી થાય છે; આ સુંદર સૃષ્ટિને આપણે નર્ક જેવી બનાવી દઈએ છીએ. જો આપણે સારા-નરસાની ભાવનાઓને છોડી દઈએ તો તે સ્વર્ગ જેવી બને છે.

આ પૃથ્વી સર્વ પ્રાણીઓ માટે આનંદમય (શબ્દશઃ અનુવાદ કરીએ તોમધુમય’) છે અને સર્વ પ્રાણીઓ આ પૃથ્વી માટે મધુમય છે. તે બધાં એકબીજાને મદદ કરે છે અને આ બધી મધુરતાપૃથ્વીમાં રહેલા તે જ્યોતિર્મય અમર તત્ત્વસ્વયં આત્માની છે.આ મધુરતા કોની છે? તેના સિવાય મધુરતા ક્યાં સંભવે? આ એક મધુરતા જુદી જુદી રીતે પ્રગટ થયા કરે છે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં માનવમાં મધુરતા છે, – પછી ભલે તે સંતની હોય કે પાપીની હોય, ભલે તે દેવની હોય કે ખૂનીની હોય, ભલે તે શરીર, મન કે ઇન્દ્રિયોની હોયતે બધી તેની જ છે. ભૌતિક ભોગવિલાસ પણ તે જ છે, માનસિક સુખોપભોગ પણ તે જ છે, આધ્યાત્મિક આનંદોપભોગ પણ તે જ છે. તેના સિવાય બીજું કશું કેમ હોઈ શકે? પરસ્પર લડતા હજારો દેવો અને દાનવો કેમ હોઈ શકે? કેવાં બાલિશ સ્વપ્નો! જે કંઈ અધમ ભૌતિક આનંદ છે તે પણ તે જ છે, શ્રેષ્ઠ આધ્યાત્મિક આનંદ પણ તે જ છે. તેના સિવાય કોઈ મધુરતા નથી. આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય કહે છે. જ્યારે તમે એ સ્થિતિએ પહોંચો અને બધી વસ્તુઓને એક આત્મદૃષ્ટિથી નિહાળો, જ્યારે તમે દારૂડિયાના દારૂ પીવાના આનંદમાં પણ તે જ મધુરતા દેખો, ત્યારે તમને સત્ય મળ્યું છે; ત્યારે જ સુખ શું છે તે તમે સમજી શકશો, શાંતિ શું છે, પ્રેમ શું છે, તે તમે સમજી શકશો. પણ જ્યાં સુધી તમે આવા મિથ્યા ભેદભાવ કરશો, આવા બાલિશ, મૂર્ખાઈભર્યા વહેમો રાખશો ત્યાં સુધી બધાં પ્રકારનાં દુઃખો આવશે. પણ તે અમર, જ્યોતિર્મય આત્મા પૃથ્વીમાં વસે છે, આ બધી મધુરતા તેની જ છે! અને તેની જ મધુરતા શરીરમાં છે. આ શરીર જાણે કે ધરતી જેવું છે અને શરીરની બધી શક્તિઓની અંદર, શરીરના બધા ભાગોમાં તે જ છે. આંખો જુએ છે, ત્વચા સ્પર્શનો અનુભવ કરે છે; આ બધા આનંદો શું છે? એ શરીરની અંદર સ્વયં પ્રકાશિત આત્મા છે. આ જગત કે જે બધાં પ્રાણીઓ માટે આટલું મધુર છે અને બધાં પ્રાણીઓ જે જગતને માટે આટલાં મધુર છે, તે બધાં આ સ્વયં પ્રકાશિત આત્મા છે. આ અમર તત્ત્વ સૃષ્ટિમાં આનંદ સ્વરૂપે છે. આપણામાં પણ તે આનંદરૂપ છે, તે બ્રહ્મ છે.હવા બધા માણસો માટે મધુમય છે અને બધાં પ્રાણીઓ હવા માટે મધુમય છે. પણ જે સ્વયં પ્રકાશિત અમરતત્ત્વ હવામાં છે તે જ આ શરીરમાં છે. તે સઘળાં પ્રાણીઓમાં જીવનરૂપે પોતાને અભિવ્યક્તિ કરે છે. સૂર્ય બધાં પ્રાણીઓ માટે મધુમય છે; બધાં પ્રાણીઓ સૂર્ય માટે મધુમય છે. સૂર્યમાં જે સ્વયં પ્રકાશિત તત્ત્વ છે, તેને આપણે વિવિધ પ્રકાશરૂપે પ્રતિબિંબિત કરીએ છીએ. તેના પ્રતિબિંબ સિવાય બીજું શું હોઈ શકે? તે શરીરમાં છે અને તેનું પ્રતિબિંબ આપણને પ્રકાશ દેખાડે છે. ચંદ્ર બધા માટે મધુમય છે અને બધા ચંદ્ર માટે મધુમય છે, પણ ચંદ્રનો આત્મા તો તે સ્વયં પ્રકાશિત અમરતત્ત્વ છે. આપણામાં મન તરીકે તે પોતાને પ્રકટ કરે છે. વિદ્યુત આટલી સુંદર છે અને વિદ્યુત માટે બધું સુંદર છે; પણ તે સ્વયં પ્રકાશિત અને અમરતત્ત્વ વિદ્યુતનો આત્મા છે અને આપણામાં પણ તે છે, કારણ કે બધું બ્રહ્મ છે. આત્મા સર્વ પ્રાણીઓનો રાજા છે.આ વિચારો મનુષ્યો માટે ઘણા ઉપયોગી છે; તે ધ્યાન માટે છે. દાખલા તરીકે પૃથ્વીનું ધ્યાન કરો અને એમ જાણો કે પૃથ્વીમાં જે છે અને જે આપણામાં પણ છે, એ બન્ને એક જ છે. શરીરને પૃથ્વીની સાથે એકરૂપ બનાવો અને તેની પાછળના આત્મા સાથે આપણા આત્માને એકરૂપ કરો; હવામાં જે આત્મા છે અને મારામાં જે આત્મા છે તે એક જ છે એમ માનો. તે બધાય એક જ છે, માત્ર વિવિધરૂપે પ્રકટ થયેલા છે. આ એકત્વનો અનુભવ સર્વ ધ્યાનનું અંતિમ લક્ષ્ય છે.[2]

