શુક્રવાર, 18 જાન્યુઆરી, 2019

બીઝનેસ સૂત્ર | ૯.૩ | નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ




બીઝનેસ સૂત્ર | | ભેદભાવ
- સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.

- નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.

- બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.

- ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.

- પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.

- છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી.

- ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.

- ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.

૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં 'જાતિ : કોણ ચડીયાતું - પુરુષ કે સ્ત્રી?' અને બીજા ભાગમાં પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું? -ની ચર્ચા કરવામાં આવી છે.

બીઝનેસ સૂત્ર | ૯.૩ | નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ 

આ વખતે પણ પહેલાં તો અંગ્રેજી વિકિપીડિયાની મદદથી લેખનાં શીર્ષકમાં વાપરેલ શબ્દ 'નાતજાત' વિષે પશ્ચિમનાં મતવ્યોનાં મૂળને સમજીશું.

નાતજાત એ આંતર્લગ્નપ્રથા કે વ્યવસાય, પદાનુક્રમમાં અમુક પદ કે પરંપરાગત સામાજિક આદાનપ્રદાન કે બહિષ્કાર જેવાં પરિબળોથી વારસાગત ચાલી આવતી જીવનશૈલી જેવી બાબતોને કારણે વિકસતો નાતજાતનો એક પ્રકાર છે. કાયદામાં માન્યતા પામી ચૂકેલ સામાજિક વર્ગીકરણ અને આંતર્લગ્નપ્રથા કે વારસા દ્વારા વિકસેલ આ સ્તરીકરણનાં મૂળ સામંતશાહીના સમયમાં વધારે ઉંડાં ઉતર્યાં. લગભગ દરેક દેશમાં એક યા બીજા પ્રકારની નાતજાત આધારીત સામાજિક સ્તરીકરણ વ્યવસ્થા જોવા મળે છે, જેનું એક નમૂનેદાર ઉદાહરણ હિંદુસ્તાનની ઐતિહાસિક મૂળમાંથી વિકસેલી વર્ણ વ્યવસ્થામાંથી ફૂટી નીકળેલ, ભાષા અને રિવાજોના આધારે વંશીય સામાજિક સ્તરીકરણ પામેલી અને આજનાં વાતાવરણમાં દિલોદિમાગમાં હજૂ વધારે ફેલાઈ ચૂકેલ, નાતજાતની વ્યવસ્થા છે. બ્રિટીશ શાસન દરમ્યાન ભારતની આ વર્ણવ્યવસ્થા વિશ્વના અન્ય દેશોમાં પણ તુલનાત્મક અભ્યાસ માટે વપરાતો માપદંડ બની રહી. જીવશાસ્ત્રમાં આ શબ્દપ્રયોગ અમુક ચોક્કસ પ્રકારનાં સમુદાયમાં વસતાં કીડી કે ઉધઈ જેવાં જંતુઓનાં સ્તરીકરણ માટે પણ વપરાય છે. જોકે આ તુલનાત્મક ઉદાહરણમાં એક મહત્ત્વની ખામી (અથવા તો મૂળ તફાવત) એ છે કે આ જંતુઓમાં તેનો ઉપયોગ વધારે તો એક ચોક્કસ સ્તરબધ્ધ પ્રજનન વ્યવસ્થા માટે થતો હોય છે.

આમ,વંશીય (નાતજાત આધારીત) ભેદભાવ વ્યક્તિ વ્યક્તિ કે સમુદાયો વચ્ચે તેમના વંશ કે નાતજાતને કારણે રખાતા ભેદભાવ છે જે સામાન્યપણે તેમને તેમના સામાજિક, આર્થિક અને કાયદાકીય સ્વાભાવિક હક્કો, લાભોથી વંચિત રાખે છે. આધુનિક સમાજમાં આ પ્રકારના પરંપરાગત ભેદભાવની અસરો દૂર કરવા માટે જે નીતિઓ ઘડવામાં આવી છે તેને કારણે તેની આર્થિક અને સામાજિક અસરો દૂર થવાનાં તો જે પરિણામો આવ્યાં હશે તે એક અલગ અભ્યાસનો વિષય છે. પણ, નાતજાતનું સ્તરીકરણ હિતસંબંધનું એક નવું પરિંમાણ એટલી હદે બની ચૂક્યું છે કે ભેદભાવ કરવા માટે તે નીતિઓ પોતે જ એક કાનુનેતર પરિમાણ બની ચૂકેલ છે.

