બુધવાર, 19 માર્ચ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ત્રણ પ્રકારના સંબંધો - સંબંધયાત્રા

 

સ્વામી નિત્યસ્થાનન્દ[1]

આપણે સંબંધોને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ - ભૌતિક, માનવીય અને દૈવી.

ભૌતિક પદાર્થો સાથેના આપણા સંબંધો ભૌતિક સ્તરના હોય છે. આ પ્રકારના સંબંધોમાં, દેખીતી કે પછી છુપી રીતે, બહુ રત રહેવાથી, કે તેમના પર આધારિત રહેવાથી, આપણે પણ એ પદાર્થો જેવાં જ, લાગણીવિહિન અને માનવ સંવેદના વિહિન બની જઈએ છીએ. આપણે કહીએ છીએ કે આજની પ્રત્યયન ટેક્નોલોજિએ વિશ્વને એક નાનું શું ગામ બનાવી દીધું છે. પણ દુરદર્શન (ટીવી), દૂરભાષ (ટેલીફોન), દુર શિક્ષણ (ડીસ્ટન્સ લર્નિંગ) ને કારણે આ યુગ દુર - યુગ  બની ગયો છે. આપણે હંમેશાં ઓનલાઇન રહીએ છીએ પણ પ્રત્ત્યક્ષ સ્તરે દુર દુર થતાં જઈએ છીએ. ઓનલાઈન વિડીયો કૉલ વડે એકબીજાના ચહેરા જોઈને રૂબરૂ મળ્યાનો સંતોષ અનુભવતાં શીખતાં જઈએ છીએ.

માનવીનું માનવી તરીકે રહેવા માટે સંબંધો માનવીય બની રહે તે બહુ જ આવશ્યક છે. આપણા આપસી માનવ સંબંધોની સીધી અસર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કેટલાંકને એકાન્તમાં એકલતા ગમે છે, તો કેટલાંકને ભીડભાડમાં એકલવાયું લાગે છે. કોઈક સંદર્ભ, હેતુ, આદર્શ કે જીવનકાર્ય સાથે પોતાને સાંકળી રાખવું અનિવાર્ય છે. જે વ્યક્તિ જીવનમાં બીજાં સાથે સકારાત્મક ભાવનાથી નથી સંકળાઈ શકતી તે પછીથી નકારાત્મક સંબંધોની જાળમાં ગુંચવાઈ રહે છે. ડૉ ડીન ઑર્નિશ કહે છે કે આજની સંસ્કૃતિની સમસ્યા ભૌતિક હૃદયરોગનો રોગચાળો નથી પણ અત્યંત એકલતા, જુદાઈ, ઊંચાં મન અને નિરાશાનાં ચિહ્નો ધરાવતા માનસિક હૃદયરોગનો ફેલાવો છે. માનવ સંબંધો એકબીજા પાસેથી અપેક્ષા રાખ્યા વિનાના પ્રેમના પાયા પર રચાવા જોઈએ. રોસેટો રહસ્ય[2]ની જેમ એક આખા સમાજનાં સારાં સ્વાસ્થ્યનું રહસ્ય એ સમાજનાં સભ્યોના એકબીજા સાથેના ઉષ્માભર્યા સંબંધોમાં રહેલું છે.

જોકે, ખુબ સંવેદનાભર્યા આપસી માનવ સંબંધો એ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આપણે બધા સંબંધોને અતિક્રમીને નિઃસંબંધ, અબાધિત, અસ્તિત્વની સ્થિતિ પામવાની છે. આ સ્થિતિp પામવા માટે આપણે પરમાત્મા સાથે દૈવી સંબંધ પ્રસ્થાપિત કરવાનો રહે છે. એટલે જ, સ્વામી વિવેકાનન્દ ધર્મની વ્યાખ્યા 'બાહ્ય આત્માનો બાહ્ય પરમાત્મા સાથેનો શાશ્વત સંબંધ' એમ કરે છે.

શુદ્ધ દૈવી સંબંધમાંથી ઉદ્‍ભવતી અનાસક્તિ અવશ્યપણે માનવ સંબંધોને વધારે મજબૂત બનાવે છે. એટલે જ સ્વામી વિવેકાનન્દ કહે છે કે 'તમારામાંના દૈવત્વને પ્રગટ થવા દેશો એટલે તમારી આસપાસનું બધું જ એકરાગ પૂર્ણ બની રહેશે.'

આ આખા સંદર્ભમાં આ ઉદ્ધરણ બહુજ પ્રસ્તુત છેઃ

જેનામાં મન અને મસ્તિષ્કના બધાજ ગુણો પૂર્ણપણે વિકસિત છે અને સુસંતુલિત છે તે ખરેખર ધન્ય છે. જે કોઈ પરિસ્થિતિમાં તે મુકાય છે તેમાં તે પોતાની ભૂમિકા બહુ અસરકારક રીતે ભજવી બતાવે છે. તે ઈશ્વર પ્રત્યે કોઈ પણ કૂડકપટરહિત વિશ્વસનીય આસ્થા અને પ્રેમ ધરાવે છે, અને તેમ છતાં બીજા સાથેના તેના વ્યવહારોમાં કંઈ પણ કહેવાપણું નથી રહેતું. દુન્યવી વયવહારોની સાથે કામ લેતી વખતે તેઓ અભિગમ પુરેપુરો વ્યાવસાયિક હોય છે. જ્ઞાની લોકોની  હાજરીમાં તે મહાજ્ઞાની તરીકે પોતાનો દાવો પ્રસ્થાપિત કરતાં, ચર્ચાઓ પોતાની અદ્‍ભૂત તર્કસભર લાક્ષણિકતાઓ રજુ કરી બતાવે છે. પોતાનાં માતાપિતા માટે તે આજ્ઞાંકિત અને માયાળુ છે; પોતાના સંબંધીઓ અને મિત્રો પ્રત્યે તે પ્રેમાળ અને મિતભાષી છે; પોતાના પડોશી માટે તે સદ્‍ભાવ અને સહાનુભૂતિ ધરાવે છે અને હંમેશાં સદ્‍વ્યવહાર રાખે છે; પોતાની પત્ની માટે પ્રેમનો અક્ષય ખજાનો ધરાવે છે. આવી વ્યક્તિ ખરેખર પૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. 

    • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Nityasthananadaના મૂળ અંગ્રેજી લેખ Three Relationships – Sambandhayaatra નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ   



[1] સ્વામી નિત્યસ્થાનન્દ રામકૃષ્ણ સંપ્રદાયના કન્નડ સામયિક વિવેક પ્રભાના ભૂતપૂર્વ તંત્રી છે. હાલમાં તેઓ રામકૃષ્ણ મઠ, બેંગ્લુરૂ,ના અધ્યક્ષ છે.

શુક્રવાર, 14 માર્ચ, 2025

સ્વ-વિકાસ : વિચાર વલોણું - પરિવર્તન - દીર્ઘદર્શનથી થતી શરૂઆતનું અમલીકરણનાં રૂપાંતરણમાં અંત

તન્મય વોરા

મોટા પાયે પરિવર્તન કરવાની પહેલ માટે અગ્રણીઓ ખાસ્સાં ઊંચાં સ્તરનું દીર્ઘદૃષ્ટિ ચિત્ર રજુ કરે છે અને પછી ટીમને તેમાં સાંકળી લેવા માટે વ્યૂહરચના બનાવે છે. કેટલીક વાર, ટીમ આ ભવ્ય દ્રષ્ટિકોણથી એટલી વધુ પડતી ઉત્સાહિત થઈ જઈ અને અટવાઈ જાય છે કે તે ભવ્ય દ્રષ્ટિકોણની નજીક લઈ જાય એવી વ્યૂહરચના અથવા કાર્ય યોજના જ સ્પષ્ટ નથી કરી શકાતી. પરિણામે પરિવર્તન માટે આયોજન કરવું મુશ્કેલ બની રહે છે. દીર્ઘદર્શન ચિત્રનું ફલક વિશાળ હોય છે,પણ તેને અમલમાં મુકવા માટેની પ્રક્રિયાઓ  અને પગલાંઓ બહુ ચોક્કસ  હોવાં જરૂરી છે. અમલીકરણના સમગ્ર સમયગાળા દરમિયાન ટીમ પ્રેરિત રહે તે જરૂરી બની રહે છે. એ માટે બધી સંભવિત અનિશ્ચિતતાઓ સાથે કામ પાર પાડવા દરેકની તૈયારી હોવી જોઈએ..
વ્યક્તિગત અનુભવના આધારે, અહીં કેટલીક વ્યાપક વ્યૂહરચનાઓ રજુ કરી છે જે પરિવર્તનનાં આયોજન અને અમલ કરતી વખતે મદદરૂપ બની રહી શકે છે:

૧. 'આયોજન - ચક્ર' ટૂંકા રાખવાં: પ્રવૃત્તિઓની લાંબી સૂચિ સાથે તૈયાર એક દિશામં કરાયેલું આયોજનની અસફળતાની લગભગ નિશ્ચિત બની રહે છે. લાંબાં લાંબાં 'આયોજન -ચક્ર' ટીમને બહુ બધી વિગતોમાં ગુંચવી પાડી શકે છે અને બધાને એક સાથે સંકળાયેલાં રાખવામાં અડચણ બની રહે છે. નથી. આયોજન - અમલ --પ્રતિસાદ - સમીક્ષા ચક્ર નાના ભાગોમાં વહેંચી નાખવાથી અમલનું કામ ઝડપથી ચાલી શકે છે. ટુંકં ચક્રોમાં એકઠી થતી માહિતી સામગ્રીનાં વિશ્લેષણ પછીના તબક્કઓનાં આયોજનમાં મદદ કરી શકે છે.

૨. આયોજન સરળ રાખવું: પરિવર્તનની દરેક પહેલને અનેક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડતો હોય છે જે ક્યારેક બધું અવ્યવસ્થિત કરી મુકી શકે છે. બહુ ઝીણી ઝીણી વિગતોનું આયોજન કરવાથી આ અનિશ્ચિતતાઓ અમલીકરણને પાટા પરથી ખેરવી નાખે. પરિવર્તન માટે આયોજન સરળ હોવું જોઈએ તેમાં એટલાં મુખ્ય લક્ષ્યો અને મહત્ત્વની પ્રવૃત્તિઓ આવરી લેવાવાં જોઈએ જે ટીમને અનિશ્ચિત પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં મોકળાશ પુરી પાડે.

૩. ટીમને આયોજનમાં સામેલ કરો: સરળ છતાં ખૂબ જ અસરકારક વ્યૂહરચના, જે ટીમને પરિયોજનાના સ્વીકારને સુનિશ્ચિત કરવામાં અને આયોજનના અમલ માટે સર્વગ્રાહી દિશાનિર્દેશ તૈયાર કરવામાં મદદરૂપ બને છે.

. આયોજન વહેલેથી કરો અને નિયમિત સમયે સમીક્ષા કરતાં રહો: લાંબા ગાળાના પરિવર્તનની  પહેલમાં, સતત આયોજન/ફરી ફરી આયોજન મહત્વપૂર્ણ છે. સીમાચિહ્નો ખસેડવા પડે છે અને પ્રવૃત્તિઓને ફરીથી પ્રાથમિકતા આપવી પડે છે. દરેક તબક્કાના અંતે યોજનાની સમીક્ષા કરો અને ટીમના ધ્યાનનાં લક્ષ્યને પણ એ દિશા તરફ ફેરવો.

. માહિતી આદાનપ્રદાન  સ્પષ્ટ રાખો: જ્યારે યોજનાઓ બદલાય, ત્યારે માહિતી આદાનપ્રદાનની સાંકળો અને કડીઓ સ્પષ્ટ રાખવી મહત્વપૂર્ણ છે. સંબંધિત ટીમો અને હિતધારકોને  આ ફેરેફારોનાં કારણ, અસરો અને જોખમો જાણવાની જરૂર છે.

એ તો અનુભવસિદ્ધ છે કે મોટા પાયે થતા કે વ્યૂહાત્મક ફેરફારોને લાગુ કરવા એ જંગલમાંથી ચાલવા જેવું છે. તમે જાણો છો કે તમે ક્યાં જવા માંગો છો, પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ/નકશો સ્પષ્ટ નથી. આ વાત, નવી કારકિર્દી તરફ વળવું, વ્યવસાય શરૂ કરવો વગેરે જેવાં  નોંધપાત્ર વ્યક્તિગત પરિવર્તન  માટે પણ એટલી સાચી છે.