આ સમગ્ર ચર્ચાના સારાંશ રૂપે એટલું જણાય છે કે બધુ આપણને પ્રિય લાગવા મંડે છે કેમકે તે આપણા 'સ્વાર્થ'ને પોષે છે. માટે 'સ્વ'નાં ખરાં સ્વરૂપને સમજવું અને ખોળી કાઢવું જરૂરી છે. 'સ્વ'ની ખરી ઓળખ થકી જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ય બને છે.

સ્વનો ખરો અર્થ

દુનિયામાં બધું જ 'સ્વ'ને કારણે અર્થપૂર્ણ છે, પણ 'સ્વ'નો ખરો અર્થ તન મન બુદ્ધિ અને લાગણીઓનો ગૂંચવણભર્યો સમૂહ નથી. જો બરાબર તપાસ કરવામાં અને પૂછપરછ કરવામાં આવે તો જાણવા મળશે કે 'સ્વ'નો ખરો આત્મન્, ચેતનાનો પ્રકાશપુંજ, છે. બ્રહ્માંડના સર્વ દ્રવ્યનું અસ્તિત્વનું કારણ આત્મન્ છે. આત્મન્ વિના આખું બ્રહ્માંડ 'શૂન્ય' બરાબર છે. એટલે સમજવાનું એ છે કે દરેક જીવ, અજન્મા, અમર, અપરિવર્તનીય, શાશ્વત અને હંમેશાં સ્વર્ગીય સુખમય અને પરિપૂર્ણ આત્મન્ જ છે.