The Myth of Race- બીનવૈજ્ઞાનિક વિચારનું પીડા કરતું રહેતું ચલણ - રોબર્ટ વાલ્ડ સુસ્સમૅન - જૈવિક સ્તરે નાતજાત જેવું ક્યારે હતું નહીં, કારણ કે એમ હોઈ જ ન શકે. માનવીય પ્રજાઓમાં જોવા મળતા તફાવતોના અભ્યાસ કરતા બધા વૈજ્ઞાનિકોનો આ જ મત છે. અને તેમ છતાં, પાશ્ચાત્ય સમાજમાં વંશિય રૂઢમાન્યતાઓને
કારણે પૂર્વગ્રહો અને અસહિષ્ણુતા ઊંડે સુધી વણાઈ ગયેલ છે. The Myth of Raceમાં પૌરાણિક સમયથી સમર્થન પામીને સમયાનુસાર વીકસેલ સામાજિક વ્યવસ્થાઓ અને આજના બનાવટી વૈજ્ઞાનિક સંશોધનો સુધી આ સતત, જૂઠા અને ઝેરી વિચારની છાનબીન સુસ્સમૅન કરે છે.….The Myth of Race માં સ્પેનીશ કાનૂની તપાસના સમયથી આજની વંશીય વિચારસરણીનાં મૂળ શોશવાનો પ્રયાસ કરાયો છે. તેમાં જોવા મળે છે કે, સોળમી સદીના વંશીય અધઃપતનના સિધ્ધાંતમાંથી પાશ્ચાત્ય સામાજ્યવાદ અને ગુલામી પ્રથા કેમ વિકસી. ૧૯મી સદીમાં આ સિધ્ધાંતોમાં ડાર્વીનની વિચારસરણી ભળવાથી અત્યંત પ્રભાવશાળી અને વિઘાતક સુપ્રજનન ચળવળ પ્રચલિત બની. મસ્તિષ્કના આકારથી લઈને પ્રાકૃતિક બુદ્ધિ અપરિવર્તનીય છે તેવી માન્યતાને આધારે સુપ્રજનનવદીઓએ જે સ્તરીકરણો વિકસાવ્યાં તેમાં અમુક વંશને ખાસ દરજ્જાનો વર્ગ અપાયો, જેમકે ગૌર વર્ણીય આર્ય પ્રજા બીજી પ્રજા કરતાં વધુ ચઢિયાતી ગણાઈ. આ વિચારધારાઓએ ચોક્કસ પ્રકારની બુધ્ધિ માપણી કસોટીઓ, પસંદગીયુક્ત પ્રજનન કે માનવીય-વંધ્યીકરણ નિતિઓ પ્રચલિત કરી જે એક સમયે નાઝીઓ દ્વારા કરાયેલ નૃસંહારમાં પરિણમી. જર્મન-અમેરિકન નૃવંશશાસ્ત્રી ફ્રાંઝ બૉસ જેવા સુપ્રજનનવાદના વિરોધીઓએ વૈજ્ઞાનિક આધારીત સાંસ્કૃતિક વિચારધારાની મદદથી વંશીય વિચારસરણીના તર્કદોષને ખુલ્લો પાડ્યો છે તેનો પણ સુસ્સમૅન અભ્યાસ કરે છે.….સુપ્રજનન આજે મોટા ભાગે બદનામ હોવા છતાં કેટલાંક સમુદાયો અને વ્યક્તિઓ જૂની વંશીય પૂર્વધારણાઓના ટેકામાં નવા વૈજ્ઞાનિક આધાર ટાંકે છે. વંશીય સંશોધનો અને વિચારસરણીઓની ચીટકી રહેલી અસરોને વિચારાધીન રાખતાં રાખતાં સુસ્સમૅન એ પણ સમજાવે છે કે જ્યારે નાતજાત કે વંશની વાત આવે છે ત્યારે લોકો અંધશ્રદ્ધાને વિજ્ઞાન કેમ માનવા લાગે છે.

