બુધવાર, 29 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ધર્મ: સંબંધોનો સ્વપોષિત સિદ્ધાંત

 નિતિશ રાય પરવાણી[1]

આજુબાજુ કંઇ નહોતું, તો સમય  કે તો કોઈ સ્થળ, કોઈ નામ કે કોઈ સ્વરૂપ. કોઈ અભિવ્યક્તિ કે અર્થ વાહકતા પણ નહોતી; હતું માત્ર 'અસ્તિવ' પોતે. જેને કોઈ બીજું નથી એવું કોઈ પ્રકારે છૂટું પડેલું 'સ્વત્વ'. મનને સ્વત્વ 'વિચાર' વડે, અને પોતાની જાતને 'હું' વડે વ્યક્ત કરતું હતું. જ્ઞાતા અને જ્ઞાત, વિચારક અને વિચાર, દૃષ્ટા અને દૃશ્ય જેવી દ્વૈતની  શરૂઆત   'પ્રથમ સંબંધ'ની નિરપવાદ મૂર્તકલ્પના કહી શકાય કેમ કે  શબ્દકોષમાં 'સંબંધ'ની વ્યાખ્યા બે અસ્તિત્વો વચ્ચેનું જોડાણ છે. આમ દ્વૈતની વિભાવનાએ સંબંધનાં વિચારબીજને અંકુરિત કર્યું.  

બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર સર્જનના પ્રારંભની કલ્પના હજુ પણ આગળ વધે છે. વિભિન્ન થલે 'સ્વ', વિરાજ, ને સંતોષ નહોતો થયો. એટલે દ્વૈતનાં જ્ઞાનમાંથી વિશ્વનું ભૌતિક સ્વરૂપ ચતું થયું. પોતેને પોતે ભાગલા પડીને વિરાજે પોતાનું સાથી પેદા કર્યું, જે આગળ જતાં સંતતિમાં પરિવર્તિત થતાં ગયાં. અસંતોષ આટલેથી જ ન અટક્યો અને સંબંધો ટક્યા નહીં; વિરાજ અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ બન્યું. વિરાજમાંથી વાચા, શ્રવણ, સ્વાદ અને સ્પર્શ જેવી ઇંદ્રિયો પણ બની. દરેક જાતિનું નર અને નારી સ્વરૂપ પણ વિરાજ બન્યું. દ્રવ્ય, તત્વો અને જીવોનો અનેક ગણો વધારો થતો ગયો. માનવી, પશુઓ અને અન્ય જીવોના નવા નવા સંબંધો વિરાજ બનાવતું ચાલ્યું. વિરાજ સર્જન બન્યું અને તેમાનું જીવન પણ બન્યું. હવે જુદા જુદા પ્રકારો અને ફરજોના ભાગલાઓ આવ્યા, અને દરેક વર્ગના દૈવી અસ્તિત્વો (દેવો) પણ તેને રીતે દેખાવા લાગ્યા. જોકે આ પ્રકારનાં નામ અને સ્વરૂપનાં સર્જન અને તેમની અંદર અંદરના સંબંધો છતાં અજંપો દૂર ન થયો.

પછી, આખરે, વિરાજે વૈશ્વિક ધર્મનું સ્વરૂપ બતાવ્યું. શક્તિશાળીઓની શક્તિ અને બેશક અસ્તિત્વનાં સત્યને ધર્મ કહેવાયો. ધર્મની સાથે સર્જનની પ્રક્રિયા પુરી થઈ અને વ્યવસ્થા સ્થપાઈ. આ વિશ્વિક ધર્મ - બૃહદારણ્યક ઉપનિષદની વિશ્વ વ્યવસ્થા-ને ઋત , કે અલગ અલગ યુગમાં સનાતન ધર્મ પણ  કહેવાય છે. તે વિવિધ સાપેક્ષ ધર્મોનાં સ્વરૂપમાં કે પછી અમુક ચોક્કસ સંદર્ભોની સરળ ભાષામાં 'ધર્મતરીકે  ઓળખાતો થયો.

ઋત એટલે વ્યવસ્થા, એકરાગ, એવી વૈશ્વિક વ્યવસ્થા જે વિશ્વને બાંધી રાખે છે અને દરેક દેખાતી વસ્તુની નિશ્ચિત જગ્યા નક્કી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઋત વિશ્વનો સ્વપોષિત સિદ્ધાંત છે. દૃશ્યમાન અસ્તિવોના દૃષ્ટિકોણથી અને સંસ્થાઓના અંદર અંદરના અને વિશ્વના સંદર્ભમાં વૈશ્વિક વ્યવસ્થાને ધર્મ કહેવામાં આવે છે. દરેક હસ્તી અને સંસ્થા કે તેના કોઈ ભાગને પોતપોતાનો ધર્મ (નિરપેક્ષ વ્યવસ્થા) હોય છે. ધર્મ શબદ ધૃ પરથી બને છે. ધૃનો અર્થ છે સમર્થન કરવું, ટકાવવું. જ્યારે ઋતને સમય, સ્થળ અને કાર્યકારણના દૃષ્ટિકોણથી સમજવામાં આવે છે ત્યારે તે ધર્મ બને છે.