માનવ સંબંધનું દૈવીકરણ

જ્યાં સુધી માનવીને ભૌતિક નજરોથી જોઈશું ત્યાં સુધી માનવ સંબંધનું દૈવીકરણ શક્ય નથી. એટલે માનવી વિશે આપણે 'આધ્યાત્મિક દૃષ્ટિકોણ' કેળવવો જોઈશે. માનવી હાડમાંસનું માળખું નથી પણ હકીકતમાં આત્મન્ છે. જ્યારે આપણે બધામાં આત્મન્ જોવા લાગીશું ત્યારે આપણા સંબંધોનું દૈવીકરણ શક્ય બનશે. 

ઈશોપનિષદનો પહેલો જ શ્લોક કહે છે, આ આ ધરતી પર હલનચલન કરતાં આ બધામાં આત્મન્ છવાયેલ છે.'

જ્યારે આપણે દુનિયાને ઉપરછલ્લી દૃષ્ટિથી જોઈએ છીએ ત્યારે આપણને બધું જ અનાત્મ - ભૌતિક - કળાય છે. પણ જ્યારે ઉંડાણમાં જઈને જોઈશું તો એ જ બધું ભૌતિક હવે આધ્યાત્મિક દેખાશે. એ કક્ષાએ પહોંચવાથી બધું દૈવી, આત્મન્, દેખાશે. આત્મન્ દરેકની અંદર વસેલો 'સ્વ' છે. શંકરાચાર્ય કહે છે તેમ જે માનવી આ જોઈ શકે છે તે પ્રબુદ્ધ બનીને બધામાં દૈવી 'સ્વ' - આત્મન્ - જોવા લાગે છે.

દૈવી દૃષ્ટિકોણનો પ્રભાવ

જ્યારે એકબીજામાં દૈવત્વ જોવાનું શક્ય બને છે ત્યારે પહેલું પરિણામ એ આવે છે કે સ્વાર્થ અને કોઈને માટેનું ખેંચાણ દૂર થાય છે. એ તબક્કે આપણી એકબીજા સાથે લોહીના સંબંધથી કે દૈહિક આકર્ષણથી કે અન્ય કોઈ સ્વાર્થી કારણ કે સંકુચિત આશયથી જોડાવાને બદલે આત્માના બંધનથી જોડાઈએ છીએ.  જ્યારે સંબંધો દૈવત્વના આધાર પર રચાય છે ત્યારે પછી શોક કે વિવાદને સ્થાન નથી રહેતું. માનવ સંબંધનું આ દૈવીસ્વરૂપ બીજાઓ માટે સ્વાર્થવિહિન સેવાના સ્વરૂપે જોવા મળે છે જેમાં સામે કોઈ વળતરની અપેક્ષા નથી હોતી. માનવ જીવનના આધ્યાત્મિક દૃષ્ટિકોણને પરિણામે શારીરિક દૃષ્ટિથી જોવાતા ભતિક સંબંધો ખુબ જ અર્થપૂર્ણ, પરિપૂર્ણ અને ઉન્નત અનુભૂતિમાં પરિવર્તિત થઈ રહે છે.

આટલી ચર્ચાને અંતે એ ખાસ નોંધ લેવી જોઈએ કે માનવ જીવનમાં શ્રેષ્ઠત્વ માનવ વ્યક્તિત્વનાં બિનભૌતિક પાસામાંથી જ આવે છે. ભૌતિક પાસું તો માનવ જીવનનાં અવિનાશી પરિમાણને પામવાની એક બારી છે. હિંદુ ધર્મનો સમગ્ર વિશ્વને આ સૌથી મહાન સંદેશ છે. આ વિવેકવિચારનાં સિંચનની શરૂઆત શાળેય ભણતરથી જ કરી શકાય.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Shuddhidananda ના મૂળ અંગ્રેજી લેખ Divinising Human Relationships: A Perspective from Upnishads નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] સ્વામી શુદ્ધિદાનન્દ માયાવતી સ્થિત અદ્વૈત આશ્રમના અધ્યક્ષ છે. આ આશ્રમનું પ્રકાશન શાખા કેન્દ્ર કોલકત્તામાં છે.