        મહત્વપૂર્ણ બાબત : તમારે તમારી યોજના પર સતત ધ્યાન રાખતાં રહેવાની,       સમીક્ષાઓમાંથી મળતા પદાર્થપાઠોમાંથી શીખતા રહેવાની અને તે જ મુજબ આયોજન અને      અમલને ફરીથી ગોઠવતા રહેવાની જરૂર છે.

                મજાની વાત : શ્રેષ્ઠ માર્ગ શોધવાની શોધ અને જો એ શોધ યોગ્ય રીતે કરવામાં               આવે, તો મંઝિલે  પહોંચવાના આનંદની મજા જ જુદી છે !

સ્ત્રોત સંદર્ભ::  Change: From Vision to Execution

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 12 માર્ચ, 2025

ટેકરી પરનો સિંહ - દેવદત્ત પટ્ટનાઈક

 

અંગ્રેજો હિન્દુ ધર્મના સ્ત્રીત્વ પર ભાર મૂકતા હતા. તેને કારણે હિન્દુ ધર્મના પુરુષત્વને સાબિત કરવા માટે મક્કમ એવા હતા તેવા હિન્દુ કટ્ટરપંથીઓ નારાજ થયા. બંને માટે, પુરુષત્વ હિંસક આક્રમકતા અને સ્ત્રીત્વ નિષ્ક્રિયતા સાથે, કે બહુ બહુ તો, નિષ્ક્રિય ચાલાકીપૂર્ણ આક્રમકતા સાથે સંકળાયેલું હતું.

જોકે, હિન્દુ પૌરાણિક કથાઓમાં, આવું કોઈ દ્વિઅંગી વિભાજન નથી. હિંસા અને આક્રમકતાની જેમ અહિંસા અને નિષ્ક્રિયતા પુરુષ અને સ્ત્રી બન્ને પ્રકારનાં દૈવ સ્વરૂપોમાં મૂર્તિમંત થઈ શકે છે. વિષ્ણુના અવતારોમાં ભગવાન જે વિચારોને મૂર્તિમંત કરી શકે છે તેમાં માછલીની લાચારી, કાચબાની ધીરજ, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવનાર ડુક્કર અને નર-સિંહની હિંસક રક્ષણાત્મક આક્રમકતા, એક પૂજારીની ચાલાકી પ્રકૃતિ અને બીજાની ક્રોધની પ્રકૃતિ, રાજાની પ્રામાણિકતા, ચાલાક ગોવાળનું મોહક વશીકરણ, ઋષિની ટુકડી અને આક્રમણ પછી થતી ઉગ્ર હિંસાનો સમાવેશ થાય છે.

આ વિવિધ અવતારોમાં, ન્યાયી રામ અને મોહક કૃષ્ણ, સૌથી વધુ લોકપ્રિય છે. આંધ્રપ્રદેશના બંદર શહેર વિશાખાપટ્ટનમથી દૂર એક ટેકરી પર સ્થિત સિંહચલમમાં, વિષ્ણુ, વરાહ (ડુક્કર) અને નરસિંહ (માનવ-સિંહ) ના ઓછા લોકપ્રિય 'પુરુષ અને આક્રમક' અવતારોની સંયુક્ત મૂર્તિની પૂજા કરવામાં આવે છે, જે આ મંદિરને ખાસ બનાવે છે.

વરાહ-લક્ષ્મી-નરસિંહ-સ્વામી તરીકે ઓળખાતા, આ પ્રતિષ્ઠિત દેવતા અસામાન્ય છે કારણ કે મોટાભાગના હિન્દુ દેવતાઓને હોય છે તેમ તેમને ચાર કે તેથી વધુ નહીં પણ બે હાથ છે, તેઓ ત્રિભંગી મુદ્રામાં ઉભા છે, નર્તકની જેમ તે કમર અને કટિ પર વળેલા છે, જે સ્ત્રીની ઉર્જા સૂચવે છે. તેનું માથું સિંહ કરતાં ડુક્કર જેવું વધારે દેખાય છે, તેથી જ આ નામ પડ્યું. જ્યારે આપણે મંદિરની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણને દેવતાની મૂર્તિ દેખાતી નથી. તે સંપૂર્ણપણે ચંદનના લેપથી ઢંકાયેલી રહે છે. આ ચંદનનો લેપ વર્ષમાં ફક્ત બાર કલાક માટે દૂર કરવામાં આવે છે. ત્યારે હજારો લોકો મંદિરમાં આવે છે. ચંદનનો લેપ લોહીની લાલસાથી ગ્રસ્ત આક્રમક ('ઉગ્ર') દેવતાને શાંત કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે શાંત અને મહદ અંશે 'સ્ત્રી' વિષ્ણુ માટે એક દુર્લભ લાગણી છે.

કથા વૈકુંઠના બે દ્વારપાલ જય અને વિજયથી શરૂ થાય છે, જેમણે વિષ્ણુ ઊંઘતા હતા ત્યારે સનત કુમારોને વિષ્ણુના સ્વર્ગમાં પ્રવેશવા દીધા ન હતા, અને તેથી તેમને પૃથ્વી પર અસુર તરીકે જન્મ લેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. તેઓ હિરણ્યક્ષ અને હિરણ્યક્ષિપુ ભાઈઓ તરીકે જન્મ્યા હતા. આ બન્ને ભાઈઓએ નક્કી કર્યું હતું કે વિષ્ણુના હાથે તેમના જીવનનો અંત લાવવાનો સૌથી ઝડપી રસ્તો વિશ્વને ભયભીત કરવાનો છે. તેથી હિરણ્યક્ષ પૃથ્વી-દેવી ભૂ-દેવીને સમુદ્રના તળિયે ખેંચી ગયો જ્યારે હિરણ્યકશિપુએ તેમના, પ્રખર વિષ્ણુ ભક્ત પુત્ર, પ્રહલાદતેને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. ભૂ-દેવી અને પ્રહલાદના આર્તનાદ ત્રણેય લોકમાં પડઘાઈ ગયા.