જ્યારે અદ્વૈત સર્વેશ્વરવાદના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે આખું વિશ્વ એ જ વિશ્વિક ચેતનામાં દેખાય છે, અને ધર્મ એ બળ છે જે હસ્તિઓની પ્રત્યક્ષપણે અલગ અલગ દેખાતી લાક્ષણિકતાઓને ટકાવી રાખે છે. અદ્વૈત વેદાંતની ભાષામાં ઋત નામરૂપ પ્રપંચ એક માત્ર વાસ્તવિકતા જે અલગ અલગ હસ્તિઓમાં અલગ નામથી અને સ્વરૂપથી દેખાય છે - નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય[2]) નો આધાર છે. આમ જ્યાં સુધી અનેકવિધતાની ભાવના  છે ત્યાં સુધી અસ્તિત્વોના આપસી સંબંધ રહેશે જ, અને આ સંબંધો જ ધર્મને સ્વપોષિત સિદ્ધાંત તરીકે ટકાવે છે.

તેની સામે, દ્વૈત દૃષ્ટિકોણ, ઈશ્વર અને સર્જન, એમ વૈશ્વિક ચેતનાના ભાગલાને સ્વીકારે છે. દ્વૈત વર્ગીકરણના સિદ્ધાંતમાં સામાન્યપણે, વ્યક્તિ, વિશ્વ (સર્જન) અને ઈશ્વર (સર્જક) એમ ત્રણ પ્રકાર જોવા મળે છે. સંસ્કૃતમાં તે જીવ, જગત અને જગદીશ કહેવાય છે. આ સંદર્ભમાં ધર્મ આ ત્રણેયને જોડતો સ્વપોષિત સિદ્ધાંત છે. જગત અને જગદીશના સંદર્ભમાં ધર્મ ધાર્મિક બોધ, ધર્મ શાસન, પવિત્ર બોધ જેવાં સ્વરૂપે જોવા મળે છે. જીવ અને જગદીશના સંદર્ભમાં ધર્મ આસ્થાના સિદ્ધાંત, માન્યતા, ધર્મમાર્ગ, જેવાં સ્વરૂપે જોવા મળે છે. આ બે પ્રકારના સંબંધોને ઈશ્વરવાદી સંબંધ તરીકે એક અલગ વર્ગમાં મુકવામાં આવે છે.

ઈશ્વરવાદી સંબંધમાં ધર્મની અભિવ્યક્તિ ધાર્મિક માન્યતાઓમાં ઊંડી ઉતરેલી હોય છે અને તેથી તે બદલાયા કરે છે. હિંદુ સંસ્કૃતિને લાગે વળગે છે ત્યાં સુધી આ દ્વૈત સંબંધો વ્યક્તિનાં સ્વાભાવિક મનોવલણોના આધાર પર, સખ્ય (મૈત્રી), વાત્સલ્ય (માબાપ અને સંતાન), દાસ્ય (માલિક - નોકર), માધુર્ય (પ્રેમી-પ્રેમિકા), કે પછી એક નિર્મળ (શાંત) વચ્ચેનો પ્રેમ સંબંધ જેવાં સ્વરૂપે જોડાય છે. આ બધા સંબંધોમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ, માન્યતા, આસ્થા, વફાદારી, ધર્મમાર્ગ જેવાં સ્વરૂપમાં પરિવર્તિત થતો હોય છે.

જોકે, સામાન્ય સમજણ મુજબ ધર્મનો અર્થ જ્યારે, માત્ર, આસ્થા કરવામાં આવે છે ત્યારે ધર્મનાં અર્થની માત્ર આંશિક સમજ સામે આવે છે. આ અનુવાદ, બહુ બહુમાં, ધર્મના જગત (સર્જન) અને જગદીશ (સર્જક) કે જીવ (વ્યક્તિ) અને જગદીશ (સર્જક) ના સંબંધનું જ ચિત્ર રજૂ કરે છે.

જીવ અને જગતના સંબંધના સંદર્ભમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ કાયદો, ન્યાય, નીતિ, પર્યાવર્ણીય સ્વપોષિતા જેવી બાબતોને આવરી લે છે. આ સંબંધમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી એટલે જીવ અને જગતના સંબંધને બિન - ઈશ્વરવાદી સંબંધ કહી શકાય. ધર્મની ઈશ્વરવાદી સંબંધ તરીકે તો બહુ સાહિત્ય રચાયું છે, એટલે આ લેખની ચર્ચા મુખ્યત્વે બિન - ઈશ્વરવાદી સંબંધ વિશે ગણી શકાય.

આ તબક્કે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે ધર્મને ધાર્મિક ગ્રંથો, આધ્યાત્મિક પાઠ કે પૌરાણિક સાહિત્ય ધાર્મિક સિદ્ધાંતોનાં ભંડોળ છે તો પણ એ બધુ આટલામાં જ વણી લેવાયું છે એ વાત સાચી નથી. હિંદુ શાસ્ત્રો તો કહે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય માત્ર લક્ષણ (ધર્મને જાણવાનું સાધન કે પુરાવો) જ છે. પરંતુ જેના દ્વારા જે જાણવા મળે છે તે જે જાણવા માગીએ છીએ તે નથી બની જતું.

ઋત (સનાતન ધર્મ) એ અચલ પાયો છે. તેના દ્વારા થતું ધર્મ દર્શન સમય, સ્થળ અને કાર્યકારણની સીમાઓની અંદર રહે છે, જેમકે તેના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે સૈનિક દ્વારા કરવી પડેલ હત્યા તેનું કર્તવ્ય છે, પણ કોઈ અન્ય વ્યક્તિ માટે તે ગુનો છે.

