બુધવાર, 17 સપ્ટેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : માનવ સંબંધોનાં આધ્યાત્મિકરણ પર કુટુંબ અને શાળાનો પ્રભાવ

 

પ્રેમા રઘુનાથ[1]

સજીવ અને નિર્જિવ અસ્તિત્વોનાં બનેલાં આપણે સૌની વાત કાર્લ સાગન તેમનાં પુસ્તક, 'ધ પેઈલ બ્લ્યુ ડૉટ'[2]માં આ રીતે વિશાદપૂર્વક કહે છેઃ

બહુ દૂર અવકાશમાંથી પૃથ્વીની એક તસવીર લેવામાં આપણે સફળ થયાં. તે એક ટપકું જ છે. [3]આપણે તેને આપણું ઘર કહીએ છીએ. આપણે બધાં જ - અત્યાર સુધી વસી ગયેલ પ્રયેક માનવી - એ ટપકામાં વસીએ છીએ. માનવ જાતના અહંકારની મૂર્ખતાનું દૂરની આ તસવીરથી વધારે સારૂં દર્શન બીજું કશું હોઈ ન શકે. મૃત્યુ પામેલાં આપણાં પૂર્વજો પ્રત્યે દયા અને અનુકંપાપૂર્વકની જવાબદારીથી વર્તવાનું અને એ ઝાંખાં વાદળી ટપકાંને જાળવવાનું તે ભારપૂર્વકનું કથન છે.   

દુનિયામાં વ્યક્તિ પછીનું મહત્વનું એકમ કુટુંબ છે.  કુટુંબ વ્યવસ્થામાં સમયના પ્રવાહ સાથે અનેક ફેરફારો થતા રહ્યા છે. તેમ છતાં, હિંદુ સંસ્કૃતિમાં, ગમે તેટલી નાની વયનાં પરિણિત યુગલ માટે પણ, ગૃહસ્થાશ્રમનું ખુબ સુસંસ્કૃત અને શિષ્ટ રહ્યું છે. જોકે આજના અતિ પ્રવાહી, વલોવાતા રહેતા, સમાજમાં જ્યારે વ્યક્તિગત ઉદ્દેશ્યો  અને ઈચ્છાઓનું સામુહિક હિત અને શ્રેય ઉપર પ્રાધાન્ય વધતું જાય છે ત્યારે કુટુંબ રચનાનાં પહેલાં પગથિયાં તરીકે લગ્નનું સ્થાન મહત્વ ખોઈ રહ્યું છે.

સામાજિક સમન્વયનાં ઘડતરનાં અનિવાર્ય એકમ તરીકે કુટુંબનું મહત્વ એટલા માટે છે કે વ્યક્તિના તંદુરસ્ત વિકાસ દ્વારા જ તંદુરસ્ત, બળકટ વૈશ્વિક વ્યવસ્થા રચાઈ શક્શે અને ટકી શકશે. આ માટે સંબંધોનિં આધ્યાત્મિકરણ એ પહેલું પગલું છે. અહીં એ સ્પષ્ટ સમજી લેવું જોઈશે કે આધ્યાત્મિક સંબંધો એટલે ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો પર આધારિત સંબંધો નહીં પણ કોઈ જાતની શેહ, સ્વાર્થ કે દબાવ વગરનું સભાન જોડાણ.

કુટુંબ એટલે શું?

અલગ અલગ સામાજિક, આર્થિક, ભૌગોલિક કે સાંસ્કૃતિક પશ્ચાદભૂમિકાઓ હોવા છતાં એક સમાન મૂલ્યોવાળાં પુરુષ અને સ્ત્રીનાં લગ્નબંધનમાં જોડાવાથી કૌટુંબિક જીવનની શરૂઆત થાય છે. અહીં મૂલ્યોનો અર્થ કોઈ પણ પ્રકારની તડજોડ કર્યા વિનાની નૈતિક સંહિતા કે વર્તન સંહિતા કરવાનો છે. મૈત્રીમાં પણ આ મૂલ્યનું મહત્વ છે.  મૈત્રીમાં એકથી વધારે વ્યક્તિ સાથે મિત્રતાનો સંબંધ  હોઈ શકે પરંતુ  લગ્નવ્યવસ્થામાં એક જ સાથી સાથે ઘનિષ્ઠ દૈહિક (શય્યા) સંબંધ માન્ય મનાયેલ છે. એક પતિ કે એક પત્ની સિવાયના દૈહિક સંબધને વર્જ્ય ગણાયો છે અને મોટા ભાગના સમાજોમાં તેવો સંબંધ કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાય છે. 

હિંદુ લગ્નવ્યવસ્થાની આ પહેલી આવશ્યકતા છે. તેનું ખાસ કારણ એ છે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી. તે સામાજિક સંસ્થાને એક એકમ છે. સમાજનાં આ એકમમાં પતિ-પની ઉપરાંત તેમનાં માતાપિતા, સંતાનો અને અમુ સંજોગોમાં કુંટુંબનાં અન્ય સભ્યો પણ આવરી લેવાય છે. પોતપોતાનાં પાત્રનું ભૂમિકા અનુસાર એ દરેકે પોતપોતાની તેમ જ એકબીજા માટેની ચોક્કસ જવાબદારીઓ વહન કરવાની હોય છે. હિંદુ સંસ્કૃતિમાં કુટુંબ પ્રત્યેનો દૃષ્ટિકોણ સામુહિક હોય છે, જ્યારે પાશાત્ય્વ સંસ્કૃતિમાં એ વ્યક્તિગત કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે.

લગ્ન સંબંધ સાથે સંતાનોનો ઉછેર પણ સાંકળી લેવામાં આવે છે. પહેલાં સમયમાં સંતાનોનો ઉછેર મુખ્યત્વે માતાની જવાબ્દારી હતી, પણ હવે આજના સમયમાં પતિ અને પત્ની બન્ને કમાય પણ છે સંતાનોન ઔછેર સહિત કુટુંબ વ્યવ્સ્થાની બીજી જવાબ્દારીઓ પણ સહભાગે નિભાવે છે. પતિ પત્ની વચ્ચેના સુમેળભર્યા, પ્રેમાળ, જવાબદારીપૂર્વકના સંબંધોની બાળકોનાં માનસિક બંંધારણની પણ બહુ જ સકારાત્મક અસર પડે છે.

સંતાનોના ઉછેર ઉપરાંત વડીલોની  સારી રીતે સારસંભાળ લેવી એ પણ ગૃહસ્થાશ્રમની મહત્વની જવાબદારી છે. સમાજમાં આવેલા જુદાં જુદાં કુટુંબો એકબીજાં સાથે મળીને સમાજની એક મજબુત સાંકળ બને છે. આમ કુંટુંબ સમગ્ર સમાજની એક અતિસૂક્ષ્મ પ્રતિકૃતિ બની રહે છે.  

કુંટુંબનાં માનવ સમાજમાં સ્થાન, સન્માન અને મહત્વનો સીધો સંબંધ કુંટુંબ દ્વારા સમાજને, અને સમાજ દ્વારા દેશને કરાતાં યોગદાન સાથે છે. કુંટુંબની અંદર અને બહારના તેમજ કુંટુંબ કુટુંબ વચ્ચેના અને સમાજ સમાજ વચ્ચેના સંબંધોનું ભારતની સંસ્કૃતિનાં ઘડતરમાં અનોખું યોગદાન રહેલું છે. સમયની સાથે ભારતમાં કુટુંબો સંયુક્ત એકમમાંથી ધીમેધીમે વિભક્ત એકમોમાં વહેંચાતાં જવાને કારણે કુટુંબ વ્યવસ્થાની સ્વમર્યાદાઓ વધતી જતી જોવા મળે છે.