વિષ્ણુ નિંદ્રામાંથી જાગી ગયા. જંગલી સુવર, વરાહના રૂપમાં, તેણે સમુદ્રમાં ડૂબકી લગાવી, હિરણ્યક્ષને તેના શક્તિશાળી દાંતથી માર્યો, અને પછી પ્રેમથી ભૂ-દેવીને તેના નાકની દાંડી પર મૂકીને, તેને સપાટી પર લાવી મુક્યાં 

હિરણ્યકશિપુને મારવાનું વધુ મુશ્કેલ હતું: તેણે એક વરદાન મેળવ્યું હતું કે તેને ન તો ઘરમાં કે બહાર, ન દિવસે કે રાત્રે, ન તો માણસ દ્વારા કે પ્રાણી દ્વારા, ન તો ઉપર કે નીચે, ન તો સાધન કે શસ્ત્ર દ્વારા, ન તો ગર્ભ કે ઇંડામાંથી જન્મેલા પ્રાણી દ્વારા મારી શકાય છે. તેથી વિષ્ણુ એક સ્તંભ (ન તો ગર્ભ કે ઇંડા) માંથી અંશતઃ માનવ અને અંશતઃ પ્રાણી તરીકે પ્રગટ થયા. હિરણ્યકશિપુને પકડીને તેને ઉંબરા સુધી ખેંચી ગયા (ન તો અંદર કે બહાર), તેને પોતાના ખોળામાં (ન તો ઉપર કે નીચે), અને સંધ્યાકાળે (ન તો દિવસ કે રાત) અને તેના પંજાના નખ (ન તો સાધન કે શસ્ત્ર) નો ઉપયોગ કરીને તેના આંતરડા ફાડી નાખ્યા.

જો વરાહની કથા ક્રૂર બળ (શક્તિ) સાથે સંબંધિત છે, તો નરસિંહની કથા ચાલાકી (યુક્તિ) સાથે સંબંધિત છે. બંને કથાઓઓ વિપરીત ભક્તિ સાથે સંબંધિત છે: જ્યાં દ્વેષ પ્રેમનું વિકૃત સ્વરૂપ છે.

પરંતુ સ્થાનિક કથાઓ અસુરના વધ સાથે સમાપ્ત થતી નથી. ક્રોધિત નરસિંહ ખતરનાક છે અને તેને ફક્ત લક્ષ્મીની હાજરીથી જ શાંત કરી શકાય છે. તેથી, ભક્તો ફક્ત લક્ષ્મી નરસિંહની પૂજા કરે છે, એકલા નરસિંહની નહીં. જો એકલા હોય, તો તે યોગ મુદ્રામાં, યોગ નરસિંહ, તરીકે હોય છે. ઉગ્ર નરસિંહની બાજુમાં કોઈ દેવી નથી. એ મૂર્તિની સેવા ફક્ત બ્રહ્મચારી પુરુષ પુજારીઓ દ્વારા જ કરવામાં આવે છે.

મધ્યયુગીન સમયનો શૈવ-વૈષ્ણવ સાંપ્રદાયિક સંઘર્ષ એક નવો વળાંક ઉમેરે છે: શિવ લોહીની લાલસામાં જંગલી થઈ ગયેલા નરસિંહને વશ કરવા માટે શરભ નામના આઠ પગવાળા સર્પ-પૂંછડીવાળા બિલાડીના પ્રાણીનું રૂપ ધારણ કરે છે. પછી વિષ્ણુએ શરભને વશ કરવા માટે બે માથાવાળા વિશાળ પક્ષી, ગંધભેરુન્ડાનું રૂપ ધારણ કરવું પડે છે.

પ્રાકૃતિક ઇતિહાસકારો આપણને જણાવે છે કે સિંહ ક્યારેય શ્રીલંકા ટાપુ કે દક્ષિણપૂર્વ એશિયામાં ફરતો જોવા નથી મળ્યો. છતાં આપણે સિંહલા (સિંહના લોકો) અને સિંગાપોર (સિંહનું શહેર) વિશે સાંભળીએ છીએ. સૌથી વધારે શક્યતા એ હોઈ શકે કે સિંહનું વિચારબીજ ગંગા અને ચોલ રાજાઓ નરસિંહની પૂજાને સમર્થન આપતા હતા એવા ભારતના પૂર્વ કિનારેથી, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રાચીન બંદરોથી આવતા વેપારી જહાજોમાંથી ફેલાયું હતું. ઉદાહરણ તરીકે, પુરીના જગન્નાથ સંકુલનું સૌથી જૂનું મંદિર નરસિંહને સમર્પિત મંદિર છે. જોકે, બધા નરસિંહ મંદિરો દરિયાકિનારે નથી. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના અહોબિલમમાં, દરિયાકિનારે દૂર, નવ નરસિંહ મંદિરોનું સંકુલ છે, દરેક એક ટેકરીની ટોચ પર સ્થિત છે.જ્યાં જ્યાં હિન્દુ રાજવંશનો ઘટાડો થયો, ત્યાં ત્યાં નરસિંહ અને વરાહની પૂજાનો પણ ઘટાડો થયો, જેના કારણે ભક્તિ માટે વધુ અનુકૂળ એવા રામ અને કૃષ્ણના અવતારોનો ઉદ્ભવ થયો.

એ કોઈ અકસ્માત નથી કે વીસમી સદીમાં સમ્રાટ અશોકનાં રાજચિહ્ન,સિંહ, ને ભારતનું પ્રતીક બનાવવામાં આવ્યું અને બાયા વણકર પક્ષીની જેમ ભલે સિંહો કંઈ બનાવતા નથી, તો પણ એકવીસમી સદીમાં 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનું પ્રતીક સિંહ છે. પ્રાચીન કાળથી સિંહોમાં સાર્વભૌમત્વ અને શાહી સત્તાનો સમાવેશ થાય છે. બુદ્ધ અને તીર્થંકર મહાવીરના આધ્યાત્મિક વિજયનું પ્રતિનિધિત્વ કરવા માટે મઠના આદેશો દ્વારા પણ સિંહનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે રાજાઓ પોતાને અજેય માનતા હતા, તેમના માટે મહેલના સ્તંભમાંથી નીકળેલા નરસિંહની વાર્તા પૌરાણિક ચેતવણીની ભૂમિકા ભજવે છેઃ ભગવાન સૌથી હોંશિયાર રાજાઓને પણ માત કરી દઇ શકે છે.