એટલે અમુક ધાર્મિક ગ્રંથોમાં  જે કંઈ નિર્દેશ કરાયું છે તે એ સમયના સંદર્ભ પુરતું જ સાચું હોય તેવું પણ બની શકે છે. એનો અર્થ એમ પણ કરી શકાય કે ધર્મને સમજવા માટે સંપૂર્ણ કહી શકાય એવાં સાહિત્યની યાદી ન પણ બની શકે. પહેલું તો  કે ધર્મનાં દર્શન માટે લેખિત સંહિતો હોવી અનિવાર્યપણ આવશ્યક નથી. બીજું એ કે સમય, સ્થળ અને કાર્યકારણનાં થતાં રહેતાં પરિવર્તનને કારણે સંબંધોમાં સ્વપોષિતાના સિદ્ધાંતને જ ટકાવી રાખવા માટે નવાં નવાં સાધનો અને દસ્તાવેજો બનતા જ રહે છે.

વ્યક્તિ, સર્જન અને સર્જકનાં જે ત્રિકોણીય કોષ્ટકને હજુ આગળ વિચારી શકાય.

ધર્મનું શંખાકારપેચદાર મૉડેલ

વ્યક્તિ તરીકેનો સંબંધ 'સ્વ' સાથે છે. જગત તરીકેનો સંબંધ વ્યક્તિનો વ્યક્તિ સાથે કે વ્યક્તિનો સમાજ (સંસ્થા) સાથે કે સમાજ (સંસ્થા) નો સમાજ (સંસ્થા) સાથે સંસ્થાકીય સંબંધ છે. ત્રીજા પ્રકારનો સંબંધ વ્યક્તિઓનો અને સમાજ (સંસ્થાઓ)નો આસપાસનાં પારિસ્થિતિક તંત્ર કે તેઓ જે પરિવેશમાં કામ કરે છે તે વાતાવરણ, સાથેનો સાર્વત્રિક (વૈશ્વિક) સંબંધ છે. કોઈ પણ પ્રકારના સંબંધને લાંબે ગાળે ટકી રહેવા માટે એ દરેક પ્રકાર સ્વપોષિત હોવા જોઈએ. એટલે કે, કોઈ પ્રકાર કે સંબંધ અલગ અલગ રહીને ટકી શકે નહીં. કોઈ પણ પ્રકારના સંબંધનો ધર્મ આંશિક જ રહેશે જો તે બીજા બધા પ્રકારના ધર્મો અને ઋતની વૈશ્વિક વ્યવસ્થાને સાથે રાખીને નહીં ચાલે.

ધર્મનું શંક્વાકાર - પેચ (શંખાકારપેચદાર) મૉડેલ ઉપરોક્ત દરેક પ્રકારના સંબંધોનાં આપસી જોડાણને ગણતરીમાં લે છે. તે દર્શાવે છે કે વ્યક્તિ તરીકેનાં અંદરના પડ સાથે  કુંટુંબ, સમાજ, દેશ કે વૈશ્વિક વ્યવસ્થા જેવા બહરનાં દરેક સ્તર આપસમાં જોડાયેલા  છે. કોએ પણ બે વચ્ચે સંબંધમાં નાનો સરખો પણ ફેરફાર થાય તો તેની અસર બીજા સંબંધ પર થાય જ છે. એકબીજા સાથે જોડાયેલા હોવાથી ટકી રહેવાનો આ સ્વપોષિત સિદ્ધાંત ધર્મ છે.

પ્રભાવનાં વર્તુળનાં મૉડેલથી વિરૂદ્ધ આ મૉડેલમાંનું દરેક ઘટક એકબીજાના પ્રભાવથી અસર પામે છે, માટે એકબીજા માટે અનિવાર્ય છે. ધર્મના સ્વપોષિત સિદ્ધાંતનું આ, આમ, સમાવેશક સ્વરૂપ છે. એકબીજા સાથે જોડાયેલું સંબંધોનું આ શંક્વાકાર પેચદાર મૉડેલ ઋતની વૈશ્વિક વ્યવસ્થા હેઠળ કામ કરે છે અને ટકે છે.

હિંદુ શાસ્ત્રોમાં ધર્મનું શંક્વાકાર - પેચદાર મૉડેલ

હિંદુ સંસ્કૃતિ મુજબ માનવ જીવનને વિદ્યાર્થી (બ્રહ્મચર્ય), ગૃહસ્થ, નિવૃત સલાહકાર (વાનપ્રસ્થ) અને સંન્યાસ એમ ચાર તબક્કાઓમાં વહેંચી નાખવામાં આવે છે. તે જ રીતે વ્યવસાયોની દૃષ્ટિએ શિક્ષક/ ઉપદેશક/ પાદરી(પુરોહિત), વહીવટકર્તા, ઉદ્યોગપતિ/ નાણાનિષ્ણાત અને કામદાર એમ ચાર ભાગ પાડવામાં આવે છે. આ દરેક તબક્કાનાં કે વર્ગનાં કાર્યક્ષેત્રો અને ફરજો તેમજ એકબીજા સાથેના સંબંધોનું વિગતવાર વર્ણન પણ બહુ સ્પષ્ટપણે આલેખાયેલ છે. ફરજ અને સંબંધોને તબક્કાવાર અલગ અલગ નથી કહેવાયાં પણ તેમનાં કાર્યક્ષેત્રની આસપાસના સામાજિક પરિપ્રેક્ષ્ય અને જીવનના તબક્કાની કક્ષાને પણ તેમાં વણી લેવાયેલ છે.