Myth of Race શબ્દપ્રયોગ શીર્ષકમાં હોય એવા કેટલા રસપ્રદ વિડિયો પણ જોઇએ:

The Myth of Race and Public Policy - FDU ટ્રસ્ટી ડૉ. ફ્રેન્કલીન જેનીફર વંશ પ્રજોત્પતિશાસ્ત્ર અને જાહેર નીતિઓ બાબતે અહીં ચર્ચા કરે છે.'વંશ શબ્દ વાપરતી વખતે તેનો અર્થ શું થશે તે જાણવું જોઈએ.' કોઇક શહેરમાં તમે એ શબ્દ વાપરો તો ચાલી જાય, પરંતુ વંશ અને પ્રજોત્પતિ વચ્ચે ફરક છે. ડૉ. જેનીફર વંશ વિષેની 'લોકવાયકાઓ' અને 'વૈજ્ઞાનિક' સિધ્ધાંતોની ચર્ચા કરે છે. તેમનું સ્પષ્ટ કહેવુમ છે કે જીનોમ જોઈને કોઈ કહી ન શકે કે તેને ધારણ કરનારી વ્યક્તિ ગોરી હશે કે કાળી.


The Myth of Race | Sharad Paul | TEDxAuckland - શરદ પૌલનું કહેવું છે કે વંશ વિષેની આધુનિક સમજ ખોટી છે. વિટામીન ડી અને ફોલિક અસિડની વાત વંશ અને ચામડીના રંગ વિષેની એક અલગ જ વૈજ્ઞાનિક વાત છે.

The Myth of Race | Melissa Weise | TEDxHolyokeCC - વંશ વિષે જાણે આપણે ચોક્કસપણે જાણતાં હોઇએ તેમ વાત કરીએ છીએ. વંશ સમાજે ઘડી કાઢેલી એક કપોળકલ્પિત માન્યતા તો હોય તો શું થાય? પ્રસ્તુત વક્તવ્યમાં માન્યતા અને વંશ એ બન્નેના અર્થની ચર્ચા કરવામાં આવી છે

આજના અંકની ચર્ચા પ્રકાશિત થયા પછી લગભગ પાંચ વર્ષ બાદ દેવદત્ત પટ્ટનાઈકે નાતજાતનાં સ્તરીકરણને ધર્મ કે પ્રદેશ સાથે કોઈ સંબંધ છે કે તેને લગતો એક લેખ, Beyond Hinduism: Is caste a religious or a regional problem?.પણ લખ્યો છે જેમાં જાતિવાદને ધર્મ કે પ્રદેશની સંસ્કૃતિનાં રંગસૂત્ર સાથે કોઈ સંબંધ નથી તે અંગેના દસ્તાવેજો પણ તેમણે બીડયા છે. એટલે તેઓ તારણ પર આવે છે કે જાતિવાદનો જવાબ પૌરાણિક માન્યતાઓમાં શોધવો એ અંધારામાં કોવાયેલી વીંટીને જ્યાં અજવાળું છે ત્યાં શોધવા બરાબર છે.

આટલી ચર્ચાને અંતે આપણે હવે દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ સૂત્ર શ્રેણીના ૯મા અંક - ભેદભાવ-ના ત્રીજા ભાગ - નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ -માં આજના વિષયે દેવદત્ત પટ્ટનાઈક આપણી સમક્ષ શું રજૂ કરે છે તે જાણવા સ્વાભાવિક્પણે જ તલપાપડ બની ગયાં છીએ...