  • મુંબઈ મિરર માં ૨૬  જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, THE LION ON THE HILL  નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૨ માર્ચ ૨૦૨૫

શુક્રવાર, 7 માર્ચ, 2025

ટુથપેસ્ટની (સાચી) વાત - અને તેનો પદાર્થપાઠ

 

ઉત્પલ વૈશ્નવ

 હમણાં એક વાર મારી ટુથપેસ્ટે નવી રીતે બહાર આવવાનું નક્કી કર્યું.

એ આડી ફાટી. તેનાં કાયમનાં મોઢીયાંમાંથી બહાર આવવાને બદલે હવે તે બાજુમાંથી બહાર આવતી હતી!



ટૂથપેસ્ટની ટ્યુબ હમેશ તમે ઇચ્છો એમ વર્તતી નથી.

આપણાં વ્યવસાયની જેમ.

આખી વાતની ખૂબીની મજા જ અહીં છે: બ્રશ તો તેમ છતાં કરી જ શકાય છે ...જેમ ખાસ ધ્યાન આપતાં હોઇએ તો આપણો વ્યવસાય અવળા સંજોગોમાં પણ ચલાવી શકાય તેમ જ ...

યાદ રહે:

¾    જો ધ્યાન ધ્યેય પર કેન્દ્રિત હોય તો, કાર્યપદ્ધતિઓ મહત્ત્વની નથી બની રહેતી.

¾    કાર્યપદ્ધતિઓ જો આદત બની જાય તો ધ્યેય ધૂંધળું પડી જઈ શકે છે.

¾    ધ્યેય પર જો સભાન નજર રાખી હોય અને કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનક્ષમ અનુકૂલન રાખ્યું હોય તો, નવોત્થાનની તકોની બારીઓ ખુલ્લી જ રહેતી હોય છે.

નવોત્થાન ચિક્કટ (કે પછી ચોટડૂક (!) નીવડી શકે .... કે પછી જીવનનો ધબકાર બની શકે ...

પસંદ તમારી છે.
પાદ નોંધ:

નવીનીકરણ કરતી વખતે કાર્યપદ્ધતિઓ ગમે તે હોય એ મહત્ત્વનું નથી. પરંતુ એક વાર    નવીનીકરણ કરી લીધા પછી કાર્યપદ્ધતિઓ બહુ મહત્ત્વની બની જાય છે. શૂન્યથી એક અને   એકથી અનેક બે અલગ જ દુનિયા છે. એ બંનેની કામ કરવાની રીતભાત સમજવી જરૂરી છે

        પાદ પાદ નોંધ: જીવનમાં તમારી કારકિર્દીનું પણ તમારા વ્યવસાય જેવું જ છે!    


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, A (true) short story on a toothpaste – and a lesson it holds!,નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૦૭ માર્ચ ૨૦૨૫

બુધવાર, 5 માર્ચ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : કાર્યસ્થળ પર માનવ સંબંધોનું દિવ્યકરણ

 

સ્વામી દિવ્યાનન્દ

માનવ સભ્યતાના ઉદયકાળથી જ જેમ જેમ માનવી વિવિધ સમુહોમાં રહેવા લાગ્યો તેમ તેમ તેને કુટુંબથી લઈને કોઈ પણ પ્રકારનાં નાનાંથી માડીને મોટી કક્ષાનાં કાર્યસ્થળ પર ટકી રહેવા, એકબીજાનો સહકાર મેળવવા તેમ જ જીવનનાં વિવિધ પાસાંઓમાં પ્રગતિ માટે ભાવનાત્મક હુંફની સમજ વિકસતી રહી છે. દરેક પ્રકારનાં કાર્યસ્થળ પર એક સાથે રહેતી વ્યક્તિઓ જન્મજાત પ્રકૃતિ, સ્વભાવ, વર્તણૂક, દૃષ્ટિકોણથી લઈને વિચાર પ્રક્રિયા સુદ્ધાં સુધી સાવ અલગ અલગ જ હોય છે. દરેક સંસ્થાની કાર્યશૈલી તેમાં રહેલી વ્યક્તિઓ વચ્ચેના આપસી સંબંધો અને તેમના વચ્ચે સતત થતાં રહેતાં વ્યક્ત, કે અવ્યક્ત, આદાનપ્રદાનથી પ્રભાવિત થતી હોય છે. દરેક વ્યક્તિ અલગ અલગ જ હોય એટલે તેમની વચ્ચેનાં કોઈ પણ આદાનપ્રદાનની ગતિશીલતા પણ, સ્વાભાવિકપણે, ખુબ સંકુલ અને અણધારી હોય છે.

હિંદુ પરંપરા માનવીને સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારમાં વહેંચે છે. સાત્ત્વિક વ્યક્તિ પ્રમાણિક, ન્યાયપ્રિય, સત્યાચરણ તેમ જ પરગજુ હોય છે. સફળતા તેમને છકવી નથી દેતી અને નિષ્ફળતા તેમને નિરાશ નથી કરી શકતી. રાજસિક વ્યક્તિ બહુ કર્મનિષ્ઠ, મહત્ત્વાકાંક્ષી, જોમદાર અને સાધન સંપન્ન જીવન વ્યતિત કરનારી હોય છે. તામસિક પ્રકારની વ્યક્તિઓ આળસુ, અવાસ્તવિક માન્યતાઓ ધરાવતી, નીતિવાન ધોરણો ભલે ન પળાય પણ કરવું તો ધાર્યું એમ માનનારી, ઝઘડાખોર હોય છે. વાસ્તવિક વ્યવહારમાં  કોઈ વ્યક્તિ પૂર્ણપણે કોઈ એક જ પ્રકારના ગુણ ધરાવતી નથી હોતી, પણ જુદા જુદા ગુણોનાં સમ્મિશ્રણ ધરાવતી હોય છે. કાર્યસ્થળ પર આપસી સંબંધો અને વ્યવહારો કેવા રહેશે તે આ પ્રકારના મિશ્ર ગુણો ધરાવતી વિભિન્ન વ્યક્તિઓ વચ્ચે કેવી એકબીજામાં કેવી પ્રક્રિયા થશે તેના પર આધાર રાખે છે.