હિંદુ પરંપરામાં બાળક વિદ્યાર્થી અવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કારથી દાખલ થાય છે. અહીં તેને  જીવ અને અજીવ એવાં દરેક અન્યો (સર્વભુતેભ્યઃ)  સાથે નમ્ર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાનું શીખવાય છે. તે જ રીતે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતી વખતે લગ્ન સંસ્કાર સમયે તેને કુટૂંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પતિપત્ની વચ્ચેની લાગણીઓ વિષે અવગત કરવામાં આવે છે. વ્યાવસાયિક જીવનના ત્રીજા તબક્કામાં તેને પ્રકૃતિ અને કુદરતી બળો સાથે સંવાદિતા કેળવવાનું જ્ઞાન અપાય છે. સંન્યાસી તરીકે તેને જીવનમાં અનુભવેલ વિવિધ પરિસ્થિતિઓ અને સંબંધોને ભુલીને હવે આંતરિક અને બાહ્ય પરિબળો સાથે ઐક્ય રાખવાનું રહે છે.

દરેક નવા તબક્કાના પ્રવેશ સમયે ઘણી હિંદુ વિધિઓમાં પુરુષુક્તમ તરીકે ઓળખાતા મંત્રોમાંથી લાગુ પડતા ભાગ સંભળાવવામાં આવે છે. આ મંત્રોચ્ચાર વ્યક્તિને આ દરેક તબક્કાને અલગ અલગ રીતે જોવા / જીવવાને બદલે દરેક તબક્કાના સંબંધોને સર્વાગી દૃષ્ટિથી જોવાનું યાદ કરવાતા રહે છે. આ  દરેક તબક્કાના મત્રોચ્ચારની પૂર્ણાહુતિ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ એમ શાંતિના આહ્વાનનું ત્રણ વાર  પુનરાવર્તન કરવામાં આવે છે.

ત્રણ વારનું પુનરાવર્તન આધ્યાત્મિક (સ્વ સાથે સંબંધિત), અભિભૌતિક (આસપાસના બધાં સાથે સંબંધિત) અને અધિદૈવિક (કુદરતનાં દરેક સ્વરૂપો અને બળ સાથે સંબંધિત) એમ જીવનના આલગ અલગ તબક્કા માટે શાંતિની પ્રાર્થના કરે છે. આમ સમજી શકાય છે કે હિંદુ શાસ્ત્રોમાં કોઈ પણ વર્ગનાં અસ્તિત્વના સંબંધની સ્પષ્ટતા કરતી વખતે જીવનના બધા જ તબક્કાને સર્વાંગીપણે આવરી લેવામાં આવે છે. જીવનના તબક્કાઓના એકબીજા સાથેના સંબંધ તત્ત્વતઃ ધર્મનાં શંક્વાકાર - પેચદાર મૉડેલને પ્રમાણિત કરે છે.

બુધવાર, 22 ઑક્ટોબર, 2025

વૈલંકન્નીમાં વર્જિન મૅરી - દેવદત્ત પટ્ટનાઈક

 

મૂર્તિમાં સાડી પહેરેલાં ઈસુ ખ્રિસ્તનાં માતા, વર્જિન મેરી, છે. તમિલનાડુના વૈલંકન્ની ખાતે હજારો ભક્તો તેમના મંદિરમાં ઉમટી પડે છે. ૧૯૬૨માં રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેને પોપ પાસેથી વિશેષ અધિકાર ધરાવતાં દેવળ (બેસિલિકા) તરીકે સ્વીકૃતિ આપવામાં આવેલ છે. લોકો તેમને નમન કરે છે, પોતાના હાથ લંબાવે છે, તેમની સામે મોંભેર સૂઈ જાય છે, તેમના મંદિરમાં ઘુટણીએ ચાલીને જાય છે, તેમના મહિમાના ગીતો ગાય છે, આનંદમાં રડે છે, માથું મુંડાવે છે અને તેમની પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ રૂપે તેમને ફૂલો, સાડીઓ અને મીણબત્તીઓ અર્પણ કરે છે, કારણ કે તે સારા સ્વાસ્થ્યનાં મહિલા (Lady of Good Health) છે.

કથા એવી છે કે ૧૬મી સદીમાં, એક ગોવાળ બાળક દૂધ વેચવા માટે બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે તળાવમાંથી પાણી પીને વડના ઝાડ નીચે આરામ કરવા માટે રોકાયો. એક સ્ત્રી તેની પાસે આવી અને તેના બાળક માટે થોડું દૂધ માંગ્યું. છોકરાએ તેને દૂધનું ભોઘેણું આપ્યું. તેના પુત્રને દૂધ પીવડાવ્યા પછી, તે સ્ત્રીએ બોઘેણું પાછું આપ્યું, ગોવાળ બાળકનોનો આભાર માન્યો અને ગાયબ થઈ ગઈ. જ્યારે છોકરો બજારમાં પહોંચ્યો, ત્યારે તેના ગ્રાહકો નારાજ થયા કારણ કે તે મોડો પડ્યો હતો. તેણે માફી માંગી અને તેની સાથે જે બન્યું હતું તે એ લોકોને કહ્યું. પછી બધાંનાં આશ્ચર્ય વચ્ચે માટલું દૂધથી છલકાઈ ગયું. બધાંને સમજાયું કે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, પણ સ્પષ્ટપણે દેવી હતી. સ્થાનિક કેથોલિકોએ તેને વર્જિન મેરી તરીકે ઓળખાવી. તે જ્યાં દેખાઈ હતી તે તળાવની નજીક તેના માટે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તળાવનું નામ મથા કુલમ હતું, એટલે કે માતાનું તળાવ, કે પછી 'આપણાં સન્નારીનું તળાવ.