[2] સંદર્ભઃ યાજ્ઞવલ્કય અને મૈત્રેયી (ફેબ્રુઆરી ૫, ૧૯૮૬)

બુધવાર, 18 જૂન, 2025

હિંદુ ધર્મ એ કોઈ ધર્મ છે કે કોઈ પ્રાચીન માન્યતા છે કે પછી કશું બીજું જ છે? - દેવદત્ત પટ્ટનાઈક

ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને યહુદી ધર્મની જેમ, હિન્દુ ધર્મને પણ એક ધર્મ તેમજ પૌરાણિક માન્યતા તરીકે જોઈ શકાય છે. હકીકતમાં, બધા ધર્મોને ધર્મો અથવા પૌરાણિક માન્યતાઓ તરીકે જોઈ શકાય છે. અથવા તેનાથી વિપરીત, ધર્મ કે પૌરાણિક માન્યતાઓને બદલે બધા ધર્મોને 'જીવનશૈલી' તરીકે જોઈ શકાય છે. આ બધું આપણે જે અર્થ પસંદ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. ધર્મ શબ્દનો ઉપયોગ કોણ કરી રહ્યું છે અને શા માટે ઉપયોગ કરી રહ્યું છે તેના પર આધાર રાખે છે.


કોઈ શબ્દનો ક્યારેય કોઈ નિશ્ચિત અર્થ હોતો નથી અને સમય જતાં અર્થ બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે, ૨૦મી સદીની શરૂઆતમાં 'ગે' (Gay) શબ્દનો અર્થ ખુશ થતો હતો, અને આજે તેનો અર્થ, તદ્દન અલગ, 'પુરુષ સમલૈંગિક' થાય છે !

વધુમાં, 'ધર્મ' અને 'પૌરાણિક માન્યતાઓ' જેવા શબ્દો યુરોપ અને અમેરિકામાં પહેલાં સાંસ્થાનિક વહીવટકર્તાઓની અને પછી શિક્ષણવિદો જરૂરિયાતોને સંતોષવા માટે ઉભરી આવ્યા. આ શબ્દો સંસ્થાનવાદી અને શૈક્ષણિક મજબૂરીઓ દ્વારા પ્રેરિત હતા. આમ, આપણે જેમ ધારીએ છીએ તેમ શબ્દો 'નિરપેક્ષ સત્યો' નથી , પરંતુ સત્તાના રંગે રંગાયેલા અને રાજકારણમાં વણાયેલા ,'વ્યક્તિલક્ષી (સાપેક્ષ) સત્યો' છે.

ચાલો પહેલા ધર્મ અને પછી પૌરાણિક માન્યતાઓ વિશે વાત કરીએ.

શરૂઆતમાં ધર્મનો અર્થ ખ્રિસ્તી પુરોહિતપણું અથવા મઠનું શાસન થતો હતો. સાંસ્થાનિક સમયમાં, તેનો અર્થ ખ્રિસ્તી ધર્મ, ખાસ કરીને સાંસ્થાનિકોનો કેથોલિક ધર્મ હતો. એ સમયે, કેથોલિક ચર્ચ પ્રોટે સ્ટન્ટ ખ્રિસ્તી ધર્મને પાખંડ તરીકે, અને ઇસ્લામને ભ્રષ્ટાચાર તરીકે અને યહૂદી ધર્મને 'જૂના' કરાર તરીકે જોતું હતું. મુસ્લિમો ખ્રિસ્તી ધર્મને ધર્મના જૂના, કાળગ્રસ્ત, ભ્રષ્ટ સ્વરૂપ તરીકે જોતા હતા.

પછીના ધર્મનો અર્થ અબ્રાહમી ધર્મો થયો જે યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનું સંયોજન હતું. આ વીસમી સદી પછીની વિશ્વયુદ્ધ પછીની ખૂબ જ તાજેતરની ઘટના છે. હાલમાં, તેનો અર્થ એ બધા ધર્મો છે જે સુગઠિત છે અને સ્પષ્ટ નિયમો ધરાવે છે. બહુવિધ ધર્મોનો આદર કરવાનો ખ્યાલ ખૂબ જ તાજેતરનો છે, એટલે કે ફક્ત સંસ્થાનવાદ પછીના સમયગાળામાં જ ઉભરી રહ્યો છે.