'બીજાં'ને પોતાનાં સમજવાં

માનવ સભ્યતાના સામાજિક વિકાસની સાથે સાથે આર્થિક અને ટૅક્નોલોજિ પ્રેરિત પ્રગતિને કારણે પહેલાંના સામુહિક સમાજના ઘણા નિયમો, માન્યતાઓ અને પરંપરાઓ અપ્રસ્તુત બનતાં ગયાં છે. તેમના પાલન માટે જ્યાં ફરજપૂર્વકનો આગ્રહ રાખવામાં આવે છે ત્યાં ઉગ્ર વિરોધઅને ક્યાંક ક્યાંક તો કલહ પણ, હોવા મળે છે. પોતાના અભિપ્રાય માટે વિરોધના રૂપે પોતાના વિચાર કે વર્તણૂકનાં પ્રદર્શન વખતે તે મુળ મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. પરંતુ એક સંસ્થા તરીકે કુટુંબની બાબતમાં ઘણા પરંપરાગત નિયમો, માન્યતાઓ અને રિવાજોને આજના સમયમાં સુસંગત નથી એમ કહી દેતાં પહેલાં બહુ વિચાર માગી લે છે. 

આ પ્રકારની દેખીતી પ્રવાહી સ્થિતિમાં કંઈક કેડી દેખાય છે.  મા શારદામણી દેવી લોકો સાથેનાં સંબંધોની બાબતે બહુશ્રુત જ્ઞાની હતાં. કોઈ જાતના સવાલ કર્યા વિના તેઓ બીજામાં 'અન્યપણું' કેવી સર્ળતાથી સ્વીકારી શકતાં અને એ સંબંધમાંથી શ્રેષ્ઠ તત્વ કેમ બહાર લાવી શકતાં એ માટે તેમની સાથેની બે તદ્દન ભિન્ન વ્યક્તિઓનાં ઉદાહરણ જોઈએ.

તેમનાં ભાણેજ રાધુ માનસિક રીતે વિચલિત હતાં. ક્યારેક ક્યારેક તે મા શારદાદેવી પર પણ હાથ ઉપાડી લેતાં. તો સામે છેડે માર્ગારેટ નોબલ (પછીથી સિસ્ટર નિવેદિતા તરીકે જાણીતાં) ખુબ ભણેલાં, આત્મવિશ્વાસથી ભરપુર એવાં પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જન્મેલ અને ઉછરેલ સન્નારી હતાં. તેમને પણ જુનવાણી પરંપરાગત વાતવારણમાં ઘડાયેલાં મા શારદાદેવી બહુ જ સરળતાથી અપનાવી લીધાં હતાં. દરેક પ્રત્યે પ્રેમ હોવો તેનું મા શારદાદેવી તાદૃશ ઉદાહરણ કહી શકાય.

મા શારદાદેવી બહુ જ સહજપણે બધાં પ્રત્યે પ્રેમ રાખી શકતાં. એ વિચાર્યા વિનાનું, પોલું, વર્તન નહોતું. રામકૃષ્ણ પરમહંસ હોય કે મિશનનાં સાદુઓ હોય કે હજારો શ્રદ્ધાળુ ભક્તો હોય, તેમનાં વર્તનમાં દરેક વ્યક્તિ સાથેના સૌહાર્દપુર્ણ સંબંધની સમજ અછતી નથી રહેતી.

આપણા કોઈ પણ સ્તરના સંબંધોમાં પવિત્રતા અનેદૈવત્વ લાવવા માટે વિચાર અને મનન એ આધ્યાત્મિકતાનાં બે બહુ આવશ્યક પાસાંઓ છે. કમનસીબે, આજના સમયમાં 'આધ્યાત્મિકતા'નો અર્થ બહુ જટિલ અને રિવાજપ્રધાન ધાર્મિક  પ્રણાલીઓ જ કરી લેવામાં આવે છે. પરંતુ હિંદુ પ્રાચીન પરંપરાઓમાં, કે આજની પાશ્ચાત્ય સંચાલન પ્રણાલિઓમાં પણ, પ્રેમ, અનુકંપા,સમજ, અને વિચારણા જેવી વાણી, વર્તન કે વિચાર જેવી બાબતો સમપોષિત, તંદુરસ્ત સંબંધોને પોષવા માટેનાં પ્રેરક બળ તરીકે સ્વીકારાયેલ છે. 

શિક્ષણ અને સંબંધો

બન્ને શબ્દો અર્થ અને અસર સભર છે. 

શિક્ષણ જે કંઈ અંદર છે, એ આપણને જ્ઞાત છે, તેને બહાર કાઢી લાવવાનું શીખવે છે. એટલે કેઅપણી અંદર રહેલ ઉત્સુકતા, શિસ્ત અને એકાગ્રતાને વિધિસરનાં શીખવામાં કામે લગાડવાનું સમજાવે છે. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે બાળકનું મન કોરી પાટી છે જેના પર પહેલાં શિક્ષણ અને પઃઇ અનુભવો તેનાં વ્યક્તિત્વને ઘડનારી છાપ છોડી જાય છે. જોકે સંશોધનોથી એ ફલિત થઈ ચુક્યું છે કે બાળકને પોતે જે જાણે છે તેને રજૂ કરવા અને દુનિયાની આંટીઘુંટીમાંથી સમજ અને હિંમતભેર માર્ગ કાઢવા માટે પ્રેમ, વિશ્વાસ, પ્રેરણા અને ટેકા જેવાં સાધનોની જ જરૂર છે .

માતાપિતાની ભૂમિકા

આજના સમયની જટિલ અને ઝાડપથી બની રહેલી ઘટનાઓ માતાપિતાને પણ સમજ નથી પડતી. જ્યારે બાળકને માટે તો આસપાસની ઘટનાઓ, અનુભવો સંબંધો વગેરે તો નવું નવું શીખવાની તક છે. બાળક ઘરમાં જેકંઈ શીખે છે તેના કરતાં ઘરની બહાર ઘણું વધારે - સારૂં કે નરસું - શીખે છે. એટલે માબાપે ઘણીવાર બાળકને બહાર શીખવા મોકળું મુકી દેવું જોઈએ, અને એ તકનો લાભ લઈને પોતાનું જ્ઞાન પણ તાજું કરી લેવું જોઈએ અને નવું નવું શીખી લેવું જોઈએ.

માતાપિતા અને બાળક વચ્ચે દ્વિપક્ષી સંવાદની ભૂમિકા બનેલી રહેવી જોઈએ. એ માટે બન્ને પક્ષોએ પોતાનાં મન અને મસ્તિષ્કને ખુલ્લાં રાખવાં જોઈએ. તેમના નિબંધ પેરન્ટીંગ વિથ  માઈન્ડફુલ અવેરનેસ[4] (સભાન જાગરૂકતા માતાપિતાનું વાલીપણું નિભાવવું) માં જોન કૅબટ-ઝિન્ન કહે છે કે, 'કોઈ પણ ક્ષેત્રની જેમ સભાનપણે માતાપિતાની ભૂમિકા નિભાવવી એ એ ખુબજ ફળદાયક તેમજ પડકારજનક બની શકે છે. સાથે સાથે તે એ કામ માટે પૂર્ણપણે સજ્જ થઈ શઇએ તે માટે આપણને પોતાને પણ અંદરથી સતત તૈયારી કરવાનો પડકાર પણ કરે છે.અદરથી તૈયારીનું મુશ્કેલ પણ આવશ્યક શિસ્ત આધ્યાત્મિકતાને રચે છે.

બાળક અને શિક્ષક

બહુ સાદી જ સમજ પ્રમાણે તો તમારી સામે જે કોઈ પણ ઊભું છે તે શિક્ષક છે. પક્ષીઓ, પ્રાણીઓ વૃક્ષો અને છોડવાઓ, બાળકો - એ બ્ધાં જીવનમાં આપણને કંઈ ને કંઈ શીખવાડતાં જ રહેતાં હોય છે. એ સદર્ભમાં, આપણે બધાં વિદ્યાર્થીઓ છીએ.