થોડા વર્ષો પછી, કેટલાક કહે છે કે ૧૫૯૭ માં, તે સ્ત્રી ફરી એકવાર રસ્તાની બાજુમાં છાશ વેચતા એક લંગડા છોકરાને દેખાઈ. તેણેએ તેના બાળકને ખવડાવવા માટે થોડી છાશ માંગી. બાળકને ખવડાવ્યા પછી, તે સ્ત્રીએ છોકરાને નાગપટ્ટીનમ શહેરના એક કેથોલિક રહેવાસીને એવો સંદેશો પહોંચાડવા કહ્યું, કે તેના માટે એક ચર્ચ બનાવે. પરંતુ છોકરાએ ધ્યાન દોર્યું કે તે લંગડો છે અને તેના સંદેશવાહક તરીકે કાર્ય કરી શકશે નહીં. મહિલાએ હસીને તેને ઉભા થવાનો પ્રયાસ કરવા કહ્યું. છોકરાના આશ્ચર્ય વચ્ચે, તે ફક્ત ઊભો જ નહીં, પણ ચાલીને શહેરમાં દોડી પણ શકવા લાગ્યો, અને સંદેશો પહોંચાડી શકતો હતો. તજે ભાઈને કોઈ શંકા ન રહી કે આ ચમત્કાર માટે 'સારાં સ્વાસ્થ્યની આપણી સન્નારી (અવર લેડી ઓફ ગુડ હેલ્થ) જવાબદાર હતી.

અંતે, ચીનના મકાઉથી શ્રીલંકા જઈ રહેલા પોર્ટુગીઝ ખલાસીઓના એક જૂથને બંગાળની ખાડીમાં ભયંકર તોફાનનો સામનો કરવો પડ્યો અને તેમણે મધર મેરીને પ્રાર્થના કરી, જો તેમને બચાવી લેવામાં આવે તો તેમના માટે એક ચર્ચ બનાવવાનું વચન આપ્યું. તેઓ અવર લેડી ઓફ ગુડ હેલ્થ સાથે સંકળાયેલા વિસ્તારમાં સુરક્ષિત રીતે ઉતર્યા.

આ ત્રણ અલૌકિક દર્શન એ જ વિસ્તારમાં દેખાયા જ્યાં આજે ગોથિક શૈલીનું બેસિલિકા દેવળ આવેલ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેના નવ દિવસના ઉત્સવ દરમિયાન ખાસ કરીને વીસ લાખથી વધુ યાત્રાળુઓ અહીં આવે છે. પ્રાર્થના, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, કોંકણી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી, એમ ઓછામાં ઓછી આઠ ભાષાઓમાં કરવામાં આવે છે.. બધા ધર્મો અને જાતિના લોકો અ દેવળ ભેગા થાય છે. આજે પણ માન્યતા છે દેવળનાં દૈવી નિવાસી બધી બીમારીઓનો ઇલાજ કરે છે. આ સ્થળને 'પૂર્વનું લુર્ડેસ' કહેવામાં આવે છે. જોકે ફ્રાન્સના એક ગામ, લુર્ડેસમાં, મેરી છેક ઓગણીસમી સદીમાં જ એક સ્થાનિક ખેડૂત છોકરીને દેખાયાં હતાં.

વૈલંકન્નીની કુમારિકાના તહેવારમાં ચર્ચની સામે ધ્વજસ્તંભ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને કુમારિકાને મુગુટ પહેરાવવા સાથે અને તેની શોભાયાત્રા સાથે આ તહેવાર સમાપ્ત થાય છે. જે લોકો બીમારીઓથી સાજા થાય છે તેઓ ઘણીવાર સાડી અને ચાંદી અને સોનાથી બનેલા શરીરના સાજાં થયેલાં અંગની પ્રતિકૃતિની ભેટ સાથે પાછા ફરે છે. ભક્તો માટે, વૈલંકન્ની માતા નિઃસંતાન લોકોને બાળકો આપે છે, અને અપરિણીત લોકો માટે જીવનસાથી શોધી આપે છે, અને બેરોજગારો માટે નોકરીઓ શોધી આપે છે. તે દરેક ઘાને મટાડે છે, અને બધી વેદનાઓને દૂર કરે છે. તે માનવતાના દુઃખને સમજે છે. કળાકૃતિમાં, ક્યારેક વર્જિન મેરીના પગ પાસે,તેના પુત્ર, ભગવાન ઈસુ ખ્રિસ્ત રૂપી સૂર્યના પૂરક એવાઅર્ધચંદ્રાકાર ચંદ્રને બતાવવામાં આવે છે.

આ દેવળ કેથોલિક માન્યતાઓ અને ઘણી હિન્દુ વિધિઓને એકસાથે લાવે છે. ભલે તે પ્યુરિટનને ઠેસ પહોંચાડે પણ રોમન કેથોલિક સંપ્રદાયના સ્થાનિક પ્રતિનિધિઓ ભારતીય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વ્યક્ત કરાયેલ શ્રદ્ધાના વિશાળ અને તીવ્ર ઉભરાનો આદર કરે છે. હજારો વર્ષોથી, ભારતીયો અમ્મા, અથવા ગામનું રક્ષણ અને પોષણ કરતી માતા-દેવી,ના વિચારથી પરિચિત છે.

ભારતભરમાં, લગભગ દરેક ગામમાં, દેવીના સ્થાનિકો આ ભાવનાની અભિવ્યક્તિઓ છે, જે સ્ત્રીઓને બાળકો પેદા કરવામાં મદદ કરે છે, જે બીમારીઓનો ઉપચાર કરે છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે, ત્યારે પ્લેગ અને રોગચાળો લાવી શકે છે. શક્ય છે કે અવર લેડી ઓફ ગુડ હેલ્થના દેવળ પહેલાં, કાં તો આદિવાસી, અથવા હિન્દુ, અથવા બૌદ્ધ, અથવા જૈન, અથવા આ બધાનું આ સ્થાનિક દેવીનું સદીઓથી મંદિર હતું.