અબ્રાહમી ધર્મોના એક સમાન એક ઈશ્વર અને એક સમાન પયગંબરો હોવા છતાં તેમના વચ્ચેના ઘણા ભાગલાઓ, ધર્મયુદ્ધો, સમગ્ર જાતિઓની કત્લેઆમ, મિશનરી યુદ્ધો જેવા સંઘર્ષને ધ્યાનમાં લેતાં ૧૭મી સદીના યુરોપિયન વેપારીઓ, ૧૮મી સદીના સાંસ્થાનિકો અને, જ્યારે તેઓ હિન્દુ રિવાજો અને માન્યતાઓનો સામનો કરવા ગયા ત્યારે તેમની સાથે આવેલા, મિશનરીઓની મૂંઝવણની આપણે કલ્પના કરી શકીએ છીએ. એ સમયે હિન્દુ ધર્મમાં અનેક દેવતાઓ, અનેક મંદિરો, અનેક ધાર્મિક વિધિઓ, મૌખિક પરંપરા તેમજ લેખિત પરંપરા માટે ખાસ સન્માન અને એક જ ગ્રંથ કે એક જ અગ્રણી માટે કોઈ ઝંખના નહોતી. એ લોકો માટે આ વ્યવસ્થાને ધર્મ કહેવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું. તેમની નજરોમાં ધર્મ તો ફક્ત સંગઠન, નિયમો અને સૂચનાઓથી જ બનતો હતો. હિન્દુ ધર્મમાં એ બધું હતું પણ ખરૂં અને અબ્રાહમી ધર્મો કરતા વધુ પ્રવાહી અને લવચીક એવાં બહુવિધ સંગઠનો, બહુવિધ નિયમો, બહુવિધ સૂચનાઓને કારણે સાથે સાથે સ્વીકારાતું પણ ન હતું. સાંસ્થાનિકો માટે ધાર્મિક હોવાનો અર્થ 'અસહિષ્ણુતા' હતો જ્યારે હિન્દુઓ માટે ધાર્મિક હોવાનો અર્થ 'સહિષ્ણુતા' હતો.

૧૯મી સદીમાં પૌરાણિક કથાઓનો ઉપયોગ બધા બિન-ખ્રિસ્તી ધર્મો માટે થતો હતો. સમાન ભગવાન અને ઘણા સમાન પ્રબોધકો અને કાયદાઓ હોવા ચતાં યહૂદી અને ઇસ્લામિક ખ્યાલો અને મસીહા સંબંધિત કથાઓને ખ્રિસ્તી ધર્મ જેટલો જ દરજ્જો આપવામાં આવ્યો ન હતો. પાછળથી, જ્યારે ધર્મની વ્યાખ્યામાં બધા અબ્રાહમીક ધર્મોનો સમાવેશ થયો, ત્યારે પૌરાણિક કથાઓનો ઉપયોગ બિન-એકેશ્વરવાદી ધર્મોનો સમાવેશ કરવા માટે કરવામાં આવ્યો. હકીકતમાં, ઘણા વિદ્વાનોએ બિન-અબ્રાહમી ધર્મોને ગ્રીક અને વાઇકિંગ્સ જેવા પૂર્વ-અબ્રાહમી ધર્મો સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો.