પરંતુ ઔપચારિક સંદર્ભમાં શિક્ષકની અમુક ચોક્કસ ભૂમિકાઓ હોય છે. બાળક શાળાએ જવાનું શરૂ કરે ત્યારથી શિક્ષક માબાપનું સ્થાન લઈ લે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું  - પાયાનો તબક્કો[5]ના દસ્તાવેજમાં બાળકનાં ઘડતર માટે પંચકોશ - અન્નમય કોશ (ખોરાક), પ્રાણાયમ કોશ (શ્વાસોચ્છશ્વાસ - મહત્વની ઉર્જા), મનોમય કોશ (મન - વિચારશક્તિ), વિજ્ઞાનમય કોશ(બુદ્ધિ) અને આનંદમય કોશ (આનંદ)- ને આવરી લેવાયેલ છે. આપણે જે આ પાંચ પડનાં બનેલાં છીએ તે દરેકની કાળજીપૂર્વક જાળવણી અને પોષણ આવશ્યક છે. બાળકની શારિરીક જરૂરિયાતો પુરી થયા પછી તેઓ પોતાના વિચારો અને પ્રતિક્રિયાઓ પર નિયમન કેળવી શકે તે રીતની તેમની બુદ્ધિ અને લાગણીઓને વિકસાવવાની જરૂર છે.

https://vkaybansal.medium.com/yogic-science-panchkosha-the-five-layers-of-our-existence-bb5cd26e495e

અહીં શિક્ષકની કઠિન ભૂમિકા આવે છે. તેમણે બાળકોને  'શીખતાં' કરવા ઉપરાંત બાળકમાં વાંચન, લેખન, તર્ક જેવી અનેક બાબતો માટે રૂચિ પેદા કરવાની છે. બાળક બીજાંઓની નકલ કરીને 'શીખે' નહીં પણ પોતાની આગવી પ્રતિભાને ઓળખે અને તેને સક્ષમ કરે અને પોતાનું આગવું વ્યક્તિત્વ નિખારે તે મહત્વનું છે.

કમનસીબે, આજનું શિક્ષણ મોટા પાયે ઉત્પાદન કરતાં કારખાનાં બની ગયાં છે. શિક્ષક અને બાળકો અમુકતમુક કૌશલ્ય ધરાવતાં 'રૉબોટ્સ' બની ગયાં છે. તેમની વિચારશક્તિ કુઠીત બની ગઈ છે. તેમના લેખ, Paying Attention to Our Own Mind and Body,માં ઍલન લૅન્ગર કહે ચે કે, ' આપણે દુનિયાને ૧+૧=૨ જેવી હકીકતોનાં સ્વરૂપે શીખતાં અને જોતાં થઈ ગયાં છીએ. આવાં એક ઈન્દ્રિય 'શીખવા'ના સમયમાં શિક્ષકે બાળકોને અનેકવિધ બાબતોમાં રસ લેતાં, એકથી વધારે ક્ષમતાઓ કેળવતાં અને જીવનની દરે બાબતોને ઉત્સાહથી જોતાં કરવાનાં છે. 

શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2025

અસ્વસ્થતા દૂર કરવાના બે ઉપાયો

તન્મય વોરા

જ્યારે આપણે કોઈ અનિશ્ચિત પરિણામ વિશે અસ્વસ્થ હોઈએ છીએ (અથવા તે થાય તે પહેલાં આપણી નિષ્ફળતાનો ખ્યાલ આવી જાય છે) ત્યારે આપણે જે ચિંતા અનુભવીએ છીએ ત્યારે આપણને ખૂબ જ નિષ્ક્રિયતા અનુભવાઈ શકે છે.  આપણે તેનો સામનો એટલી હદે જ કરીએ છીએ કે જેટલો આપણે આપણી વાત પર, કે પ્રયત્ન પર, ભરોસો હોય.  જ્યારે આપણે બચાવ કરવા ધ્યાન કેન્દ્રિત કરતાં હોઈએ છીએ, કે ચિંતાને મનથી દૂર કરવા, કે અન્ય કોઈ પણ ઓછામાં ઓછા પ્રતિકારના માર્ગ પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે ભાગ્યે જ કંઈ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કે વિચાર શકીએ છીએ.

બીજા પ્રકારની ચિંતા છે જે કંઈક કરવાની આપણી ઉત્સુકતામાંથી પેદા થાય છે. અહીં પણ આશંકાનું તત્વ બહુ પ્રભાવકારી હોય છે જેના કારણે તે એક પ્રકારનો ઉચાટ પેદા કરે છે. પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અપેક્ષા કે પરિણામનો માપદંડ વધારીને, સંદર્ભનો દૃષ્ટિકોણ બદલીને અને નવી સીમાઓનું ખોળીને ચિંતાને હરાવવા પર.

જો આપણે કંઈ પણ અર્થપૂર્ણ કરવા માટે તૈયાર છીએ, તો ચિંતા એ ખેલનો એક અનિવાર્ય ભાગ છે. તેને સ્વીકારી લઈ. જો સ્વીકારી શકીશું તો ધાર્યું ધ્યેય સિદ્ધ કરી શકાશે. ચિંતાને ઘેરી વળવા દઈશું તો તે આપણને અટકાવી પાડશે.

પહેલેથી જ નિષ્ફળતાનો ડર હોવું અ બહુ માનવ સહજ છે. આપણો તેના પરનો પ્રતિભાવ આપણી તાકાતને મર્યાદિત કે આપણી શક્તિઓને સર્જનાત્મક બનાવે છે. હકીકતમાં, ઇતિહાસ ગવાહ છે કે ચિંતા વિના ક્યારેય કોઈ અર્થપૂર્ણ સર્જન થયું નથી.

જેમ હેનરી વોર્ડ બીચરે ખૂબ જ યોગ્ય રીતે કહ્યું છે કે,

"દરેક આવતીકાલના બે હાથ હોય છે. ચિંતાના હાથથી પકડવું કે શ્રદ્ધાના હાથથી પકડવું તે આપણો નિર્ણય છે."

તો, અગ્રણીઓ માટે આનો અર્થ શું છે?

જો તમે કોઈપણ સ્તરે અગ્રણી છો, તો ચિંતા (તમારી પોતાની અથવા તમારી ટીમની આશંકા) પ્રત્યે તમારો પ્રતિભાવ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી ટીમ ફક્ત ત્યારે જ વધુ સારું કરી શકે છે જ્યારે તેમને ડરને સ્વીકારવા અને તેનાથી આગળની શક્યતાઓ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.

 સ્ત્રોત સંદર્ભ:: Two Ways to Respond to Anxiety

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

વેરભાવવાળા દેવોની મોહિની - દેવદત્ત પટ્ટનાઈક

 

ઇસ્લામમાં, મૂળ પાપ[1] - જન્મજાત દરેકનાં મનમાં પાપ હોય છે - નો કોઈ ખ્યાલ નથી. ઈશ્વરે આદમ અને ઈવને નિયમ તોડવા બદલ અને પ્રતિબંધિત ફળ ખાવા બદલ માફ કરી દીધાં. ઈશ્વરે જાહેર કર્યું કે કોઈને પણ બીજા કોઈનું પાપ વારસામાં મળતું નથી: દરેકને તેના પોતાના પાપનો જ વારસો મળે છે. આમ, શેતાન દ્વારા છેતરવામાં આવેલાં પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીની ભૂલો માટે માનવ જાતને પીડાવું નથી પડતું. આ એક એવી પાયાની બાબત છે જે અપરાધ અને પસ્તાવોને ખૂબ મહત્વ આપતા ખ્રિસ્તી ધર્મથી ઇસ્લામને જુદો પાડે છે.

ઇસ્લામના ક્ષમાશીલ ઈશ્વરની વાર્તા તમે છેલ્લે ક્યારે સાંભળી હશે? તમે મોટે ભાગે એવા ઈશ્વરની વાર્તા સાંભળી હશે જે જેહાદમાં ભાગ લેનારાઓને કુમારિકાઓથી ભરેલી જન્નત (અરબીમાં 'સ્વર્ગ') આપે છે. પ્રચાર માધ્યમો કે મદરેસા એ બેમાંથી ક્યાં આ વાર્તા બધુ ચલણી હશે? તમારૂં શું માનવું છે? કોઈ અનુમાન કરી શકશો?

મહત્વાકાંક્ષી વ્યક્તિ માટે, ક્ષમાશીલ ઈશ્વરનો વિચાર કામ કરતો નથી. તે વચેટિયાઓ, મૌલવીઓને, કોઈ ભાવ નથી આપતો. એવી વ્યક્તિ એવા ઈશ્વરને પસંદ કરે છે જે ગુસ્સે થઈ શકે છે, જે ભૂલો અને ગુનાઓ માટે તરતાતરત સજા કરવા તૈયાર હોય, અને જે લોકોને સ્વર્ગનાં વચન આપીને યુદ્ધ કરવા માટે ઉશ્કેરે.