કારણ કે ભારતમાં, સંપ્રદાયો બદલાઈ શકે છે, પરંતુ દેવતા એના એ રહે છે.

ખ્રિસ્તી ધર્મ ૨,૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં આવ્યો હતો. સ્થાનિક શ્રદ્ધા અનુસાર, તે કેરળમાં, ખ્રિસ્તના પ્રેરિતોમાંના એક, સેન્ટ થોમસ સાથે આવ્યો હતો. સેંટ થોમસે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પર શંકા કરી હતી. બીજી એક માન્ય મુજબ ઇજિપ્ત અને અરબના વેપારીઓ સાથે પણ આવ્યો હતો. પંદરમીમી સદીમાં, પોર્ટુગીઝોએ કેરળનો દરિયાઈ માર્ગ શોધ્યા પછી, કેથોલિક ધર્મ દરિયાકાંઠે ખીલ્યો. મધર મેરીના દર્શન પોર્ટુગીઝના આગમન પછી એક સદીનાં છે તેમાં કોઈ યોગાનુયોગ બથી.

મધર મેરી દ્વારા ભગવાન સાથેનો આ જોડાણ કેથોલિક ખ્રિસ્તી ધર્મને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મથી અલગ પાડે છે. કુમારિકાને 'ભગવાનની માતા' ના દરજ્જા સુધી ઉન્નત કરવાનો વિચાર બધામ  સ્વીકારતાં નથી. પરંતુ ખ્રિસ્તી ધર્મ પૂર્વેની પરંપરાઓમાં, દેવત્વ ઘણીવાર નારી રૂપે જોવા મળતું હતું. જ્યારે પુરુષ સ્વરૂપ અત્મોદ્ધાર પ્રદાન કરતું હતું, ત્યારે સ્ત્રી સ્વરૂપ આરોગ્ય અને ઘરની સંભાળ રાખતું હતું. આપણને બૌદ્ધ ધર્મમાં પણ આ વિભાજન જોવા મળે છે, જેમાં બોધિસત્વ જ્ઞાન પ્રાપ્તિની વાત કરે છે અને તેમના આંસુઓમાંથી જન્મેલી દેવી તારા કરુણા પ્રદાન કરે છે. તેવી જ રીતે જો શ્રી વૈષ્ણવ ધર્મના વિષ્ણુને ધર્મ (કાયદા) અને મોક્ષ (મુક્તિ) સાથે જોડવામાં આવે છે, તો લક્ષ્મી અર્થ (સંપત્તિ) અને કામ (આનંદ) નું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા મુસ્લિમો માટે, પયગંબર સાહેબની પુત્રી ફાતિમાનો 'હાથ' શુભકામનાઓ અને ખરાબ નજરથી રક્ષણ આપે છે. સ્વાભાવિક જે છે કે દરેક ભારતીય 'અવર લેડી'ના બેસિલિકા દેવળ તરફ આકર્ષાય છે.

  • મુંબઈ મિરર માં  ૮ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખVirgin Mary in Vailankanni નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૨ ઓક્ટોબર ૨૦૨૫

બુધવાર, 15 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મુળભૂત આધ્યાત્મિક મૂલ્યોના આધારે પારિવારિક સંબંધોની પુનઃકલ્પના

 

ડૉ. પરોમિતા રોય[1]

વ્યક્તિગત સ્વાતંત્ર્યના ઓઠાં હેઠળ થઈ રહેલ અસ્વસ્થ વ્યક્તિપરસ્ત વિકાસે અને મિથ્યા વૈભવપ્રેમી ઔદ્યોગિકરણે સંબંધમાં અનુકૂલનશીલતા અને પરિવર્ત્નશીલતાને લગભગ ખતમ કરી નાખી છે. સદીઓથી જેની આપસી વિશ્વાસ અને કુટુંબના સભ્યોમાં એકબીજા તરફ પોતાપણાની ભાવના વડે સંબંધોમાં જે મજબુતી સિંચાઈ છે તેનાં મૂળ ઢીલાં પડવા લાગ્યાં છે.  આવા મુશ્કેલ સમયમાં વેદાંતમાં વણાયેલા વ્યક્તિ તત્વતઃ સાર્વત્રિક છે એવાં હાર્દની પુનઃકલ્પના કરીશું.

કુટુંબનું સામાજિક મહત્વ અને કુટુંબના વિઘટન માટે જવાબદાર કારણો

કુટુંબની છાયામાં મૂલ્યો, સિદ્ધાંતો અને ધારાધોરણો મનની અંદર ઘુંટાય છે. રોબર્ટ મૉરિસન મેસીવર અને ચાર્લ્સ એચ પેજ તેમનાં પુસ્તક Society: An Introductory Analysis[2] માં કહે છે કે 'સમાજમાં વિકસતી નાની કે મોટી કોઈ સંસ્થાઓ તેનાં સામાજિક મહત્વની ઉત્કટતામાં કુટુંબને અતિક્રમી શકતી નથી.'

એક સામાજિક ઘટક તરીકે કુટુંબની કેટલીક ખાસિયતો ધ્યાન ખેંચે છે.