ખ્રિસ્તીઓની પૂર્વધારણા એવી હતી કે ભગવાન સત્ય છે. શરૂઆતના વૈજ્ઞાનિકો બધા ખ્રિસ્તી હતા. તેમને વૈજ્ઞાનિક રીતે ભગવાનને સમજાવવાનું મુશ્કેલ લાગ્યું. કારણ કે વિજ્ઞાન માપન અને ચકાસણીની માંગ કરે છે. ઉપરાંત, બાઈબલના દાવાઓ બધા ખોટા સાબિત થઈ રહ્યા હતા. તો 'ખ્રિસ્તી ધર્મ' શું હતો? તે વૈજ્ઞાનિક સત્ય ન હોઈ શકે. વિજ્ઞાને તારણ કાઢ્યું કે, વધુ પુરાવા સુધી, સ્વર્ગ, નરક, ભવિષ્યવેત્તા અને મુક્તિ બધી ધારણાઓ, કલ્પનાઓ, શ્રેષ્ઠમાં, એક પૂર્વધારણા છે. પવિત્રતા અને પવિત્રતા જેવા ખ્યાલો 'માપવા' શકાતા નથી અને તેથી વિજ્ઞાનના ક્ષેત્રની બહાર અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, બધા ધર્મો દંતકથાઓ પર આધારિત છે, જેનો અર્થ 'વાર્તાઓ' થાય છે. ભગવાન, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને આત્મા દંતકથા વિષયક ખ્યાલો છે.

પરંતુ જે વૈજ્ઞાનિક નથી તે જરૂરી નથી કે અતાર્કિક હોય. અને જે અતાર્કિક છે તે વાસ્તવિક પણ હોઈ શકે છે. પૌરાણિક કથાઓ તર્કસંગતતા પ્રત્યે પક્ષપાત નથી ધરાવતી, પરંતુ આસ્તિક માટે તે વાસ્તવિક છે.

'એક જ સત્ય' હોઈ શકે છે તે વિચાર વિજ્ઞાન સાથે ઓછો અને ધાર્મિક અસહિષ્ણુતા સાથે વધુ સંબંધિત છે. વૈજ્ઞાનિક સત્ય તથ્યો પર આધારિત છે, અને સમય સાથે વિસ્તરે છે; તે સ્થિર નથી. ધાર્મિક સત્ય શ્રદ્ધા પર આધારિત છે અને સ્થિર છે. વૈવિધ્યસભર વિશ્વમાં, બહુવિધ સત્યો છે. તમારું સત્ય તમારા માટે માન્ય છે. મારું સત્ય મારા માટે માન્ય છે. એકબીજાના સત્યો માટે આદર બહુસંખ્ય સમાજ બનાવે છે. ભારત આ જ છે અને એ જ બનવાની ઇચ્છા રાખે છે. તમામ પડકારો છતાં, એકબીજાના સત્યો માટે આદર હિન્દુ ધર્મનો સાર છે.

પૌરાણિક કથાઓની સાંસ્થાનિક વ્યાખ્યા 'જૂઠાણું' છે. જે લોકો તે સાંસ્થાનિક વ્યાખ્યાને વળગી રહે છે તેઓ ધર્મને અસહિષ્ણુતા સાથે પણ સરખાવે છે અને વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે. તેઓ સામાન્ય રીતે શુદ્ધતાના અતિઆગ્રહી હોય છે અને વટાળવૃત્તિથી ડરતા હોય છે. તેઓ માને છે કે તેમનું સત્ય 'સત્ય' છે. તેઓ તમારા સત્ય, તેના સત્ય, તેણીના સત્ય કે મારા સત્યને મહત્વ આપતા નથી. તેઓ સત્યને પોતાની બહાર જુએ છે. પોતાની માન્યતાઓની એ લોકો જવાબદારી લઈ શકતા નથી તેથી તેઓ સત્યને કોઈ પવિત્ર ગ્રંથ, ગુરુ અથવા ભગવાનમાં, બહાર, શોધે છે.