હિંદુ વર્ણ વ્યવસ્થાનાં સ્રરખામણીમાંથી જોઇએ તો, રાજકીય દૃષ્ટિએ અળખામણા ગણાતા શબ્દ, બ્રાહ્મણ,નો અર્થ વિચારક થાય. હજારો વર્ષથી પૌરાણિક શાસ્ત્રોમાં બ્રાહ્મણને ઉચ્ચાસન અપાયું છે જે સામાજિક સ્તરે પણ સ્વીકારાતું હતું. ગુંચવાડો એ વાતનો છે કે, એક બાજુ પુરાણોમાં બધાંને સરખું સ્થાન અપાયું છે તો બીજી બાજુ બ્રાહ્મણને આટલું આગવું સ્થાન ક્યાંથી મળવા લાગ્યું. આપણા દિલોદિમાગમાં એ એટલી હદે કેમ અને ક્યારથી વણાઈ ગયું કે દરેકનું પોતાની રીતે, પોતાના સમયે આગવું અગત્ય છે તેને બદલે જડ નાતજાતના વાડા વવાઈ ગયા?
સમાજની વાસ્તવીકતા અને પુરાણોની વિચારધારાને પુરાણો કથાનકો દ્વારા જે કંઈ કહેવાયું છે અને સમાજમાં તેમાંનું શું સાંભળે છે અને ગ્રહણ કરે છે તેને હાલ પૂરતાં અળગાં રાખીએ. આપણે તેમને પૂર્વધારણા તરીકે રાખીશું. આપણે સ્વીકારી લઇએ કે સમાજમાં કેટલાંક લોકોને પાણી, સ્વાભાવિક સ્પર્શ, અમુક જગ્યાઓએ પ્રવેશ, સમાજના અન્ય વર્ગ સાથેનાં રહેઠાણ, જેવી બુનીયાદી સ્વીકૃતિઓ બાબતે અમાનવીય પ્રથાઓ ઘર કરી બેઠી છે. દુનિયામાં એવું કોઈ કારણ નથી જે આવી પ્રથાઓને સ્વીકૃતિ આપી શકે.
બ્રાહ્મણ શબ્દનો તાત્ત્વિક અર્થ છે એવી વ્યક્તિ જે બ્રહ્મન (બૃહદ્‍ મન)ખોળી કાઢાવામાં મદદરૂપ થાય છે. આ શબ્દ ઉપનિષદોમાંથી આવેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો, બ્રહ્મન એટલે માનવીને પશુ માનસીકતામાંથી બહાર લઈ જઈને મોહમાયાની પારની અનંત, બીનભૌતિક (આધ્યાત્મિક) સંભાવનાઓની બધી જ શક્યતાઓ મેળવીને દૈવત્વ પ્રાપ્ત કરવામાં મદદગાર થવું. દરેક મનુષ્યમાં આ અનંત સંભાવનાઓ સમાયેલી છે જ. જરૂર છે તેને પામવાની, એટલે કે આપણામાં પશુને પૂર્ણપણે, હંમેશ માટે, ખતમ કરવાની.
એટલે કે, બ્રહ્મન વ્યક્તિત્વ એક લાક્ષણિકતા છે.
અનંતની ખોજની એ યાત્રા સિધ્ધ કરાવી આપનાર એ બ્રહ્મન, જે ભાબ સમયની સાથે બ્રાહ્મણ તરીકે શબ્દોચ્ચાર પામ્યો. આ તબક્કે આ શબ્દનો અર્થ બીજા સરખા જણાતા શબ્દોથી ાલગ સમજી લેવો જોઈએ. એ શબ્દ છે બ્રહ્મા. બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર છે. યાદ રહે કે આપણે ત્યાં બ્રહ્માની ખાસ ભક્તિ કે પૂજા નથી કરાતી. યાદ છે કે એમણે એવું શું કર્યું જેને કારણે તેમની પૂજા નથી થતી?
હા, આ પહેલાં આપણે એ વિષે વાત થઈ છે. તેમણે મૂશક દોડ - અર્થહીન ચડસાચડસી - દાખલ કરી.
મૂષક દોડ એવી સ્પર્ધાત્મક ભાવના છે જે પોતાનાં અસ્તિત્વ માટે લડી મરતાં પશુઓની સહજ વૃત્તિ છે. માનવીનું માનવી હોવું તો જ ઉચિત કહી શકાય જો તે આ મૂળ પશુ વૃતિને અતિક્રમી શકે. એ આદર્શને સિદ્ધ કરવાનો છે.
આ તબક્કે આપણે રામાયણ અને મહાભારતમાં આ બાબતનાં કથાનકો તરફ નજર કરીશું.