એક ક્રોધિત ભગવાનનો આ વિચાર, જે ઇચ્છે છે કે તમે પવિત્ર યુદ્ધમાં જાઓ, તેનો ઉપયોગ કેથોલિક ચર્ચના નેતાઓ દ્વારા એક હજાર વર્ષ પહેલાં ધર્મયુદ્ધોને ઉશ્કેરવા માટે કરવામાં આવ્યો હતો. તે ઈસુના દૃષ્ટાંતોમાં જોવા મળતા પ્રેમાળ, સંભાળ રાખનારા અને ક્ષમાશીલ ભગવાનથી ખૂબ જ અલગ હતો, જે ઉડાઉ પુત્રના પુનરાગમનની ઉજવણી કરે છે. તેણે મુશ્કેલીમાં મુકાયેલા પવિત્ર રોમન સામ્રાજ્યને પુનર્જીવિત કર્યું.

આપણે જોઈએ છીએ કે ઇસ્લામમાં પણ આ રીતે થઈ રહ્યું છે. ધાર્મિક કટ્ટરપંથીઓ ભગવાનના વિચારને નવેસરથી રજૂ કરી રહ્યા છે જેથી દૈવત્વને એક વેર વાળનાર અતિસંવેદનશીલ અધીર શક્તિ તરીકે રજૂ કરી શકાય, જે પોતાના પસંદગીના લોકોને મૃત્યુ પછીના સારાં જીવનના વચનો સાથે બિન - શ્રદ્ધાળુઓથી મુક્ત કરવા માટે પ્રેરે છે. ધર્મ રાષ્ટ્ર-રાજ્યના વિચારને ઢાંકી રહ્યો છે. ભગવાનના કાયદાઓ વડે, અથવા આ કાયદાઓના અનુકૂળ પડે એવાં અર્થઘટન દ્વારા , નાગરિક સ્વતંત્રતાઓને એ લોકો કોરાણે કરી રહ્યા છે. બંદૂકો સાથે ધાર્મિક યોદ્ધાઓ અને શહીદ માટે શોક વ્યક્ત કરતા વિશ્વાસુ લોકોની વિશાળ ભીડની તસવીરો સામાજિક માધ્યમોમાં રાજકીય ધ્યેયો માટે મોહક સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે. ક્ષમાશીલ ભગવાન લગભગ ભૂલાઈ ગયા છે.

આ સામાજિક રોગ, અને યુદ્ધ પ્રત્યેનો વધતો પ્રેમ, યુવા કલાકારોને હિન્દુ દેવતાઓની ફરીથી કલ્પના કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે. હવે મંદિરની દિવાલો પર દેખાતી હળવાશથી હસતી મૂર્તિઓ નથી. હવે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા બધા લાલ આંખોવાળા, ગુસ્સે ભરાયેલા, સ્નાયુબદ્ધ, આક્રમક યોદ્ધાઓ અને બદલો લેનારા બાહુબલી નાયકો છે. તે આપણને આપણા સમાજ વિશે શું કહે છે? શ્રદ્ધા હવે ધીરજ તરીકે નહીં, પણ અધીરાઈ તરીકે, બલ્કે એમ કહો કે અસહિષ્ણુતા તરીકે પણ પ્રગટ થઈ રહી છે.

બુદ્ધિશાળી નાસ્તિકો પણ કંઈ વધારે સારા નથી રહ્યા, પીડિત માનસિકતાને જડ મનોદશામાં ફેરવી રહ્યા છે, વિશ્વને સતત 'જુલ્મગારો' અને 'જુલ્મ સહન કરનારાઓ', 'પીડિતો' અને 'ખલનાયકો' માં વિભાજીત કરી રહ્યા છે, આંકડાઓ દ્વારા તેમના દલીલોને ન્યાયી ઠેરવી રહ્યા છે. પરંતુ એ લોકો ભુલી રહ્યા છે આમ કરીને તેઓ કટ્ટરપંથીઓના હાથા બની રહ્યા છે. તેમણે જ 'ક્રોધ' શબ્દને મોહક કરી મુક્યો છે.

આજે, હિન્દુ કટ્ટરપંથીઓ મુસ્લિમો દ્વારા ખતરો અનુભવે છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ પોતાને વિશ્વ દ્વારા ખૂણામાં ધકેલાઈ ગયાનો અનુભવ કરે છે. પિતૃપ્રધાન વિચારસરણીવાળાઓને નારીવાદીઓ તરફથી જોખમ લાગે છે. ડાબેરી ઉદારવાદીઓ રાજ્યને માળખાકીય અસમાનતા માટે દોષી ઠેરવે છે. ઉતાવળા અભિપ્રાયો બાંધી દેનારા પત્રકારો, લોભી મૂડીવાદીઓ અને ચાલાકીથી મારપીટ કરનારા ટોળાઓ વચ્ચે રાજય પોતાને ટુકડા થઈ ગયેલું અનુભવે છે. બધું હવે હદની બહાર જતું જણાય છે. હવે સમય છે રાહ જોવાનો અને પૂછવાનો : ક્ષમાને નબળાઈની નિશાની અને સજાને શક્તિની નિશાની કોણે બનાવી? ઈશ્વરે તો એમ નથી જ કર્યું એટલું તો ચોક્કસ છે.

  • મિડ - ડેમાં  ૨૪   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Glamour of vengeful gods નો અનુવાદ | વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫

શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025

પ્રગતિ શ્રેષ્ઠ સમય આવવાની રાહ નથી જોતી

 

ઉત્પલ વૈશ્નવ

શ્રેષ્ઠ સમય

સોમવારે 
કે સવારે ૬ વાગ્યે 
કે પછી જ્યારે અરાજકતા શાંત પડે છે, ત્યારે શરૂ થતો નથી

જ્યારે તમે તમારી જાત સાથે જૂઠું   

કે તમે કાલે તે કરશો.

કે પરિસ્થિતિઓ યોગ્ય હોવી જોઈએ.

કે તમે હજી તૈયાર નથી.

        બોલવાનું બંધ કરો છો, તે ક્ષણથી જ તે શરૂ થાય છે.

સૌથી મોટી સફળતા બાહ્ય પરિવર્તનથી આવતી નથી.

તે આંતરિક પ્રામાણિકતાથી આવે છે.

વિલંબ કર્યા પછી વાટાઘાટો કરવાનું બંધ કરીએ.

જે સાચું છે ત્યાંથી જ શરૂ કરીએ.

બહાનાબાજી પુરી થાય એટલે બહેતર સમયની શરૂઆત થાય.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Progress doesn’t wait for perfect timing નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ સપ્ટેમ્બર ૨૦૨૫

બુધવાર, 27 ઑગસ્ટ, 2025

જ્ઞાનોદયની કથા - દેવદત્ત પટ્ટનાઈક

 


શું તમે બોધિરક્ષિત વિશે સાંભળ્યું છે? તેઓ ભારતીય ઇતિહાસના પ્રથમ 'દસ્તાવેજીકરણ' થયેલા યાત્રાળુ છે. સ્થાનિક શિલાલેખો અનુસાર, તેમણે ઇ. સ. પૂર્વે પહેલી સદી શ્રીલંકાથી આજના પટનાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા બિહારના બોધગયા સુધી પ્રવાસ કર્યો હતો. અહીં તેમણે તેમણે બોધિવૃક્ષ તરીકે પ્રખ્યાત પીપળાનાં  વૃક્ષને જોયો હતો. આ વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અલબત્ત, તેમની મુલાકાત દરમિયાન, તેમણે બુદ્ધ, બોધિસત્વોઅને પછીના મહાયાન અને તાંત્રિક બૌદ્ધ ધર્મના ભાગ કહી શકાય એવા યમંતક અને વજ્રવરાહી જેવા ખુંખાર દેવતાઓ અને દેવીઓની મૂર્તિઓથી ભરચક્ક એવાં ૧૮૦ ફૂટ ઊંચા પિરામિડ જેવાં મહાબોધિ મંદિરને જોયું ન હોત કેમકે ઈંટનું આ બાંધકામ ગુપ્તકાળમાં તેમની મુલાકાતના ફક્ત પાંચસો વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.