જો કાર્યસ્થળ પરના આપસી માનવ સંબંધોમાં વધારે પડતો તણાવ, વીતરાગ, વિસંવાદિતા રહે તો કાર્યસ્થળમાં તંદુરસ્ત વાતાવરણ નથી રહી શકતું. ઉપરી અધિકારીઓમાં રાજસિક કે તામસિક ગુણોનું પ્રમાણ વધારે હોય તો તેમની નીચે કામ કરનાર લોકો માટે કામ એક વેઠ બની જાય છે. જો નીચેના લોકો વધારે રાજસિક કે તામસિક હોય તો કાર્યસ્થળમાં સહયોગ અને સંવાદની ઉણપથી લઈને ગેરશિસ્તપૂર્ણ વર્તન જોવા મળે. તેને પરિણામે આવાં કાર્યસ્થળોએ વાતાવરણ હંમેશાં તંગ કે કંકાસમય રહે છે.

હિંદુ આધ્યાત્મિક પરંપરા તો વ્યક્તિને નીચલી પાયરના ગુણોમાંથી ઉપલી પાયરીના ગુણો તરફ જવાનો માર્ગ બતાવે છે. પરંતુ આ બધા માર્ગ મોટા ભાગે વ્યક્તિગત વધારે હોય છે. તેમ છતાં, પણ સંસારમાં બહુ જ ઓછાં લોકો પોતના જીવનકાળમાં ઉપલી પાયરીના ગુણો સુધી પહોંચી શકે છે. કાર્યસ્થળનું વાતાવરણ તો એ કાર્યસ્થળ પરનાં લોકોના ગુણોના સામુહિક અને ગતિશીલ  વાણી વિચાર અને વર્તનનાં આદાન પ્રદાનની નિપજ હોય છે. એટલે ત્યાં લાંબા ગાળે ટકી શકે એવું ઉપલી પાયરીની કક્ષાનું પરિવર્તન લાવવું બહુ મુશ્કેલ જ લાગે. આ પરિસ્થિતિમાં ઉપરથી લઈને નીચે સુધીની વ્યક્તિએ કાર્યસ્થળનાં વાતાવરણમાં જે (અને જો) પરિવર્તન લાવવું હોય તો તે (અને તો) એ પરિવર્તનની શરૂઆત પોતાથી જ કરવી રહી.  

આ સંદર્ભમાં, વેસ્ટમિનિસ્ટર ઍબીની ક્રિપ્ટ (દેવળનું શબ દફન માટેનું ભોંયરૂં)ની અંદર એક એંગ્લિક્ન બિશપની સમાધિ પર લખાયેલ લખાણ ખાસ સમજવા જેવું અને કાયમ માટે મનમાં ઉતારી રાખવા જેવું છેઃ

હું જ્યારે નાનો અને મુક્ત પંખી હતો, મારી કલ્પનાઓની કોઈ સીમાઓ નહોતી, ત્યારે મેં સ્વપ્ન સેવ્યું હતું કે હું દુનિયા બદલી નાખીશ. હું જેમ મોટો અને સમજુ થતો ગયો તેમ મને સમજાતું ગયું કે દુનિયા તો બદલી શકે તેમ નથી. એટલે મેં મારી નજર થોડીઘણી ટુંકાવી નાખી. હવે હું મારાં કુટુંબ, અને મારાં નજદીકનાંને બદલી લેવામાં પણ ખુશ હતો. પણ તે પણ બદલતાં નહોતાં. 

આજે જ્યારે હું મારી મરણપથારીએ છું ત્યારે મને અચાનક જ ભાન થાય છે કે જરૂર તો મારે મને બદલવાની હતી, તો હું મારાં કુટુંબને બદલી શક્યો હોત. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી મારા સમાજ કે દેશને પણ બદલી શક્યો હોત. અને કોને ખબર, કદાચ દુનિયા પણ બદલી શક્યો હોત.

પોતાની જન્મજાત પ્રકૃતિને બદલવી એ કંઈ સહેલી બાબત તો નથી જ. એ કામ તપસ્યા માગી લે છે. એકાંતમાં ધ્યાન ધરવું એ જ માત્ર તપસ્યાનો એક માર્ગ નથી. સામાન્ય માણસને સમજાય એ ભાષામાં તપસ્યા એ  સ્વશિસ્તનો અવિચલિત મનથી કરાતો અમલ છે. આરોગ્યપ્રદ ખોરાક ખાવો, ખુબ નિયમિત દિનચર્યા પાળવી, ધ્યેય સિદ્ધિ  સિવાયની બાબતો તરફ મન ન ચળવાનું દેવું જેવી અનેક પ્રક્રિયાઓનું ચુસ્ત પાલન કરવા જેટલું સ્વનિયંત્રણ કેળવવાનું છે. મોહ, ક્રોધ, લોભ, દંભ, ઈર્ષા, અહંકાર, જૂઠ, ખરાબ ટેવોની લત, બીજાઓની ટીકા કર્યા કરવી જેવા દુર્ગુણોનો સદંતર ત્યાગ કરવાની દાનત અને તેનો સન્નિષ્ઠ અમલ કરવાથી વ્યક્તિના સ્વભાવ અને વર્તનમાં ધરમૂળથી ફરક આવે છે.

ગૃહસ્થને માટે ભગવાન રામકૃષ્ણ પરમહંસે  શ્રી રામકૃષ્ણ ઉપદેશ[1] / The Gospel of Ramkrishna[2]માં જે સુચનો કર્યાં છે તે અહીં પણ પ્રસ્તુત છે.

¾    કોઈ પણ વાતે સાચું બોલવું. (ભગવાન શ્રી રામકૃષ્ણ સાચું બોલવાને કળિયુગનો પશ્ચાતાપ કહે છે.)

¾    સત્ અસત્ વિચાર - શું સાચું અને શું ખોટું તે વિચારવું. કોઈ પણ વિચારમાં ખોટાંનો ઘોંઘાટ તેમનાં સાચને ઢાંકી દેતો હોય છે.

¾    તન અને મનથી ઈશ્વરને સેવા અને પ્રાર્થનામાં સમર્પિત થઈ જવું. સારાં લોકોની સંગત, સારૂં વાંચન પણ ઇશ્વર સેવાનો એક માર્ગ છે.