સમાજનાં બધાં જ ઘટકોમાં કુટુંબને સર્વવ્યાપી ગણવામાં આવે છે. તેનાં સભ્યોની લાગણીઓનાં બંધનને તે મજબૂત બનાવે છે. કુટુંબનાં બંધારણનાં ઘડતરનું સ્વરૂપ તેના વ્યક્તિગત સભ્યોનાંવ્યક્તિત્વ પર બાળપણથી લઈને જીવનના અંત સુધી ઊંડી અસર પાડે છે. સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારીની સમજણનો પાયો કુટુંબ વ્યવસ્થા દ્વારા પડે છે. (એટલે જ ) બધી સામાજિક સંસ્થાઓનું કુટુંબ નાભિકેન્દ્ર ગણાય છે.

આમ છતાં, કુંટુંબની વ્યવસ્થામાં સમયની સાથે સાથે બહુ તીવ્ર પરિવર્તનો આવતાં રહ્યાં છે. ઔદ્યોગિક ક્રાન્તિની સમયથી ટેક્નૉલોજિના વિકાસ સાથે આવતી રહેલી સમૃદ્ધિ, મશીન અને ગેજેટ્સ પર વધતું જતું પરાવલંબન, જીવન શૈલીમાં વધતી જતી ઝડપ જેવાં પરિબળોને કારણે અધીરાઈ, અસહિષ્ણુતા, આસપાસની પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ સાથે મેળ ન બેસવો જેવાં પરિણામોએ કુટુંબની એકરાગતાનો હ્રાસ થતો ગયો છે..

આમ થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર ગણાય છે - 

૧. પહેલાંનીએક વ્યક્તિનાં નેતૃત્વની શલી નબળી પડતી જાવને કારણે વ્યક્તિગત કે કૌટુંબીક ઘર્ષણો કે સમસ્યાઓ સમયે કુટુંબની ઢાળ બની રહેવાની ક્ષમતા (કે પછી તાકાત) ઘટતી ગઈ છે.

૨. જેમ જેમ કુટુંબ સંયુક્ત પરિવારમાંથી વધારે ને વધારે નાનાં એકમોમાં ફેરવાતાં ગયાં તેમ તેમ કુંટુંબને દરેક પરિસ્થિતિમાં બાંધી રાખનાર કેન્દ્રાભિગામી  શક્તિનું સ્થાન સહકારની ભાવનાને કારણે હવે દરેક સભ્ય પોતપોતાના નિર્ણયો પોતપોતાના દૃષ્ટિકોણથી લેવા લાગ્યું છે.  

હિંદુ પરિવારનું માળખું અને આધ્યાત્મિક સત્યમાંનાં તેનાં મૂળ

હિંદુ સંસ્કૃતિમાં માનવ જીવનને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર તબક્કાઓમાં વહેંચી નંખાય છે. તેમાંથી, ઋષિ મનુ અનુસાર, ગૃહસ્થાશ્રમ  બાકીના ત્રણેય તબક્કાઓને ટેકો કરે છે અને ટકાવી રાખે છે.

અનેક પ્રકારના સંબંધો અને બહુવિધ આપસી વ્યવહારોને આવરી લેતાં હિંદુ કુટુંબનું માળખું ખાસ્સું જટિલ અને વિશાળ છે. પારંપારિક સંયુક્ત પરિવારમાં (મોટા ભાગે પુરુષ, પણ અમુક જાતિઓમાં સ્ત્રી પણ) વડો હોય છે. કુટુંબનાં વ્યવસ્થાપનની સઘળી જવાબદારી કુંટુંબના એ વડાની છે. કુટુંબનાં દરેક સભ્યએ કુટુંબના વડાના નિર્ણયનું પાલન કરવાનું રહે છે. નિર્ણય પાલનની આ પદ્ધતિને કારણે કુટુંબનાં સભ્યોમાં મજબુત જોડાણ બને છે. 

ઋગ્વેદમાં 'ઋત'નો સિદ્ધાંત એ બ્રહ્માંડનો નિયમ છે જે કુદરતી, નૈતિક અને ધાર્મિક વ્યવસ્થા જાળવી રાખે છે. આ એક સર્વવ્યાપી સિદ્ધાંત છે જે માત્ર માનવીનું વર્તન જ નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડના કાર્યનું નિયમન કરે છે.  

'ઋત'ના સિદ્ધાંતના મુખ્ય પાસાં:

૧. પ્રાકૃતિક વ્યવસ્થા:

  • ગતિશીલ સંતુલન: 'ઋત' એ બ્રહ્માંડના ગતિશીલ અને વ્યવસ્થિત સંચાલનનું પ્રતિનિધિત્વ કરે છે.
  • નિયમિતતા: આ સિદ્ધાંતને કારણે સૂર્ય નિયમિત ઊગે છે અને આથમે છે, ઋતુઓ બદલાય છે અને નદીઓ વહે છે.
  • વરુણ દેવ: ઋગ્વેદમાં વરુણ દેવને 'ઋત'ના રક્ષક અથવા ગોવાળ તરીકે ઓળખવામાં આવે છે, જેઓ કુદરતી અને નૈતિક વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરે છે. 

૨. નૈતિક વ્યવસ્થા:

  • સત્ય અને ધર્મ: 'ઋત' 'સત્ય' (બ્રહ્માંડનું મૂળભૂત સત્ય) અને 'ધર્મ' (વ્યક્તિગત અને સામાજિક ફરજો) સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. 'ઋત' એ આદર્શ વ્યવસ્થા છે, જ્યારે 'સત્ય' અને 'ધર્મ' એ તેને વ્યવહારમાં લાવવાના માર્ગો છે.
  • નૈતિક માર્ગ: મનુષ્યએ નૈતિક રીતે જીવવું અને સન્માન, ધર્મ, અને નિષ્ઠાના માર્ગે ચાલવું એ 'ઋત'નો જ એક ભાગ છે.
  • અનૃત (ઋતનું ઉલ્લંઘન): 'ઋત'નું ઉલ્લંઘન 'અનૃત' કહેવાય છે, જે અરાજકતા, પાપ અને વિનાશ તરફ દોરી જાય છે.