આજે જ્યારે આપણે બૌદ્ધ પ્રવાસન માર્ગના ભાગ રૂપે બોધગયાની મુલાકાત લઈએ છીએચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, યુરોપ અને અમેરિકાના લોકોને ત્યાં જોઈએ છીએ, ત્યારે આપણે ધારી લઈએ છીએ કે ,૫૦૦ વર્ષ પહેલાં, જ્યારે શાક્ય કુળના સિદ્ધાર્થ ગૌતમને અહીં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યારથી આ તીર્થસ્થળ હંમેશા અહીં જ છે. પરંતુ એવું નથી. હકીકતમાં ૧૯મી સદીની શરૂઆતમાં, ભારતમાં કોઈને પણ બૌદ્ધ ધર્મ વિશે કોઈ ખ્યાલ નહોતો. બહુ બહુ તો બુદ્ધ નો ઉલ્લેખ કેટલાક પુરાણોમાં વિષ્ણુના અવતાર તરીકે જોવા મળે છે. મહાબોધિ મંદિર અને તેની આસપાસની ભૂમિ ૧૬મી સદીથી એક હિન્દુ મહંતના નિયંત્રણ હેઠળ હતી.

બ્રિટિશ ઇતિહાસકારો અને પુરાતત્વવિદોએ બૌદ્ધ ધર્મની પુનઃશોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સર એડવિન આર્નોલ્ડે "લાઇટ ઓફ એશિયા" લખી હતી જેમાં બુદ્ધના જ્ઞાનની કથા કહેવાઈ છે. સર એલેક્ઝાન્ડર કનિંગહામે બોધગયામાં જર્જરિત માળખાઓમાં બૌદ્ધ પરંપરાને ઓળખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાના અનગરિકા ધર્મપાલે સ્થળને તેના ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ૧૯મી સદીના અંતમાં બૌદ્ધોન માટે આ સ્થળ પર ફરીથી કબજો મેળવવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી. તેમનું અવસાન ૧૯૩૩માં થયું અને ૧૯૪૯માં જ ભારત સરકારે તેને બૌદ્ધ મંદિર તરીકે સ્વીકાર્યું. વર્ષોથી, તેના વહીવટના મામલામાં દાવાઓ અને પ્રતિ-દાવાઓ થઈ રહ્યા છે, કેટલાક હિન્દુઓ દાવો કરે છે કે તે એક હિન્દુ મંદિર પણ છે, જોકે ધીમે ધીમે તેનું સંચાલન ફક્ત ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બૌદ્ધોને સોંપવામાં આવી રહ્યું છે. હવે બોધગયા યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે.

બે હજાર પાંચસો વર્ષ પહેલાં, જ્યારે કપિલવસ્તુના શાક્ય કુળના નેપાળી રાજકુમાર સિદ્ધાર્થ આ પ્રદેશમાં આવ્યા ત્યારે તેમણે તેનું વર્ણન આ રીતે કર્યું, "ત્યાં મેં એક સુંદર ગ્રામ્ય વિસ્તાર, એક સુંદર વનરાજિ, એક સ્પષ્ટ વહેતી નદી, એક સુંદર કિલ્લો અને મદદ મળી રહે એવું એક ગામ નજીકમાં જોયું, અને મેં મનમાં વિચાર્યું, 'ખરેખર, આ એક યુવાન માણસ માટે તપ ધ્યાન કરવા માટે સારું સ્થળ છે." નજીકમાં નિરંજના (ફાલ્ગુ) નદીના કિનારે ઉરુવેલા ગામ હતું. પાછળથી આ ગામનું નામ સંબોધિ, મહાબોધિ અને અંતે ૧૮મી સદી સુધીમાં બોધગયા રાખવામાં આવ્યું.

રાજકુમાર દુઃખનું કારણ શોધવા માટે કટિબદ્ધ હતા. તેમણે સુરક્ષિત જીવન જીવ્યું હતું, અને લગ્ન પછી જ તેમને મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. તેના આઘાતમાં, તેમણે તેમની પત્ની અને નવજાત પુત્રને ત્યજી દીધો હતો, અને વર્ષો જંગલોમાં ભટકતા રહ્યા હતા, એક સાધક તરીકે અનેક ઋષિઓ અને સંન્યાસીઓને મળ્યા. તેઓ તપસ્વી ગૌતમ તરીકે જાણીતા થયા. તેઓએ તેમને કહ્યું કે ઉપવાસ એ જ્ઞાન મેળવવાનો એક માર્ગ છે. તેથી રાજકુમારે એટલે સુધી ખાવા-પીવાનું બંધ કરી દીધું કે તે ચાલવા માટે પણ તાકાત ગુમાવી બેઠા. તે સમયે સુજાતા નામની એક મહિલાએ તેમને દૂધ અને મધ પીવડાવ્યું, જેનાથી તેમનું સ્વાસ્થ્ય ફરી જીવંત થયું. થોડા દિવસો પછી, પીપળાના ઝાડ નીચે ગહન ધ્યાન કર્યા પછી, જ્ઞાનનો પ્રકાશ થયો. તેઓ અચાનક સાચી સમજમાં 'જાગી ગયા'. તેઓ બુદ્ધ બન્યા હતા.

સ્થાનિક દંતકથા અને મહાબોધિ મંદિરની સ્થાપત્યના આધારે, આપણને એમ કહેવામાં આવે છે કે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી, બુદ્ધ એક અઠવાડિયા સુધી વૃક્ષ નીચે બેઠા હતા. પછી એક અઠવાડિયા સુધી વૃક્ષ સામે આંખ મીંચીને જોતા રહ્યા. પછી તેઓ કમળના ફૂલો ખીલેલા રસ્તે અઢાર વાર ઉપર-નીચે ચાલ્યા. પછી નજીકના વૃક્ષો નીચે જઈને બેઠા. સ્થાનિક ઋષિઓ, પૂજારીઓ અને વેપારીઓને મળ્યા. એ લોકોએ તેમને કંઈને કંઇ ખવડાવ્યું, અને તેઓ શું કહે છે તે સાંભળ્યું. સાતમા અઠવાડિયામાં તે એક તળાવ પાસે બેઠા હતા ત્યારે અને વાવાઝોડા દરમિયાન સર્પોના રાજા વાસુકીએ પોતાની ફેણ દ્વારા તેમનું રક્ષણ કર્યું. આજે આ બધા સ્થળોએ મંદિરો છે.

અશોકે ઇ.સ. પૂર્વે ત્રીજી સદી આ સ્થળની મુલાકાત લીધી હતી અને વજ્રાસન (હીરાનું આસન) સ્થાપિત કર્યું હતું. અશોકનાં એક પત્નીને રાજાના બૌદ્ધ ધર્મ પ્રત્યેના પ્રેમ માટે એટલી ઈર્ષ્યા હતી કે તેણે પવિત્ર વૃક્ષને ઝેર આપી દીધું હતું (અથવા તો કદાચ કાપી નાખ્યું હતું). સદ્‍ભાગ્યે, અશોકની પુત્રી, સંઘમિત્રા, આ વૃક્ષનો એક છોડ શ્રીલંકા લઈ ગઈ હતી અને તેથી તેણે એ છોડ ફરીથી રોપવા માટે અહીં પાછો મોકલ્યો હતો.

આજે, આ વૃક્ષની આસપાસ ઇ. સ. પૂવે ૧૦૦ ની સૂર્યદેવ અને ધનદેવી લક્ષ્મીની મૂર્તિઓ અને  સાથે રેતીના પથ્થરના કઠેરા છે. અહીં નરાશ્વો અને ઉડતા ઘોડાઓની મૂર્તિઓ પણ છે, જે ગ્રીક સ્થાપત્યનો પ્રભાવ સૂચવે છે. ઇ. સ. અને ૩૦૦ બનેલી ગરુડ અને કમળના ફૂલોની મૂર્તિઓની સાથે ગ્રેનાઈટના કઠેરા છે. આ મંદિર લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, જે સમયાંતરે સ્થાનિક રાજાઓ, પછીથી ૧૯મી સદીમાં બર્મી રાજા અને અંતે બ્રિટીશ પુરાતત્વીય સોસાયટી દ્વારા પુનઃસ્થાપિત કરાતું રહ્યું. આજે મંદિરનો ઉપરનો ભાગ પર થાઇલેન્ડના રાજા દ્વારા ઉદાર દાનને કારણે સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. સદીઓથી જ્યાં જ્યાં બૌદ્ધ ધ્રમ ફેલાયો છે એવા શ્રીલંકા, તિબેટ, કાઝાકિસ્તાન, કંબોડિયા, વિયેતનામ અને ચીનના સાધુઓ અને રાજવીઓ બોધગયાની મુલાકાત લેતા રહ્યા છે. તેમની નોંધ જણાવે છે કે કેવી રીતે મંદિરમાં, આબેહૂબ બુદ્ધ ભગવાન જેવી જ બુદ્ધની મૂર્તિ કોતરવામાં આવી હતી. (હાલમાં સ્થાપિત છબી દસમી સદીની છે અને આ સ્થળ પર બ્રિટિશ પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા મૂકવામાં આવી હતી, જેમણે સ્થળને પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી; તેમને ખંડેરમાંથી એ મૂર્તિ મળી હતી).