રામાયણમાં રાવણ ખલનાયક છે, પણ એ વાત પર વારંવાર ભાર મૂકાયો છે કે તે બ્રાહ્મણ, વિચારક, મહાજ્ઞાની છે. અહીં બ્રાહ્મણ શબ્દનો અર્થ કાળજીપૂર્વક કર્યો છે કેમકે આપણે ત્યાં, સાંપ્રત પરિસ્થિતિમાં, કોઈને બ્રાહ્મણ કહેવો એટલે રાજકીય નજરોમાં તેને વિલન ચીતરવો ગણાય. એટલે, એક વાર ચોખવટ કરી લઈએ કે અહીં બ્રાહ્મણ શબ્દ વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે (જ) કરેલ છે. રાવણનું આખું કુળ વિચારશીલ કુળ કહેવાતું. તેનાં દસ મસ્તક એમ દર્શાવે છે કે તેનામાં દસ વ્યક્તિઓ જેટલું જ્ઞાન હતું. તેણે લોકોને પશુ વૃત્તિમાંથી બહાર આવવામાં મદદરૂપ થવાનું હતું. તેને બદલે તે ખુદ જ સ્પર્ધાત્મક અહંના મદમાં રાચતો હતો. તેની આ વૃત્તિ મહા પાપ ગણાય, એટલે રામને ભાગે તેનો નાશ કરવાની ફરજ આવી હતી. પરંતુ જ્ઞાની માનવનો વધ એ પણ શાસ્ત્રો અનુસાર ઉચિત વ્યવહાર નથી. રામ પણ રાવણના વિચારશીલપણાંના ગુણના પ્રશંસક હતા. એટલે રાવણનો વધ કર્યા પછી રામ પશ્ચાતાપ રૂપે તેની પાસે જઈને અફસોસ કરે છે કે હું તમારાં બ્રહ્મણત્વને નમન કરૂં છું, પણ તેમાંથી વિકાર પામેલ બ્રાહ્મણત્વ વ્યક્તિત્વને હું સ્વીકારી નથી શકતો.


મહાભારતમાં દ્રોણનું પાત્ર આ વિષયમાં ધ્યાન ખેંચે છે. દ્રોણ બ્રાહ્મણ હતા. તેઓએ શીખવેલી અસ્ત્રશસ્ત્ર વિદ્યા કૌરવો અને પાંડવોએ એકબીજા સામે, સંપત્તિ માટેના ઝઘડામાંથી ભડકી ઉઠેલાં યુધ્ધ કરવામાં કામે લગાડી.ગુરુ તરીકે તેઓ કેવા વિચારક રહ્યા હશે? દ્રોણને તેમના પુત્ર અશ્વત્થામા માટે પણ બેહદ લગાવ હતો. તેમણે પોતાના શિષ્યોથી પણ અધિક વિદ્યા તેમના પુત્રને શીખવી.પોતાના માનીતા શિષ્ય અર્જુનની સામે બીજો કોઈ હરીફ ન પાકવા દેવા માટે કરીને તેમણે એકલ્વય્નો જમણો અંગૂઠો ગુરુદક્ષિણામાં માગી લીધો. તેમની આ બધી વર્ત્ણૂક માટે તેમને અફસોસ પણ ન થતો. તેઓ તો આજકાલના એ વ્ય્વાસાયિક જેવા છે જે એમ કહેતો રહે છે કે મેં તો મને જે યોગ્ય લાગ્યૂમ તે જણાવ્યું, હવે તેનો ઉપયોગ તો સામેવાળાંને ઠીક લાગશે તેમ કરશે, મારો તેના પર કંઈ અંકુશ થોડો હોય. મહાભારતનાં યુધ્ધમાં કૃષ્ણ દ્રોણની આ નબળાઈનો લાભ લઈને યુધિષ્ઠિર પાસે 'અશ્વત્થામા માર્યો ગયો, નરો વા કુંજરો વા' કહેવડાવે છે. દ્રોણ પુત્રપ્રેમમાં એટલાં આંધળા બતાવ્યા છે કે એક સેનાપતિને છાજે તેમ કયો અશ્વત્થામા છે તેની તપાસ કરાવ્યા સિવાય જ હથિયાર ફેંકીને યુધ્ધ છોડી ગયા. એ પછી તેમનો શીરોચ્છેદ કરી નાખવામાં આવે છે. તેમનાં કર્મોનાં ફળનો આ કવિ ન્યાય બતાવાયો છે.