¾    નાનામાં નાનાં જંતુથી લઈને ગમે એટલી અપ્રિય લાગતી વ્યક્તિની નીંદા ન કરવી.

¾    કોઇ પણ ઈશ્વરની કોઈ પણ આસ્થા વડે ખોજ કરો, અંતિમ ધ્યેય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું જ છે. 

¾    જીવ  શિવ  છે. શિવ જ્ઞાને જીવ સેવા - દરેક માનવી ઈશ્વરનું જ સ્વરૂપ છે.

સ્વામી વિવેકાનન્દ 'શિવ જ્ઞાને જીવ સેવા'ને નવા અર્થમાં રજૂ કરતાં કહે છે કે અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંસારનો ત્યાગ કરીને તપ કરવાને બદલે વેદાંતને પોતાના ઘરમાં  જ પ્રસ્થાપિત કરો.

મા શારદાદેવી કહે  છે કે,

¾    બીજામાં દોષ કદી પણ ન શોધો, પોતાના દોષને ઓળખો.

¾    સારા અને પ્રમાણિક બનવાની કોશીશ કરો. બાકી બધું આપોઆપ મળી જશે.

કાર્યસ્થળનાં દિવ્યકરણ માટે આ આધ્યાત્મિક ચર્ચાને હવે આપણે રોજબરોજના વ્યવહારોમાં સમજીશું. 

વરિષ્ઠ સંચાલન મંડળ તેમનાં વિચાર, વાણી અને વર્તન વડે સંસ્થાના મૂલ્યો, સંસ્થાનાં દીર્ઘદર્શન અને કાર્ય સંસ્કૃતિને પ્રભાવિત કરે છે. એટલે કાર્યસ્થળમાંના આપસી સંબંધોનાં દિવ્યકરણની શરૂઆત વરિષ્ઠ સંચાલન મંડળથી શરૂ થઈને મધ્ય સંચાલન સમુહ ભણી અને તે પછી છેક નીચે સુધી પ્રસરવી જોઈએ.

¾    વરિષ્ઠ સંચાલન મંડળ પ્રમાણિક, સત્યાચરણ, માયાળુ અને કર્મચારીઓની કાળજી લેનારૂં હોવું જોઈએ.

¾    કાર્યરત કાર્યસ્થળમાંના સંબંધોનું દિવ્યકરણ કરવા માટે ત્યાં કામ કરતાં લોકોની સહજ ક્ષમતાની  અને લોકોના એકબીજાં સાથે વણાયેલા આપસી સંબંધોની કિંમત સમજવી જોઈશે.

દરેક સ્તરનાં સંચાલક મંડળે આ માટે આટલું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ - 

  • (નાનામાં નાની વ્યક્તિ માટે પણ) કદર અને સન્માન
  • સંસ્થામાં સકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપવું.
  • સહકાર અને સંઘભાવનામય વિચાર અને માહિતી આદાનપ્રદાન
  • કર્મચારીઓનો કર્મચારી તરીકે તેમ જ વ્યક્તિ તરીકે વિકાસ
  • કામ અને જીવન વચ્ચે સુગ્રથિત સંતુલન
  • કર્મચારીઓના કલ્યાણ અને શ્રેય માટેની યોજનાઓ
  • સંવાદ અને આદાનપ્રદાનમાં પારદર્શિતા

દરેક કર્મચારીને એવી શ્રધ્ધા હોવી જોઈએ કે સશક્ત માનવ સંબંધો કાર્યસ્થળ પર એકરાગ લાવવામાં, કાર્યસ્થળ પરનાં ચારિત્ર્યબળનાં ઘડતરમાં અને સંસ્થાની લાંબા ગાળાની સફળતા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તે સાથે એ પણ ન ભુલાવું જોઈએ કે કાર્યસ્થળ પરના આપસી સંબંધોનું દિવ્યકરણ એ સતત ચાલતી રહેવી જોઈએ એવી પ્રક્રિયા છે.  એ માટે પ્રતિબદ્ધતા અને વિશ્વાસપાત્રતાની સાથે સાથે કાર્યસ્થળ પરના સંબંધો સકારાત્મક ઉર્જાથી ધબકતા રહે તેવી, મન વચન અને કર્મથી, અપેક્ષા હોવી જરૂરી છે. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Divyanandaના મૂળ અંગ્રેજી લેખ Divinizing Human Relationships in Workplace નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ  

બુધવાર, 26 ફેબ્રુઆરી, 2025

વૈવિધ્યને ભોગે સમાનતા? - દેવદત્ત પટ્ટનાઈક

 

મારો મિત્ર ઘણીવાર એક ઉર્દૂ શેર ટાંકે છે:

ईश्क़की चोट तो पडी है हर दिल पर एक समान

झर्फके फर्कसे आवाज़ बदल जाती है 

તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પ્રેમથી પ્રભાવિત થાય છે, પરંતુ વ્યક્તિ કઈ સામગ્રીથી બનેલી છે તેના આધારે તેની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે.

સમાનતા એ છે કે દરેક વ્યક્તિ પ્રેમનો પ્રતિભાવ આપે છે. વૈવિધ્ય એ છે કે પ્રતિભાવ સમાન નથી હોતો. જો કે, લોકપ્રિય ચર્ચામાં, મોટા ભાગે, આપણે સમાનતા માટેની માંગણીઓ અને વૈવિધ્યના સ્વીકાર વચ્ચે વિશાળ અંતર જોઈએ છીએ.

સમાનતાને ઘણીવાર એકરૂપતા સાથે ગુંચવી દેવાતી હોય છે. દરેક વ્યક્તિએ સમાન સ્તરનું દુઃખ અને સહાનુભૂતિ અનુભવવી જોઈએ અને મુદ્દાઓ પર સમાન રીતે વિચારવું જોઈએ. આ ચર્ચાઓ આપણને આપણી સમજણ સુધારવા કરતાં ઘાંટાઘાટ કરીને ચર્ચામાં જીતવા તરફ વધારે દોરે છે. જ્યારે કોઈ ચર્ચાઓ ન હોય, કોઈ વાત સાંભળવી ન હોય, ત્યારે મોરચાઓ અને હડતાલો હાવી બની જાય છે. ઘણી વાર તો તેનાથી પણ ખરાબ પરિણામરૂપ હિંસક કૃત્યો થાય છે જે સામેવાળાને એકસમાન દૃષ્ટિકોણને તાબે થવા માટે ડરાવીને પણ દરેકને સમાન બનાવે છે.