શ્રીલંકાના રાજાઓએ ચોથી સદીમાં યાત્રાળુઓને રહેવા માટે અહીં એક મઠ બનાવ્યો. પરંતુ તેરમી સદીમાં, મુસ્લિમ લૂંટારાઓ દ્વારા મંદિરને અભડાવવામાં આવ્યું હતું. બંગાળના પાલ રાજાઓ દ્વારા તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો છતાં, તે આખરે ભૂલાઈ ગયું. પરંતુ બુદ્ધે કહે છે તેમ, કશું કાયમ માટે ટકતું  નથી. હવે આ પ્રાચીન જીવનશૈલીની સ્મૃતિને નવું જીવન આપવામાં આવીને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરાયું છે.

  • મુંબઈ મિરરમાં  ૨૪   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The story of enlightenment નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૭ ઓગસ્ટ ૨૦૨૫

બુધવાર, 20 ઑગસ્ટ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : આપણા સંબંધોનાં આધ્યાત્મિકીકરણની મૂળભૂત બાબતો સમજીએ

 

પરિવ્રાજિકા શુદ્ધાત્માપ્રાણા[1]

આપણામાં જ ઈશ્વર જોવાની જે મજા માણે છે તેણે બીજામાં ઈશ્વરને જોવાની જરૂર શું ? પરંતુ એ કક્ષાએ પહોંચવું સહેલું ક્યાં છે? એટલે જ સ્વામી વિવેકાનંદ બધામાં ઈશ્વરની સેવા કરવા પર વિશેષ ભાર મૂકે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતાઃ બધા માટે અનુકંપા રાખવાની વાત કરવી એ મૂર્ખામી છે. માણ્સ પોતે જ જ્યાં પૃથ્વી પર્નાં જંતુ જેટલો તુચ્છ છે, ત્યાં એ વળી બીજા માટે અનુકંપા દર્શાવવા ક્યાં જશે? અનુકંપા નહીં, બધાની સેવા કરો. દરેકમાં ઈશરને જૂઓ અને એ રીતે બધાની સેવા કરો.'

રામકૃષ્ણ પરમહંસ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે વિવેકાનંદ ત્યાં હાજર હતા. ગુરુની આ વાત તેમનાં હૃદયમાં વસી ગઈ. આજે આપણે જોઈએ છીએ તેમ આ વાતનો અમલ સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસના નામના આશ્રમ દ્વારા બધાની સેવા કરવાનો વિચાર રજૂ કરીને કર્યો. 

ભગવાન રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ બરાબર સમજતા હતા કે માનવ સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે તેમ જ પરમેશ્વરને પામવાના માનવ માત્રના ઉદ્દેશ્યને સિદ્ધ કરવ અમાટે લોકોને બતાવવું જરૂરી છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એમના મનમાં જ છે, બસ ખુલ્લાં મનથી અંદર જોઈ શકવાની જરૂર છે. એ 'પ્રેમ'ને પામવા માટે તેને બધાને મુકતપણે વહેંચવો જરૂરી છે. 

દુનિયાના બધા પ્રશ્નો ઉકેલવાની ચાવી પ્રેમ અને નિઃસ્વાર્થતાના મૂળભુત સિદ્ધાંતોમાં રહેલી છે. આ પ્રેમ આપણે સમજીએ છીએ એવો પ્રેમ નથી, પણ અનંત અને દૈવી છે. આપણી અંદર વસતા ઈશ્વરનું સત્વ જ એ 'પ્રેમ' છે. એ પ્રેમને પામવા માટે આપણા સમગ્ર સ્વાર્થ અને અહંનો ત્યાગ કરવાનો છે. બીજાઓમાં ઈશ્વરને ભજવાની વાતનું આ જ મહત્વ છે. એટલે જ સ્વામીજીએ આ ભક્તિને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. 

બહુ ઓછાં લોકો હશે જેમને બીજાંની પીડા જોઈને દુઃખ નહીં થતું હોય. એ પીડા અને દુઃખ જ આપણને એકબીજા સાથે જોડતી કડી છે. બીજાને પીડામાં જોઈને આપણને લાચારી પણ અનુભવાય છે. 

આપણે આટલાથી થોડું વધારે પણ કરી શકીએ. બીજા માટે ક્ષણ ભર માટે પણ જે  નકારાત્મ્ક વિચાર, કે લાગણી, આપણા મનમાં આવી જાય તેને સભાનપણે દૂર રાખીએ. આ નકારાત્મ્ક ભાવને મૂળસોતાં કાઢી નાખવા માટે સ્વામી વિવેકાનંદે માનવ્સેવાને આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ આપ્યું. જેમ આપણને આપણામાં દૈવત્વ પામવું છે તેમ બીજામાં પણ દૈવત્વ છે તે સ્વીકારીએ. બધા જ ધર્મો કહે છે કે 'પોતા માટે જે કરો તે જ બીજા માટે પણ કરો.

મૂલભુત વાત સમજવાની છ એતે એ છે કે પોતાના અહંનો ત્યાગ કરો જેથી ઈશ્વરનાં પરમ તત્વને પામી શકાય. બીજામાં ઈશ્વરના પ્રેમને જોઈ શકાય તો આપણા મનમાં રહેલ પરમ તત્વને પામી શકાશે. ઈશ્વરને પામવા હોય તો આપણને બીજા દરેકમાં ઓગાળી દઈએ. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Pravrajika Shuddhatmaprana ના મૂળ અંગ્રેજી લેખ Spiritualising Our Relationships: Getting Down to the Basics નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] વેદાન્ત સોસાયટી ઑવ સધર્ન કેલિફોર્નિયાના નિયુક્ત સાધ્વી પ્રવાજિકા શુદ્ધાત્માપ્રાણા રિજ્લી, ન્યુ યોર્કના વિવેકાનનંદ રીટ્રિટમાં સેવાઓ આપે છે.

બુધવાર, 13 ઑગસ્ટ, 2025

અન્ન સત્ય છેઃ દેવતાઓને શું ભોગ શા માટે ધરાવાય છે - દેવદત્ત પટ્ટનાઈક

આપણી સંસ્કૃતિમાં અન્નને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?

યોગ-શાસ્ત્રમાં, આપણા શરીરને અન્નકોશ કહેવામાં આવે છે, એટલે કે અન્નમાંથી બનેલો દેહ. આપણો દેહ માંસ પછી અન્ય પ્રાણીઓ માટે ખોરાક બને છે.

બધા જીવોને તેમના અન્નકોશ માટે અન્નની જરૂર હોય છે. છોડ તત્વો ખાય છે, જેમાં ખાસ કરીને પાંચ મુખ્ય તત્વો, પંચ મહાભૂત, જેમાં સૂર્યપ્રકાશ અને પાણીનો સમાવેશ થાય છે. છોડ, બદલામાં, એવાં પ્રાણીઓનો ખોરાક બને છે, જે પછી અન્ય પ્રાણીઓ દ્વારા ખવાય છે.

માણસ છોડ અને પ્રાણીઓ બંને ખાય છે. ખોરાક અને ખાવાની ક્રિયા જીવન જાળવી રાખે છે; જીવન જીવનને ખાય છે.

ઉપનિષદો ખોરાકને ખૂબ મહત્વ આપે છે. ખોરાક વિના, વિશ્વ અસ્તિત્વમાં રહી શકતું નથી. આપણે આત્મા, અર્થ, ઉચ્ચ બૌદ્ધિક અને આધ્યાત્મિક બાબતોની ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ સૌથી વ્યવહારુ સ્તરે, "અન્ન હી સત્ય હૈ" - ખોરાક જ સત્ય છે.

પુરાણોમાં આપણને અસ્તિત્વના અર્થ વિશે યાદ અપાવવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. જેમ ભાષાને બ્રહ્મન કહેવામાં આવે છે, તેમ અન્નને પણ બ્રહ્મન કહેવામાં આવે છે. ભગવાન ખોરાકમાં રહે છે; જે ખાય છે તે ભગવાન છે, તમે જે ખાઓ છો તે પણ ભગવાન છે. "ભગવાન જીવન છે અને જીવન ખોરાક છે" એ ખ્યાલ મંત્રો અને અન્ય ગ્રંથોમાં સતત પુનરાવર્તિત થાય છે જેથી આપણે ખોરાકનું મહત્વ ભૂલી ન જઈએ.

દેવોને અર્પણ કરવામાં આવતા ભોગ મોટે ભાગે દૂધ અને ફળ હોય છે. શું તેમનો આ પ્રિય ખોરાક છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે?

તમે આને શાબ્દિક સ્વરૂપે કે રૂપકાત્મક સ્વરૂપે લઈ શકો છો. પૃથ્વીને વસુંધરા તરીકે ઓળખવામાં આવે છે, જે વાસુ અથવા છોડને પકડી રાખે છે. તેથી જો પૃથ્વી ગાય છે, તો છોડ તેનું દૂધ છે. વેદોમાં, દૂધને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.  દૂધનુનાં એક ઉત્પાદન,ઘી,ને યજ્ઞ દરમિયાન, દેવતાઓની ભૂખ સમાન, અગ્નિને અર્પણ કરવામાં આવે છે.

પંચામૃતમાં  દૂધનાં પાંચ ઉત્પાદનો છે - કાચું અને બાફેલું દૂધ, ઘી, માખણ અને દહીં. ગોરસ, ગૌમૂત્ર, મધ અને ગોળ  એ બધાંને ભેળવીને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. પુરાણોમાં, એવું કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ ક્ષીર સાગર, દૂધના સમુદ્ર, પર બિરાજમાન છે.

તેથી, પ્રકૃતિ, કુદરત, દૂધના સમુદ્ર તરીકે જોવામાં આવે છે. કુદરત પાસેથી જે કંઈ મળે છે દૂધ જેવું છે - એવી સમાનતા છે. તેથી જ દેવતાઓને હંમેશા દૂધ ચઢાવવામાં આવે છે.

ફળ કાચાં કે પાકેલાં હોઈ શકે છે. બધા ફળોનો સ્વાદ અલગ અલગ હોય છે, અને ફળના પ્રકાર મુજબ દેવતાઓને ચઢાવવામાં આવે છે. દેવીઓને ખાટા અને મસાલેદાર ફળો આપવામાં આવે છે. લક્ષ્મીને આમળા, લીંબુ અને મરચાં ચઢાવવામાં આવે છે. વિષ્ણુને મીઠા ફળો આપવામાં આવે છે. શિવને સૂકા ફળો આપવામાં આવે છે કારણ કે તે ઠંડા વાતાવરણમાં જોવા મળે છે, અથવા તો પછી, કારણકે ઋષિઓ એ ફળોને તેમની સાથે સફર કરતી વખતે લઈ ગયા હતા.

શિવ અને વિષ્ણુના પ્રિય ખોરાક કયા છે?

તેને જોવાની એક રીત એ છે કે શિવ એક એવા વૈરાગી છે, એક એવા  તપસ્વી જે ગૃહસ્થ જીવનથી દૂર રહેવા માગે છે, જ્યારે વિષ્ણુ, રામ અથવા કૃષ્ણના રૂપમાં, ગૃહસ્થ જીવન જીવે છે. તેથી શિવને કાચું, પ્રક્રિયા ન કરેલું દૂધ અને વિષ્ણુ, માખણ અને ઘી જેવા પ્રક્રિયા કરેલાં દૂધના ઉત્પાદનો ચઢાવવામાં આવે છે.

શિવ જે કંઈ ઉપલબ્ધ હોય તેનાથી સંતુષ્ટ છે. પરંતુ વિષ્ણુ ગૃહસ્થ હોવાથી, તેમના પ્રસાદ માટે ખાસ તૈયારીની જરૂર પડે છે; તેમને ઉત્પાદિત ઉત્પાદનોની જરૂર છે. દૂધમાંથી માખણ કાઢવા માટે, તમારે ઘણું કામ કરવું પડશે, નહીં તો ધાર્યું પરિણામ જોવા મળશે નહીં. શ્રમ, શ્રમને ઘણું મહત્વ આપવામાં આવે છે. તેથી, સામાન્ય રીતે, વિષ્ણુને રાંધેલું ભોજન આપવામાં આવે છે.

દિવાળીની આસપાસ અન્નકૂટ ઉત્સવ દરમિયાન, કૃષ્ણને એક પહાડ જેટલો, છપ્પન ભોગ, અથવા છપ્પન વ્યંજનો ચઢાવવામાં આવે છે - કારણ કે ખોરાક ગૃહસ્થ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ભોજન ભગવાનની જીવનશૈલી સાથે મેળ ખાય છે.

શું ફક્ત દેવતાઓ જ ભોગ પસંદ કરે છે; શું દેવીઓને તે ગમતું નથી?

દેવીઓ માટે, પરંપરાગત રીતે, બકરા, ભેંસ, પક્ષીઓનાં રક્ત બલિદાન આપવામાં આવતું હતું. આજકાલ તે પ્રાણીઓની સુરક્ષાને લગતા અધિકારોને કારણે હવે બહુ ચલણમાં નથી. દેવી રક્તવિલાસિની છે, જે રક્તને પ્રેમ કરે છે.

આપણે તેને શાબ્દિક રીતે લઈ શકીએ છીએ, પરંતુ તેનું એક રૂપકાત્મક પાસું પણ છે. ભૂદેવી, પૃથ્વી દેવી,ને એક ગાય માનવામાં આવે છે જેનું દૂધ બધાને પોષે છે. પરંતુ ભૂદેવી પોતાને કેવી રીતે પોષશે? ગૌરીના રૂપમાં, તે દૂધ આપે છે, અને કાલીના રૂપમાં, તે રક્ત પીવે છે - જાણે કે. જીવન ચક્રના વિચાર પર ભાર મૂકવા માટે આ રૂપક સર્જવામાં આવ્યું છે.  જ્યારે પણ તમે કંઈક ખાઓ છો, ત્યારે તમે કંઈક હત્યા કરી છે, કોઈએ ને કોઈએ ત્તો બલિના રૂપે કંઈક બલિદાન આપ્યું છે.

વનસ્પતિજન્ય ખોરાક એવા ખેતરોમાંથી આવે છે જે જંગલોનો, પર્વતો અને નદીઓનો નાશ કરીને, અસંખ્ય પ્રાણીઓને મારી નાખ્યા પછી બનાવવામાં આવ્યા હતા. દેવી હંમેશા તમને યાદ અપાવે છે કે તમારી સભ્યતા, સંસ્કૃતિ બનાવવા માટે, તમે પ્રકૃતિનો નાશ કરો છો. અને તેથી તે રક્ત માંગે છે, નરબલી પણ માગે છે.

ભાગવત પુરાણમાં, ભૂદેવી વિષ્ણુને કહે છે કે લોકો તેને પરેશાન કરી રહ્યા છે અને તેઓ લોકોનું લોહી પીવા માંગે છે. હકીકતમાં, રામાયણ અને મહાભારતમાં યુદ્ધો પાછળનું ગુપ્ત કારણ એ છે કે ભૂદેવી તરસ્યાં થયાં હતાં. અધર્મ, અનૈતિકતા ખૂબ વધી ગઈ હતી, અને માણસે ભૂદેવીનું ભયંકર શોષણ કર્યું છે, અને તેથી હવે દેવી બદલામાં લોહી માંગે છે. તેથી, રામ અને કૃષ્ણના રૂપમાં, વિષ્ણુ યુદ્ધો કરાવે છે. આ એક પ્રકારની નરબલી છે.