પૌરાણિક કથાઓની વધુ સમકાલીન વ્યાખ્યા 'વ્યક્તિગત સત્ય' છે જે કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ દ્વારા જણાવવામાં આવે છે. આમ, આજે વિકિપીડિયા અને ગુગલમાં, તમે ઇસ્લામિક પૌરાણિક કથાઓ, ખ્રિસ્તી પૌરાણિક કથાઓ અને યહૂદી પૌરાણિક કથાઓ શોધી શકો છો, જે સાંસ્થાનિક સમયમાં અશક્ય હતું. બધી પૌરાણિક કથાઓ વિશ્વ દૃષ્ટિકોણ રજૂ કરે છે. ગ્રીક પૌરાણિક કથાઓ અરાજકતામાં વ્યવસ્થા સ્થાપિત કરવા વિશે છે. અબ્રાહમી પૌરાણિક કથાઓ પયગંબરો દ્વારા રજૂ કરાયેલા પવિત્ર શબ્દ દ્વારા એક સર્વશક્તિમાન ભગવાનની ઇચ્છાનું પાલન કરવા વિશે છે. ચીની પૌરાણિક કથાઓ પ્રકૃતિ સાથે સુમેળ અને સંસ્કૃતિ સાથે સુમેળ શોધે છે; તેઓ સત્તા અને 'સ્વર્ગીય આદેશ'ને મહત્વ આપે છે અને ઈશ્વર કરતાં રાજાને વધુ મહત્વ આપે છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની ભારતીય પૌરાણિક કથાઓ પુનર્જન્મમાં માને છે. બૌદ્ધ ધર્મ આત્મા કે ભગવાનને મહત્વ આપતો નથી, જૈન ધર્મ ઈશ્વરને નહીં પણ આત્માને મહત્વ આપે છે. હિન્દુ ધર્મ આત્મા અને ઈશ્વરને મહત્વ આપે છે, પરંતુ અબ્રાહમી ઈશ્વરથી વિપરિત હિંદુઓનો ઈશ્વર આપણી અંદર અને આપણી આસપાસ છે. જીવાત્મા બધા જીવોમાં વસે છે, અને બધા જીવોમાં પરમાત્માનો વાસ છે.

ખાસ નોંધ લઈએ કે રાષ્ટ્રવાદ પણ કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ પર આધારિત એક સાપેક્ષ સત્ય છે. તેથી, તે એક પૌરાણિક ખ્યાલ છે. તે કઠોર નિયમો પર આધારિત હોઈ શકે છે,vaishvika અનુપાલનની માંગ કરી શકે છે, અને અસહિષ્ણુ પણ હોઈ શકે છે. રાષ્ટ્રવાદનાં આ પાસાં તેને ધાર્મિક દ્રષ્ટિકોણમાં પરિવર્તિત કરે છે.

આધ્યાત્મિકતા એ વ્યક્તિની પોતાના જીવનમાં અર્થ શોધવાની વ્યક્તિગત યાત્રા છે. તે હંમેશા સાપેક્ષ વૈશ્વિક દૃષ્ટિકોણ અને કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ દ્વારા સંચારિત થતાં સ્થાપત્ય વડે પ્રેરિત એક પુરાણ વિદ્યાના અભ્યાસ પર આધારિત છે. જ્યારે તે તમને વિચારતા અટકાવે એવા નિયમોને જન્મ આપે છે, ત્યારે આપણે 'ધર્મ' તરીકે ઓળખાતા અંતરિક્ષમાં પ્રવેશ કરીએ છીએ. પૌરાણિક કથાઓ પ્રવાહિતા તરફ વલણ ધરાવે છે; ધર્મ કઠોરતા તરફ વલણ ધરાવે છે.

તમે હિન્દુ ધર્મને કેવી રીતે જોવા માંગો છો તે આખરે તેના પર આધાર રાખે છે કે તમને પ્રવાહિતા અથવા કઠોરતા; વૈશ્વિક દૃષ્ટિકોણ કે નિયમો; સહિષ્ણુતા કે અસહિષ્ણુતા; વિવિધતા કે વૈયક્તિતતા; સાપેક્ષતા કે નિરપેક્ષતા; મારું સત્ય કે તમારું સત્ય, કે પછી નિર્વિવાદ સત્ય; પૌરાણિક વિદ્યા અભ્યાસ કે ધર્મ, કે પછી જીવનશૈલી, અને આ બધું નહીં તો બીજું કંઈક એ બધામાંથી શું સ્વસ્થ બનાવે છે..

  • www.swarajyamag.com માં ૬ જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Is Hinduism A Religion, A Myth Or Something Else?  નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૮ જૂન ૨૦૨૫