૩. ધાર્મિક વ્યવસ્થા:

  • યજ્ઞ: વેદકાળમાં કરવામાં આવતા યજ્ઞો અને ધાર્મિક વિધિઓ પણ 'ઋત' સાથે જોડાયેલા છે. યજ્ઞોનું યોગ્ય રીતે પાલન કરવાથી બ્રહ્માંડનું સંતુલન જળવાઈ રહે છે.
  • દેવતાઓનું પાલન: ઋગ્વેદ મુજબ, દેવતાઓ પણ 'ઋત'નું પાલન કરે છે. દેવતાઓની શક્તિનો સ્ત્રોત 'ઋત' છે અને તેઓ 'ઋત'ના રક્ષક તરીકે પણ કાર્ય કરે છે. 

સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો ધર્મનો સિદ્ધાંત વ્યક્તિગત અને સામુહિક એમ બન્ને કક્ષાએ લાગુ પડે છે. ઋગ્વેદની કેન્દ્રિય વિભાવના એ મુજબની છે કે અસ્તિત્વમાં આવેલ કોઈ પણ જીવ ઋત (વૈશ્વિક વ્યવસ્થા)ના અધ્યાદેશનું અનુસરણ કરે છે ત્યારે ત્યારે તે તેનાં પ્રકૃત્તિદત્ત સ્વભાવને અનુરૂપ જીવે છે અને તે પરિપૂર્ણ કરે  છે.   

કઠોપનષિદ અને મહાનારયણોપનિષદ બન્નેમાં હંસ-મંત્ર તરીકે ખ્યાત જોવા મળતા મંત્રમાં સ્થિતિને ઋતામ્બૃહત કહે છે. યજ્ઞ દ્વારા સર્વ સૃષ્ટિને અંજલિ આપીને વ્યક્તિ પોતાનાં અસ્તિત્વને જાળવે છે. યજ્ઞ કરવાની ઈચ્છા વાતની સ્વીકૃતિ છે કે દરેક અસ્તિત્વ સર્વ વિશ્વ પર નિર્ભર છે અને તેનાથી અભિન્ન છે. એટલે કૃષ્ણ અર્જુનને સૂચવે છે કે ત્યાગ, દાન અને સાદગીથી ક્યારે પણ વિમુખ થવું, પરંતુ તેને અચુક કરતાં રહેવું.

આમ કરવા પાછળનો મૂળ આશય છે કે સ્વાર્થની ભાવના કે અપેક્ષા વિના જે કંઈ કરવામાં આવે છે તે સમગ્ર વિશ્વમાં અસ્તિત્વ ધરાવતાં દરેકને ઉપકારક નીવડે છે. આમ એકરાગ તરીકે ઋત વ્યાપક કક્ષાએ સમગ્ર અસ્તિત્વનું તત્ત્વ છે અને સૂક્ષ્મ કક્ષાએ દરેક માનવના અસ્તિત્વનું તત્ત્વ છે.

કુટુંબ પણ સમગ્ર વિશ્વનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. તેથી કુટુંબ વ્યવસ્થામાં પણ દરેક સભ્યને બીજાં સભ્યો માટે કરીને ત્યાગ કરવાની ભાવના વિક્સાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગૃહસ્થનો ધર્મ પોતાની પાસે જે કંઈ છે તે બધાં સાથે વહેંચવામાં છે એમ સમજાવે છે - આવકનો ચોથો ભાગ કુટુંબ માટે, ચોથો ભાગ દાન માટે, ચોથો ભાગ બચત માટે અને બાકી રહે તે ચોથો ભાગ પોતા માટે.

યજુર્વેદના સત્પત બ્રાહ્મણમાં ભૂત યજ્ઞ (બધાં સજીવો માટે ત્યાગ), નૃ યજ્ઞ (બધાં માનવો માટે ત્યાગ), પિતૃ યજ્ઞ (બધાં પૂર્વજો માટે ત્યાગ), દેવ યજ્ઞ (બધા દેવો - પ્રકૃતિ - માટે ત્યાગ અને બ્રહ્મ યજ્ઞ (જ્ઞાનીઓ દ્વારા સર્વ વેદાનાં દૈવી જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાગ) એમ પંચમહાયજ્ઞ દરરોજ કરવાનું જણાવાયું છે.

સ્વામી વિવેકાનંદ વાતને મુજબ સુક્તિ સ્વરૂપ કથન દ્વારા સમજાવે છે - જીવન બહુ ટુંકું છે, દુનિયાની માયા ક્ષણભંગુર છે, પરંતુ જે બીજા માટે જીવે છે તે ભવસાગર તરી શકે છે. બાકીના બધાં તો જીવતે જીવ મરણ શરણ છે. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Paromita Roy ના મૂળ અંગ્રેજી લેખ Reimagining Family Relationships Based on Fundamental Spiritual Values નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] ડૉ. પરોમિતા રોય રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એડ્યુકેશનલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ, બેલુર મઠનાં સંસ્કૃત અને ફિલૉસોફી વિભાગના સહાયક અધ્યાપક અને સ્વામી અભેદાનંદ ચેર છે.