બૌદ્ધિક વિવિધતાનો વિચાર રાજકીય રીતે સાચો છે. જોકે, રોજિંદા જીવનમાં તેનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, અન્ય ધર્મ કે LGBTQ જેવી બાબત પર અલગ વિચારસરણી હોવાને કારણે કોઈ આવીને અનેક નિર્દોષ લોકોને ફૂંકી મારે છે. આપણે શા માટે એવું માની લઈએ છીએ કે સભ્ય નાગરિક સમાજનો દરેક સભ્ય બરાબર એક સરખી પ્રતિક્રિયા આપશે? જ્યારે અન્ય લોકો આપણી જેમ પ્રતિક્રિયા આપતા નથી ત્યારે આપણે શા માટે તેમનાથી નારાજ થઈએ છીએ?

કેટલાક લોકો નિર્દોષ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરશે; બીજાં કેટલાંક લોકો આ ઘટનાને કોઈ ધાર્મિક યુદ્ધના કૃત્ય તરીકે લાયક ઠેરવે છે. કેટલાક લોકોને લાગે છે કે તે ધાર્મિક શિક્ષણને કારણે થયું હતું; કેટલાક લોકોને લાગે છે કે તે પોતાના રફ થતી નફરતને કારણે પેદા થયેલ સમલૈંગિકતાનો ભય ને કારણે હતું.  કેટલાક લોકોને લાગે છે કે તે એક ન્યાયી માણસનું કૃત્ય હતું; કેટલાક લોકોને લાગે છે કે તે પાગલ માણસનું કૃત્ય હતું. કેટલાક તેનો દોષ ઇસ્લામ પર ઢોળે આપે છે; કેટલાક તેને અમેરિકામાં બંદૂકોની સરળ સુલભતાને દોષિત માને છે. સામાજિક વાતાવરણમાં ગરમીનો પારો ઊંચો જતો જાય છે, કેમકે કોઈપણ વ્યક્તિ 'યથોચિત' રીતે નથી વિચારી રહી.

દલીલ યોગ્ય છે એટલે આપણે દલીલને વળગી રહીએ છીએ એવું નથી, કેમકે તે આપણી આત્મસન્માનની ભાવનાને માન્યતા આપે છે. હિન્દુ અને બૌદ્ધ ફિલસૂફીમાં આને 'આસક્તિ' કહેવામાં આવે છે. આને કૂતરૂ જેમ હાડકાને વળગી રહે છે તેમ કોઈ વિચારને વળગી રહેવું એવું કહી શકાય. જોકે તે સચોટ રૂપક નથી, કારણ કે આપણા હાડકાને વળગી રહેવા કરતાં આપણે માનવીઓ ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ એક જ હાડકાને વળગી રહે. જીવનનો અર્થ એનકવિધ અવાજો સાંભળવાનો અને તેમાંથી પસંદગીઓ કરવાનો છે. કોઈ પણ પસંદગી ક્યારેય દરેકને ખુશ ન કરી શકે. દરેક પસંદગીનું કોઈને કોઈ પરિણામ તો આવતું જ હોય છે. એ અને પરિણામો આપણી પસંદ મુજબનાં ન પણ હોય. ભારતીય ફિલસૂફી આ માર્ગ પર ચાલે છે અને નિયમો અને અધિકારોના ઉપદેશોથી દૂર રહે છે.આ કારણે ભારતીય ફિલસૂફી વૈવિધ્ય તરફ વધુ અને સમાનતા તરફ ઓછો ઝુકાવ રાખે છે.

ધાર્મિક સંપ્રદાયો તેમના અનુયીઓના ટોળાને એકરૂપ બનાવવા માટે સખત મહેનત કરે છે. તેથી, આ સંબંધને ભરવાડ અને ઘેટાં જેવા શબ્દોના પ્રયોગની ઉપમા અપાય છે. ભરવાડોને પાછાં બકરાં કે વરુ પસંદ નથી. પરંતુ બકરા અને વરુ વિનાની દુનિયા શક્ય નથી. તેથી, ભરવાડ અને ઘેટાંએ સાવચેત રહેવું પડે છે, વાડ બનાવવી પડવી છે. બંદૂકો પણ રાખવી જોઈએ? કેટલાક અમેરિકનો એવું માને છે. પરંતુ કેટલાક ભરવાડો તો પછી ઘેટાંને જ મારવા બેસી જાય છે. તો પછી શું? ભરવાડો પર પ્રતિબંધ મૂકવો, બંદૂકો પર પ્રતિબંધ મૂકવો, ઘેટાં-દ્વેષીઓ અને ઘેટાંવૃતિનો દુરુપયોગ કરનારાઓ પર પ્રતિબંધ મૂકવો. જ્યાં દરેક સમાન હોય એવું ઘેટાંઓનું સ્વર્ગ કેમ કરીને બને?

ઘેટાંનો પાલક ઘેટાં ઉપરનાં ઉન તરફ ધ્યાન કેન્દ્રિત કરતી વખતે એ ભૂલી જાય છે કે બધા ઘેટાં સમાન નથી હોતાં. તેમની વચ્ચે પણ પદાનુક્ર્મ હોય છે: જબરાં ઘેટાઓ સામાન્ય અને નબળાં ઘેટાં પર આધિપત્યની માંગ કરશે. શું કર્મઠ ભરવાડ એવી કુદરતી વૃત્તિ શોધવાની કોશિશ કરશે જે 'સમસ્યારૂપ' છે કે પછી પાળતુ પ્રાણી જેવું પરિસ્થિતિ (કે આદેશો)ને અનુકૂલન, વધારે શિક્ષણ, કે વધુ (કડક) કાયદાઓની માગણી કરશે? મૂળ સમસ્યા સમજ્યા વિના પરિવર્તનની, અને નિયંત્રણની, ઝંખના ઘણીવાર આપણને ક્રૂર માતાપિતા બનાવે છે.

  • મિડ - ડે માં ૧૯  જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Equality & loss of diversity નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