મહાભારતમાં એક કથા છે જેમાં અર્જુન અને ભીમ યુદ્ધ દરમિયાન કોણે વધુ પરાક્રમ બતાવ્યું તે અંગે ઝઘડો કરી રહ્યા છે. તેમને કહેવામાં આવે છે કે પર્વતની ટોચ પર એક મસ્તકછે જે તેમને જવાબ આપી શકે છે કારણ કે તેણે ત્યાંથી આખું યુદ્ધ જોયું હતું. કેટલાક કહે છે કે માથાનું નામ બાર્બરિકા હતું, અન્ય કેટલાંક કહે છે તે અરવન છે. શિખરની ટૉચ પડેલાં મસ્તકે કહ્યું, “"હું કોઈ કૌરવ, પાંડવ કે મહાન યોદ્ધાને જાણુતી નથી. મેં ફક્ત ભૂદેવીને કાલીના રૂપમાં જોઈ, જે વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા બધા યોદ્ધાઓનો નાશ કરતી હતી."

ધનની દેવી લક્ષ્મીને એક બહેન છે, અલક્ષ્મી, જે ઝઘડાઓની દેવી છે - બંને ઘરમાં એકસાથે પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં, અલક્ષ્મીને તર્પણ તરીકે ઉંબરા ઉપર લીંબુ અને સાત મરચાં લટકાવવાનો રિવાજ છે, જેથી તે તેનો સ્વાદ માણી શકે અને ઘરની બહાર રહી શકે. ઘરની અંદર, લક્ષ્મીને આમંત્રણ આપવા માટે મીઠાઈનો ભોગ ચઢાવવામાં આવે છે.

શું રામાયણ કે મહાભારતમાં ભોગ વિશે કોઈ ચોક્કસ કથા છે?

અયોધ્યામાં, સીતાના રસોડા તરીકે ઓળખાતું એક સ્થળ છે. સીતા ખૂબ સારાં રસોઈયણ હતાં. દ્રૌપદી તેની ઉદારતા માટે પ્રખ્યાત હતી. કોઈ પણ તેના રસોડામાંથી ભૂખ્યું જતું નહોતું. મહેલમાંથી દેશનિકાલ થયા પછી, જંગલમાં તેમના રોકાણ દરમિયાન, પાંડવો પાસે કંઈ નહોતું. દ્રૌપદીને ખરાબ લાગે છે કે તે તેના દરવાજા પર આવનાર કોઈપણને ખવડાવી શકશે નહીં.

દ્રૌપદીની મશ્કરી કરવા સારૂ દુર્યોધન દુર્વાસા અને કેટલાક અન્ય ઋષિઓને દ્રૌપદી પાસે મોકલે છે. ઋષિઓ દ્રૌપદી પાસે  જમવાનું માગે છે. તેમના માટે ભોજન તિયાર થાય એટલી વારમાં દ્રૌપદી તેમને નદીમાં સ્નાન કરવા માટે વિનંતી કરે છે. ઋષિઓના ગયા પછી, દ્રૌપદી અંદર જાય છે અને નિરાશામાં રડવા લાગે છે.

તે પછી કૃષ્ણ આવે છે. કૃષ્ણ કહે છે કે  હાંડલામાં કંઈક તો હોવું જોઈએ જે તે ઋષિઓને આપી શકે. નિરાશ થઈને, દ્રૌપદી તેને ખાલી વાસણો બતાવે છે, કહે છે કે તેના પતિઓને ખવડાવ્યું હતું અને પછી જે થોડું બચ્યું હતું તે પોતે ખાઈ લીધું હતું. કૃષ્ણ હાંડલામાં ચોંટેલો ચોખાનો એક દાણો ખોળી કાઢે છે અને ખાય છે. કૃષ્ણ તૃપ્ત થાય છે અને પરિણામે, ઋષિઓ પણ તૃપ્ત થાય છે. ઋષિઓને લાગે છે કે જો દ્રૌપદી જે કંઈ પણ આપે છે તે એ લોકો નહીં ખાય તો દ્રૌપદીનો અનાદર થયો ગણાશે, તેથી તેઓ ઉતાવળમાં બહાર નીકળી જાય છે. આ રીતે કૃષ્ણ દ્રૌપદીના ગૌરવનું રક્ષણ કરે છે.

જોકે, કૃષ્ણ દ્રૌપદીને  તેની સમસ્યાના ઉકેલ માટે સૂર્યદેવને પ્રાર્થના કરવાનું કહે છે. દ્રૌપદી પ્રાર્થના કરે છે. સૂર્ય તેને થાળી  આપે છે. તેના પરથી "દ્રૌપદી કી થાળી" શબ્દપ્રયોગ કરવામાં આવે છે. દ્રૌપદી કી થાળી "માતાજી કા ભંડાર" ની વિભાવના જેવું જ છે, જેનો અર્થ છે કે રસોડામાં હંમેશા ખોરાક રહેશે. દરરોજ, દ્રૌપદી ભરપેટ જમી લે ત્યાં સુધી થાળી ભરેલી રહેતી. તે સેંકડો લોકોને ખવડાવતી અને ખાવામાં સૌથી છેલ્લી રહેતી. પરંતુ એકવાર તે ખાધા પછી, બીજા દિવસ સુધી કોઈ ખોરાક રહેતો નહીં.

આ કથાઓમાં, કોઈ પુરુષ રસોઈયા નથી. તે કેવી રીતે શક્ય છે?

મહાભારતમાં આવા સંદર્ભો છે. નળ એક શક્તિશાળી, સુંદર અને શ્રીમંત રાજા છે, જેના લગ્ન સુંદર દમયંતી સાથે થયા હતા, અને તેમનું જીવન સારી રીતે ચાલે છે. પાછળથી, કમનસીબ સંજોગોને કારણે, તેઓ એટલા ગરીબ થઈ જાય છે કે નળને બીજા રાજાનો નોકર બનવું પડે છે, અને એ રાજા માટે રસોઈ બનાવવી પડે છે.

આ કથા કેરળમાં વધુ પ્રખ્યાત છે. મલયાલમ મહાભારત અનુસાર, વિશ્વનો સૌથી મહાન રસોઈયો નળ છે. અત્યારે પણ, જ્યારે તમને કોઈ સારો પુરુષ રસોઈયો મળે છે, ત્યારે તેની તુલના નળ સાથે કરવામાં આવે છે.

મેં સાંભળ્યું છે કે લોકો દેવતાઓને પાન ચઢાવે છે. એવું શા માટે?

પાન અને સોપારી, એક ભારતીય પરંપરા છે. ભોજનના અંતે, તમે પાન - સોપારી ખાઓ છો. સોપારી દર્શાવે છે કે તમારા જીવનમાં બધું સારું છે, અને તમે સમૃદ્ધ અને સંતુષ્ટ છો. તે સુખી ગૃહસ્થ જીવનનો એક સંકેત છે. આ ફક્ત પરિણીત દેવતાઓને જ અર્પણ કરવામાં આવે છે, શિવને ક્યારેય નથી ધરાવાતું.

કેટલીક મૂર્તિઓમાં, લક્ષ્મી વિષ્ણુને પાન અર્પણ કરે છે. તે આરામ, આનંદ અને વૈભવ, સફળતા અને સુખનું પ્રતીક છે. આપણે આ બધું આપણા જીવનમાં ઇચ્છીએ છીએ.

શ્રીફળ શું છે?

શ્રી લક્ષ્મી છે, ફળ ફળ છે. શ્રીફળ એક એવું ફળ છે જે તમને આખું વર્ષ, સરળતાથી ઉપલબ્ધ હોય છે. તે પોતાની મેળે ઉત્પન્ન થાય છે, અને તેને નારિયેળ કે કેળ જેટલી વધુ મહેનતની જરૂર નથી. આ હંમેશા પૂજાની થાળીમાં રાખવામાં આવે છે. તે માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તે અનંત સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે.

ક્યારેક ચોખાને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજા માટે કળશ, વાસણ નીચે, તમે ચોખા ફેલાવો છો, અને કળશના મુખ પર નારિયેળ મૂકવામાં આવે છે. આ લક્ષ્મીના સંકેતો છે. તે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, અને જ્યાં પણ હશે ત્યાં સમૃદ્ધિ હશે.

  • સ્ક્રોલ.ઈનમાં ૧૯   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Food is truth: What the Hindu gods are given to eat and whyનો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૩ ઓગસ્ટ ૨૦૨૫