પૌરાણિક શાસ્ત્રોમાં આ હાર્દનાં કથાનકો દોહરાયા કરતાં જોવા મળષે. શિવ બ્રહ્માનું માથું કાપી નાખે છે કેમકે બ્રહ્માએ દુનિયામાં સ્પર્ધાની ભાવના વાવી હતી. રાવણનો વધ રામ દ્વારા કરાયો છે. દ્રોણનું મૃત્યુ કૃષ્ણ દ્વારા મંજૂર થયેલ યોજના અનુસાર થાય છે. આ દરેક વિચારક, બ્રહ્મન, માનવ વિશ્વને પશુવૃત્તિમાંથી બહાર લાવવાના તેમના મૂળ જીવન કર્મના માર્ગ પરથી ચલિત થઈ ગયા હતા. એ માટે તેમને માફ ન કરી શકાય. કોઈ પણ નેતા, કોઈ પણ વ્યૂહરચનાકાર, કોઈ પણ આલેખનકારનું કર્ત્વય છે કે તે સંસ્થામાંનાં તેમનાં સહકર્મચારીઓનાં સામર્થ્યને ઉંચાં સ્તર પર લઈ જતાં રહે, નહીં કે તેમની મૂળ આવડતો પર પડી રહેવા દે.
આમ, ભેદભાવની બાબતે પુરાણોમાંથી આપણને બહુ સ્પષ્ટ સંદેશ મળે છે . કુદરતે મૂળભૂત રીતે કોઈ એક પ્રાણી સમૂહમાં ભેદભાવ નથી રાખ્યા. જે કંઇ તફાવત ઉભરીને દેખાય છે તે બહારના સંજોગોની અસરને કારણે પ્રાણીનાં કુદરતી બંધારણમાં થતા ફેરફારો છે. આપણે આવા ફેરફારોને સ્તરીકરણનાં વર્ગીકરણ માટે હાથવગું સાધન ગણી લીધું અને પછી પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાની ટુંકી દૃષ્ટિમાં તેને ભેદભાવના પદાનુક્રમમાં ઠોકી બેસાડેલ છે. માનવ સ્વભાવનો આ પશુ અંશ સંપૂર્ણપણે નિર્મૂળ આટલા સમય સુધી તો નથી થયો. માનવ સભ્યતાના વિકાસની સાથે ભેદભાવનું આ રંગસૂત્ર એટલી હદે વણાઈ ગયું છે કે આજે એક છેડે તેને નિર્મૂળ કરવાનો પ્રયાસ થાય તો સમાજ તેને બીજાં સ્વરૂપે વાવી દે છે. એટલે, ભેદભાવ પરની પુરાણોમાંની આ ચર્ચામાંથી આપણે તો એટલી જ શીખ લઈએ કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ભેદભાવનો ઉપયોગ હંમેશાં સકારાત્મક પરિણામો આવે તે જ રીતે કરીએ.

હવે પછીના ૧૦મા અંકમાં આપણે દેવદત્ત પટ્ટનાઈકની ટીવી શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના અંત તરફ આગળ વધીશું.

નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો